Opinion Magazine
Number of visits: 9446623
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાગરિક ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 July 2017

હારનું ગણિત સાફ હોય ત્યારે ચૂંટણી લડવી, એ નાગરિક હિસ્સેદારીનો અને ઝમીરનો મામલો છે

અશોક યુનિવર્સિટીના ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક ગોપાલકૃષ્ણ ગાંધીએ ઉપરાષ્ટ્રપતિપદ માટે અઢાર જેટલા વિપક્ષોની વિનંતી સ્વીકારી ચૂંટણીજંગમાં પ્રવેશ કર્યો એ ઘટનાને કેવી રીતે જોશું, વારુ? એમનો પૂર્વરંગ, આમ તો, સનદી સેવકનો છે. રાષ્ટ્રપતિના મંત્રીથી માંડીને હાઈકમિશનરું અને ગવર્નરું પણ કરેલું છે. આ કોયડો, જો કે, એમણે પોતે જ ઉકેલી આપ્યો છે અને પસંદગી પછી તરતના કલાકોમાં કહ્યું છે કે હું તો નાગરિક ઉમેદવાર (સિટિઝન કેન્ડિડેટ) છું.

મહાત્મા ગાંધીના પૌત્ર અને ચક્રવર્તી રાજગોપાલાચારીના દૌહિત્ર એવી ગોપાલકૃષ્ણની ઓળખાણ આપી તો શકાય, પણ કીર્તિવંત પિતામહ અને માતામહના થડે નહીં બેસતાં વિદ્યા ને કૌશલ સંપાદન કરી ઊંચી પાયરીએ જવું તે પોતે થઈને કદાચ એથી મોટી ઓળખ છે. અને એથીયે વધુ ઊંચી પાયરીએ કોઈ માંચીમિજાજમાં નહીં ગોટવાતાં ધરતીની ધૂળ અને આમ આદમી સાથે નાતો જાળવી જાણવો તે છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા ત્યારે વેશવટો કરી એ ગ્રામજનો સાથે સુખદુઃખની વાતો કરવા નીકળી પડતા, એવી ઉજેણીના વિક્રમ ફેઇમ વાતો સાંભળવાનું બન્યું છે. અને હમણાં જ આ અખબારે હસમુખ પટેલના હવાલે યાદ આપી તેમ આપણે ત્યાં બનાસકાંઠામાં એ અજાણ્યા અણઓળખાયા શ્રમિકનું જીવન ગુજારી ચૂક્યા છે.

રહો, હમણાં પશ્ચિમ બંગાળના એમના રાજ્યપાલકાળની જિકર કરી એનો એક ખાસ સંદર્ભ આજના સંજોગોમાં જે છે તે તો નોંધવો જ રહ્યો. એમણે નંદીગ્રામમાં સી.પી.એમ. સરકારે જે દમનનું વલણ લીધું એને વિશે સ્પષ્ટ વિરોધમત દર્શાવતાં સંકોચ કર્યો ન હતો. એક રીતે, એ એમનો અસાધારણ નિર્ણય હતો; કેમ કે કૉંગ્રેસ-ડાબેરી જોડાણવાળી યુ.પી.એ. સરકારના એ દિવસો હતા અને તરતમાં આવી રહેલ રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિચારાઈ રહેલાં સત્તાવાર નામોમાંયે એ હોઈ શકતા હતા. પણ નંદીગ્રામના ઘટનાક્રમમાં એમણે દાખવેલ પ્રજા-અનેે-ન્યાય-પરક અભિગમ પછી રાજ્યની ડાબેરી સરકારનું વલણ એમની પસંદગી બાબતે વીટોના કુળનું હતું. ઊંચી પાયરીએ પહોંચવાની જે લાયકાત ગોપાલકૃષ્ણે નાગરિક સંધાનથી મેળવી હતી એ જ ડાબેરી સરકાર સારુ એમની ગેરલાયકાત બની રહી. આગળ ચાલતાં, તમે જુઓ, સિંગુરના મુદ્દે તત્કાલીન મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય અને વિપક્ષનેતા (ભાવિ મુખ્યમંત્રી) મમતા બેનરજી વચ્ચે વાતચીત વાટે ભોં ભાંગવાની પહેલકારી આ જ સિટિઝન ગવર્નરની હતી!

એ રીતે જોતાં, એમની વર્તમાન ઉમેદવારી બાબતે ડાબેરીઓ અને તૃણમૂલ કૉંગ્રેસ જોડે આવ્યાં તે સાથે આખું વર્તુળ કેમ જાણે પૂરું થાય છે. બેશક, ગોપાલકૃષ્ણ ગાંધી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર પણ બની શક્યા હોત, પણ રામનાથ કોવિંદના જવાબમાં મીરાં કુમારની વરણી પાછળ દલિત કાર્ડનું સામસામું રાજકારણ કદાચ દુર્નિવાર હતું. જે તે રાજ્યમાં સ્થાનીય ધોરણો અનુસાર ક્યાંક ઓ.બી.સી. તો ક્યાંક દલિત હોઈ શકતા રામનાથ કોવિંદ સામે જગજીવનરામનાં પુત્રી, પૂર્વસ્પીકર મીરાં કુમારને લડાવવાનું મનોગણિત સમજી શકાય એમ છે. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર રાજ્યપાલ કોવિંદના પક્ષે રહ્યા એથી વિપક્ષી એકતામાં પડી શકતી દરાર સામે ડેમેજ કન્ટ્રોલ તરીકે એમને માન્ય, બલકે એમણે જેમને રાષ્ટ્રપતિ ભવનમાં જોવા પણ પસંદ કર્યા હોત તે ગોપાલકૃષ્ણ ગાંધીને ઉપરાષ્ટ્રપતિપદ માટે ઉમેદવાર બનાવવાનો ચોક્કસ લાભ બેશક છે.

‘ફર્સ્ટ પોસ્ટ’માં લખતાં સંજયસિંઘે એ મુદ્દે ધોખો કીધો છે કે રાજમોહન હોય કે ગોપાલકૃષ્ણ, મહાત્માના પૌત્રો ક્યાં સુધી ચૂંટણીઓ હારવા માટે જ લડતા રહેશે. વળી ઉમેર્યું છે કે આ રીતે તો તેઓ ઊલટાના મહાત્માના વારસાને નીચે ઉતારી અપ્રસ્તુતતા વહોરે છે.

શું કહીશું, આ સંજયદૃષ્ટિ માટે? લોકશાહીમાં નાગરિક લેખે સક્રિય હિસ્સેદારી – જેમાં ચૂંટણી લડવુંયે હોઈ શકે – એ તો લૂણ છે. જયપરાજય તો પછીની વાત છે, દ્વૈતીયિક વાનું છે. વાનાનું વાનું તો હિસ્સેદારીનો પડકાર ઝીલવો તે છે, અને મહાત્માના પૌત્રો બાપને ગલ્લે બેઠા દાપુંદરમાયું ઉઘરાવી ન ખાતા હોય એથી મહાત્માએ શા સારુ રાજી ન હોવું જોઈએ? વાત એમ છે કે રાષ્ટ્રપતિ ભવનમાં જઈ શક્યા હોત એ ગાળામાં નંદીગ્રામ દરમ્યાનગીરીથી સંભવિત ટેકેદારોની ખફગી વહોરવી અને હવે જ્યારે હારનું ગણિત સાફ છે ત્યારે ચૂંટણી લડવી, એ ઝમીરનો સામલો છે.

મુદ્દે, જયપરાજયથી ઉફરાટે આ ચૂંટણીપ્રવેશ સાથે ગોપાલકૃષ્ણ ગાંધી રાષ્ટ્રીય વિમર્શ ધોરણસર ચાલે એવી શક્યતાઓનો માહોલ સરજે છે. વિપક્ષોના નિમંત્ર્યા એ પ્રવેશ્યા છે એ સાચું પણ એમના પ્રવેશ-પ્રક્ષેપણને એમણે નાગરિકના હસ્તક્ષેપ તરીકે ઘટાવવાપણું જોયું છે. ગોપાલકૃષ્ણ ગાંધીને અભીષ્ટ નાગરિક હસ્તક્ષેપ એક રીતે આપણા સ્વાતંત્ર્યસંગ્રામનું, ને પછી બીજા સ્વરાજ માટેના સંઘર્ષનું સાતત્ય દર્શાવે છે. કૉંગ્રેસના ચાર આના સભ્ય મટી ગયેલા ગાંધી આ નાગરિક હસ્તક્ષેપનું જો તરત સાંભરતું દૃષ્ટાંત છે તો સ્વાતંત્ર્યોત્તર ભારતમાં એનું સૌથી મોટું દૃષ્ટાંત કદાચ જયપ્રકાશનું છે. આ પેરેલલ સંભારતી વેળાએ ગાંધીજેપીનાં કદ ને કાઠી સાથે ગોપાલકૃષ્ણને મૂકવાની કોઈ ચેષ્ટા કરવા ધારી નથી. માત્ર, ફ્રિક્વન્સી અને તરંગલંબાઈને ધોરણે ગાંધીજેપી ઘટનાને સંભારી જરૂર છે.

રાજકારણને આપણે સામાન્યપણે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ખંડી લેવાતો ઈલાકો સમજીએ છીએ. વસ્તુતઃ દેશનો સુવિસ્તૃત નાગરિક સમાજ, આ બેઉ કરતાં ક્યાં ય મોટો છે. જો માત્ર પક્ષો વચ્ચે જ બધો હિસાબ હોય તો નાગરિકનું તો નામું જ નંખાઈ જાય ને. સામસામા મેનિફેસ્ટોમાં બધું સમેટાઈ જવાનું હોય તો નાગરિક પહેલને અવકાશ ક્યાંથી હોઈ શકવાનો હતો. બંધારણનાં મૂલ્યો, બૃહદારણ્યક ઉપનિષદના ઋષિએ જેમ ધર્મને ‘ક્ષત્રિયનો પણ ક્ષત્રિય’ કહ્યો હતો તેમ ઢંઢેેરાનાં ઢોલનગારાં અને સામસામા પેચપવિત્રા કરતાં ક્યાં ય ઊંચે છે. સભામાં, જંગમાં એનો અવાજ, નાગરિકનો બળુકો અવાજ, છેવટે વિભીષણ-વિકર્ણ તરજ પર ક્યાંકથી, કશેકથી તો ઊઠવો જોઈએ ને.

એવું જ રાજ્યની સંસ્થાઓનું. ધારાસભા, કારોબારી ને ન્યાયતંત્રમાં જ જો સઘળું સમેટાઈ જતું હોય તો લોક ક્યાં, એનો અવાજ ક્યાં. માન્યું કે ચુંટાઈને બેઠેલાઓ (ઘણુંખરું જે તે પક્ષના નુમાઇન્દાઓ) દેશના કાનૂનન સાર્વભૌમ (લીગલ સોવરેન) છે. પણ રાજકીય સાર્વભૌમ, ખરેખરના માલિક તો નાગરિક છે. જેને બિબ્લિકલ ગુજરાતી કહી શકીએ એવા અનુવાદમાં ગાંધીએ થોરોની વાત ભરીબંદૂક મૂકી આપી છે કે આપણે પહેલાં મરદ અને પછી રૈયત છીએ. બુધવારે (12મી જુલાઈએ) બરાબર થોરોનાં બસો વરસે ગોપાલકૃષ્ણનો ચૂંટણી પ્રવેશ આ ફ્રિકવન્સી પરની બીના છે.

વાતનો બંધ વાળતાં આપણે ‘ડિયર પ્રાઇમ મિનિસ્ટર (ડેઝિગ્નેટ) હું તમને વડાપ્રધાનપદે જોવા ઇચ્છતો નહોતો’ એ અસંદિગ્ધ શબ્દો સાથે ગોપાલકૃષ્ણ ગાંધીએ મે 2014માં લખેલ પ્રગટ પત્રને સંભારીશું: ‘ભારત તો વિવિધતાઓથી ભરેલ જંગલ સમાન છે જે સાંસ્કૃિતક વૈવિધ્યને રાજનૈતિક એકેશ્વરવાદનો રંગ આપીને નહીં, પરંતુ પોતાની વિવિધતાઓનું પોષણ કરીને મહાન બનવા ઇચ્છે છે … (પણ) તમારાં નિવેદન લોકોમાં ડર પેદા કરે છે, નહીં કે વિશ્વાસ. મિસ્ટર મોદી, લોકશાહી ભારતમાં આ તમારી વિશેષતા ન હોઈ શકે. કારણ કે તમે લોકશાહી દેશના વડાપ્રધાન તરીકે દેશનું ગૌરવ છો.’

શું કહીશું આને, જન કી બાત, જે કહેવાને ગોપાલકૃષ્ણ પ્રવેશ્યા છે.

સૌજન્ય : ‘લોકશાહીનું લૂણ’, “દિવ્ય ભાસ્કર”, 15 જુલાઈ 2017

Loading

15 July 2017 admin
← સ્ત્રીઓ જમીનમાલિક બને તો
Anatomy of Basirhat (West Bengal) Violence →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved