Opinion Magazine
Number of visits: 9449493
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુશ્કેલ સમયમાં (૩૦)

સુમન શાહ|Opinion - Opinion|12 July 2020

= = = = અમને ગમ ન પડે એવા ચમત્કારો અને આછાંપાછાં વચનોનાં વાદળ પાછળ ઈશ્વર શા માટે સંતાયેલો રહે છે? ઈશ્વરમાં માનવા ચાહીએ પણ નથી માની શકતા એવા અમારા સૌનું શું થવાનું? અને પેલાઓનું શું – જેઓ માનવા ચાહતા પણ નથી અને માની શકતા પણ નથી …? = = = =

૧૪-મી સદીની વાર્તા છે. સ્વીડનના એક ગામમાં પ્લેગની મહામારી પ્રસરી હોય છે. એક સુભટ હોય છે – knight. નામ એનું ઍન્ટોનિયસ બ્લૉક. Holy landમાં હતો. દસેક વર્ષથી ધર્મયુદ્ધમાં – crusadesમાં – મચી પડેલો, પણ છેવટે એની ઈશ્વરને વિશેની શ્રદ્ધા ડગી જાય છે. એટલે થાકીહારીને પાછો ફરે છે. બ્લૉક ધર્મયુદ્ધમાં કશી રાજકારણી માનસિકતાથી ન્હૉતો ગયો. એ તો ઈશ્વરની સેવા કરવાના ધર્મભાવથી ગયેલો. પણ એ હવે ત્રસ્ત છે. કેમ કે એક તો પોતે ધર્મયુદ્ધમાં નાસીપાસ થયો ને બીજું એ કે પંથકમાં પ્લૅગને કારણે હાડમારીઓ વધી રહી છે. બ્લૉકની સાથે તેનો જૉન્સ નામનો squire હોય છે. એટલે કે, નાઇટનો સેવક. નાઇટની ઢાલ અને રક્ષાકવચ ઊંચકીને ફરવું એ એનું મુખ્ય કામ હોય છે. જતે દા’ડે એને જો નાઇટ થવું હોય તો એ સેવા કરવી એના માટે ફરજ્યાત હોય છે.

બને છે એવું કે સુભટ બ્લૉક અને સેવક જૉન્સ બન્ને જણા એક વાર પ્લેગથી તારાજ થઈ ગયેલી જગ્યાઓમાં થઈને જતા હોય છે ત્યારે તેઓ એક નટમંડળીના સમ્પર્કમાં આવે છે. નટમંડળીમાં મુખિયા એવું એક દમ્પતી હોય છે. સુખી હોય છે. પણ ચોપાસ પ્લેગને કારણે વ્યથા અને ગમગીની હતી. એમાં એમનો શો ભલે ને દિલધડક હતો પણ શી રીતે ચાલવાનો’તો? મિથ્યા પુરવાર થાય છે. એટલે બન્ને જણાં બ્લૉકને મળે છે. પરિણામે એઓ અને બીજા નટ, આખી મંડળી, બ્લૉકની સંગાથે નીકળી પડે છે.

પણ એ દરમ્યાન, એક જબરો બનાવ બને છે. ડેથને મળવાનું થાય છે. ડેથ એટલે તો મૃત્યુ સ્વયં પણ આ વાર્તામાં એ એક પાત્ર છે. ડેથ ચતુર છે પણ ચતુરાઇ બતાવવા ડેથને બ્લૉક પડકારે છે. એમ કહે છે, કંઈક એવું કર કે હું ફરી પાછો શ્રદ્ધાળુ થઈ જઉં. પરન્તુ ડેથ કશું કરતો નથી. બન્ને વચ્ચે બોલાચાલી બલકે તડાતડી થઈ જાય છે. બન્ને આમનેસામને આવી જાય છે. મામલો હાર-જીત સુધી પ્હૉંચી જાય છે. છેવટે નક્કી એમ થાય છે કે બ્લૉકે ડેથ સાથે ચેસ રમવી. બ્લૉક જો જીતે તો ડેથ એને છોડી દેશે. બ્લૉક ડેથને થોડા સમય માટે આમતેમ હંફાવી શકે છે, પ્યાદાં ફગાવી દે છે, પણ જીત તો ડેથની જ થાય છે. બધાં ભેગાં કિલ્લે પ્હૉંચે છે પણ ડેથને હાથે નીપજનારા ભવિતવ્યને કોઈ ટાળી શકતું નથી.

મૃત્યુની અહીં કલ્પના નથી કરવાની પણ એ હકીકત સ્વીકારવાની છે કે સાક્ષાત્ મૃત્યુ સાથે – ડેથ સાથે – બ્લૉક ચેસ રમે છે. એનો સીધો અર્થ તો એ છે કે મૃત્યુ બ્લૉકની સન્નિકટ છે અને બ્લૉક જીવતે જીવત તો એનાથી છટકી શકવાનો નથી. ડેથ ચતુર છે વળી ચંચળ પણ છે. ગમે ત્યારે ચાલ બદલી નાખે. એને હરાવવો સ્હૅલ નથી.

મૃત્યુ અનિવાર્ય તો છે જ પણ મૃત્યુ મનસ્વી પણ છે. એ હકીકત બીજા અનેક પ્રસંગોમાં વ્યક્ત થઈ છે : જેમ કે, સ્કાતનું મૉત ઝાડ પર થયું. પહેલાં એણે આપઘાતનો પ્રયાસ કરેલો પણ પછી વિચાર બદલાઈ ગયેલો. રવાલ ગ્રેવ – રોબર છે, એટલે કે, ઘોરખોદિયો. કબરો ખોદે ને જે કંઈ જણસ જડી આવે એ લઈ પાડે, ચોર છે. જૉન્સ એને એ ચોરી કરતાં તેમ જ એક સ્ત્રી પર બળાત્કાર કરતાં પકડી પાડે છે. આમ તો રવાલ seminarist હતો – પાદરી થવાને ઉત્સુક શિષ્ય ! જૉન્સ એને પડકારે છે. રવાલનું પ્લેગથી મૉત નીપજે છે.

ફિલ્મરસિયાઓ સમજી ગયા હશે કે હું જગવિખ્યાત ફિલ્મમેકર ઇન્ગમાર બર્ગમૅનની એટલી જ ખ્યાત ફિલ્મ ‘ધ સેવન્થ સીલ’-માં છે તે વાર્તાની વાત કરી રહ્યો છું. ૧૯૫૭-ની એ ફિલ્મની અસર આ દિવસોમાં મને એકદમની જલદ અનુભવાય છે. કેમ કે ફિલ્મમાં ચેસબૉર્ડ પર Life Vs. Deathનો – જીવન સામે મૃત્યુનો – જે ખેલ મંડાયો છે એવો જ ખેલ પૃથ્વી પર કોરોના પાન્ડેમિકનો પ્રસારથી મંડાયો છે.

વાર્તામાંથી બે સવાલ પ્રગટે છે : એક તો એ કે મરતાં પહેલાં માણસ કશુંક અર્થપૂર્ણ કરવા માગતો હોય છતાં નિષ્ફળ જાય તે કોને લીધે. પોતાના જીવનમાં માણસ કશીક ધાર્મિકતાથી મચી પડ્યો હોય ને છતાં કશો અર્થ હાથ ન આવે તે શાને લીધે? સુભટ બ્લૉક આ બન્ને પ્રશ્નોને જીવતો હોય છે.

Bengt Ekerot as Death

વહેમો અને ધર્મશ્રદ્ધાની ભેળસેળ જેવી માનસિકતા આ કોરોનાકાળે છે, ત્યારે પણ હતી. ત્યારે પણ જનમાનસમાં એ જ વાત ઘર કરી ગયેલી કે પ્લેગ ઈશ્વરે મોકલ્યો છે. ફિલ્મમાં flagellants -નું એક સરઘસ નીકળ્યું હોય છે. એમાં એ લોકો પોતાની જાતને ચાબૂકથી ફટકારતા હોય છે, જેથી પોતે કરેલાં પાપોનો નાશ થાય, પોતમાં વસતા સેતાનને તગેડી દેવાય, સરવાળે પ્લેગને ભગાડી મુકાય. એક ધરમશાળામાં બેઠેલા કેટલાક ચર્ચાએ ચડ્યા હોય છે કે – આ ખતરનાક પ્લેગની અસરો તો શી યે થવાની છે. ત્યાં એક સ્ત્રી હતી તે બોલી કે : આ તો ભઈ કયામતનો દિવસ છે, અપશુકનો તો જુઓ – પેલીએ વાછડાના મૉઢાવાળું બાળક જણ્યું ! કોઈ કોઈએ તો આગમાં શેકાઈને મૉત વ્હૉરી લીધું ! જો કે પાદરી એમ કહે છે કે નરકમાં જવા કરતાં તો સારું જ ને !

આમ તો, વાર્તાની પાર્શ્વભૂમિકામાં ૧૩૪૭થી ૧૩૫૧ દરમ્યાનની મહામારી, બ્લેક ડેથ છે – એ એવી ભયાનક હતી કે જેમાં યુરેશિયા નૉર્થ આફ્રિકા અને યુરપમાં ૨૫-૨૦૦ મિલિયન લોકોનાં મૉત થયેલાં.

ફિલ્મના શીર્ષકનો સંદર્ભ છે, The Book of Revelation, the final book of the Christian Bible. બર્ગમૅને ફિલ્મ પોતાના જ ‘વૂડ પેઇન્ટિન્ગ’ નાટક પરથી બનાવી છે. ફિલ્મને એમણે એક રૂપકની રીતે બહેલાવી છે. કેન્દ્રસ્થ મુદ્દો એક જ છે – ઈશ્વર જો છે તો એ આમ શી રીતે કરી શકે? કેમ કે મહામારીમાં તો પાપી અને પુણ્યશાળી બન્ને હોમાઈ જાય છે ! વળી, કોણ પાપી ને કોણ નહીં તે શી રીતે નક્કી થવાનું? મહામારી એમ ચીંધે છે કે ઈશ્વર નથી અને જો છે તો ક્યાં છે?

બ્લૉક ડેથને પાદરી સમજીને કહે છે : હું પ્રામાણિકતાથી એકરાર કરવા ચાહું છું પણ મારું હૃદય ખાલી છે. ખાલીપો મારા ચ્હૅરે દર્પણ બનીને ચીપકી ગયો છે. જો કે બ્લૉક પાદરીને તીવ્ર સવાલો પણ કરે છે : અમને ગમ ન પડે એવા ચમત્કારો અને આછાંપાછાં વચનોનાં વાદળ પાછળ ઈશ્વર શા માટે સંતાયેલો રહે છે? ઈશ્વરમાં માનવા ચાહીએ પણ નથી માની શકતા એવા અમારા સૌનું શું થવાનું? અને પેલાઓનું શું – જેઓ માનવા ચાહતા પણ નથી અને માની શકતા પણ નથી? મારામાંના ઈશ્વરભાવને મારે શું કામ નષ્ટ ન કરવો? શા માટે મારામાં એણે નામોશીભર્યું ને દુખી જીવન ગુજારવું જોઈએ? હું એને મારું હૃદય ચીરીને બહાર કાઢવા ઝંખું છું પણ એ તો એક મજાકભરી વાસ્તવિકતા બનીને ત્યાં જ પડ્યો રહે છે ને એનાથી મારો કશો જ છુટકારો થતો નથી … મને જ્ઞાન જોઈએ છે. નહીં કે માન્યતા. નહીં કે સંશય. પણ જ્ઞાન. પાદરી એને પૂછે છે : તું પ્રશ્નો પૂછવાનું બંધ કરીશ? : એ કહે છે : કદી નહીં … બ્લૉક પોતાનો એકરાર ચાલુ રાખે છે ને કહે છે કે જો ઈશ્વર નથી, તો જીવન અર્થ વગરની એક જફા છે. કોઈથી પણ ડેથ જોડે ન જિવાય અને એમ પણ ન મનાય કે સરવાળે બધું અસાર છે.

છેવટે ડેથ કિલ્લામાં આવે છે, બ્લૉક ધ્રૂજતો હોય છે, પ્રાર્થનાઓ બોલવા માંડે છે. જૉન્સ એને કહે છે, આપની કાકલૂદીને કોઈ સુણવાનું નથી. મરણ પછી શું થશે એ તમારી ચિન્તાનું નિવારણ થઈ શક્યું હોત, પણ એ બાબતે હવે બહુ મૉડું થઈ ગયું છે.

એ પછી જૉન્સ જે સત્ય ઉચ્ચારે છે એ મને બહુ ગમ્યું છે અને આજે હું ત્યાં જ અટકું છું : પરન્તુ હજી આપ જીવતા છો, એ તમારા વિજયને અન્ત લગી માણો ને !

= = =

(July 12, 2020: Ahmedabad)

Loading

12 July 2020 admin
← દાંત કઢાવતી ‘વિજય’કૂચ
Kerala, Moplah Rebellion and Communalization →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved