Opinion Magazine
Number of visits: 9449308
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકસભા, ૨૦૦૯ મુદ્દા વગરની વઘુ એક ચૂંટણી

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|1 December 2012

ખિસ્સાકાતરૂઓની ગેંગ મેદાને પડે ત્યારે તેમની જૂની અને જાણીતી ટેકનિક હતીઃ બે જણા અંદરોઅંદર ઝગડાનો દેખાવ કરે, લોકો તમાશો જોવા ટોળે વળે અને ગેંગના બાકીના સભ્યો ટોળામાંથી લોકોનાં ખિસ્સાં સાફ કરતા જાય.

ચૂંટણીમાં નેતાઓની પરસ્પર આક્ષેપબાજી સાંભળીને ગેંગનો સીન યાદ આવ્યો. અભૂતપૂર્વ મંદી અને આંતરિક અસલામતીથી માંડીને  ગરીબોની પાયમાલી જેવા અનેક મુદ્દે રાષ્ટ્ર ભીંસમાં છે, ત્યારે નેતાઓ ક્ષુલ્લક પ્રકારની આક્ષેપબાજી અને શેરીકક્ષાના વાક્યુદ્ધમાં મશગૂલ છે. આશય એ જ પ્રજા મૂળ મુદ્દા યાદ કરવાને બદલે તમાશો જોવામાં પડી જાય અને માની લે કે ‘આ ચૂંટણીમાં કોઇ મુદ્દો જ નથી.’

ચૂંટણીમુદ્દાઃ ફ્લેશબેક

હકીકત એ પણ છે કે આઝાદ ભારતમાં બહુ ઓછી ચૂંટણીઓ વાસ્તવિક અથવા નક્કર મુદ્દા પર લડાઇ છે. શરૂઆતની ત્રણ-ચાર ચૂંટણીઓમાં  ‘આઝાદી અપાવનાર પક્ષ’ તરીકે કોંગ્રેસની છાપ એટલી પ્રબળ હતી કે પ્રજા માટે ચૂંટણીઓ ‘ઋણ ચૂકવવાનો અવસર’ બની. ગાંધી-પટેલની વિદાય અને રાજગોપાલાચારી-કૃપાલાણી જેવા નેતાઓની કોંગ્રેસમાંથી વિદાય પછી ‘નેહરૂ કોંગ્રેસ’ બની ગયેલા પક્ષને તેમણે બધી સમસ્યાઓ ભૂલીને ખોબલે ને ખોબલે મત આપ્યા. છેક ૧૯૬૭માં શાસનવિરોધી લાગણી (એન્ટીઇન્કમ્બન્સી ફેક્ટર)નું પરિણામ ફક્ત એટલું આવ્યું કે કોંગ્રેસની બે તૃતિયાંશ બહુમતિ તો જળવાઇ રહી. ફક્ત બેઠકોની સંખ્યામાં ઘટાડો થયો.

ઈંદિરા ગાંધીએ કોંગ્રેસના ભાગલા પાડીને, દેશની સમસ્યાઓ માટે પોતાના રાજકીય શત્રુ એવા જૂની પેઢીના કોંગ્રેસી નેતાઓને જવાબદાર ઠેરવ્યા. એ રીતે સમસ્યાઓથી ત્રસ્ત લોકોનું ઘ્યાન બીજી તરફ વાળવામાં અને તેમને ‘ગરીબી હટાવો’ની ચૂસણી (લોલીપોપ) ઝલાવવામાં સફળ ઈંદિરા ૧૯૭૧ની ચૂંટણી જીતી ગયાં. ૧૯૭૫માં તેમણે લાદેલી કટોકટી બે વર્ષ પછી યોજાયેલી ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો બની. લોકશાહીની હત્યા અને કટોકટીના બહાને સરમુખત્યારીના વિરોધમાં પ્રજાએ ૧૯૭૭ની ચૂંટણીમાં કોંગ્રેસને ધોબીપછાડ આપી. પણ જનતા પક્ષની સરકાર સ્થિરતાના મૂળભૂત મુદ્દે નાપાસ થઇ. એટલે ‘ગરીબી હટાવો’ની સાથોસાથ સ્થિરતાના મુદ્દે ૧૯૮૦માં ઈંદિરા ગાંધી ફરી ચૂંટાઇ ગયાં. ૧૯૮૪માં ઈંદિરા ગાંધીની હત્યાના પગલે ઊભી થયેલી સહાનુભૂતિ સૌથી મોટો ચૂંટણીમુદ્દો બની, જેને ખરેખર દેશની અનેક ગંભીર સમસ્યાઓ સાથે કશી લેવાદેવા ન હતી.

આઝાદ ભારતમાં પહેલી (અને કદાચ છેલ્લી) વાર ૧૯૮૯ની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર ચૂંટણીમુદ્દો બન્યો. નાણાં મંત્રીપદેથી રાજીનામું આપનાર વી.પી.સિંઘ બોફર્સ કૌભાંડથી ખરડાયેલા ‘મિસ્ટર ક્લીન’ રાજીવ ગાંધીની સામે પડ્યા. પણ ભારતના રાજકારણમાં ભ્રષ્ટાચારવિરોધી લડત કેવી હોઇ શકે? ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસને હરાવીને બનેલી વી.પી.સિંઘની મોરચા સરકારમાં ગુજરાતના ચીમનભાઇ પટેલ ચાવીરૂપ નેતા બન્યા!

ત્યાર પછીની ૧૯૯૧ ચૂંટણી કદાચ સૌથી વિભાજનકારી અને અનિષ્ટ ચૂંટણીમુદ્દા પર લડાઇ  મંડલ વિરૂદ્ધ કમંડલ. જ્ઞાતિવાદ અને આક્રમક રાજકીય હિંદુત્વનું વરવું પ્રદર્શન થયું. ચૂંટણીના અંતે સાદી કોંગ્રેસને સાદી બહુમતિ મળતાં નરસિંહરાવ સરકાર અસ્તિત્ત્વમાં આવી, અને જેમતેમ કરીને પાંચ વર્ષ ટકી ગઇ. આર્થિક ઉદારીકરણ જેવું મહત્ત્વનું પગલું અને દેશના રાજકારણ પર લાંબા સમય સુધી ઓછાયા પાડનાર બાબરીઘ્વંસની ઘટનાઓ આ સરકારના શાસનકાળમાં બની.

૧૯૯૬થી લોકસભાની ચૂંટણી સંપૂર્ણપણે સમાજશાસ્ત્રના પેપરમાંથી અંકગણિતનું પેપર બની ગઇ. એક પક્ષના વર્ચસ્વનો અંત અને મોરચા સરકારોની અસ્થિરતાને લીધે રાષ્ટ્રિય મુદ્દા બાજુ પર રહેવા લાગ્યા. પક્ષોનાં વલણ, વિચારસરણી અને આયોજન લાંબા ગાળાને બદલે ટૂંકા ગાળાનાં- આ ચૂંટણી જીતી લેવા પૂરતાં મર્યાદિત- બન્યાં.  ૧૯૯૬ પછી ૧૯૯૮ અને ૧૯૯૯માં ઉપરાછાપરી લોકસભાની ચૂંટણીઓ થઇ અને મોરચા સરકારો બની. ૧૯૯૯માં ભાજપની આગેવાની હેઠળના મોરચાને પણ સરકાર બનાવવાની અને પાંચ વર્ષ ચલાવવાની તક મળી.

સંયુક્ત મોરચાના યુગમાં યુગમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેની આગેવાની હેઠળના મોરચા કેન્દ્રમાં શાસન હાંસલ કરી ચૂક્યા છે. ઘણા વખત પછી ૧૯૯૯ની ચૂંટણીમાં ભાજપે ‘ઇન્ડિયા શાઇનિંગ’ અને ‘ફીલગુડ ફેક્ટર’ને ચૂંટણીમુદ્દો બનાવીને પ્રચારનો જબરો ગુબ્બારો ચલાવ્યો, પણ પરિણામ જાહેર થયું ત્યારે એ જ ચૂંટણીમુદ્દા બૂમરેન્ગ થઇને અતિવિશ્વાસી ભાજપી નેતાગીરીના લમણે અફળાયા. તેમાંથી બોધપાઠ લઇને ભાજપે અને કોંગ્રેસે આ વખતે મોટા દાવા કરવાનું કે ગુલાબી ચિત્રો બતાવવાનું ટાળીને, કેવળ મનોરંજક વાક્યુદ્ધો પૂરતો ચૂંટણીપ્રચાર સીમીત રાખ્યો છે.

વિસારે પડેલા વાસ્તવિક મુદ્દા

ચૂંટણીના ગરમાગરમ માહોલમાં આમજનતાના પ્રાણપ્રશ્નો અને તેમને સ્પર્શતા મુદ્દા લાવવા એકેય પક્ષને પોસાય એમ નથી. કેમ કે, હવે બન્ને મુખ્ય પક્ષોની સરકારો કેન્દ્રમાં રહી ચૂકી છે અને પ્રજાએ જોઇ લીઘું છે કે મૂળભૂત સમસ્યાઓની બાબતમાં કેટલીક વ્યક્તિગત પ્રતિભાઓને બાદ કરતાં સંસ્થાકીય કામગીરી અને પ્રશ્નોની સમજણની રીતે બન્ને પક્ષો સરખા નિષ્ફળ સાબીત થયા છે.

સમસ્યાઓનો ઉકેલ આણવાની વાત તો બાજુ પર રહી, સમસ્યાઓના સ્વીકાર અને તેની ગંભીરતાનો ક્યાસ કાઢવામાં પણ રાજકીય પક્ષોની વૃત્તિ ‘રાજકીય’ જ રહી છે. નક્સલવાદનો જ દાખલો લઇએ. એક અભ્યાસ પ્રમાણે ભારતની ભૂમિના ૪૦ ટકા હિસ્સા પર- કર્ણાટકથી નેપાળ સુધીના પટ્ટામાં- નક્સલવાદીઓનો ખૌફ ફેલાયેલો છે. છત્તીસગઢનાં જંગલોમાં સરકારી અર્ધલશ્કરી દળો પર છાપા મારવાથી માંડીને બિહારના શહેરોમાં ધોળા દિવસે હુમલા કરનારા- જેલો તોડનારા નક્સલવાદીઓનો મુકાબલો કેમ કરવો, તેની સ્પષ્ટ વ્યૂહરચના એકેય પક્ષ પાસે નથી- અને તેના અભાવની ખોટ પણ તેમને સાલતી નથી. એવું જ ત્રાસવાદી હુમલાનું છે. ભારતમાં ત્રાસવાદી હુમલાનો ભોગ બનેલાં રાજ્યોનો નકશો બનાવવામાં આવે, તો આખો નકશો લાલ ટપકાંથી છવાઇ જાય. પરંતુ દરેક ત્રાસવાદી હુમલા પછી ગુપ્તચર સંસ્થાઓની નિષ્ફળતા અને રાજકીય પક્ષોની આક્ષેપબાજી સિવાય બીજું કંઇ સાંભળવા મળતું નથી.

ભાજપને ત્રાસવાદનાં તમામ દુઃખની દવા ત્રાસવાદવિરોધી કાયદામાં દેખાય છે. મુસ્લિમવિરોધી માનસિકતા ધરાવતા પક્ષ તરીકે (સાચી રીતે) કુખ્યાત ભાજપને આ કાયદાના દુરૂપયોગમાં કેટલો રસ પડે, એ ગુજરાત જેવાં ઉદાહરણ પરથી સમજી શકાય એવું છે. બીજી તરફ, આ જ પ્રકારના કાયદા અગાઉ મંજૂર કરી ચૂકેલી કોંગ્રેસ સરકાર પાસે આ કાયદાના પ્રસ્તાવનો વિરોધ કરવા સિવાય નક્કર વિકલ્પ નથી. આતંકવાદી હુમલાનું સુખ એટલું છે કે એક જગ્યાએ હુમલો થયા પછી ત્યાં ફરી તરત હુમલો થતો નથી. એટલે સ્થાનિક નેતાગીરીને ખોટેખોટો જશ લેવાની તક મળે છે અને પ્રજા ત્રાસવાદની તીવ્રતા ભૂલીને પોતપોતાની જિંદગીમાં પરોવાઇ જાય છે.

પાકિસ્તાન, બાંગલાદેશ, નેપાળ અને શ્રીલંકા જેવા પાડોશી દેશોમાં ચાલી રહેલી ગતિવિધિ ભારતને સીઘું નુકસાન પહોંચાડે એવી છે. એક સમય હતો જ્યારે સરદાર પટેલ અને રામમનોહર લોહિયા જેવા નેતાઓ સરહદપારના ખતરા સૂંઘીને ચીનના ઇરાદા વિશે દેશને ચેતવતા હતા. હવેના વાણીશૂરા નેતાઓના મોઢેથી સભારંજની ભાષણબાજી અને ડાયલોગબાજી સિવાયની કશી ગંભીર-નક્કર અને રાજકારણની ભેળસેળ વગરની વાત સાંભળવા મળે છે? પાકિસ્તાન ધીમે ધીમે તાલિબાનોના હાથમાં સરી રહ્યું છે, બાંગલાદેશ ઝનૂની ઇસ્લામી ત્રાસવાદીઓનો નવો અડ્ડો બન્યું છે, શ્રીલંકામાં તમિલો સામેની ઉગ્ર કાર્યવાહીથી રોષનું વાતાવરણ છે, નેપાળના સશસ્ત્ર માઓવાદીઓને ભારતમાં આતંક મચાવતા નક્સલવાદીઓ સાથે સીધી સાંઠગાંઠ હોવાનું મનાય છે અને આ બધા ઉપરાંત ચીન તો ખરૂં જ. આર્થિક-વૈજ્ઞાનિક અને લશ્કરી એમ દરેક ક્ષેત્રમાં ચીને ફક્ત ભારતને જ નહીં, અમેરિકાને  હંફાવવાના ઘ્યેય સાથે આગળ વધી રહ્યું છે.

એ ખરૂં કે વિદેશનીતિ જેવી મુત્સદ્દીગીરી સાથે સંકળાયેલી બાબત આમજનતા વચ્ચે પ્રચારનો ચૂંટણીમુદ્દો ન બની શકે, પણ ઉપરના ગંભીર મુદ્દા વિશે દીર્ઘદૃષ્ટિથી વિચારીને નીતિ ઘડી શકે એટલી ગંભીરતા કોઇ પક્ષ પાસે લાગે છે? રાષ્ટ્રવાદની માળા જપવાથી આ પડકારો ઓગળી જવાના નથી.

વિદેશી પડકારો ઓછા હોય તેમ, ઇશાન ભારતનાં ‘સેવન સીસ્ટર્સ’ તરીકે ઓળખાતાં સાત રાજ્યો અને કાશ્મીરમાં ઘણા સમયથી પરિસ્થિતિ સામાન્ય નથી. છતાં, અમરનાથ જમીનના મુદ્દે બન્ને મુખ્ય રાજકીય પક્ષોએ જે અપરિપકવતા દાખવીને જમ્મુ અને કાશ્મીરને આમનેસામને લાવી દીધાં તે ભયંકર ઘટનાક્રમ હતો. પોતાના નેતાઓ કે મુખ્ય મંત્રીઓ દ્વારા થતા માનવ અધિકાર ભંગની વાત આવે ત્યારે તરત કાશ્મીરના પંડિતોનો મુદ્દો લઇ આવતા ભાજપે પોતે અત્યાર સુધી શું કર્યું અને ભવિષ્યમાં શું કરવા માગે છે, તેનો વીરરસપૂર્ણ ભાષણબાજી સિવાયનો કોઇ નીતિવિષયક અને વ્યવહારૂ જવાબ છે?

ભારતમાં સમસ્યાઓની યાદી બનાવવા બેસીએ તો ક્યાં પાર આવશે? ખેડૂતોની આત્મહત્યા, ગરીબોને વઘુ ગરીબ બનાવી રહેલી અને ગરીબોની સંખ્યામાં વધારો કરી રહેલી સરકારી નીતિ, સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન અને વિકાસનું નવું મોડેલ, જ્ઞાતિવાદ, પ્રાંતવાદ (યાદ કરોઃ ઠાકરે એન્ડ કંપની), ન્યાયના શાસનની પૂરેપૂરી ઉપેક્ષા, ગણ્યાગાંઠ્યા સમૃદ્ધ લોકોની સંપત્તિમાં ભારતઉદયનો દર્શન કરવાની નવી ફેશન, ફક્ત અમીરો માટે અનામત બની રહેલું શિક્ષણ, હિંદુત્વનું રાજકારણ, ધર્મના નામે ધિક્કાર ફેલાવતા ઇસ્લામી પ્રવાહો… અને આ બધા ઉપરાંત મોંઘવારી, બેરોજગારી, ગરીબી…

અને આપણા રાજકીય પક્ષોને આમાંથી એક પણ મુદ્દો ચૂંટણીમુદ્દો બનાવવાને લાયક લાગતો નથી. તેમનું સ્થાન જેને કોઇ વાંચતું નથી એવા ચૂંટણીઢંઢેરામાં હોય તો હોય. બાકી મત માગતી વખતે તો બુઢિયા-ગુડિયાની કે ‘પીગળેલા લોહપુરૂષ’ની નાટકબાજી જ ચાલે!

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved