Opinion Magazine
Number of visits: 9449053
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડાહીબહેન પરમાર : વાચનને વફાદાર વાચક

બીરેન કોઠારી|Opinion - Opinion|6 October 2014

લેખકે પોતાના લેખનને વફાદાર રહેવું જોઈએ કે વાચકને? આ સવાલનો સાચો અને પ્રામાણિક જવાબ મેળવવો અઘરો છે. બીજો સવાલ છે, વાચકે પોતાના વાચનને વફાદાર રહેવું જોઈએ કે લેખકને? આનો સાચો જવાબ મેળવવો પણ અઘરો છે. આનું મુખ્ય કારણ એ કે માન્યતા અને વ્યવહાર વચ્ચે બહુ મોટો ફરક હોય છે, જેનો નિખાલસ સ્વીકાર કરવો અઘરો હોય છે.

વાચનને વફાદાર હોય એવા વાચકોનાં લક્ષણ શું? આમ પૂછતાં જ એક ચહેરો નજર સમક્ષ ઊપસી આવે. એ વાચક એટલે કુકેરીનાં ડાહીબહેન પરમાર. ૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ના ગુરુવારે બપોરે તેમનું ટૂંકી બીમારી પછી અવસાન થયું. તેમના અવસાનના સમાચાર મળતાં જ તેમની સાથેનો ચારેક વરસ જૂનો પરિચય કોઈ ચિત્રપટ્ટીની જેમ નજર સમક્ષ ફરી ગયો.

ડાહીબહેનને કંઈ એવા મરમી અને વિદ્વાન વાચક ન કહી શકાય, કે જે પોતે કેટલું વાંચ્યું છે, એની દુહાઈઓ છાશવારે આપતાં રહે અને પોતાના વાચનપ્રેમનો રાગ આલાપ્યા કરે. ડાંગ જિલ્લામાં ચીખલીની નજીક, ઉમરા જવાના રસ્તે આવેલા કુકેરી ગામમાં રહેતાં એક નિવૃત્ત શિક્ષિકા હતાં એ. પેન્શનની આવક. પતિ ચંદ્રસિંહ પણ નિવૃત્ત શિક્ષક. બંને દીકરીઓ યોગ્ય ઠેકાણે પરણાવી દીધી હતી, એટલે પતિ-પત્ની બંને એકલાં જ રહેતાં હતાં. આ ગામમાં પોસ્ટ-ઑફિસ પણ ન હતી. એ માટે તેમણે ખાસ ચીખલી જવું પડે. આવી વિપરીતતાઓ છતાં ય ડાહીબહેન પુસ્તકો ખરીદીને મંગાવતાં.

‘ગુજરાતમિત્ર’ સહિત અન્ય સ્રોતમાંથી તેમને નવાં કે સારાં પુસ્તક અંગેની માહિતી મળે એટલે ડાહીબહેન ફોનથી જે-તે પ્રકાશક કે લેખકનો સંપર્ક કરે, સંબંધિત પુસ્તકની કિંમત પૂછે. તેમનો ખાસ આગ્રહ રહેતો કે પોતે મનીઑર્ડરથી નાણાં મોકલે, એ નાણાં પ્રકાશક કે વિક્રેતાને મળે, એ પછી જ તેમણે પુસ્તકો મોકલવાં. તેમના આટલા પરિચયે કોઈ નાણાં મળતાં પહેલાં સીધેસીધાં પુસ્તકો મોકલી આપવાનું કહે, તો ડાહીબહેન ભડકી ઊઠે. તેમનો આગ્રહ એવો જ રહેતો કે પોતે મોકલેલાં નાણાં મળે, એ પછી જ પુસ્તકો મોકલવાં. આમ તો આ કંઈ એવી મોટી વાત કે મોટો ગુણ ન કહેવાય. પણ આ લખનારને તેનો બરાબર અનુભવ પોતે લખેલા પુસ્તક ‘ક્રાંતિકારી વિચારક’ વખતે થયેલો. વડોદરાના પ્રો. રાવજીભાઈ પટેલ(મોટા)ની જીવનકથાના આ પુસ્તકના અનેક ઠેકાણે પ્રકાશિત થયેલાં અવલોકન પછી ઘણી શૈક્ષણિક સંસ્થાઓ તેમ જ અન્ય શૈક્ષણિક અગ્રણીઓએ આ પુસ્તક મંગાવ્યું હતું. પણ એ પછી તેમાંના ઘણા લોકો આ પુસ્તકનાં નાણાં મોકલવાનું ‘ભૂલી ગયા હતા.’ આવા સંજોગોમાં ડાહીબહેનની આ પ્રકૃતિ બહુ દુર્લભ જણાય.

પુસ્તક મંગાવીને વાંચ્યા પછી અચૂક એ વિશે વાત કરતાં અને પોતાને જે બાબત ન સમજાઈ હોય એ વિષે પૂછપરછ કરતાં. વાતો કરવી તેમને બહુ ગમતી, એટલે ઘણી વાર પુસ્તક સિવાયની વાતો પણ લંબાણથી કરતાં.

‘ક્રાંતિકારી વિચારક’ પુસ્તક વાંચ્યા પછી તેમણે બહુ સહજભાવે ટિપ્પણી કરતાં કહેલું, ‘પુસ્તક સરસ છે, પણ તમે અંદર વાતચીતમાં અમુક અંગ્રેજી વાક્યો એમનાં એમ મૂક્યાં છે. અમારાં જેવાને એમાં હમજણ ની પડે. તમે કૌંસમાં એનું ગુજરાતી લખ્યું હોત, તો હારું થાત!’

કશું ય લખીએ ત્યારે આપણે મનમાં અમુક પ્રકારના કે અમુક કક્ષાના વાચકોને જ નજર સમક્ષ રાખતા હોઈએ છીએ. આવું માનવું કેટલું ભૂલભરેલું હોય છે, એનો પહેલવહેલી વાર ખ્યાલ એ વખતે આવ્યો. લખતી વખતે કદી સપને ય વિચાર્યું ન હતું કે કુકેરી જેવા ગામનાં ડાહીબહેન જેવા વાચક પાસે મારું આ પુસ્તક પહોંચશે. એક વાચકે આપેલો આ અત્યંત મહત્ત્વનો પાઠ હતો.

આ પાઠ એટલો યાદગાર બની રહ્યો છે કે હવે કંઈ પણ લખતી વખતે મનમાં એ જ વિચાર હોય કે ડાહીબહેન આ વાંચી શકશે કે કેમ? ‘જેનનેક્સ્ટ’ને આવું જ ચાલે, એમ ધારીને આજકાલ ગુજરાતી લિપિમાં અંગ્રેજીના શબ્દપ્રયોગો તો ઠીક, આખેઆખા ફકરા ઉતારનારા લેખકમિત્રો કેટલા મર્યાદિત લોકોને લક્ષમાં રાખીને લખે છે, એ વિચાર આવ્યા વિના રહે નહીં! લખાણમાં બને એટલી સરળતા હોવી જોઈએ અને વાત ગમે એવી અઘરી કેમ ન હોય, રજૂઆત શક્ય એટલી સરળ હોવી જોઈએ, એનો સૈદ્ધાંતિક પાઠ ગુરુ રજનીકુમારે આપેલો, જેનો વ્યાવહારિક પાઠ શીખવ્યો ડાહીબહેને.

એકાદ વરસ અગાઉ તેમને રૂબરૂ મળવાનું બન્યું હતું. એ નિમિત્તે કેટલાંક પુસ્તકો તેમને ભેટરૂપે આપ્યાં. પણ તેમણે ધરાર એના પૈસા ચૂકવી દીધા. પુસ્તક પૈસા વિના લેવાય જ નહીં, એવી સ્પષ્ટ સમજણ તેમનામાં હતી અને આ સમજણનો કશી દાંડી પીટ્યા વિના તે અમલ કરતાં હતાં.

તેમને ઘેર ‘નિરીક્ષક’ પણ આવતું હતું. એ ફરી શરૂ કરાવવામાં કંઈક મુશ્કેલી હતી. એ નિમિત્તે તેમનો સંપર્ક ફોન દ્વારા પ્રકાશભાઈ(ન. શાહ)નાં પત્ની નયનાબહેન સાથે કરાવવામાં નિમિત્ત બનવાનું થયું. નયનાબહેન સાથે તેમનો નિયમિત સંપર્ક સ્થપાઈ ગયો. બંને અવનવી વાતો કરતાં. પોતાના વિસ્તારની વાતો ડાહીબહેન એવી આંતરદૃષ્ટિથી કરતાં કે એક તબક્કે નયનાબહેને તેમને ખાસ આગ્રહ કરવો પડ્યો કે તે કંઈક લખીને મોકલે. જો કે, ‘મને એ ની ફાવે’ એમ કહીને ડાહીબહેન એ માટે તૈયાર ન થયાં.

‘સાર્થક પ્રકાશન’ના મિત્રો કાર્તિક શાહ અને બિનીત મોદી સાથે પણ તે નિયમિત ફોનસંપર્ક રાખતાં હતાં. તેમનો પુસ્તકપ્રેમ જોઈને બિનીત મોદીએ ‘ગૂર્જર ગ્રંથરત્ન’ની ઑફિસમાં કાયમી સૂચના આપી રાખી હતી કે ડાહીબહેનનો કોઈ પણ ઓર્ડર હોય તો તેના પર ખાસ ધ્યાન આપવું. ડાહીબહેનનાં પુસ્તકોની ખરીદીનો હિસાબ વાર્ષિક ધોરણે થાય, એવી સુવિધાની ઑફર પણ બિનીતે ડાહીબહેન સમક્ષ મૂકી હતી, પણ ઉધારીનું વાંચન તેમને ખપતું જ ન હતું.

પોતાનાં સગાંઓને આપવા માટે પણ તે એક જ પુસ્તકની એકથી વધુ નકલ મંગાવતાં. ધાર્યું હોત તો પોતાની ખરીદેલી એક જ નકલ તે વારાફરતી સૌને આપી શકતાં હતાં, પણ ના! તે પોતાના વાચનને વફાદાર હતાં. પુસ્તક પોતે જ વસાવવાનું હોયને! 

આવા વાચકોની પ્રજાતિ અમસ્તીય દુર્લભ છે, તેમાં ડાહીબહેન જેવાની વિદાયથી મોટી ખોટ વરતાશે!

e.mail : bakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2014, પૃ.17

Loading

6 October 2014 admin
← કિવિસ બ્રિટાનિક્સ સુમ : ભાંગ્યું ભાંગ્યું તો ય બ્રિટન
હાઈકુ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved