Opinion Magazine
Number of visits: 9451837
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાગરિકતાના પાઠ શિખવતું પુસ્તક : અમે ભારતના લોકો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|19 December 2017

અમે, ભારતના લોકો …, લેખક – નાની પાલખીવાળા : પ્રકાશક – નવજીવન પ્રકાશન મંદિર : પાનાં – 24+ 312 : કિંમત – રૂ. 350

બહુશ્રુત બંધારણ નિષ્ણાત, કાયદાવિદ્‌, અર્થશાસ્ત્રી, વ્યક્તિ સ્વાતંત્ર્યના કાનૂની લડવૈયા અને લેખક નાની પાલખીવાળા(૧૯૨૦ • ૨૦૦૨)નું આ પુસ્તક પ્રથમ વાર મૂળે અંગ્રેજીમાં, ૧૯૮૪માં પ્રગટ થયું હતું. આ તેનો ગુજરાતી અનુવાદ છે, જેની પ્રથમ આવૃત્તિ ૧૯૮૭માં પ્રસિદ્ધ થઈ હતી. લેખકે પોતાની ૬૪ વર્ષની વયે, અગાઉના ત્રણ દાયકામાં આપેલાં ‘સંખ્યાબંધ પ્રવચનો અને લેખોમાંથી ‘સાચવી રાખવા જેવા ફકરાઓ અને લેખો, અહીં સંગ્રહિત કર્યા છે. પુસ્તકનાં ચાર ખંડો (૧) શિક્ષણ, લોકશાહી અને સમાજવાદ (૨) કરવેરા (૩) બંધારણીય સમસ્યાઓ અને (૪) વ્યક્તિઓ, મુત્સદ્દીગીરી અને કાયદોમાં ૧૭ પ્રકરણોનાં કુલ મળી ૬૬ લેખો-લેખાંશો અને વ્યાખ્યાનો છે. ભારતના બંધારણના પ્રથમ ત્રણ શબ્દો રૂપે પુસ્તકનું નામ ‘અમે, ભારતના લોકો’ અને પુસ્તકનું અર્પણ, “મારા દેશબંધુઓને, જેમણે પોતાની જાતને બંધારણ આપ્યું પણ એ જાળવવાની શક્તિ ન આપી; જેમણે એક ઝળહળતો વારસો મેળવ્યો પણ એના લાલનપાલનની સમજણ ન મેળવી, જેઓ ધીરજથી દુઃખ વેઠે છે અને ખમી ખાય છે, પોતાની સંભવિત શક્તિના ખ્યાલ વિના.”માં લેખકનો એકંદર મિજાજ અને પુસ્તકનું વિષયવસ્તુ સ્પષ્ટ થાય છે. નામ યથાર્થ ઠરે છે.

વિવિધ વિશ્વવિદ્યાલયોનાં પદવીદાન-વ્યાખ્યાનોમાં લેખકે દિલ ખોલીને યુવાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો છે. ‘યુનિવર્સિટી છોડ્યા પછી તમે શીખવા માંડો તો યુનિવર્સિટીમાં મળેલું રીતસરનું શિક્ષણ તમને ઝાઝું નુકસાન નહીં કરે’ એમ કહીને આ વડીલ વહાલેશરી વિદ્યાર્થીઓને એવી પણ સલાહ આપે છે કે, ‘જ્ઞાનની શોધ કરતાં મનનો આંતરિક આનંદ માણજો. દરરોજ, થોડી મિનિટ મહાન સાહિત્ય માટે અનામત રાખજો.’ હજુ આઝાદી મળ્યાને માંડ પહેલી પચીસી જ થઈ છે ને ત્યાં ‘અમારે નોકરીઓ જોઈએ છે, ડિગ્રીઓ નહીં’ની રાવ ઊઠી છે. આ અંગે ચિંતિત પદવીધારકોને આશ્વસ્ત કરતાં લેખક જણાવે છે: ‘હું તમારી સમસ્યા સમજું છું અને તમારી કપરી દશા પ્રત્યે મારી સહાનુભૂતિ છે, પણ એટલું ન ભૂલશો કે ગરીબી અને બેકારીની સમસ્યાઓ આકાંક્ષાઓથી કે સૂત્રોથી ઉકેલાતી નથી. તે લોકોની શ્રદ્ધા અને પ્રતિભાવ, શક્તિ અને સાહસના અખૂટ ભંડારને કામે લગાડી શકે એવી વાસ્તવિક અને વ્યવહારુ આર્થિક નીતિઓથી જ ઉકેલી શકાય.’

લોકશાહીના અનન્ય ચાહક નાની પાલખીવાળા ૧૯૭૫-૭૭નાં વરસોની ઇંદિરાઈ કટોકટીના પ્રખર વિરોધી હોય તે સ્વાભાવિક છે, પરંતુ ‘કટોકટીના સાચા લાભ’ ચર્ચતા પાલખીવાળા જે બાબતો તરફ આપણું ધ્યાન દોરે છે, તે આપણા રાષ્ટ્રીયવિમર્શમાં ઓછી ચર્ચાઈ છે. લેખક સ્વાતંત્ર્યની એકમાત્ર રખેવાળ પ્રજાને માને છે.

વાડીલાલ ડગલી(૧૯૨૬ • ૧૯૮૫)એ આ પુસ્તકના આરંભે નાની પાલખીવાળાના પરિચય લેખમાં તેમના વિશે નોંધ્યું છે કે ‘રૂઢ અર્થમાં ગાંધીવાદી નથી … એમણે ગાંધીની કંઠી બાંધી નથી પણ ગાંધીવિચારનું મોણ આત્મસાત્‌ કર્યું છે. આ બાબત પુસ્તકના ગાંધીજી વિષયક ચારેક લેખોમાં જોવા મળે છે. ગાંધીજી-અનંતકાળના યાત્રી’માં લખે છે “મહાત્મા ગાંધી પાસે જે હતું એને એક શબ્દમાં કહેવું હોય તો સંસ્કૃતમાં વપરાતો બુદ્ધિ શબ્દ વાપરવો જોઈએ. તેમાં સત્યને પારખવાની શક્તિ હજો એવો અર્થ છે પણ બહુ ઓછા લોકો પાસે આ શક્તિ છે.” લેખક ભારતીયો વિશે જરી આકરા થઈને લખે છે: ‘ભારતને કુદરતે અસીમ બુદ્ધિ અને આવડત આપી અથવા નિષ્ઠા આપી નથી’ અને ‘છેલ્લા બે દાયકામાં આપણે કેટલા ય ત્રિભેટે ખોટા વળાંક લીધા છે, સમયનો દુરુપયોગ કર્યો છે અને સોનાને કથીર અને કથીરને સોનું મળ્યું છે.’ તેમ છતાં લેખક આશાવાન છે. ‘આ બધી મૂર્ખાઈઓ અને કમનસીબીઓ કંઈ કાયમ રહેવાની નથી.’ કેમ કે ‘કુદરતી તત્ત્વોના વ્યવહારની જેમ રાષ્ટ્રોના વ્યવહારમાં પણ પવનની દિશા બદલાય છે, ભરતીઓટ ચાલ્યા કરે છે અને  નૌકા ડોલે છે. સદ્ભાગ્યે આપણે લંગર ખેંચી કાઢ્યું નથી.’

લેખકે ‘જેમની સમક્ષ આખી જિંદગી પડી છે તેવા યુવાન વાચકોને આ પુસ્તકમાં, રાજ્યના યૌવનને પુનઃજીવિત કરવાનો ઉત્કટ અને એકધારો ઉમંગ પ્રેરનારું કંઈક પ્રાપ્ત થાય’ એવી અપેક્ષા સેવી છે.’ પુસ્તકમાંથી પસાર થનાર પ્રત્યેક વાચકને લેખક વિચારો કરવા પ્રેરે છે. સરવાળે આ લેખસંગ્રહનું વાચન, ચિરંજીવ રસના સાંપ્રતમાં પણ પ્રસ્તુત વિચારોનું બની રહે છે.

Emial : maheriyachandu@gmail.com

(नवजीवनનો અક્ષરદેહ, જુલાઈ-સપ્ટેમ્બરમાંથી સાભાર)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2017; પૃ. 06

Loading

19 December 2017 admin
← એક અજાણ્યા ગાંધીની આત્મકથા
General Elections 2019-Left should be part of Secular Democratic Alliance →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved