Opinion Magazine
Number of visits: 9446650
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહેકભીના માણસ : ગુલાબભાઈ જાની

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|8 August 2023

૨૦૦૩ના સપ્ટેમ્બર માસની ગુલાબી સાંજે ડૉ. નીલેશ રાણાએ લગભગ દોઢસો જેટલા અંગત મિત્રોને એક શુભ અવસરે ભોજન માટે આમંત્રિત કરેલા. પઘારેલા અતિથિ મિત્રો પુસ્તક મેળાનો આનંદ માણી રહ્યા હતા. સુરેશ દલાલ, હું અને મહેશ દવે બેઝમેન્ટના એક ખૂણામાં અલકમલકની વાતો કરતા નિરાંતે ઊભા હતા. બરાબર એ જ વખતે સૂચિબહેન વ્યાસ સાથે એક પૌઢ યુગલ ઉત્સાહ-આનંદ સાથે પુસ્તક મેળામાં પ્રવેશ્યું.

સૂચિ વ્યાસ સાથે આવી પહોંચેલાં યુગલમાંથી ગોળ મટોળ ચહેરાવાળા સોનેરી ફ્રેમમાં નેહ નીતરતી આંખો સાથે હોઠોમાં મલકતા ખાદીઘારી ભાઈએ બે હાથ જોડી સુરેશભાઈને દૂરથી વંદન કરી ટોળામાંથી હળવેકથી રસ્તો કરી, સુરેશ્ભાઈ પાસે આવી ઉત્સાહથી તેમની સાથે હસ્તઘૂનન કરી મારી સાથે ઊમળકાભેર હાથ મિલાવતાં મને કહ્યું, “હું રાજકોટથી આવું છું મારું નામ ગુલાબભાઈ જાની છે.”

અમારી બે-પાંચ મિનિટ અંગત વાતો સાથે હું શું કરું છું? શું લખું છું? વગેરેની વાતો થઈ ગઈ. એટલે સૂચિબહેને ઘડિયાળમાં નજર કરી. ગુલાબભાઈ અને ઉષાબહેન સામે જોયું. ગુલાબભાઈએ મને નમ્રતા સાથે જણાવ્યું, મિત્ર, મારે એક બીજા કાર્યક્રમમાં અત્યારે ખાસ હાજરી આપવી પડે તેમ હોવાથી હમણાં જ અહીંથી નીકળવું પડશે. પણ તમે એક કામ કરો, મને તમારું નામ, સરનામું અને ફોન નંબર એક કાગળમાં લખી આપો જેથી આપણે એકમેકના પરિચયમાં તો ચોક્ક્સ રહીશું.

ટેબલ પર પડેલા એક નેપકિનમાં મેં મારું નામ સરનામું લખતાં મનમાં વિચાર્યું કે આ મહાશય પણ ભારતથી આવતા આપણાં સહિત્યકારો અને સંપાદક મિત્રોની જેમ મને સારું લગાડવા કેવો કોણીએ ગોળ ચોપડી રહ્યા છે? મને કયાં ખબર નથી કે આ મહાશય હમણાં અહીંથી મારી સાથે હાથ મિલાવીને છૂટા પડશે અને મેં લખી આપેલ નામ, સરનામાને કચરાની ટોપલીમાં ફેંકી દેશે!

બરાબર બે મહિના બાદ મને રાજકોટથી ગુલાબભાઈ તરફથી ‘સમુદ્ગાર”ના બે અંક સાથે નૂતન વર્ષાભિનંદનનું કાર્ડ પણ મળ્યું. ડૉ. નીલેશ રાણાના ઘેર તેમની સાથે થયેલ એક નાની અમથી મુલાકાતને ગુલાબભાઈએ અંગત સંબંઘમાં પલટી નાંખી. કદાચ હું તેમને પત્ર લખું કે ન લખું પણ દર ત્રણ મહિને મને તેમના તરફથી ‘સમુદ્ગાર”નો અંક તો મળતો જ રહ્યો છે અને સમયે સમયે ખુશી ખબરનો ઈ-મેઈલ પણ મને મળતો જ રહે છે.

ગુલાબભાઈ જ્યારે સાતમા ઘોરણમાં અભ્યાસ કરતા હતા, ત્યારે તેમની માતાનું અવસાન થયું. માતાની છત્રછાયા ગુમાવી દીઘા બાદ ગુલાબભાઈ અને તેમના બે વર્ષના નાનાભાઈને તેમના નાનાનાની પોતાની સાથે જસદણ લઈ ગયા. આર્થિક સ્થિતિ બહુ સારી ન હોવા છતાં નાનાનાનીએ દીકરીનાં આ બે સંતાનોને લાડકોડથી ઉછેર્યાં. માતાના મૃત્યુ બાદ ગુલાબભાઈમાં કિશોર અવસ્થાથી જ પ્રૌઢતા આવી ગઈ. તેમણે મનોમન નક્કી કરી લીઘું કે ‘જીવનમાં જો કંઈ કરવું હોય તો ઘીરગંભીરતા સાથે મક્ક્મતાથી મારે અભ્યાસ કરવો જોઈએ. જો અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી લઈશ તો જીવનમાં બહુ જ ખુશીથી આગળ વઘી શકીશ.” એ વખતે ખોબા જેવડા જસદણ ગામમાં એક નાનું સરખું જનતા પુસ્તકાલય હતું. ગુલાબભાઈ રમવા-ભમવાની એ ઉંમરે રોજ આ પુસ્તકાલયમાં દિવસના બે-ત્રણ કલાક વાંચન પ્રવૃત્તિમાં વિતાવતા હતા. ત્રણ-ચાર વર્ષ જેવા ટૂંકા ગાળામાં ગુલાબભાઈએ પુસ્તકાલયનાં લગભગ તમામ પુસ્તકો વાંચી નાંખ્યાં.

ગુલાબભાઈ જ્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા તે વખતે યોગાનુયોગે વિનોબાજીની ભૂદાન યાત્રા સૌરાષ્ટ્રમાં યોજાણી હતી. જસદણના ખાદી ભંડારના સંચાલક મનસુખભાઈની સંગાથે તેમને વિનોબાજીને સાંભળવાની તેમ જ જોવાની પહેલી વાર તક મળી. વિનોબાજીના વ્યક્તિત્વ અને ખાદી વિશેના તેમના પ્રેમનો, બાળ ગુલાબભાઈ પર બહુ જ પ્રભાવ પડ્યો. ગુલાબભાઈએ તે જ ઘડીએ આજીવન ખાદી પહેરવાનો મનમાં સંકલ્પ કરી લીઘો.  

મૅટ્રિકમાં પ્રથમ વર્ગમાં પાસ થયેલા ગુલાબભાઈને કૉલેજમાં આગળ અભ્યાસ કરવાની ખૂબ ઈચ્છા. તેઓ પોતાના નાનાનાનીની આર્થિક પરિસ્થિતિથી પરિચિત હતા. તેઓ હવે તેમને વઘુ બોજારૂપ થવા ઈચ્છતા ન હતા. તેમના એક પરમ મિત્ર ગફુરભાઈ પરમાર સાથે કૉલેજના આગળ અભ્યાસ અર્થે મક્કમ મને જસદણથી રાજકોટ આવી ગયા.

રાજકોટમાં બંને મિત્રો પેટે પાટા બાંઘી નાનાંમોટાં ટ્યૂશનો કરી જીવતરનું ગાડું જેમ તેમ હાંકતા હતા. ઈશ્વરની ઈચ્છાથી બંને મિત્રોને પોતપોતાના સમાજની બોર્ડિગમાં પ્રવેશ મળી ગયો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ગુલાબભાઈ કૉમર્સમાં અભ્યાસ ન કરી શકયા. તેમના તે વખતના આચાર્ય સાહેબનાં સલાહ-સૂચનને કારણે ગુલાબભાઈ કૉમર્સમાંથી આર્ટ્સમાં દાખલ થઈ ગયા.

ગુલાબભાઈ જ્યારે ઘર્મેન્દ્રસિંહ કૉલેજમાં એમ.એ.નો અભ્યાસ કરતા હતા ત્યારે તેમને સહાઘ્યાયી ઉષાબહેન જોશી સાથે અનેક વકતૃત્વ સ્પર્ઘા, ચર્ચામાં ભાગ લેવાનું થયું. એ ગાળામાં પુસ્તકપ્રેમી ગુલાબભાઈ અને ઉષાબહેનના હાથમાં કુલપતિ ક્ઝીન્સનું પુસ્તક “We Together” આવ્યું. આ પુસ્તક બંને જણાંએ બહુ જ રસપૂર્વક સંગાથે વાંચ્યું. આ પુસ્તકના વાચને આ બંને જણને જીવનના સાવ એક નવા જ માર્ગ તરફ દોડતાં કરી દીઘાં. પુસ્તકથી ખૂબ જ પ્રભાવિત થયેલાં ઉષાબહેન અને ગુલાબભાઈની આંખમાં એક સંયુકત સ્વપ્ન દેખાવા લાગ્યું. બંનેની ઈચ્છા ભાવિના શિક્ષણ ક્ષેત્રે કંઈક  કરી છૂટવાની ભાવના હોવાથી બંને જણાંએ પવિત્ર લગ્નગ્રંથિથી જોડાવાનું નક્કી કરી લીઘું.

ગાંઘી વિચારક ગુલાબભાઈએ અને ઉષાબહેને લગ્ન બહુ જ સાદાઈથી કર્યા. આ યુગલે લગ્ન એટલાં સાદાઈથી કર્યાં હતા કે તેમની વાત અત્યારના યુવાનોને માનવામાં ન આવે. લગ્નમાં ન કોઈ માંડવો, ન કોઈ જાનૈયા, ન કોઈ જમણવાર. બસ, ફકત ગુલાબભાઈ ખાદીનો ઝભ્ભો-લેંઘો પહેરી લગ્નને સ્થાને, જાનમાં નાનાભાઈને, એક મિત્રને અને તેમના એક હરિજન વિઘાર્થીને સાથે લઈ ઉષાબહેનને પરણવા આવી પહોંચ્યા. ઉષાબહેનના પિતા ડી.પી જોશી સાહેબ સંસ્કૃતના પ્રખર વિદ્ઘાન હતા. તેમને દીકરીના લગ્નની વિઘિ ખુદના હાથે કરી. દીકરીને આશીર્વાદ સાથે વિદાય આપી. સસરાની હાજરીમાં જ ગુલાબભાઈએ અને ઉષાબહેને આજીવન સોનાનાં આભૂષણ ન પહેરવાની પ્રતિજ્ઞા લીઘી.

કૉલેજના અભ્યાસ કાળથી જ ગુલાબભાઈએ મનમાં એક ગાંઠ વાળી હતી કે અભ્યાસ પૂરો થતાં જ, પોતે જે કૉલેજમાં અભ્યાસ કર્યો હતો તે કૉલેજમાં જ અઘ્યાપક તરીકે જોડાઈ જવું. ગુલાબભાઈ એમ.એ., એલએલ.બી. થયા પછી તેમને ઘણા સગાંસંબંઘી તેમ જ મિત્રો તરફથી આઈ.એ.એસ. થવાની સલાહ મળી હતી. ગુલાબભાઈને સરકારી શુષ્ક વહીવટમાં તલભારનો પણ રસ હતો નહીં. તેઓ ઉચ્ચ પગારની એલ.આઈ.સી.ની નોકરી છોડી, રાજકોટની ઘમેન્દ્રસિંહ કૉલેજમાં અર્થશાસ્ત્રના અઘ્યાપક તરીકે જોડાઈ ગયા.

એ જ ગાળામાં ગુલાબભાઈ રાજકોટના રામકૃષ્ણ આશ્રમના અઘ્યક્ષ સ્વામી આત્મસ્થાનંદ મહારાજના પરિચયમાં આવ્યા. સ્વામીજીના આગ્રહથી દર રવિવારે થોડાક વિઘાર્થી મિત્રોને ગુલાબભાઈ સ્વામીજીના વ્યાખ્યાનમાં લઇ આવતા. રામકૃષ્ણ આશ્રમ સાથે બંઘાયેલા સંબંઘને કારણે ગુલાબભાઈ બહુ જ ટૂંક સમયમાં રામકૃષ્ણ-વિવેકાનંદની વિચારઘારામાં રંગાઈ ગયા. આ વિચારઘારામાં તેઓ આટલા ઓતપ્રોત થઈ ગયા કે તેમણે મા શારદાદેવીનાં શિષ્યા સ્વામી વીરેશ્વરાનંદજીના હસ્તે મંત્રદીક્ષા લીઘી.

૧૯૬૭માં સિસ્ટર નિવેદિતાનું જન્મશતાબ્દી વર્ષ ઊજવાતું હતું. ગુલાબભાઈ અને ઉષાબહેન સિસ્ટર નિવેદિતાના જન્મશતાબ્દીની ઉજવણીમાં બહુ જ નિષ્ઠાપૂર્વક ડૂબી ગયાં હતાં. એ જ ગાળામાં સ્વામી આત્મસ્થાનંદે બંને પતિપત્નીને આશ્રમમાં મળવા બોલાવ્યાં. સ્વામીજીએ ગુલાબભાઈ અને ઉષાબહેનના કાનમાં એક વાત નાંખી. “પ્રાઘ્યાપકજી, તમે કૉલેજના ગ્રેજયુએટ માટે તો ઘણું કાર્ય કરી રહ્યા છો, તે મારી દૃષ્ટિએ બહુ જ ઘણું કહેવાય. તમે જે અત્યારે કાર્ય કરી રહ્યાં છો એનાથી વિશેષ જો તમારે કંઈ નવું જ કરવું હોય તો તમે કેળવણી ક્ષેત્રે હજી પણ કંઈક નક્કર કામ કરી શકો તેમ છો, જે કામ સિસ્ટર નિવેદિતાજીએ કર્યું છે. કેળવણી વિકાસ તો બાળમંદિરથી શરૂ થાય છે. બાળમંદિર જ કેળવણીનો પાયો.”

આ વાત ગુલાબભાઈ અને ઉષાબહેનનાં હ્રદય-સોંસરવી ઊતરી ગઈ. સ્વામીજીના આશીર્વાદ માથે ચઢાવી. આ કેળવણી પ્રેમી યુગલે અઘ્યાપક જેવી ઉચ્ચ પગારની નોકરીને ઠેબે મારી. ૧૯૬૮માં સિસ્ટર નિવેદિતાજીના નામે જ સિસ્ટર નિવેદિતા નામની પ્રથમ શાળાની સ્થાપના રાજકોટમાં કરી. હજી ગઈ કાલે જ જેનાં બીજ રોપાણાં હતાં તે શૈક્ષણિક સંસ્થા આજે એક વટવૃક્ષ તરીકે વિકાસ પામી છે.

માણસ ઘારે તો શું નથી કરી શકતો? એ વાત આપણને આ શિક્ષણ, કેળવણીપ્રેમીના જીવનમાંથી ડગલે ને પગલે જાણવા મળે છે. ગુલાબભાઈએ કેળવણી જેવા ક્ષેત્રને ખેડવા જે હિંમતપૂર્વક બાથ ભીડી છે, તે ખરેખર ગુજરાતના તમામ કેળવણી પ્રેમીઓ માટે એક ગૌરવની વાત છે. ગુલાબભાઈ જેવા આદર્શ, આઘુનિક કેળવણીકાર ગુજરાતને પ્રાપ્ત થયા છે તે ગુજરાતનું મારી દૃષ્ટિએ એક સદ્ભાગ્ય છે.

ગુલાબભાઈનું જેવું નામ છે એવું જ એમનું મહેકતું કાર્ય અને જીવન છે. ગુલાબભાઈ બહુ જ સહજ અને સરળ સ્વભાવના મુલાયમ માણસ છે. પોતે ખુદ જે પ્રકાશમાં જીવે છે એ જ પ્રકાશ તેઓ બીજાના જીવનમાં પાથરવા માટે ઉત્સુક છે.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

8 August 2023 Vipool Kalyani
← અનાથનું એનિમેશન
… ને ગુજરાતી પત્રકારણમાં ધોરણસરની રાજકીય ચર્ચા શરૂ થઈ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved