Opinion Magazine
Number of visits: 9449542
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|13 January 2022

: ૬ : ચાર નિપુણતા :

સરસ વક્તવ્ય કે શુદ્ધ લેખન ન કરી શકતો હોય, ચર્ચા-સંવાદ જાણતો ન હોય, વાચનવૃત્તિ વિનાનો હોય, તો તેવાને, મારું ચાલે તો સાહિત્યમાં પ્રવેશ ન આપું. ઍડમિશન માટે ઇન્ટર્વ્યૂ રાખું. એક વૅલ-ઍરેન્જ્ડ થિક ફિલ્ટર રાખું. વાત વધારે પડતી લાગશે, પણ જરૂરી છે.

સાહિત્યનાં યુનિવર્સિટી લેવલનાં અધ્યયન તેમ જ અધ્યાપન માટે વક્તવ્ય, લેખન, ચર્ચા અને વાચન મારી દૃષ્ટિએ ૪ પાયાની વસ્તુઓ છે. કૉલેજમાં આવનારા વિદ્યાર્થીમાં એ માટેનાં રસ-રુચિ ખીલેલાં હોવાં જોઇએ. અધ્યાપક તો એ દરેકમાં નિપુણ જ હોવો જોઇએ. એની નિપુણતાનો નિરન્તર વિકાસ થવો જોઇએ. એ એની વ્યાવસાયિક જરૂરિયાત છે.

આ બાબતોની તાલીમનો વિચાર પ્રાથમિક અને માધ્યમિકમાં પહેલેથી થયેલો છે. એવી સમજથી કે વિદ્યાર્થી પાસે જો વક્તવ્ય, લેખન, ચર્ચા અને વાચનના ચૉક્કસ સંસ્કારો હશે તો આગળની સાહિત્યવિદ્યા એને કઠિન નહીં લાગે. શિક્ષકોએ એને જોડણી શીખવી છે. ‘સ’ ‘શ’ કે ‘ષ’ જેવા ભેદો બતાવીને શુદ્ધ ઉચ્ચારો કરવાની ટેવ પાડી છે. વ્યાકરણ ઉપરાન્ત અર્થવિસ્તાર કે સંક્ષેપ વગેરે લેખનનું બધું ચીવટથી શીખવાડ્યું છે. સમાસ, સન્ધિ, અલંકારો શીખવ્યાં છે. ગામડું સારું કે શહેર – જેવા ‘ચર્ચા-સંવાદો’-માં કોઇ વાર એનો નમ્બર આવેલો. વક્તૃત્વ-સ્પર્ધાથી જાણેલું કે સારું વક્તવ્ય કે વ્યાખ્યાન કોને કહેવાય. ‘તૂટેલા ચમ્પલની આત્મકથા’ લખી ત્યારથી એને ખબર પડી છે કે આલંકારિક લેખન કેવુંક હોય. શિક્ષકોએ કહેલું કે દુનિયામાં ઘણા ઘણા મોટા લેખકો થઈ ગયા છે; અભ્યાસમાં ન હોય તેવાં પણ આ સંસારમાં વાંચવાલાયક અગણિત પુસ્તકો છે.

આમાં મારે ૪ હકીકતો જોડવી છે :

૧ : ભાષા-સાહિત્યનું આ ચતુર્વિધ જ્ઞાન પામેલાં મોટાભાગનાં છોકરા-છોકરીઓ ઇજનેરીમાં કે દાક્તરીમાં જાય છે. તે દિવસથી કવિતા નિબન્ધ જેવા ‘પાઠ' એમના બારામાં કાયમ માટે ડુલ થઇ જાય છે.

૨ : ગુજરાતી વિષય સ્વરુચિથી પસંદ કરનારાં બહુ ઓછાં હોય છે. ક્યાં ય ઍડમિશન ન મળ્યું હોય એવાં બધાં છેલ્લે ગુજરાતીમાં આવે છે. ટોટલ લૉટનો ‘રેસિડ્યુ’ – અવશેષ.

૩ : મોટી વિડમ્બના એ કે કૉલેજમાં આવતાંની વારમાં જ વિદ્યાર્થીનું આ ચતુર્વિધ જ્ઞાન ગાયબ થઇ જાય છે !

૪ : એવી અછતગ્રસ્ત ભૂમિકાએ ‘તૈયાર' થયેલા વિદ્યાર્થીઓ ગુજરાતીના અધ્યાપકો બને છે એ ચોથી કરુણ પણ હકીકત છે. અધ્યાપકોની ભાવિ પેઢીઓ એ ભૂમિકાએથી આવતી હોય છે.

કૉલેજમાં આવતાં, વિદ્યાર્થીનું એ જ્ઞાન ગાયબ થઇ જાય છે એનું પ્રમાણ આપું : સન્નિષ્ઠ પરીક્ષકો ઉત્તરવહીઓમાં આટલી ક્ષતિઓ વરસોથી જોતા આવ્યા છે : જોડણીની અરાજકતા. ગલત શબ્દપ્રયોગો. અશુદ્ધ વાક્યોની દોડાદોડી. ધરાર ખોટી માહિતી આપે. લખે, હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે ‘નર્મદના જમાનામાં’ થઈ ગયા !

કૉલેજોમાં પહેલાં, ફરતી વક્તૃત્વ-સ્પર્ધાઓ હતી. જીતે તે કૉલેજ, ટ્રૉફિ લઇ જાય. હવે વક્તૃત્વ-સ્પર્ધાઓ આઉટ ઑફ ફેશન ગણાય છે – કેમ કે એ તો નિશાળોમાં શોભે ! એટલે, માધ્યમિકમાં સારો ગણાયેલો પેલો વક્તા, સૂનો પડી જાય છે.

સાહિત્યસભાઓમાં વિદ્યાર્થીને બેઠકનું સંચાલન સોંપાય છે – સારી વાત. વક્તા તરીકેની એની ગુંજાઇશ જોવા મળે. પણ એની પાસે બેઠકના વક્તાઓનાં નામથી વિશેષ કંઈ હોતું નથી. કહેતાં હોય – સુમન શાહનો પરિચય આ સભાને થોડો આપવાનો હોય ! આખું ગુજરાત જાણે છે !

હવે તો, કોઈ કોઈ જગ્યાએ સંચાલક બેનડી ઝૂકીને મને સ-સ્મિત પૂછતી હોય છે – સર, મારે તમારો ઇન્ટ્રો આપવાનો છે, ખાસમાં શું કહું, બોલો સર, લખી લઉં. પૅડ ને ખુલ્લી બૉલપેન તત્પર હોય. હું પણ એને સ-સ્મિત કહેતો હોઉં છું – ખાસમાં, ‘સુમન શાહ' કહેશો તો પૂરતું છે. અને, મજા તો એ કે પૅડને બગલમાં દબાવતીક માઇકને સજજ્ડ પકડી રાખી એટલો ઇન્ટ્રો એ સુખે પતાવતી હોય છે.

ઇન્ટ્રો૦ની નોટ્સ લેતી બેનડી … (રમૂજ ખાતર)

Picture courtesy : VectorStock

માધ્યમિકમાં તરવરિયાં હતાં એ બધાં આમ સાવ જરૂરતમંદ અને ગરજમતલબી થઈ જાય છે.

આભારદર્શનમાં પણ આળસુ અને ગરીબડાં લાગે ! ‘એમનો પણ આભાર માનું છું’, ‘એમનો પણ આભાર માનું છું, જેવા ધ્રુવવાક્યથી કામ પતાવતાં હોય છે. આમ ને આમ, ઍમ.એ. અને પીઍચ.ડી. થઈને એક દિવસ અધ્યાપક બની જાય છે. મેં અનેક ઇન્ટર્વ્યૂ લીધા છે. અધ્યાપકપદના આકાંક્ષીને વાચન બાબતે પૂછું – લાભશંકર ઠાકરને વાંચ્યા છે? તો કહે – નામ સાંભળ્યું છે ! ભલે, એ ઉમેદવારની લેખન-શક્તિ શી રીતે જાણવી ? ઇન્ટર્વ્યૂમાં એની જોગવાઇ હોતી નથી. ઇન્ટર્વ્યૂમાં એક એવો સૅગ્મૅન્ટ પણ હોવો જોઇએ જેથી ઉમેદવારના લેખનને પરખી શકાય. આ વાત પણ વધારે પડતી લાગશે, પણ જરૂરી છે. 

સ્વીકારવું જોઇશે કે ગુજરાતીના અધ્યાપકોની પ્રવર્તમાન પેઢીઓ, આગળના આવા દુષ્કર દાયકાઓનું પરિણામ છે. આ વાતોને હું દોઢ-બે દાયકા જેટલી જૂની ગણતો’તો, પણ મને અનેક હમદર્દોએ કહ્યું કે ના, આ બધું આજે પણ એટલું જ સાચું છે બલકે દરેકમાં ખાનાખરાબી અનેકગણી વધી ગઇ છે.

લોકોને તો શું કે ગુજરાતીના સાહેબ છે, તે એમ સમજે, કે એમને આલંકારિક લખતાં-બોલતાં બહુ આવડે. જેમ કે, પડોશી પોતાની દીકરીનાં લગ્નની કંકોત્રીનો ડ્રાફ્ટ એની પાસે કરાવે. નવરાત્રના ગરબા-કાર્યક્રમનો ઍન્કર સોસાયટીવાળા એને બનાવે. ઘરેલુ ચર્ચામાં દલીલો એની વખણાય. વિદ્યાર્થીઓ પણ એમ જ માને છે કે આપણા સાહેબ ઍચોડી છે, ગુજરાતીના ખાંટુ છે. યુનિવર્સિટી પણ એમ જ માને કે પ્રૉફેસર છે, આપણા જ નીમેલા, સર્વથા સજ્જ છે.

ટૂંકમાં, એકેય કારણ એવું નથી કે આ ચતુર્વિધ નિપુણતા માટે અધ્યાપકે વિશિષ્ટ પુરુષાર્થ કરવો પડે.

અભ્યાસક્રમોમાં એ માટેનાં કમ્પલઝન્સ નથી. વિદ્યાર્થીઓએ પણ સાહેબને સાંભળવા સિવાયનું કંઈ પણ કરવું જ પડે એવું ખાસ નથી. એકીટશે જોતા શાન્ત શ્રોતા બની ગયા હોય છે.

વરસોથી માન્યતા ચાલે છે કે બધાં સાહિત્યિક સૂઝબૂઝવાળાં વયસ્ક ‘કૉલેજિયનો’ છે. કૉલેજ પૂરી થાય ત્યાં લગી બેસવાનો અધ્યાપકો માટે હવે કડક નિયમ કરાયો છે. પણ વિદ્યાર્થીઓની હાજરી બાબતે વરસોથી આંખમીંચામણાં ચાલે છે. ગુલ્લી મારે ! કૉલેજ આવે જ નહીં ! એ ભૂતિયાંઓને બિલકુલ ચલાવી લેવાય છે. આચાર્યો જ કહેતા હોય – નથી આવતા, શું કરીએ.

મને રમૂજ થાય કે અરે યાર, પૈણનારો મૂરતિયો જ જો હાથમાં નથી રહેતો તો ફલાણી ને ઢીંકણી આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજ – નામના મોટા મોટા માંડવા ઊભા કર્યા છે તે શેને માટે? કયા હેતુની સિદ્ધિ માટે આ ગેરરીતિને ચલાવી લેવાની? વિદ્યાર્થી તો સિસ્ટમનો બેઝિક યુનિટ છે. એમાં ગેરહાજરી સીરિયસ ડીફૉલ્ટ કહેવાય. કહેવાય કે નહીં?

હું સર્વસામાન્ય પરિસ્થિતિની એટલી જ સર્વસામાન્ય વાત કરી રહ્યો છું. બાકી, ચિત્રમાં ઊજળા રંગ નથી એમ નથી. વ્યાકરણશુદ્ધ બોલી શકતા પ્રભાવક વ્યાખ્યાતા; સારા લેખક, અવલોકનકાર, સમીક્ષક; નવું વિચારવા પ્રેરે એવા પ્રશ્નકાર; ગુજરાતી, ભારતીય અને વિશ્વ-સાહિત્યમાં દિલચસ્પીથી હરફર કરતા વાચક; નથી એમ નથી, જરૂર છે. નામો આપી શકું. સંખ્યા નાની છે, પણ છે.

જો કે નામો આપીને મારે દીવાલ નથી ઊભી કરવી. મૂળે મને અમુક થોડાંકની નહીં પણ સૌની કારકિર્દીમાં રસ છે.

સરવાળે તો મારે એમ કહેવું છે કે વ્યાખ્યાન અને લેખન કલા છે; ચર્ચા વિદ્યાનન્દ છે; વાચન વિદ્યાવ્યાસંગ છે. એટલે કે, આ નિપુણતાઓને ચાલો આપણે સર્જકતા સાથે જોડીએ.

= = =

(January 13, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

13 January 2022 admin
← આજના સંબંધો લાગણીના નહીં, પણ માગણીના છે
પતંગ ગમે એટલો ઊંચે ચગે, ચગાવનારે ચગી જવાનું નથી … →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved