Opinion Magazine
Number of visits: 9448702
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|1 December 2021

અધ્યાપનકાળના કેટલાક બનાવો (3) …

સપ્ટેમ્બર ૧૯૭૭માં હું ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનમાં જોડાયો. ૨૭ વર્ષનો મારો દીર્ઘમાં દીર્ઘ અધ્યાપનકાળ ભાષાભવનમાં વીત્યો છે. લૅકચરર તરીકે જોડાયેલો. પછી રીડર થયો, વિભાગીય અધ્યક્ષ થયો, પ્રોફેસર થયો, પ્રોફેસર-ઇમેરિટસ થયો; વક્તા થયો, વિવેચક થયો, વાર્તાકાર થયો, વગેરે વગેરે જે કંઇ થયો, એ સારી પૅઠે અમદાવાદમાં થયો.

જો કે અમદાવાદ કદી પણ મારું સ્વપ્ન ન્હૉતું. મારી પસંદગી ન્હૉતી. મારે જાત પર જોર લાવીને પસંદ કરવું પડેલું. તો પણ એક વાતે છેલ્લે સારું લાગેલું કે ગુજરાતી સાહિત્યને માટેના એક ઉત્તમ વિભાગમાં છું. એમ પણ લાગેલું એ વાતે કે ક્યારેક મારી ભાષાના ઉત્તમ કવિ ઉમાશંકર જોશી વિભાગના અને સમગ્ર ભાષાભવનના અધ્યક્ષ હતા.

યાદ કરતાં યાદ આવે છે કે ભવનના બહુ ઓછા મિત્રો બહુ ઓછી વાર મારા ઘરે આવેલા છે. કોઇ કોઇ તો વારંવાર બોલવવા છતાં નહીં આવેલા. ક્રમે ક્રમે એમ જાણવા મળેલું કે અમદાવાદમાં ભલભલા સાહિત્યકારોના ઘરે ભલભલા સાહિત્યકારો નથી ગયા. એટલું ખરું કે મરણપથારી જેવા છેલવારકા પ્રસંગે ડોકિયું કરી આવ્યા હોય.

મને અને રશ્મીતાને – વડોદરા બાજુના રસિક જીવોને – એ અમદાવાદી લુખ્ખાસ સમજાતી ન્હૉતી. પણ સ્વીકારી લીધેલું કે એવી એમની શૈલી છે. જો કે રાધેશ્યામ શર્મા, ચન્દ્રકાન્ત ટોપીવાળા, ચિનુ મોદી, લાભશંકર ઠાકર અવારનવાર આવતા.

‘શબરી’-માં રહેવા ગયા પછી તો મેં રમૂજમાં કહેવા માંડેલું – અમે તો રાહ જોઇશું જ પણ જ્યારે આવો ત્યારે અમારે ઘરે રામ સ્વરૂપે આવજો. મને જણાવતાં આનન્દ થાય છે કે વડીલોમાં સૌથી વધુ કોઇ અમારે ત્યાં આવ્યું હોય તો તે ઉમાશંકર જોશી હતા.

એમની સાથેની મારી અંગતતા સાવ વિલક્ષણ હતી. બધું છતાં ઉમાશંકરનું આકર્ષણ રહેતું, મને ગમ્યા કરતા. હું કંઈ ‘સંસ્કૃતિ’-નો લેખક નહીં. અલબત્ત, મારી એક વાર્તા ‘હર્ષદલાલ હ. અને બીજાં’ એમને બહુ ગમેલી. એમણે ‘સંસ્કૃતિ’-માં પ્રકાશિત કરેલી – ૧૯૯૨ જેટલાં વહેલાં. એટલો પૂર્વાનુબન્ધ હતો. બીજો પૂર્વાનુબન્ધ એ હતો કે બોડેલીથી હું પ્રિન્સિપાલની હેસિયતે યુનિવર્સિટી-મીટિન્ગો માટે અમદાવાદ આવતો. ચન્દ્રકાન્ત ટોપીવાળા પણ પ્રિન્સિપાલ, તે એ ય આવતા. અમે બન્ને કવિ-કુલપતિને મળવા જતા. ફાઇલો કોરાણે મૂકીને ઉમાશંકર અમારી સાથે ખુલ્લા મનની ઘણી વાતો કરતા.

એટલે, ભવનમાં જોડાયા પછી મને એક ઇચ્છા બહુ થતી કે એમને એમના ઘરે નિરાંતે મળાય તો કેવું સારું. પણ ભવનના સાથીઓ કહે : એમને ઘેર ઍપૉઇન્ટમૅન્ટ વિના ન જવાય; ફોન કરવો પડે. ત્યારે એઓ વિભાગીય અધ્યક્ષ ન્હૉતા રહ્યા તો પણ એવું કેમ હશે, એવું મને ખૂંચ્યા કરે …

ત્યારે મારે ત્યાં ફોન નહીં, કેમ કે દુર્લભ હતા, ખાસ્સા દુર્લભ. ભવનનો ઑફિસ-ફોન વાપરી શકાતો’તો પણ એ બાપડો એક-નો-એક તે ગિરદી બહુ રહેતી. એટલે ફાવટ ન આવે. મેં નક્કી કરેલું કે મળે ત્યારે પૂછી લેવું – ફોન કર્યા વિના આવી શકાય? એમણે તરત કહેલું : હા-હા, શું કામ નહીં; માત્ર ભાળ મેળવી લેવી કે હું અમદાવાદ બહાર તો નથી ને …

એમની એ સમ્મતિનું પરિણામ એ આવ્યું કે શરૂમાં હું એકલો અને પછીથી રશ્મીતા તેમ જ બન્ને દીકરા – અમે સૌ – એમને ત્યાં જતાં થઈ ગયેલાં. બેસતા વર્ષે અચૂક જઇએ. પણ વળતું પરિણામ અતિ સુન્દર આવ્યું. ઉમાશંકર પણ અમારે ત્યાં, કૅમ્પસના ઘરે, બી-૩માં, આવતા થઈ ગયા.

મારી નવલકથા ‘ખડકી’ પ્રકાશિત થઈ ત્યારે એઓ અમારે ત્યાં પહેલી વાર આવેલા. પુસ્તક પ્રકાશિત થાય એટલે ઘરે મિત્રોને બોલાવવા અને શિરો ખવડાવવો એ મારો શિરસ્તો હતો. મારા ગુરુ સુરેશ જોષી પાસેથી શીખ્યો છું. આજે પણ ચાલુ છે. રશ્મીતા બનાવે. ‘ખડકી’ વિશે મેં થોડી વાત કરેલી. એ સાંભળીને ઉમાશંકરે કહેલું – સુમન પાસેથી આપણને હવે કસબાના જીવનની નવલકથાઓ મળશે. ત્યારે શિરો એમને બહુ ભાવેલો. એટલે આવે ત્યારે દરેક વખતે કહે : થોડો શિરો ખાઈશ : અમને પણ બહુ ઉમળકો રહેતો કે કેટલી સારી વાત છે.

એક સાંજે એવું બન્યું કે હું ને રશ્મીતા સ્કૂટર પર એમને મળવા ગયાં. જવાબ મળ્યો કે – એ તો તમારે ત્યાં આવવા નીકળી ગયા છે …! અમારા આનન્દાશ્ચર્યનો પાર નહીં. ફોન વિનાની એ બિન-તારી દિલ્લ્ગી યાદ આવતાં આજે પણ રોમાંચિત થવાય છે.

જઈને જોયું તો કવિશ્રી બી-૩ના આંગણાંમાં બેઠેલા. બન્ને બાજુ એક એક ઊંચા આસોપાલવ ને વચ્ચે અમારો પાટી ભરેલો જૂનો પણ સારો ખાટલો, તે પર બેઠેલા. ફૂલ-છોડવા, પવન, પંખીઓ, રોડ પરનાં વાહનો ને ઝૂમતાં વૃક્ષો વચ્ચે કવિશ્રી પૂર્વરાગ – મદીર જોડે વાતો કરતા’તા …

ચાલતા આવે. ક્હૅતા – કૅમ્પસમાં નીકળી પડવું પહેલેથી ગમે છે મને. થોડું દૂર પડે, પણ ચાલવાનું તો થઇ જાય …

બન્ને દીકરાને પોતાના મિત્ર ગણતા. મને ઈન્લૅન્ડ લખ્યું હોય તો ડાબી બાજુનો પત્ર અમને બન્નેને સમ્બોધ્યો હોય; ને જમણી તરફનો દીકરાઓને. સ્કૂલ ઑફ આર્કિટૅક્ચરમાં દીક્ષાન્ત પ્રવચન માટે ગયા હશે કોઇ વરસે. ભરી સભામાં અંગ્રેજીમાં પૂછેલું : મારો મિત્ર મદીર શાહ તે તમારે ત્યાંનો જ ને … વગેરે.

એમનો સર્વસંગ્રહ ‘સમગ્ર કવિતા’ પ્રગટ્યો તેને અર્ઘ્ય આપવાના મૂળ ભાવથી મેં પુસ્તિકા લખી – ‘ઉમાશંકર : સમગ્ર કવિતાના કવિ : એક પ્રોફાઇલ’. (૧૯૮૨). પુસ્તિકા પૂરી પ્રકાશિત થાય એ પહેલાં જ કેટલાકોએ ટીકા શરૂ કરી દીધેલી. એની વ્યથાકારક વાર્તા હવે પછી કરીશ.

= = =

(November 29, 2021: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

1 December 2021 admin
← સર્વજનવિહારી પ્રભાષ જોશી, મારા તો કાકા
વીર કોણ હતા ? … મદનલાલ ઢીંગરા કે સાવરકર →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved