Opinion Magazine
Number of visits: 9736330
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારે મોગલ ને ફુલાય પિંજારા 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 March 2026

રવીન્દ્ર પારેખ

આ કહેવતનો સાદો અર્થ કામ કોઈ કરે ને જશ બીજો ખાટે એવો છે. આ યાદ આવવાનું એટલે બન્યું કે આજકાલ વોટ્સએપ યુનિવર્સિટીમાં મેસેજનો એટલો મારો થાય છે કે ઘણાં મેસેજ તો જોવાતા જ નથી. એમાં કામના કેટલાક મેસેજ રહી જાય તો અફસોસ પણ થાય છે. મોટે ભાગના મેસેજો ફોરવર્ડ થયેલા જ હોય છે. એક કાળે માતાજીના, ભગવાનના પોસ્ટકાર્ડ લાલ શાહીથી લખાતા ને તેમાં માતાજીના પરચાની વાત કરીને એવા બીજા દસ પોસ્ટકાર્ડ લખવાનું કહેવામાં આવતું અને કેવો લાભ થશે કે પોસ્ટકાર્ડ ન લખવાથી કોનું કેટલું નુકસાન થયેલું તેની વિગતો પણ અપાતી. આમ કરવાથી શાહીના, પોસ્ટકાર્ડના ખર્ચ સિવાય કેટલો લાભ કે ગેરલાભ થતો તે તો લખનાર કે મોકલનાર જ કહી શકે. 

એ જ પદ્ધતિ વોટ્સએપમા વપરાય છે. એમાં પણ અમુક મેસેજ, દસ જણને મોકલો તેવો આદેશ અપાય છે ને તે મોકલવામાં લાભ અને ન મોકલવામાં ગેરલાભની વિગતો પણ અપાય છે. આ મેસેજ ધમકી જેવો જ હોય છે. આમ કરવાથી આમ થશે ને ન કરવાથી નુકસાન થશે એવી વિગત ચેતવણીના સૂરમાં અપાતી હોય છે. કેટલાંક ડરીને, મેસેજ દસ જણાને ફોરવર્ડ કરે છે, તો કેટલાંક તેને અવગણતા પણ હોય છે. એવા મેસેજ ધાર્મિક જ હોય એવું જરૂરી નથી, તે ધર્મકારણ ઉપરાંત રાજકારણના, સમાજકારણના પણ હોઈ શકે છે. કમાલ તો એ છે કે મેસેજ મોકલનાર પોતાની ચાર લીટી લખવા સક્ષમ નથી હોતો, પણ તે બીજાના આવેલા મેસેજ ફોરવર્ડ કરવામાં ધન્યતા અનુભવે છે. અગાઉ કરતાં આજે ફરક એ પડ્યો છે કે દસ પોસ્ટકાર્ડનું સ્થાન હવે દસ પંદર ગ્રૂપોએ લઈ લીધું છે, જેની સભ્ય સંખ્યા સેંકડો- હજારોમાં હોય છે.

સુધારો તો એ પણ થયો છે કે મેસેજ હવે અંગ્રેજી, હિન્દી કે ગુજરાતીમાં ફોરવર્ડ થાય છે. મેસેજ મોકલનારે તો મેસેજ મોકલ્યો જ હોય છે, પણ તેને ફોરવર્ડ કરનાર, આટલાને ફોરવર્ડ કર્યા એ વાતે એમ જ ફુલાતો ફરતો હોય છે. મારે મોગલ ને ફુલાય પિંજારા, બીજું શું? હવે પિંજારાને બદલે કોઈ પિંઢારા મૂકે તો ય બહુ ફરક પડતો નથી.

મીડિયામાં જે કોમેન્ટ્સ આવતી હોય છે તે એક જુદી જ ખુમારી કે ખુવારી દર્શાવે છે. કેટલાં ય દૃશ્યો – રીલ્સ – જૂની કુટુંબપ્રથાનો મહિમા કરતાં ઊતરે છે, પણ એમાં મૌલિકતા ઓછી હોય છે, ઘણીવાર તો જૂની ફિલ્મોનાં દૃશ્યોની સાથે, જે મેટર મુકાય છે, તે ભાગ્યે જ મૌલિક હોય છે ને એને લાઈક કરનારા, અંગૂઠા મારનારા કે કોમેન્ટ્સ કરનારા પણ મૌલિક નથી હોતાં. ઘણાં તો અંગૂઠા મારીને રાજી રહે છે. કેટલીક રીલ ખરેખર ક્રિએટિવ હોય છે, પણ એવું બહુ ઓછું બનતું હોય છે. ઘણાં કોઈની કવિતા કે લેખ એટલાં આત્મસાત કરી લે છે કે મૂળ લેખક કે કવિને સ્થાને પોતાનું નામ દૈવી સિદ્ધિની જેમ મૂકે છે. ઈન્સ્ટાગ્રામ કે ફેસબુક પર કેટલીક રીલ સલાહ સૂચના માટે, ઉપદેશ આપવા કે જાત પ્રચાર માટે મુકાય છે. આમ અરીઠા છાપ હોય, પણ વાતો ને ઉપદેશ એવી સ્ટાઈલથી કરે કે કોઈ સંત કે જ્ઞાની ફિક્કા લાગે. સલાહ આપવાનો અત્યારે વાવર ચાલે છે. એ મીડિયામાં ને ખાસ કરીને અખબારોમાં વધારે વકરેલો છે. કેટલાંક અખબારો તો વાચકોને ધમકાવવાનું જ કરે છે. દૂધ સંપૂર્ણ ખોરાક છે, એવું ભણેલો ડોસો વાંચે કે દૂધ હાનિકારક છે, તો તેને પસ્તાવો થાય કે આટલાં વર્ષો પાણીમાં ગયાં ! એટલાં બધાં મૂલ્યોની પથારી ફરી ગઈ છે કે સાચું, ખોટું થઇ ગયું છે ને ખોટું, સાચું લાગવા માંડ્યું છે. એમ લાગે છે કે જે આવે છે, તે કોઈકનું કરી નાખવા જ આવે છે. એટલાં દુષ્કર્મો, છેતરપિંડી ને ભ્રષ્ટાચાર ચાલે છે કે ક્યાં ય સંવેદનોને સ્થાન જ નથી. ક્યાંક થોડું સારું થતું પણ હશે, પણ મોટે ભાગે તો સૌ એકબીજાને વધેરી નાંખવાનું જ ગૌરવ લેતાં હોય છે. છૂટાછેડા, હત્યા ને આત્મહત્યાનું પ્રમાણ એવું ઘનઘોર છે કે પ્રાયશ્ચિત કરવાનો સમય પણ કોઈ કાઢવા નથી માંગતું. 

અખબારોમાં તાટસ્થ્ય પણ ઘટતું આવે છે. કેટલાંક અખબારો શાસકપક્ષની તરફેણમાં લખે છે, તો કેટલાંક વિપક્ષની આરતી ઉતારે છે. એમાં સમાચારોમાં પણ મોચમરોડ આવે છે, પરિણામે વાચકોને સાચું ચિત્ર જોવા નથી મળતું, ખાસ કરીને ભારતીય રાજકારણનું. અમુકતમુકની ફેવર કરવામાં કે અમુકતમુકની ટીકા કરવામાં જનતા એ નક્કી જ નથી કરી શકતી કે સાચું શું છે? અત્યારે ગેસની, પેટ્રોલ, ડિઝલની  કટોકટી ઊભી થઈ છે, એમાં બે સ્પષ્ટ મત પ્રગટ થતા રહે છે. એક કહે છે કે પેટ્રોલ, ગેસની તંગી નથી, પૂરતી માત્રામાં છે બધું. બીજો મત એવો છે કે ગેસ, પેટ્રોલની તંગી છે. એ મત એટલે સાચો લાગે છે કે પંપ પર લાંબી લાઈનો પેટ્રોલ, ડિઝલ માટે લાગે છે, લોકોએ રાંધણ ગેસના બાટલા માટે કલાકો તપવું પડ્યું છે. 

અફવાઓને કારણે લોકો ધસારો કરે છે એ સાચું, પણ અફવા સાવ પાયા વગરની નથી હોતી. રોજ અફવા નથી ફેલાતી, તે તંગીમાં જ ફેલાય છે, એનો અર્થ એ થયો કે કંઈક તો ખૂટે છે, નહીં તો અફવા ફેલાય જ કેમ? વડા પ્રધાન પોતે સંસદમાં પશ્ચિમ એશિયાઈ દેશોમાં યુદ્ધની વ્યાપક અસરો વર્તાઈ રહ્યાનું કહેતા હોય કે ગેસ, ડિઝલ,પેટ્રોલ અને ફર્ટિલાઈઝર્સની અછતનું સ્વીકારતા હોય કે યુદ્ધને લીધે ભારત પણ ગંભીર ઊર્જા સંકટનો સામનો કરી રહ્યાનું કબૂલતા હોય કે યુદ્ધથી ભારતના વેપારના માર્ગો પ્રભાવિત થઇ રહ્યાનું જાહેર કરતા હોય, તો મીડિયા સબ સલામતની ઘંટી કઈ રીતે વગાડી શકે? મીડિયાને આવી ભાટાઈ ન પરવડવી જોઈએ. હકીકત જાહેર કરવા કરતાં સંતાડવાનું વધારે ઘાતક છે ને કમ સે કમ પ્રિન્ટ મીડીયાએ તેનાથી બચવું જોઈએ.

અત્યારે યુદ્ધનો માહોલ છે ને ઘણાં વિશ્વ યુદ્ધ સુધીની આગાહી કરી રહ્યા છે, એ સંજોગોમાં સમાચાર માધ્યમોએ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ. સમાચાર સંતાડવાના નથી, પણ તેમાં મરચું-મીઠું ભભરાવીને તેને પરાણે રોચક બનાવવાના પ્રયત્નો પણ ઠીક નથી. યુદ્ધખોર દેશોને તો બહુ ફરક પડતો નથી, પણ સાધારણ નાગરિકો જે ટેન્શન અનુભવે છે તેની પ્રતિક્રિયાઓ ઘણી રીતે જોખમી નીવડી શકે એમ છે. એક જ સમાચાર ઈરાન અને ઇઝરાયલના જોઈએ. 6 માર્ચના ઈરાનને લગતા સમાચાર કૈંક આવા છે : યુદ્ધ જહાજ પર હુમલાના જવાબમાં ઈરાને અમેરિકાના ઓઈલ ટેન્કરનો સફાયો કર્યો. 9 માર્ચના એક અખબારમાં એક સમાચાર આમ પ્રગટ થયા છે: ઈરાનના ઓઈલ ડેપો તબાહ: તેલનો વરસાદ: જ્વાળાઓમાં ઘેરાયું તહેરાન – ઇઝરાયલે લેબેનોનમાં ટોક્સિક બોમ્બ ફેંક્યા, તહેરાનમાં ધુમાડો જ ધુમાડો ! એક તરફ ઈરાને કરેલા હુમલાની વાત કે ઇઝરાયલના હુમલાની વાત ચાલ્યા જ કરે છે. સમાચાર આપવા જ જોઈએ એની ના જ નથી, પણ સામસામે હુમલાઓની વિગતો ઉશ્કેરણી કરવાની રીતે અપાય તો તે ઠીક નથી. આપણે તો યુદ્ધને કિનારેથી જોઈએ છીએ, પણ જે દેશો એ ભોગવે છે ને ત્યાંના સામાન્ય નાગરિકોનો જીવ તાળવે ચોંટે છે તે કદી પણ પરસ્પર બે દેશોને ઉશ્કેરતા સમાચારોથી રાજી નહીં જ થાય. આ બધું ‘શકટનો ભાર જ્યમ શ્વાન તાણે’ની જેમ ચાલ્યા કરતું હોય છે. લડનારા લડે ને છાપનારા ચટખારા લઈને છાપે એ બરાબર નથી. મારે મોગલ ને ફુલાય પિંજારા – જેવું ન થવું જોઈએ.  

આ ને આવા ઘણાં સમાચારો વિવેક બાજુ પર મૂકીને અપાય છે. એવા તો ઘણાં સમાચારો, ધરતીકંપના, આરોગ્યના, રાજકારણના, સમાજજીવનના એવી રીતે છપાય છે કે તે વાચકને સમભાવથી લેતા નથી તેની ચાડી ખાય છે. કેટલાક સમાચારો તો રીતસર ધમકી, લાલચ, ચેતવણીની રીતે જ અપાય છે. કટોકટીનો સમય છે તો ગમે ત્યારે લોકડાઉન લાગુ પડે એમ છે, તો ચીજ વસ્તુઓનો સ્ટોક કરી રાખો. અમુક તારીખે અમુક ઝડપે પવન ફૂંકાશે ને ભારે વરસાદ થશે-ની વિગતો સલામતીની રીતે ન અપાતી હોય ને ડરાવવા કે ચેતવણીની રીતે અપાય તો પણ, સામાન્ય જનની હાલત કફોડી થતી હોય છે. 

કોણ જાણે કેમ પણ અખબારો રોગની માહિતી આપે છે એટલી, ઉપચારની આપતાં નથી. એ કદાચ તેમના અખબારી ધર્મમાં નહિ આવતું હોય, તેથી કે તે તેમની જવાબદારી જ ન હોય એટલે, તે ખબર નથી …. 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 માર્ચ 2026

Loading

27 March 2026 Vipool Kalyani
← અસત્યના પ્રયોગો  

Search by

Opinion

  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved