
રાજ ગોસ્વામી
ગયા અઠવાડિયે, બેંગલુરુમાં સોફ્ટવેર પ્રોફેશનલ અતુલ સુભાષની દુઃખદ આત્મહત્યાએ પૂરા દેશને ઝકઝોરી નાખ્યો છે. પત્નીથી અલગ રહેતા અતુલે, આત્મહત્યા કરતાં પહેલાં 24 પાનાનો એક લાંબો પત્ર લખીને અને એક કલાકનો વીડિયો રેકોર્ડ કરીને તેની પત્ની અને તેનાં સંબંધીઓએ કાનૂનની મદદથી તેની પર કેટલો અત્યાચાર ગુજાર્યો હતો તેની વિગતવાર વાતો કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોતાની છેલ્લી પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલન મસ્કને ભારતીય પુરુષોને વોકિઝમ અને કાનૂની સતામણીથી બચાવવા અપીલ કરી હતી.
તે તેની પત્નીથી અલગ થઈ ગયો હતો, પરંતુ તેની પત્ની અને તેના પરિવાર દ્વારા વારંવાર આરોપો અને અદાલતી કેસોએ અતુલને તોડી નાખ્યો હતો. સુસાઇડ નોટમાં અતુલે કહ્યું હતું કે નિકિતા અને તેના પરિવારના સભ્યોએ તેની સામે ઘરેલું હિંસા, હત્યાનો પ્રયાસ, દહેજની સતામણી સહિત 9 કેસ દાખલ કર્યા હતા. અતુલ અને નિકિતાએ 2019માં લગ્ન કર્યાં હતાં. અતુલે કહ્યું કે તેમના લગ્ન પછીથી નિકિતા અને તેનો પરિવાર કોઈ ને કોઈ બહાને તેની પાસેથી પૈસાની માંગણી કરી રહ્યો હતો.
વીડિયોમાં અતુલ કહે છે કે ‘મારે આત્મહત્યા કરવી જોઈએ કારણ કે હું જે પૈસા કમાઈ રહ્યો છું તે મારા દુ:શ્મનોને મજબૂત બનાવી રહ્યો છે. મારા કરવેરાના પૈસાથી કોર્ટ અને પોલીસ વ્યવસ્થા મને, મારા પરિવારને અને સારા લોકોને હેરાન કરશે. તેથી વેલ્યુની સપ્લાય સમાપ્ત થવી જોઈએ.’
ભારતમાં, અતુલ પહેલો નથી. પત્ની પીડિત આવા હજારો પુરુષો મૃત્યુ પામ્યા છે. 34 વર્ષીય અતુલના કિસ્સામાં સિસ્ટમ તેની વિરુદ્ધ થઇ ગઈ હતી. કાનૂની અને સામાજિક વ્યવસ્થામાં ઘણો પક્ષપાત છે, તેમાં માત્ર સ્ત્રીઓને જ સાંભળવામાં આવે છે, પુરુષોને નહીં. પુરુષોને હેરાન કરવામાં આવે છે. આઈ.પી.સી.ની કલમ 498 હેઠળ પુરુષો સામે ઇરાદાપૂર્વક કેસ દાખલ કરવામાં આવે છે. ખુદ સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે આમાંથી 95 ટકા કેસ નકલી હોય છે. મહિલાઓની સુરક્ષા માટે બનાવવામાં આવેલા કાયદાનો ઉપયોગ પુરુષોને પ્રતાડવા માટે હથિયાર તરીકે થઈ રહ્યો છે.
કેટલા પુરુષો ઘરેલું હિંસાનો ભોગ બને છે તે જાણવા માટે ભારતમાં કોઈ સરકારી અભ્યાસ કે સર્વેક્ષણ નથી, પરંતુ કેટલીક એન.જી.ઓ. ચોક્કસપણે આ દિશામાં કામ કરી રહી છે. ‘સેવ ઇન્ડિયન ફેમિલી ફાઉન્ડેશન’ અને ‘માય નેશન’ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે ભારતમાં નેવું ટકાથી વધુ પતિઓએ ત્રણ વર્ષના સંબંધમાં ઓછામાં ઓછી એક વાર ઘરેલું હિંસાનો અનુભવ કર્યો છે. અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે જ્યારે પુરુષો પોલીસ અથવા અન્ય કોઈ પ્લેટફોર્મ પર આવી ફરિયાદો કરવા માંગતા હતા, ત્યારે લોકો તેના પર વિશ્વાસ કરતા નથી અને તેમના પર હસવામાં આવે છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ દેશમાં પુરુષોમાં આત્મહત્યાનો દર મહિલાઓની સરખામણીએ બમણો છે. આની પાછળનાં અન્ય કારણોમાં, પુરુષો પણ ઘરેલું હિંસાનો ભોગ બનેલા હોવાનું કહેવાય છે, જેની તેઓ કોઈ પણ મંચ પર ફરિયાદ પણ કરી શકતા નથી. તેમ છતાં એવું નથી કે પુરુષો સામેની હિંસા વિશે કોઈ જાણતું નથી અથવા તેની સામે અવાજ ઉઠાવતો નથી, પરંતુ આ અવાજ ધીમો છે અને પછી ખૂબ જ ઝડપથી શાંત થઈ જાય છે. અતુલની આત્મહત્યાથી પહેલીવાર દેશ આ બાબતે વધુ વાત કરતો થયો છે.
થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક સાંસદોએ માંગ કરી હતી કે રાષ્ટ્રીય મહિલા આયોગની તર્જ પર રાષ્ટ્રીય પુરુષ આયોગ જેવી બંધારણીય સંસ્થાની પણ રચના થવી જોઈએ. આ અંગે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. પત્ર લખનારા સાંસદોમાંના એક હરિનારાયણ રાજભરે તે સમયે દાવો કર્યો હતો કે પત્નીઓ દ્વારા સતામણીનો ભોગ બનેલા ઘણા પુરુષો જેલમાં છે પરંતુ કાયદા દ્વારા એકલા પડી જવાના ડરથી ઘરેલું દુર્વ્યવહાર સામે અવાજ ઉઠાવતા નથી અને સમાજમાં તેમની મજાક ઉડાવવામાં આવે છે.
પુરુષોના આયોગની માંગના સમર્થનમાં રજૂ કરવામાં આવેલી દલીલોમાં સૌથી મોટી દલીલ એ છે કે મહિલાઓનું રક્ષણ કરતા કાયદાનો પુરુષો સામે દુરુપયોગ કરવામાં આવ્યો છે. પુરુષોની સતામણીના કિસ્સાઓ પણ છે. પરંતુ આ કાયદો માત્ર સ્ત્રીઓની સતામણીને જ મંજૂર રાખે છે.
હકીકતમાં, પુરુષોનો એક વર્ગ માને છે કે આપણા સમાજમાં માત્ર મહિલાઓ જ પીડિત અથવા ઉત્પીડિત નથી. એવા ઘણા પુરુષો પણ છે જેઓ ઘરે અને સમાજમાં અત્યાચાર અને સતામણીનો સામનો કરી રહ્યા છે. એ દિવસો ગયા જ્યારે માત્ર મહિલાઓ પર જ જબરદસ્તી થતી હતી. આજે પુરુષો પણ ગુંડાગીરીનો ભોગ બને છે. આજે ઘરેલું હિંસા, સતામણી, પુરુષો સામે શારીરિક અને માનસિક દુર્વ્યવહારની ઘટનાઓ પણ વધી રહી છે અને તેના કારણે ઘણા પરિણીત પુરુષો આત્મહત્યા પણ કરી રહ્યા છે.
લગભગ ચાર વર્ષ પહેલાં, ઘરેલું હિંસા અથવા સતામણીનો ભોગ બનેલા પુરુષોને મદદ કરવા માટે, એક સ્વૈચ્છિક સંસ્થાએ ‘સિફ’ નામની એક એપ્લિકેશન બનાવી હતી, જેના દ્વારા આવા પુરુષો તેમની પીડા નોંધાવી શકતા હતા. સંસ્થાએ આવા પુરુષોને કાનૂની સહાય પણ પૂરી પાડી હતી. એન.જી.ઓ.ના વડા અમિત કુમાર કહે છે કે આ એપ દ્વારા 25 રાજ્યોના 50 શહેરોમાં 50 એન.જી.ઓ.નો કાનૂની મદદ માટે સંપર્ક કરી શકાય છે. તેમણે દાવો કર્યો છે કે હેલ્પલાઈન શરૂ થયાના 50 દિવસની અંદર તેમને 16,000થી વધુ કોલ્સ આવ્યા છે.
2020માં લૉકડાઉન દરમિયાન ‘સેવ ઇન્ડિયન ફેમિલી ફાઉન્ડેશન’ દ્વારા ટેલિફોનિક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. દરમિયાન, ઇન્દોર સ્થિત પુરુષ સંસ્થા અને ‘નેશનલ કમિશન ફોર મેન કોઓર્ડિનેશન કમિટી’, દિલ્હીને પણ પુરુષોની હેલ્પલાઇન પર ઘણી ફરિયાદો મળી હતી. તેમાં જાણવા મળ્યું છે કે લોકડાઉનના દિવસો દરમિયાન પત્નીઓએ તેમના પતિને હેરાન કરવાના કેસોમાં 36 ટકાનો વધારો થયો હતો કારણ કે ઘણા પુરુષો ઘરે બેસવા માટે કામ છોડી દે છે અથવા ઓફિસ બંધ હોવાને કારણે ઘરેથી કામ કરવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં, તેઓ તેમની પત્નીઓનાં વલણને કારણે ડિપ્રેશનમાં રહેવા લાગ્યા હતા.
પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 15 ડિસેમ્બર 2024
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર