Opinion Magazine
Number of visits: 9449163
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મારી ખીર શરૂ કરાવી દે’

મહાવીર ત્યાગી|Opinion - Opinion|12 December 2020

સને 1938માં દહેરાદૂન જિલ્લાની જમીનોની સરકાર તરફથી તપાસ શરૂ થઈ હતી. પહેલાં મેં આવો બંદોબસ્ત થતો જોયો ન હતો. એટલે મારે માટે એ વાત નવી હતી. એમાં આખા જિલ્લાની જમીનનાં માપ લેવાય. પછી દરેક ગામના ખેડૂતો અને જમીનદારો ઉપર નોટિસ નીકળે. એમાં જણાવવામાં આવે છે કે, તમારા ખાતામાં અમુક અમુક નંબરો છે. એ જમીન ‘મૌરૂસી’ (વારસાગત) છે કે ‘શિકમી’ (સાંથે), ‘સૂફી’ (ચોમાસુ) છે કે ‘પીત’ની, એ જમીન ઉપર મહેસૂલ કેટલું છે અને કેટલા દિવસથી તમારો કબજો છે તે જણાવો. બધાં જ ગામના ખેડૂતોએ વહિવટી ખાતાની કચેરીએ પહોંચી બધી વાતની સચ્ચાઈની ખાતરી કરાવી સહી – અંગૂઠા કરવા પડતા.

ઓચિન્તો મને વિચાર આવ્યો કે લાંચરૂશ્વત અટકાવવી હોય અને સાથે ખેડૂતોને ય મદદ કરવી હોય તો આથી વધારે સારો અવસર જિન્દગીભર ફરી નથી મળવાનો. થઈ રહ્યું. મેં ઘોષણા કરી દીધી કે, ગામેગામના ખેડૂતો પગે ચાલતા સરઘસ કાઢીને દહેરાદૂન આવે અને મારા ‘રૈનબસેરા’ (મારા ઘરનું નામઃ ‘રાતવાસો’)માં મુકામ કરે. ખાવાપીવાની સગવડ પણ ત્યાં હશે અને કાયદાકાનૂનની સલાહ પણ ત્યાં મફત મળશે. પછી તો શું? દિવસમાં કેટલાં ય સરઘસો ગીતો ગાતાં અને ‘જય’ પોકારતાં ‘રેનબસેરા’માં આવવાં લાગ્યાં. ગાંધીજીની જય દસ વાર બોલે તો મારી પણ બે વાર બોલે! રોજ બસોત્રણસો માણસ આવે, વિશ્રામ કરે અને રાતે સૌ ફરિયાદ સંભળાવે. બીજા દિવસના સવારે દસ વાગતાં સુધીમાં તમામ અરજીઓ તૈયાર થઈ જતી. પછી એ કાફલો સરઘસના રૂપમાં મારી સાથે કચેરીએ પહોંચતો. હું અને કોન્ગ્રેસના મારા સાથીદારો આખો દિવસ કચેરીમાં ચોંટી રહેતા. ત્રીજો પહોર થાય એટલે લંગર (રસોડું) ખોલવામાં આવતું. બધા માણસો દાળ–ભાત, ચટણી અને છોલ્યા વગરનાં બટાકા–ટામેટાંનું શાક ખાઈને પાછા ચાલ્યા જતા.

જનસેવાનાં કામમાં મને એક વિચિત્ર અનુભવ થયો છે. જો કોઈ વ્યક્તિ તન્મય થઈને સેવાકાર્યમાં લાગી જાય અને પોતાને લુંટાઈ જવા દે તો લોકો એને લુંટાવા દેતા નથી. એના પર લટ્ટુ થઈ જાય છે. માત્ર આઠ દિવસ મારા દાળ–ચોખા ખાધા પછી ખેડૂતોમાં એવી હવા ફેલાઈ ગઈ કે જે આવે તે તેની સાથે લોટ, દાળ કે ચોખાની પોટલી બાંધતો આવે. કોઈ કોઈ વાર તો ગુણની ગુણ ભરીને લેતા આવે. શી વાત! સીધું ભરપૂર મળી રહેતું. એમાંથી એકલું ખાવાનું જ નહીં; પેલા મુનશીઓનો પગાર અને વકીલોની ફી પણ નીકળી જતાં. આ કામ છ મહિના સુધી રોજ ચાલ્યું.

જ્યારે કોઈને કામ ઘણું રહેતું હોય ને એ સમયે એની પત્ની (નામ : શર્મદા) મરી જાય ત્યારે એણે, સતત રમૂજ કરતા રહેવાની પોતાની ભૂખ પણ, એણે પોતે ઉપાડેલા કામ કરતાં કરતાં જ સંતોષવી પડે છે. જ્યારે કોઈ ખેડૂત પોતાની વાત કહેવા મારી સામે ઊભો રહેતો ત્યારે હું એને કહેતો, ‘પહેલાં નક્કી કરો કે તમારું કામ થઈ જાય, ત્યારે મને થાળી ભરીને ખીર ખવડાવશો?’ આખી સભા હસી ઊઠતી. એ જવાબ આપે, ‘ખીર તમનેયે ખરી ને તમારા કૂતરાને ય ખરી.’ જો કોઈ ખીરની વાત ભૂલી જાય તો હું એને ધમકાવતો –‘તમારી વાત તો કહેતા જાઓ છો, ને મારી વાત તો ભૂલી જવાની, એમ ને? માળા, કંજૂસ!’ બધા લોકો એકબીજા તરફ આંખ મારતા ને હસતા. આ રીતે મારી પાસે કંઈ નહીં તોયે હજાર ખીરની થાળીઓનાં વચન પડેલાં છે. આખી જિન્દગી સુધી ખાઉં તો ય ખૂટે તેમ નથી. અને હવે તો રાજકીય વારસાનો રિવાજ પડ્યો છે એટલે મારા પછી મારા છોકરાંને ખીર ખાવાનો હક રહેવાનો. આ ખીરવાળા મારા સાથી ખેડૂતો જ મને મત આપીને પાર્લામેન્ટમાં મોકલે છે.

જમીનોનું કામ પૂરું થયું એટલે વ્યક્તિગત સત્યાગ્રહ કરવાનો આવ્યો, એમાં જેલની સજા થઈ. એકાદ વરસ પછી છુટ્યો કે પાછો જેલમાં ગયો. આ અમારો છેલ્લો જેલવાસ હતો. બે વરસ પછી પાછો ફર્યો ત્યારે ‘રેન બસેરા’માં ભાડૂતો રહેતા હતા. માત્ર મોટરનું ગૅરેજ અને ઘાસ ભરવાની ઓરડી ખાલી હતી. આવડું મોટું ઘર અને હું તો એકલો! સામાન ઘાસમાં મુકાવી હું આમથી તેમ ફરવા લાગ્યો. મન જ્યારે વર્તમાનને ભૂલીને ભૂતકાળના કોઈ પ્રસંગમાં અથવા ભવિષ્યનાં કોઈ સ્વપ્ન કે કલ્પનામાં ડૂબી જાય છે, ત્યારે આ શરીર પણ મનની આજ્ઞા લીધા વગર શાસનમુક્ત થઈને જૂના સ્વભાવ ને ટેવ અનુસાર કામ કરવા માંડે છે.

સામે કાંટાળા તારની વાડ હતી. તેમાં થઈને હું પેલી પાર પહોંચ્યો. અંદર ફૂલવાડી બનાવી હતી. એક બાજું જંગલી ગુલાબનું ઝૂંડ હતું ત્યાં પહોંચ્યો. એના પર નાનાં નાનાં ગુલાબો ભરચક ખીલ્યાં હતાં. ફૂલોની વેરાયેલી પાંખડીઓ એમની અનાથ અવસ્થા જણાવતી હતી. એમાંથી એક ફૂલ તોડીને મેં સુઘ્યું તો શર્મદાના અંબોડાની મહેક આવી ગઈ. જ્યારે શર્મદા યુ.પી. ઍસેમ્બલીની મૅમ્બર હતી ત્યારે તેણે આ ગુલાબની કલમ ગવર્નરની મડમ પાસથી આણી હતી. કહેવાય છે કે એ ગુલાબને વિલાયતના કોઈ પ્રદર્શનમાં ઈનામ મળ્યું હતું. અસલમાં આ શર્મદાએ વાવેલો છોડ હતો. એ વધ્યો તેમ તેમ અમે પતિપત્ની એની નવી કૂંપળો, પાંદડાં અને કળીઓ જોયા કરતાં હતાં. શર્મદા એનાં ફૂલો પોતાના અંબોડામાં નાખતી હતી. મારા પગને આ તરફ આવવાની ટેવ પડેલી તે અહીં લઈ આવ્યા. એક ફૂલ સુંઘતાં જ એવું લાગ્યું કે આ ફૂલમાં કોઈનો આત્મા વસેલો છે. અને એકદમ મારા આખા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. હું લાગલો જ ઉર્દૂનો શેર બોલી ગયો. એનો અર્થ મારા સિવાય બીજો કોઈ સમજી શકવાનો નથી.

અપને ચમનમેં ઘુમતા હું, મિસ્લે અજનબી,
હૈ શાખો-શજર સબ વહીં; પર આશયાં નહીં.

દુનિયામાં ધીરજ પણ એક એવી ચીજ છે, જેનો સહારો લઈને સંસારમાં જેમને દુઃખ પડ્યાં હોય તે બધાં એમનાં દુખી દિલને દિલાસો આપે છે. આમ તો આંસુઓથી જીવની જ્વાળા હોલવાતી નથી; છતાંયે જરાક ઠંડક તો મળે છે. એ વખતે જે જે વાતોથી બીજાનું દિલ દુભવ્યું હોય તે તે યાદ આવે છે. પણ પંખી ઊડી ગયા પછી પશ્ચાત્તાપ કર્યો તોયે શું! મરેલાં પાછાં આવી શકે એ સંભવિત હોત તો દુનિયાનો રંગ જ જુદો હોત.

પત્નીવાળાઓને મારી સલાહ છે કે : જે કરવું હોય તે કરે; પણ રાતે પત્ની દૂધનો પ્યાલો આપે તો એને પથ્થર પર પછાડશો નહીં. એમ ન કહેશો કે તેં નથી પીધું તો હું પણ નહીં પીઉં. જો વળી પત્ની મરી ગઈ તો એના દિલનો ડાઘ પેલા પ્યાલા પર મૂકતી જશે. એ પ્યાલાને પછી નથી ફેંકી દેવાતો કે નથી એમાં દૂધ પીવાતું મારા બધા જ પ્યાલાંઓ ઉપર એવી મહોબતના ડાઘ છે.

હું બહારની ઓરડીમાં રહેવા લાગ્યો. એમાં સૂવા માટે એક ખાટલો, એમાં જ મારી ઑફિસનું ટેબલ, એમાં જ રેડિયો અને એમાં જ ચાનાં વાસણ. અહીં જ કલેક્ટર ને કમિશ્નર ને ગ્રામનિવાસીઓ આવતા હતા અને ખાટલા પર બેસી વાતો કરતા.

એક દિવસ દેહરાદૂનથી વીસેક ગાઉ દૂર ઢકરાની ગામના બે મુસલમાનો મારી ઓરડી તરફ આવતા હતા. સામે ચક પડ્યો હતો તે જોઈને અટકી ગયા. મેં અંદરથી એમને ઓળખી લીધા અને મોટેથી કહ્યું, ‘‘આવો મખમુલ્લા, અંદર ચાલ્યા આવો.’’ એમણે એકબીજા તરફ જોયું ને જરી વારમાં મખમુલ્લાની આંખમાંથી આંસુની ધારા ઢળતી ઢળતી દાઢીમાંથી ચુવા લાગી. મને થયું કે એમને ઘરે કશીક દુઃખદ ઘટના ઘટી હોવી જોઈએ. જેમને કોઈ કષ્ટ આવી પડતું તે મારે ઘરે આવી મન હળવું કરી લેતા. મખમુલ્લાને રોતા જોઈ ચકનો પડદો ઊઠાવી હું બહાર આવ્યો અને એમના ખભે હાથ મૂકી મેં પ્રેમથી પૂછ્યું, ‘કહો શી વાત છે? ઘરે બધા ખુશીમઝામાં છે?’ આંસુ લૂછી એણે જરા હસીને કહ્યું, ‘કોઈ ખાસ વાત નથી. તેં મારું નામ લઈને મને બોલાવ્યો તેથી મને રડવું આવી ગયું.’ અંદર આવી મખમુલ્લા અને તેના ભાઈ બન્ને પગ સાફ કરી ખાટલા ઉપર બેઠા. હું સામે ખુરસી ઉપર બેઠો હતો. મેજ ઉપર વીસ કે પચીસ રૂપિયા મૂકી મખમુલ્લાએ કહ્યું, ‘જેલમાંથી છૂટીને તું આવ્યો છે, કોણ જાણે તારી પાસે ખાવાનું ય હશે કે નહીં.’ જમીનની આકારણી થઈ તે દિવસોમાં ખેડૂતો વિવિધ પ્રકારની ચીજો મને ભેટ આપતા હતા. એક વખત ગામના એક માણસે નશો કરેલો, તેની ગંધ મને આઘેથી આવતી હતી. એણે ભરી સભામાં કાચા દારૂનો શીશો મારા હાથમાં ઠસાવી દીધો અને કહ્યું, ‘ગાંધી માર્કાની છે. થોડી થોડી પીજે.’ મેં મખમુલ્લાના રૂપિયા રાખી લીધા અને પૂછ્યું, ‘ઘરે બધા મઝામાં છે?’ એણે કહ્યું, ‘ખુદાની મહેર છે. બધા મોજ કરે છે અને તને દુઆ દે છે. આકારણી થઈ ત્યારે તેં મહેસૂલ ઓછું કરાવી આપ્યું હતું. તું તો જેલમાં જતો રહ્યો. એ પછી પરવર દિગારની એવી બરકત થઈ કે બસ પૂછો જ નહીં. એક તરફ જર્મન લોકોની લડાઈ શરૂ થઈ અને બાસમતીના ભાવ પિસ્તાળીસ રૂપિયા સુધી ચડી ગયા. મજૂરોએ મજૂરીનો રોજનો સવા રૂપિયો કરી દીધો. બસ, મેં, મારા છોકરા, છોકરાની વહુઓ અને છોકરીઓના જમાઈઓ એ બધાંને કામમાં જોડી દીધાં. ખેતરોમાં બાસમતી ચોખા રોપી દીધા. એક જ ફસલમાં મારું કરજ પણ ઊતરી ગયું અને બે ભેંસ પણ ખરીદી લાવ્યો. બેચાર દિવસ તો બળી ખાધી. પછી જ્યારે દૂધ ફાટવાનું બંધ થયું ત્યારે છોકરાની વહુએ ખીર બનાવી. થાળીમાંથી બે કોળિયા ખાધા હશે ને અચાનક મને તું સાંભર્યો. યા અલ્લા ! જેણે ખીર ખવરાવી તે તો જેલમાં પડ્યો છે અને તું ખીર ખાય છે? બસ, ત્રીજો કોળિયો મોંમાં ના પેઠો. તે દી’ની ઘડી ને આજનો દી’ – ત્રણ વરસ થઈ ગયાં. તારા ખેદમાં મારે ઘેર ખીર નથી બની. હવે તું ચાલ, મારી ખીર શરૂ કરાવી દે.’

મખમુલ્લાની વાત યાદ કરીને મને આજે પણ એમ લાગે છે કે જનસેવાનું આથી ઊંચું પ્રમાણપત્ર મને આજ સુધી મળ્યું નથી ને હવે પછી મળશે પણ નહીં. ખરો ‘ગાંધી માર્કો’ તો આ હતો. એના નશાના અમે બંધાણી હતા. હવે તો મોસમ બદલાઈ ગઈ છે. સેવા અને શાસન બન્ને નશા એક સાથે નથી કરી શકાતા. જો સેવા મુખ્ય હોય તો શાસન પણ સારી રીતે  ચાલે; પણ જ્યારે શાસન ઊંચે અને સેવા નીચે – એવું થઈ જાય છે ત્યારે દેશની સલામતી નથી. આ ચોપડી છપાય તે પહેલાં મારા મિત્ર મખમુલ્લાનો ફોટો લેવા હું ઢકરાની ગયો હતો. પણ તેમનો તો દેહાંત થઈ ગયો હતો. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે.

•••••••••

અને છેલ્લે …

પં. મોતીલાલ નેહરુને પોતાને હાથે શાકભાજી બનાવવાનો ને કડક ચા તૈયાર કરવાનો ભારે શોખ હતો. સને 1921ની વાત છે. લખનૌ જેલની દિવાની બૅરેકમાં અમને રાખવામાં આવ્યા હતા. ત્યારે એમનાં શાકભાજી હું સુધારી આપતો હતો. એક વાર એમણે બટાકાની સૂકી ભાજી બનાવી હતી. હું કોઈ બીજી બૅરેકમાં ગપ્પાં હાંકવા ચાલ્યો ગયો હતો. પાછા આવીને મેં પૂછ્યું, ‘ભાજી ઠંડી પડી ગઈ છે, ભાઈજી, તમે કેમ ખાધી નહીં?’ એમણે કહ્યું, ‘કેવા ઉમંગથી બનાવ્યું છે! પણ તું જતો રહ્યો તડાકા હાંકવા. હું શું એકલો એકલો ખાઉં?’ સુખની ખરી મઝા તો સહિયારી રીતે માણવામાં છે. આ જ નિયમ દુઃખને પણ લાગુ પડે છે. હસવા માટે કોઈ સાથીદારની જરૂર પડે છે; તેમ રડવાનું પણ પોતાના ગણાય એવા માણસોની વચમાં હોય તો જ ફાવે.

આજકાલ સંસાર વ્યાપારપ્રિય થતો જાય છે. આથી પ્રેમ પણ એક ધંધાદારી વસ્તુ બની ગઈ છે. બધું જોઈ વિચારીને જ પ્રેમ કરવામાં આવે છે; અને ઘીમાં લોકો જેમ ડાલ્ડા ભેળવે છે તેમ પ્રેમમાં ખુશામત ભેળવે છે. પોતે તો કોઈના પર પ્રેમ કરતા નથી; છતાં બીજા એમના પર આશક થઈ જાય એમ ઈચ્છે છે.

‘સ્વરાજની લડતના તે દિવસો’ પુસ્તિકાની લેખકે લખેલી ‘પ્રસ્તાવના’ના અંશો ..

લખાયા તારીખ 31-12-1962; ‘રૈનબસેરા’ – દેહરાદુન

લેખકના ‘સ્વરાજની લડતના તે દિવસો’ પુસ્તક (પ્રકાશક–‘સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય’, ભદ્ર, અમદાવાદ–380 001 ચોથી આવૃત્તિ – 2001 પૃષ્ઠસંખ્યા –1 32 મૂલ્ય – રૂપિયા વીસ)ના પાન ક્રમાંક 62થી 71 પરથી–થોડું ટૂંકાવીને સાભાર.

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ પાંચમું – અંકઃ 181 –December 20, 2009

Loading

12 December 2020 admin
← સાહેબની વિદાય
માણસ તરીકેની સંવેદના વિકસાવીએ તો ખેડૂતોની પીડા સમજાશે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved