Opinion Magazine
Number of visits: 9446503
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવજીવનનો વિકાસ ને ધર્મ

સરદાર પટેલ|Gandhiana|30 November 2019

ભાઈ જીવણજી, નવજીવનના કાર્યવાહકો અને ભાઈઓ,

આજ પ્રાત:કાળે આ જ સ્થાને એક સંકલ્પ પૂરો થાય છે ને તેની વિધિ આજ આપણે સૌ કરીએ છીએ તેથી મને અતિશય આનંદ થાય છે. જ્યારે પહેલા આ મુદ્રણાલયનો જન્મ થયો હતો ત્યારે ત્યાં જવાનું મન થાય તેવું ન હતું. પાનકોરના નાકા ઉપર ગંદકીથી ભરેલી જગામાં જૂનુંપુરાણું મકાન હતું. તેમાં સ્વામી આનંદ નાનું જૂનું છાપખાનું ખરીદ કરી બેઠો હતો. તે અને તેના સાથીઓ દિવસરાત મહેનત કરતા હતા. હું પણ ત્યાં અવારનવાર જતો હતો. પણ જ્યારે ગાંધીજી આશ્રમમાં આવ્યા અને તેમની પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે પોતાના વિચાર ને પ્રવૃત્તિની માહિતી લોકોને કઈ રીતે મળે તેનો ખ્યાલ કરી છાપખાનું કાઢવાનું નક્કી કર્યું. ગાંધીજી આફ્રિકામાં એ જ રીતે इन्डियन ओपीनियन ચલાવતા હતા. ત્યાં પણ જે આશ્રમ ખોલ્યો હતો તે છે અને પ્રેસ ચાલે છે. અહીં જ્યારે નવા આશ્રમના મકાનમાં ગયા અને તેમની પ્રવૃત્તિઓ એક સ્થાનમાં નહીં પણ સારા હિંદમાં પ્રસરવા લાગી ત્યારે સહુને તેમના ભેળસેળ વિનાના સ્વચ્છ વિચારો મળે તે માટે પ્રયત્ન કર્યો. એક પણ લેખ કે ભાષણ પોતે જોયા વિના છપાવા દેતા નહીં. તેથી પોતાના પ્રેસની જરૂર હતી. બીજી જગાએ ગયા ત્યાં પણ અનુકૂળતા નહોતી. તેમની પ્રવૃત્તિ એવી હતી કે તેનો વિસ્તાર કરવો એ કઠણ હતું. છાપખાનાનું કામ કાં તો વેપારી દૃષ્ટિએ, એટલે છાપું ચાલે તે માટે જાહેર ખબરો લેવામાં આવે તો આગળ ચાલે એ છાપાંવાળા જાણે છે. છાપાનો નિભાવ મોટે ભાગે જાહેર ખબરની આવકમાંથી થાય. હાનિકારક જાહેર ખબરનો ઉપયોગ પણ ઘણી વાર કરવામાં આવે છે. નૈતિક પતન થાય તેવી જાહેર ખબર પણ મોટે ભાગે ઘણા લે છે. જ્યારે ગાંધીજીએ યંગ ઇન્ડિયા શરૂ કર્યું ત્યારે એક નિશ્ચય કર્યો કે આપણા છાપામાં કોઈ જાહેર ખબર ન જોઈએ. ને જાહેર ખબર ન લેતાં છાપું પગભર ન થાય તો બંધ કરવું. લોકોને આપણા વિચાર ગમતા નથી તો જબરજસ્તીથી લાદવાનો અર્થ નથી. પણ જો આપણા વિચાર લોકોને પસંદ પડશે તો વ્યાપારી દૃષ્ટિએ કામ કરવાની જરૂર નહીં રહે. હિંદને સ્વરાજ્યની લડતને માટે જાગ્રત કરવું, તૈયાર કરવું ને તેની સાથે હિંદનું નૈતિક બળ વધે એ પ્રકારનું કામ એ કરતા હતા. તેથી છાપું કાઢ્યું ત્યારથી કોઈ, नवजीवन, यंग इन्डिया કે हरिजन પત્રોનો અભ્યાસ કરે તો માલૂમ પડે કે મનુષ્યજીવનની ઉન્નતિનું એક પણ અંગ એવું નથી જેમાં તેમણે પોતાના વિચારો ન આપ્યા હોય. ને તે સામાન્ય માણસ વિચારે છે તેથી જુદી જ રીતે જે આ દુનિયામાં સ્વચ્છ જીવન ગાળવા ઇચ્છે છે તેને ઘણું કરવાનું તેમાંથી મળે છે.

ઘણા વખતથી નવજીવન મુદ્રણાલયને રહેવાનું ઘર હોવું જોઈએ ને કાર્યવાહકોને પણ ઠીક રહેવાનાં મકાન માટે ગોઠવણ કરવી જોઈએ એમ ગાંધીજી કહેતા હતા. જેલમાં પણ અમે એ બાબત વાત કરેલી. એમની આજ્ઞાથી મેં એ બોજો ઉઠાવ્યો. બચપણમાં નવજીવનને પાળી પોષી મોટું કરનાર સ્વામી આનંદ છે. તેણે મહેનત ખૂબ કરી છે. ને ગાંધીજીની પાસે રહી તેવાં કામ કરવાં બહુ કઠણ હતાં. તે નાનામાં નાની ભૂલ પણ ચાલવા ન દેતા. મહાદેવ ને સ્વામી આનંદ તેની પાછળ ધ્યાન આપતા ને બંને એકબીજાની ભૂલ સુધારે તેવા હતા. જીવણજી, નરહરિ, કાકાસાહેબ પછી આવ્યા. અસલ તો સ્વામી આનંદ ને મહાદેવની તે કૃતિ છે. ૧૯૨૮માં હું તેમાં દાખલ થયો ત્યારથી મને પણ વિચાર થતો હતો કે આ મુદ્રણાલયના સ્થાન માટે ક્યાંક જગા પસંદ કરવી જોઈએ. પાસે વિદ્યાપીઠ છે ને શહેરમાંથી બહાર આશ્રમ ને વિદ્યાપીઠની વચ્ચે જગા મળે તો સારું કારણ કે આ સંસ્થાઓ તો બધી પૂજ્ય બાપુનાં સ્મારક રહેવાની. હું મ્યુનિસિપાલિટીમાં ચૅરમૅન હતો ત્યારે ટાઉન પ્લૅનિંગનું કામ કરતાં મારા ધ્યાનમાં આ જગા આવી. અહીં તળાવ હતું. મેં પ્રયત્ન કર્યો. નવજીવનની મહેનતથી, પ્રધાનોની મદદથી—પ્રધાનો પણ આપણા આવ્યા નહીંતર આ જગા મળત નહીં—મોરારજીભાઈ આવ્યા ત્યારે રીતસરના દામ આપીને ખરીદ કરી. હું માનું છું કે બાપુના આત્માને એક પ્રકારની શાંતિ થશે.

પણ મને એક પ્રકારનો ઉજાગરો થયો છે તે મારે વ્યક્ત કરવો જોઈએ. તમે નિવેદનમાં જોયું કે પંદર લાખ રૂપિયાનું દેવું છે. તે પતે નહીં ત્યાં સુધી નિદ્રા આવવી મુશ્કેલ છે. બાપુ દેવું સહન નહીં કરે. આપણે પણ ન સહન કરવું જોઈએ. માટે થોડી મહેનત વધારે કરીને દેવામાંથી છૂટી જવું જોઈએ. જેટલા નિર્દોષ રસ્તા લઈ શકાય, મર્યાદાની બહાર જઈને પણ, તે લઈને દેવું પતાવી દેવું જોઈએ. મારી ઉમેદ છે કે આપણે ઝપાટાબંધ તેનો ઉકેલ કરી શકીશું.

બાપુએ વીલમાં લખ્યું છે કે મારી સ્થાવર–જંગમ જે મિલકત હોય તે નવજીવનને મારા વારસ તરીકે સોંપું છું. સ્થાવર મિલકત તો તેમના ચિરકાળ રહે તેવા પવિત્ર વિચારો, પણ જંગમ તો છે નહીં. એમના વિચારોનો પ્રચાર જેટલો થઈ શકે અને કોઈ પણ વેપારી બુદ્ધિનું કામ ન થાય, બની શકે તેટલું સસ્તું સાહિત્ય આ સ્થાનેથી નીકળતું રહે, તે અમારો વારસો છે. સ્થાવર–જંગમ મિલકત તો રાખી નથી ને અસલના સાથીઓને બાપુ તે રાખવા ન દેતા. જે રાતદિવસ તેમની સાથે કામ કરનાર હતા તેમને પ્રતિજ્ઞા લેવડાવી છે કે કોઈ પ્રકારની મિલકત ન રાખવી. મિલકત એ વળગણ છે. ને તેને લઈને જાહેર કામ કરનારાઓને મુશ્કેલી આવે છે ને અસ્વચ્છતા આવે છે. તેમણે ન રાખ્યું; બીજાને પણ ન રાખવા દીધું. પણ તેનો કોઈને અફસોસ નથી. આ જે વારસો અમને આપ્યો છે તેનો સદુપયોગ કઈ રીતે કરી શકીએ એ મોટી જોખમદારી છે. ઘણા માણસો બાપુની ચોપડીઓ, લેખો, વિચારો, નોંધો, વગેરેનો ઉપયોગ પોતે સ્વતંત્ર રીતે કરવા માગે છે. તેઓ નવજીવન સાથે ઝઘડો કરે છે. કારણ એ જાણતા નથી. ને માને છે કે અમારામાં વારસ થવાની યોગ્યતા નથી. પણ બાપુ લખીને મૂકી ગયા એટલે અમે યોગ્ય કે અયોગ્ય પણ તેના વારસ થઈ પડ્યા છીએ. માટે હું તે બધાને વિનંતી કરું છું. અમારી ઉપર ગુસ્સો કરી પોતાની ઇચ્છા મુજબ પ્રયોગો કરવા, પુસ્તકો, લેખો, પત્રો છપાવવાનો પ્રયત્ન કરવો એ તેમની ઇચ્છાની વિરુદ્ધ છે. જો તમે તેમના વિચારને માન આપતા હો તો જેવા છીએ એવા અમે જ કરીએ ને નવજીવનની મારફત થાય એ જોવું પડશે. અમે ટ્રસ્ટી છીએ એટલે અમે ટ્રસ્ટના કાયદાકાનૂન પ્રમાણે કામ કરવાના.

ઘણા કહે છે કે ગાંધીજી આમ ન કરતા. પણ મારો અનુભવ છે કે જેટલા કામમાં તેમણે મને ટ્રસ્ટી તરીકે મૂક્યો હતો તેમાં કાયદાકાનૂન પ્રમાણે કરવું તેમાં મને સાથ આપતા હતા. જો કોઈ તે કાયદાનો ભંગ કરશે ને બાપુના સાહિત્યનો ઉપયોગ કરશે, મિત્રો પણ, તો લાચારીથી કોર્ટમાં જવું પડશે. ટ્રસ્ટીઓએ કાયદાનો અમલ કડક રીતે કરવો જોઈએ. ઝઘડો થયો છે, ભવિષ્યમાં થવા સંભવ છે.

કેટલાક કહે છે કે તે તે કામ વધારે સસ્તું ને જલદી કરી આપશે. બની શકે. તેઓ વધારે લાયક પણ હોય. પણ તે વારસ નથી. એટલે તેનો હક્ક નથી ને જે વારસ છે તેમને સાથ આપવો તે તેમનું કામ છે. દીર્ઘદૃષ્ટિથી વિચાર કરી તેમણે (ગાંધીજીએ) આ કર્યું છે.

કસ્તૂરબા ટ્રસ્ટ માટે પણ કેટલાક કહે છે કે અમે પૈસા ઉપર બેસી ગયા છીએ. પણ તે બરાબર નથી. અમે પણ ગાંધીજી સાથે જિંદગી સુધી રહ્યા છીએ. જો પૈસાનો સદુપયોગ ન થાય તો રાખી મૂકવા. જ્યાં સુધી તે જીવતા હતા ત્યાં સુધી તે વહીવટ કરતા. તે પ્રથા મૂકી ગયા છે કે પૈસાનો સદુપયોગ ન થાય તો તેને રાખી મૂકવા. તેનો દુરુપયોગ થાય અથવા હેતુ પાર ન પડે તો તે કામ કરવું નહીં ને રહેવા દેવું. ગામડાંની સ્ત્રીઓને ને બાળકોને મદદ મળે તેને માટે સ્વયંસેવિકાઓ, દાયણો, દાક્તરો તૈયાર કરવાં તેમાં વખત લાગે છે. તેનું કામ ધીમે ધીમે ઠીક ચાલે છે.

એ જ પ્રમાણે ગાંધીજીનો સ્મારક ફાળો કર્યો. લોકો કહે છે, પૈસાનું શું કરશો? લોકોને પૈસો દેખે ત્યાં અકળામણ થાય છે—પોતાના નહીં, પારકાના. તેમણે સમજવું જોઈએ કે ગાંધીજીના નામે ઉઘરાવેલા ફાળાનો એ ન ઇચ્છે એ રીતે ઉપયોગ ન થવો જોઈએ. એટલે તેના પણ ટ્રસ્ટીઓ છે તે વિચાર કરીને યોગ્ય લાગે તેમ કરે છે. તેમ નવજીવનનું સાહિત્ય પણ એક ટ્રસ્ટના હાથમાં છે. કમનસીબે તેનો હું ચૅરમૅન છું. એમાં મોરારજી, જીવણજી પણ છે. એનું વસિયતનામું છે, એ પ્રમાણે કરવાનું છે.

તે સાહિત્યનો જેટલો વિશાળ પ્રચાર થાય તેટલો કરવા કોશિશ કરવી. તેમાં પૈસા મેળવવાનો લોભ નથી. તેનો થોડો હિસ્સો દરિદ્રનારાયણ માટે—હરિજન માટે—છે.

મારી ઉમેદ છે કે આ મકાન બંધાયું છે તેની અંદર જીવણજી ને તેના જે સાથીઓ કામ કરે છે તે દિવસ જશે તેમ વધારે ખંતથી કામ કરશે અને જલદીથી દેવામાંથી મુક્ત થશે.

ઈશ્વર એમાં સફળતા આપો.

[હરિજનબંધુ, તા. ૪-૧૧-૧૯૫૦]

[નવજીવનના મકાની ઉદ્દઘાટનવિધિ પ્રસંગે (31-10-1950) સરદાર વલ્લભભાઈ પટેલે આપેલું ભાષણ]

સૌજન્ય : नवजीवनનો અક્ષરદેહ, ઑગસ્ટ-સપ્ટેમ્બર 2019; પૃ. 269-272

Loading

30 November 2019 admin
← નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ
વહેમ અને શ્રદ્ધા →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved