Opinion Magazine
Number of visits: 9447183
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મનિરપેક્ષતા અને પરંપરાના સંસ્કાર

એસ. ડી. દેસાઈ|Opinion - Opinion|3 March 2015

મુસ્લિમ જન તો તેને કહીએ જે પીડ પરાઇ જાણે રે,

પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે …

નરસિંહ મહેતાના ભજનનો પહેલો શબ્દ વાંચી આજના માહોલમાં ઘણી આંખો પહોળી થાય. પરંતુ ફિનિક્સ આશ્રમમાં ગાંધીજી જેમને ’ઇમામસાહેબ’ કહેતા અને દક્ષિણ આફ્રિકા

છોડી ભારત આવવાના હતા ત્યારે વિદાય-સમારંભમાં પોતાના ’સહોદર’ કહેલા તે, ધીકતો ધંધો છોડી ’ગાંધીભાઈ’ના આશ્રમના અંતેવાસી થયેલા અબ્દુલકાદર બાવઝીર પ્રાર્થનાસભામાં અચૂક હાજર રહે અને આ શબ્દફેર સાથે ભાવવાહી કંઠે ભજન ગાય તથા કુરાનનાં વચનો પણ સંભળાવે.

રાવજીભાઈ પટેલ (’ગાંધીજીની સાધના’, નવજીવન)માં નોંધે છે, ’તેઓ કહેતા કે સાચો હિંદુ સાચો મુસલમાન છે અને સાચો મુસલમાન સાચો હિંદુ.’ Vishvabharti Quarterly (શાંતિનિકેતન, ૨ ઑક્ટોબર ૧૯૪૯)ના Gandhi Memorial Peace Numberના આરંભે રવીન્દ્રનાથ ટાગોર અને જે. બી. કૃપાલાણીના લેખોની વચ્ચે આ ભજનનો એક વિરલ અર્થગ્રાહી અંગ્રેજી અનુવાદ છે, તેની માત્ર પહેલી કંડિકામાં ’વૈષ્ણવજન’ની જગાએ Lord Omnipresent શબ્દો વાપર્યા છે : Him we call the man of the Lord Omnipresent … નરસિંહ, ગાંધીજી, અનુવાદક અને ઇમામસાહેબનો આદર્શ, મનુષ્યનો ધર્મનિરપેક્ષ આદર્શ જુઓ !

મૂળ વાત, વિદાય-સમારંભની. રાવજીભાઈ નોંધે છે, ‘પ્રાર્થના પછી બધાં એક પછી એક ગાંધીજીને પગે લાગ્યાં. તેમણે કોઈને મીઠી લપડાક મારી, કોઈને મધુરો મુક્કો માર્યો, કોઈનો બરડો થાબડ્યો અને દરેકને કાંઈ ને કાંઈ કહી સ્નેહરસે ભીંજવ્યા. ઇમામસાહેબનો વારો આવ્યો. ગાંધીજીએ તો ઇમામસાહેબને બાથમાં ભીડ્યા. છાતીસરસા ખૂબ ચાંપ્યા. તેમના સામું જોઈ મીટેમીટ માંડી અને દયાર્દ્રભાવે બોલ્યા, ‘મારી માતાએ બે જન્મ્યાં. એક હું અને બીજા તમે. આપણે બે સહોદર ભાઈ છીએ.’

૧૯૧૫માં ગાંધીજીની પાછળ ઈમામસાહેબ પણ પત્ની અને બે દીકરીઓ સાથે અમદાવાદ આવ્યા. ગાંધીજીએ સાબરમતી આશ્રમ સ્થાપ્યો. તેમાં જ ઈમામસાહેબે પોતાનું મકાન બાંધ્યું, જે પછી ’ઈમામ મંઝિલ’ કહેવાયું. આજીવન તેઓ તેમાં રહ્યા. એમની પુત્રી અમીનાનાં લગ્ન મોગલ ખાનદાનના ગુલામરસૂલ કુરેશી સાથે નક્કી થયાં ત્યારે કંકોતરી ગાંધીજીએ પોતાના નામે લખી અને આમંત્રિતોને પાઠવીને જાતે લગ્ન કરાવ્યાં. આશ્રમની મિલકતના પ્રથમ ટ્રસ્ટીઓમાં એક ઇમામ સાહેબ. આજે આશ્રમના ’સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ’ના પ્રમુખ ટ્રસ્ટી એમના દૌહિત્ર હમીદ કુરેશી છે.

ધર્મનિરપેક્ષ વાતાવરણમાંથી પ્રાપ્ત સંસ્કાર અને વસુધૈવ કુટુંબકમ્-ના પારંપરિક કૌટુંબિક સંસ્કાર કેવા સ્વાભાવિક જીવનપથનું નિર્માણ કરી શકે તેનું નમૂનારૂપ ઉદાહરણ આ કુટુંબે અનાયાસ પૂરું પાડ્યું, જે સમગ્ર દેશને માટે પ્રેરણારૂપ બને. નેતા બન્યા વિના આચારથી દાખલો બેસાડી રાહ ચીંધવામાં ગાંધીજીની મહાનતા, તેથી તો જૉન હૉમ્ઝે એમને ‘The greatest man since Jesus Christ’ કહ્યા.

હમીદ કુરેશીનાં લગ્ન આશ્રમવાસી હરજીવનદાસનાં દીકરી પ્રતિમા કોટક સાથે. એમનાં પોતાનાં પાંચ સંતાનોમાંથી દીકરી શમીમનું લગ્ન ખ્રિસ્તી અમેરિકન નાગરિક સાથે, જે મૂળ ઇટાલિયન. યાસ્મિનનું લગ્ન પણ ખ્રિસ્તી અમેરિકન સાથે, જેનું કુટુંબ જર્મન. એક પુત્રનાં પત્ની ખ્રિસ્તી, જે સ્વિટ્ઝર્લૅન્ડથી અમેરિકા આવી વસેલાં. બીજાનું દીપ્તિ કાંટાવાલા અને ત્રીજાનું પ્રતિષ્ઠિત નાગર કુટુંબનાં સોનલ દેસાઈ સાથે, જેના અભિનયને ૧૯૮૦માં અંગ્રેજી નાટક ’ધ મૅચમેકર’માં બિરાદાવ્યાનું મને સ્મરણ છે. હમીદભાઈના ભાઈ વહીદભાઈના દીકરાનું લગ્ન હેમાંગિની ચોકસી સાથે. સોનલના પિતા બાહોશ વકીલ સુશીલ દેસાઈ મારી કૉલેજમાં દર શનિવારે લૉ શીખવવા આવતા. છોકરી મુસ્લિમ કુટુંબમાં જાય તે સામે એમનાં બહેનનો સખત વિરોધ. જમાઈને જોયા-ઓળખ્યા પછી વિરોધ વાત્સલ્યમાં પલટાયેલો, અને અંતસમયે લાગણીપૂર્વક ઇચ્છા વ્યક્ત કરી કે જમાઈ અગ્નિદાહ આપે. અને એમ જ થયેલું.

લગ્ન માટે ધર્મને બદલે ખાનદાની જોવાનો આ આવકાર્ય ’ચેપ’ ક્યારે ય કાબૂમાં ન આવ્યો ! વહીદ કુરેશીની ચારે ય દીકરીઓનાં લગ્ન હિંદુ કુટુંબોમાં. આ ચારમાંથી બેનો ગુજરાત અને અમદાવાદને વિશેષ પરિચય. ગુજરાતમાં ટેલિવિઝનનાં આરંભનાં વર્ષોમાં જેના મુખે શુદ્ધ ઉચ્ચાર અને યોગ્ય આરોહ-અવરોહમાં સમાચાર સાંભળવા ગમતા એવો એક પરિચિત ચહેરો તે રુઆબનો. એનું લગ્ન દક્ષિણ ભારતના યુવાન સાથે. ત્રણેક દાયકા પહેલાં અમદાવાદ નજીક વિમાની અકસ્માત થયેલો. એમાં ‘આવિષ્કાર’ લોકનૃત્યવૃંદ સપડાયેલું. બચી જનારાંઓમાં એક શિરીન. તેનું લગ્ન ખંભોળજા કુટુંબમાં. સ્મરણ છે કે બન્નેએ જે ગુજરાતી પ્રાથમિક શાળામાં શિક્ષણ લીધેલું. તેમાં મારાં પત્ની શિક્ષિકા. શાળા બહાર પણ બન્ને પારંપરિક રીતે ગુરુને આદર આપે.

આ લખાણ હમીદભાઈ(૮૮)ની એક નોંધ, એમની સાથે થયેલી વાતચીત અને હાથવગા અલ્પ સંદર્ભોને આધારે તૈયાર કર્યું છે. ગાંધી – પરંપરાની એમની નમ્રતા. આપપ્રસિદ્ધિથી દૂર રહે. એમનો જન્મ ૧૯૨૭માં આશ્રમ મધ્યે ઇમામ મંઝિલમાં. ગાંધીજીના ખોળે ચડેલ કેટલાંકમાંના એક. સ્વાતંત્ર્યસેનાની. પ્રતિમાબહેન સાથે રજિસ્ટ્રેશન લગ્ન થયું ત્યારે એક સાક્ષી કવિ સ્નેહરશ્મિ, બીજા ’ગાંધીજીની દિનવારી’ (૧૯૧૫-૧૯૪૮ અને ૧૮૬૯-૧૯૧૫) તથા ગાંધીજી સંબંધિત અન્ય પુસ્તકોના લેખક ચંદુલાલ દલાલ. સ્વાતંત્ર્ય માટે સમાજના તમામ ક્ષેત્રોની વ્યક્તિઓએ આપેલા સમર્પણની ગાથા જાણવા નૂતન ભારતનું સર્જન જોવા અધીરી, સદ્ય મંતવ્ય આપી બેસતી આજની અને આવતી કાલની કહેવાતી, યુવાન પેઢી પાસે પરંપરા અને પરિપ્રેક્ષ્ય જાણવા-સમજવા સમય નથી. એમને એમની ગમતી રીતે એ પ્રતીતિપૂર્વક પહોંચાડવાના મૌલિક તરીકા શોધવા બાકી છે. હમીદભાઈની માતા અમીનાબહેનને ગાંધીજીએ એક પત્રમાં ’અસીમ હિંમતવાળી વ્યક્તિ’ કહ્યાં છે. પિતા અને પતિ બંને સ્વાતંત્ર્યલડતમાં પૂર્ણ પ્રદાન કરે, બંને જેલમાં. નાનાં બાળકો છતાં અમીનાબહેન પોતે જેલમાં જવા અધીરાં. ગાંધીજી પ્રેમપૂર્વક તેમને રોકે. કહે, ’બાળકો અને તંદુરસ્તી સાચવ. તારો પણ સમય આવશે.’ પછી તો તેઓ ત્રણેક વાર જેલમાં ગયાં. 

હમીદભાઈને પૂછ્યું, તો એમનાં થોડાં સ્મરણો સાંભળવા મળ્યાં. લાગણીસભર છતાં રતિભાર રંજ વિનાના મગરૂર સ્વરે એમણે જે વાતો કરી, તેમાંની એક, દંતકથાનાં પરિમાણ ધરાવતી હૃદયસ્પર્શી વાત છે. પિતા ગુલામરસૂલ કુરેશી અને માતા અમીનાબહેનનાં લગ્નને હજુ માંડ દસ વર્ષ થયાં હતાં, હમીદભાઈ પોતે ચાર વર્ષના. બોરસદ સત્યાગ્રહ માટે બહેનોને મોકલવાની. ગાંધીજીએ નામ માંગ્યાં. લાંબી કતાર લાગી ગઈ. તેમાં અમીનાબહેન પણ ઊભાં. કોઈએ ધ્યાન દોર્યું. ગાંધીજી બોલ્યા, ’બહાદુર પિતાની બહાદુર દીકરી.’ એમનો વારો આવ્યો, ત્યારે ગાંધીજી કહે, ’પતિની સંમતિ છે? લઈ આવો.’

બીજા જ દિવસે અમીનાબહેન વિસાપુર પહોંચ્યાં, જ્યાં પતિ ગુલામરસૂલ કેદી તરીકે ખેતરમાં પાવડો લઈ મજૂરી કરે. કેદીનો પોષાક. લાંબી દાઢી. વચ્ચે વાડ. આ તરફ બાળકો સાથે અમીનાબહેન. કહે, ’રજા આપો.’  જવાબ મળ્યો, ‘રજા છે.’ પછીના પ્રશ્નનો જવાબ સરળ નહોતો. ’આ બાળકોનું શું?’ ક્ષણેકમાં જવાબ મળ્યો, ‘ત્રણ દરવાજા મૂકી આવો. બીજાં બાળકો ભેગાં રહેશે.’ ગાંધીજીની તો એ તબક્કે હાકલ હતી કે બાળકો સહિત સર્વસ્વનું સમર્પણ કરવા તૈયાર રહેવું. જેમના આચાર અને વિચારમાં ભેદ નહીં, તેને કોણ ન અનુસરે ? પર્લ બકે તો એમનું ખૂન થયું, ત્યારે કહેવું પડેલું,’O India ! Be worthy of your Gandhi !’

જો કે ત્રણદરવાજા જવું ન પડ્યું. અમીનાબહેન બોરસદ ગયાં, જેલમાં ગયાં ને ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈનાં લડતને સમર્પિત બહેન અનસૂયાબહેન છાત્રાલય ચલાવે, તેઓ ત્રણે બાળકોને લઈ ગયાં અને તેમની સંભાળ રાખી …

— આ ભારતીયતા છે. આ લખાણ લખ્યું તે કોઈ વ્યક્તિનાં ગુણો ગાવાં નહીં, મનુષ્યને કોઇ પણ પ્રકારના ટૅગ વિના મનુષ્ય તરીકે જોતી, આખી પૃથ્વી એક કુટુંબ છે, એવી પર્વતો જેટલી પુરાતન ભારતીય પરંપરાનું ગીત ગાવા.

૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૫

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2015, પૃ. 14-15

Loading

3 March 2015 admin
← નારીવાદની ચર્ચા શાને
આંતરરાષ્ટ્રીય મહિલા દિન – માત્ર અધિકારની માંગ કે કર્તવ્યનું ભાન? →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved