‘હું નથુરામ’ નાટક અને તેને પડકારતા ‘વાચિકમ્’ કાર્યક્રમો વચ્ચે, કાયદાનું શાસન અને વૈચારિક સંતુલન ક્યાં છે?

પ્રકાશ ન. શાહ
અગિયારમી ફેબ્રુઆરીએ દીનદયાલ ઉપાધ્યાય વિશે લખતાં કેમ કે 30 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી એ ગાંધી શ્રાદ્ધ પર્વ છે, કદાચ એક ઉલ્લેખ કરવો જોઈતો હતો. 1968માં એ ગયા તે પછી જે સ્મૃતિગ્રંથ પ્રગટ થયો એમાં એક જનસંઘ સાંસદે (ઘણું કરીને નરેન્દ્ર શર્માએ) એક સ્મરણ ચહીને ટાંક્યું હતું : મેં (શર્માએ) એમને એક વાર કહ્યું કે આપણે આધુનિક ભારત અને ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં વાત કરીએ છીએ, પણ એમાં એક પ્રેરણાપુરુષ તરીકે ગાંધીજીનો ખાસ ઉલ્લેખ નથી કરતા એથી ગલત સંદેશ જાય છે. શર્માએ લખ્યું હતું કે તે પછી દીનદયાલે ‘ઓર્ગેનાઈઝર’/’પાંચજન્ય’માં ખાસ લેખ વાટે ગાંધીજીને વિશેષ રૂપે સંભાર્યા હતા.
કેવળ સ્મૃતિ પરથી આ સંભારું છું તે એટલા એક ઈંગિત સારુ કે ગાંધી પરત્વે સરિયામ અસ્વીકારથી માંડી સલામત અંતરનો એક રવૈયો સંઘ પરિવારનો રહ્યો છે. પ્રાત:સ્મરણમાં સમાવેશ કર્યા પછી અને છતાં આ એક વાસ્તવિકતા છે. જરા દૂરાકૃષ્ટ લાગે તો પણ કહું કે સંઘ પરિવાર સહિતનો એક વર્ગ આપણે ત્યાં છે જેને ચોક્કસ જ ગાંધીહત્યા ટીકાપાત્ર જણાય છે, પણ એક અંત:સરવાણી ગાંધીવધની અનુમોદનાની છે.
આ ઉલ્લેખને જોગાનુજોગ શ્રાદ્ધ પર્વ આસપાસ જ કંઈક વળ ને આમળા ચઢે, કંઈક તપાસધક્કો લાગે એવો ઘટનાક્રમ સરજાયો છે. ‘હું નથુરામ’ નાટક રાજકોટ-અમદાવાદમાં પડાકારાયું છે, તો બીજી બાજુ અશોકકુમાર પાંડેયના પુસ્તક આધારિત વાચિકમ્ અમદાવાદ-વડોદરા-સુરતમાં પ્રસ્તુત થયું છે જે ગોડસેની કથિત સ્થાપનાને પડકારે છે. જો કે, એક વિગત આ સંદર્ભમાં સંભારવી જોઈએ કે સુરતમાં આ પૂર્વે પોલીસ દરમ્યાનગીરીથી પ્રસ્તુત ‘વાચિકમ્’ અટકાવાયું હતું. રાજકોટમાં કાઁગ્રેસના જો કે શાંતિમય નહીં એવા પ્રતિકારથી ‘હું નથુરામ’ અટક્યું અને સુરતમાં પેલું ‘વાચિકમ્’ પોલીસ દરમ્યાનગીરીથી ન થઈ શક્યું, આ બે બીના વચ્ચેનો ભેદ કોઈને પણ સમજાય એવો છે.
વિરોધ શાંતિમય હોવો જોઈએ એમ કહેવું બેશક બિલકુલ દુરસ્ત છે. માત્ર, આ વિધાન કરતી વેળાએ સંતુલનવિવેક સરખો એ એક મુદ્દો ખયાલમાં રહેવો જોઈએ કે સરકાર અને સત્તા પક્ષ આવે વખતે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ પણ કાયદાના શાસનથી ઉફરાટે ચોક્કસ બાજુને સાચવી લે છે.
જ્યાં સુધી ‘હું નથુરામ’નો સવાલ છે, એ ગોડસેની અદાલતી કેફિયત પર બહુધા ચાલે છે. સંઘ શતાબ્દીએ પહોંચ્યો અને ભા.જ.પ. સંખ્યાબંધ રાજ્યો સહિત કેન્દ્રમાં સત્તા સ્થાને પહોંચ્યો એ વર્ષો, ખાસ કરીને છેલ્લો દસકો, આ કેફિયત બાબતે ચાહક વર્ગને ખુલ્લાણમાં આણનાર રહ્યો છે. અર્ધ પરિભાષિતપણે કેમ ન હોય, કંઈક સૈંયા ભયે કોતવાલ શો કિસ્સો આ છે.
બીજી બાજુ, આ જ દિવસોમાં ગુજરાતીમાં તુષાર ગાંધી અને ધીરેન્દ્ર ઝાનાં જે પુસ્તકો સુલભ થયાં છે તે ગોડસેની અદાલતી કેફિયત અને 30મી જાન્યુઆરીએ ધરપકડ બાદનું એનું પોલીસ નિવેદન, બે વચ્ચેનું અંતર (અને એથી ગોડસેની- જો નરમ શબ્દોમાં કહીએ તો – અંચઈ) સાફ કરી આપે છે.
ગોડસે કેસમાં આખરી ચુકાદો આપનાર ન્યાયમૂર્તિએ કહ્યું છે કે એની કેફિયત એ હદે અસરકારક હતી કે જો અદાલતમાં હાજર રહેલાઓને જ્યુરી લેખી એનો કેસ સોંપવામાં આવ્યો હોત તો તે છૂટી ગયો હોત. ન્યાયમૂર્તિએ આ વિધાન કોઈ સત્યબોધની રીતે નથી કર્યું. એમણે તો ભલે ને તથ્ય નિરપેક્ષપણે કરાયેલ પણ એક દમદાર રજૂઆત તરીકે આ વાત કરી હતી.
વસ્તુત: ‘હિંદુ’ અગર તો આજકાલ વપરાતા ‘સનાતન’ના છેડેથી જોઈએ તો ગોડસેની કેફિયતમાં પાકિસ્તાનને પંચાવન કરોડ આપ્યાથી ગાંધીવધ અનિવાર્ય લાગ્યાની વાત બંધબેસતી નથી, અગર તો હિમદુર્ગનું એક દશાંશમું ટોચકું માંડ છે. સ્વરાજમાં બે-ત્રણ વરસ પર ગાંધીજી મહાબળેશ્વરમાં હતા અને એમના પર ગોડસે સહિતના લોકોએ હુમલો કર્યો ત્યારે આ કોઈ મુદ્દો ક્યાં હતો? 1934ની હરિજન યાત્રા વખતે ગાંધીજી પર હુમલાની કોશિશ થઈ ત્યારે આ મુદ્દો ક્યાં હતો?
આ બધા હુમલાના સિલસિલા પાછળની માનસિકતા બે ધાગે કામ કરતી માલૂમ પડે છે. એક તો, આપણે બ્રિટિશન શાહીવાદ સામે લડવાનું છે કે એથી વધુ બલકે એકમાત્ર ‘શત્રુબોધ’ મુસ્લિમમાં શોધી એની સામે લડવાનું છે, એવી દ્વિધાગ્રસ્તતા – અને, બીજું, હિંદુ એલિટિઝમ અગર સવર્ણવાદના કોચલાની બહાર નીકળી દલિત વંચિત સૌને અપનાવવાની ભૂમિકા અંગે હાડમાં ઝમેલો ને જામેલો ખટકો, આ બે વાનાં લક્ષમાં લઈએ તો સમજાશે કે કોઈ હિંદુ રિનેસાંસની આશા કેમ ઓછી અને પાછી પડે છે.
ગોડસે પરિવારના જ ગોપાલ ગોડસેને પણ એકંદર ચર્ચા સંદર્ભે યાદ કરવાપણું લાગે છે. 1964-65માં એ છૂટ્યા અને એમણે પોતાને છેડેથી આખી દાસ્તાં લખી, ‘ગાંધીહત્યા આણિ મીં.’ અગાઉ અહીં કહેવાનું બન્યું છે તેમ બીજી બાબતો ઉપરાંત એની એક નોંધપાત્ર વાત, અમે અમારી જુબાનીમાં સંઘ અને તાત્યારાવ(સાવરકર)ને બચાવી લીધા તે છે.
ગોપાલ ગોડસેનું આ પુસ્તક પ્રકાશિત કરતી વેળાએ પ્રકાશકના આગ્રહથી સુપ્રતિષ્ઠ મરાઠી બૌદ્ધિક નરહર કુરુંદકરે કશી કાપકૂપ વગર છાપવાની શરતે પ્રસ્તાવના લખી હતી. એમાં ગોપાલ ગોડસેની, ગાંધીહત્યાને એક અનિષ્ટ તત્ત્વના વધ તરીકે અને હત્યારા નથુરામને હુતાત્મા તરીકે રજૂ કરવાની મુરાદને એક એક મુદ્દાની અસરકારક છણાવટ વાટે ધ્વસ્ત કરી હતી. દેખીતી રીતે જ પછીની આવૃત્તિમાં એ પ્રસ્તાવના પડતી મૂકાઈ હતી. આ પ્રસ્તાવનાનો સંક્ષિપ્ત ગુજરાતી અનુવાદ સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટે 1999માં પ્રગટ કર્યો હતો જે ફેરરમતો કરવાલાયક છે.
‘હું નથુરામ’નો વિરોધ તર્કબદ્ધ ઇતિહાસવિગત સાથે પ્રગટપણે જરૂરી કરી શકાય. માત્ર ગોડસે વિધાનમાં રહેલી તોડમરોડ સામે તોડફોડ એ રસ્તો નથી. સવાલ એ પણ છે કે ‘હું નથુરામ’ પાછળનાં તત્ત્વો ને પરિબળો કાયદાના શાસનમાં નથી માનતાં એવું તો નથી ને.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 18 ફેબ્રુઆરી 2026
![]()

