Opinion Magazine
Number of visits: 9448695
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારા વિવેચનની તળભૂમિ અને પ્રવાસભૂમિ

ધીરેન્દ્ર મહેતા|Opinion - Literature|17 December 2021

આ કાર્યક્રમ મારી દૃષ્ટિએ અનેક રીતે વિશિષ્ટ છે. પહેલી વાત એ કે આપણે માટે પ્રમાણમાં નવીન કહી શકાય એવું માધ્યમ યોજીને એણે એક માયાલોક ઊભો કર્યો છે. માયાલોક એ રીતે કે એમાં જે છે એ નથી અને નથી તે છે; એવી જ રીતે જે નજીક છે, તે દૂર છે અને દૂર છે, તે નજીક છે; એવો આ અજાયબ ખેલ છે. કલાના જગતમાં જેને ‘મેઈક બિલિવ’ કહે છે એવું કંઈક.

બીજું, જે શહેર સુરતથી આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન થઈ રહ્યું છે, એ સુરત શહેર સાથે મારે જે સંબંધ રહ્યો છે, તે મારી સ્મૃતિને આ ક્ષણે આકર્ષે છે. કેટકેટલા અને કેવાકેવા સારસ્વત વડીલો અને મિત્રોએ મને એની સાથે એક યા બીજી રીતે જોડી રાખ્યો છે : નંદશંકર અમારા કચ્છરાજ્યના દીવાન હતા. જ્યોતીન્દ્ર દવે માંડવી કૉલેજમાં આચાર્ય હતા ત્યારે અવારનવાર એમનું સાંનિધ્ય મને સાંપડ્યું હતું. મારા વિદ્યાગુરુ અને વિવેચન ક્ષેત્રે મારું ઘડતર કરનાર યશવન્ત શુક્લનું ઘડતર અહીં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની નિશ્રામાં થયું હતું. એ હકીકત ધ્યાનમાં લઉં છું કે તરત એ પ્રસંગ પણ યાદ આવે છે કે ‘મૈત્રી’ નિવાસના આંગણે ‘દ્રુમપર્ણ’ની ભેટ રૂપે હું એમના શુભાશિષ પામ્યો હતો. એ અવસરે ભગવતીકુમાર શર્મા મારી સાથે હતા, એનું મધુર સ્મરણ પણ થાય છે. ડૉ. રમેશ શુક્લ, હતા તો મારા અધ્યાપક, પરંતુ એ મુરબ્બી હંમેશાં મિત્રભાવને જ આગળ કરતા રહ્યા. એમનું વિદ્યાકાર્ય મોટે ભાગે કચ્છ-સૌરાષ્ટ્રમાં થયું. પરંતુ એમની ભોંય સુરતની જ રહી.

આ ચંદ્રક મને નર્મદ સાહિત્ય સભા આપે છે, એનો મહિમા પણ મારે મન ઓછો નથી. મિત્રો, મને મનમાં-મનમાં એમ થાય છે કે આ ચંદ્રક જાણે મને એ નર્મદ આપી રહ્યો છે, એ નર્મદ જે પોતાના ‘સરસ્વતીમંદિર’ના ‘અડ્ડા’માં, એણે યોજેલો આ શબ્દ આગળ ચલાવીને કહું તો, ‘તકરાર કરવા, વાદવિવાદ અને ચર્ચાવિચારણા’ કરવા સારસ્વત-યોદ્ધાઓને નોતરતો રહેતો હતો અને સુરતના જ નવલરામે આપણને આપેલા વિવેચન-ઓજારની ધાર કાઢતો હતો.

આવા આ ‘ક્યારેક્ટર’ નર્મદના નામની સાથે સાહિત્યના એક બીજા ગંભીર ઉપાસકનું નામ પણ આ ચંદ્રક પર અંકિત થયેલું છે એ છે મોહનલાલ પાર્વતીશંકર દવે. ગઈ સદીના આ પીઢ વિદ્વાને ઈ.સ. ૧૯૦પમાં સંસ્કૃત વિષયમાં એમ.એ. અને ૧૯૦૭માં એલએલ.બી.ની પદવી પ્રાપ્ત કરીને સુરત અને મુંબઈની કૉલેજોમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. તેમની પાસેથી આપણને નિબંધ, વિવેચન, સંપાદન, અનુવાદ અને જીવનચરિત્રનાં પુસ્તકો પ્રાપ્ત થયાં છે. મને જ્યારે એ વાતની જાણ થઈ કે આ ચંદ્રક એમની સ્મૃતિમાં અપાય છે, ત્યારે મારી સમક્ષ અચાનક અતીતનું એક પૃષ્ઠ ઊઘડી ગયું અને ઝબકાર થયો કે મોહનલાલ દવે ‘જીવનપ્રકાશ’ નામનું સામયિક ચલાવતા હતા, એમાં મારાં કાવ્યો પ્રગટ થયાં હતાં. અતીત સાથે વર્તમાનની ક્ષણ ક્યારે કેવી રીતે જોડાઈ જાય છે અને એ અનુભવ કેવો રોમહર્ષક હોય છે!

એક અન્ય કારણસર પણ આ પ્રસંગ મારે માટે અનોખો છે : સર્જનાત્મક સાહિત્યકૃતિઓ માટે અત્યાર સુધી મને નાનાંમોટાં અનેક પારિતોષિક પ્રાપ્ત થયેલાં છે, પરંતુ વિવેચન માટે મને આ પહેલી વાર પોંખવામાં આવી રહ્યો છે અને એ વિજયવાવટો શાસ્ત્રીજીએ ફરકાવ્યો છે, એનો ય સંતોષ હોય. હવે આ નિમિત્તને લઈને થોડી વાત કરું. જો કે, એ સ્પષ્ટતા કરી લઉં કે મારે માટે આ પ્રસંગ મુખ્યત્વે કેફિયતનો નહિ, પ્રતિભાવનો છે, એટલે એ ઢબે જ મેં મારી વાત માંડી છે, તે તમે સૌ જોઈ શક્યા હશો.

વિવેચન માટેના આ ચંદ્રક માટે મારી પસંદગી, અહીં કહેવાયું તેમ, ખાસ કરીને મારા વિવેચનગ્રંથ, ‘કથા, તું બહુરૂપિણી!’–ને લક્ષમાં રાખીને કરવામાં આવી છે. પણ એ તો એક વ્યવસ્થા રૂપે, એમ હું સમજું છું, એટલે હું એ રીતે જ વાત કરું અને વિચારું કે મારે માટે વિવેચન એ શી ચીજ છે.

મારી સમજ પ્રમાણે વિવેચનની આખી પ્રક્રિયા એ સાહિત્યપદાર્થને પામવાની પ્રક્રિયા છે અને વિવેચન એ પ્રક્રિયા દરમિયાનના અનુભવની વાત કરે છે, આ અંગે કશો મતભેદ જોવામાં આવતો નથી, આપણે ત્યાં ‘પ્રતિભાવ’ સંજ્ઞા એ સંદર્ભમાં જ રૂઢ થયેલી છે. સાવ સાદી રીતે આ વાત સમજવી હોય તો કોઈ સામયિકને પોતાની રચના મોકલતી વખતે પણ તેનો રચયિતા સામયિકના તંત્રી-સંપાદકને જણાવતો હોય છે કે ‘પ્રતિભાવ આપશો.’

આપણા પ્રાચીન મીમાંસકો પણ કૃતિને પામવાની પ્રક્રિયા વર્ણવતી વખતે ‘પ્રતિભાવન’ની ચર્ચા કરે છે. મતલબ કે જેને આપણે વિવેચક કહીએ છીએ કે અસલમાં ભાવક છે. આ ભાવકનો એટલો તો મહિમા છે કે સર્જનની પરિણતિ ભાવકના ચિત્તમાં થાય છે, એવી આપણી પ્રતીતિ છે અને આપણે ‘કારયિત્રી પ્રતિભા’ની તોલે ‘ભાવયિત્રી પ્રતિભા’ને મૂકી છે. આ પ્રક્રિયાનું આપણને ભાન નથી હોતું, ત્યારે પણ એ પ્રવર્તમાન તો હોય જ છે. ક્યારથી? મારો અંગત અનુભવ એમ કહે છે કે માને કંઠે હાલરડાં સાંભળ્યાં, ત્યારથી, નહિતર અમુક હાલરડું સાંભળતી વખતે હું એને એમ કેમ કહેત કે આ નહિ પેલું હાલરડું મા. આ ભાવનવ્યાપાર જ તો.’ રુચિ, અરુચિ કે ભિન્ન રુચિ, જેમાં વિવેચને પછીથી પ્રેરેલા કેટલા ય ખ્યાલો, અભિપ્રાયો, વિવાદો, મતભેદોના છેવટના કે છૂટકાના ખુલાસા પડેલા છે. વિવેચકમાં અપેક્ષિત ‘સહૃદયતા’ એના રુચિવિશેષ પર આધારિત છે. કૃતિની સ્વરૂપભિન્નતા પ્રમાણે એને તપાસવાનાં ઓજાર જુદાં હોય, પરંતુ ચાલકબળ તો આ જ.

મારી વિવેચનપ્રવૃત્તિની ચાલનાને તપાસું છું, તો એમાં શિક્ષણે બળ પૂર્યું જણાય છે. કોઈ કવિની છંદની હથોટી જોઉં કે એનો પ્રભાવ પડે, કોઈની અલંકારયોજના ચમત્કૃત કરે, કોઈની પદાવલિ … ઔપચારિક શિક્ષણમાં પ્રસ્તુત ન હોય એવા મુદ્દા ચિત્તમાં ઉપસ્થિત થાય, છેક નાનપણમાં પણ … અને મન પસંદગી-નાપસંદગીમાં પડે. એમ કલાદૃષ્ટિ કેળવાતી ગઈ એ તો ખરું, પરંતુ એક જુદી વાત પણ બની. દૃષ્ટાન્તોની મદદથી હું એ રજૂ કરું ? નાનાલાલ અને મેઘાણી, મારા પિતાજીના પ્રિય કવિ. પિતાજી મોજમાં હોય, ત્યારે એમનાં કાવ્યો લલકારે. એ સાંભળું ત્યારે ‘કોઈનો લાડકવાયો’ ગમે, ‘વીરની વિદાય’ ન ગમે; ‘તલવારનો વારસદાર’ સાંભળું તો પ્રશ્નો થાય. આમ કેમ થતું હતું એનો કોઈ ઉત્તર એ વખતે મારી પાસે નહોતો કે નહોતું એવું કોઈ આસપાસમાં, જેની પાસેથી એનો ઉત્તર મને મળી શકે. આજે વિચારું છું, તો એમ લાગે છે કે મૂલ્યોની અજ્ઞાત સ્વીકૃતિ-અસ્વીકૃતિમાં એનો ઉત્તર પડેલો હોવો જોઈએ. એમ લાગે છે, એ સ્વાધ્યાય અને શિક્ષણનો પ્રતાપ. મારા સાહિત્યવિવેચન અભિગમમાં મૂલ્યદૃષ્ટિએ જગા કરી લીધી, એનાં મૂળ કદાચ ત્યાં સુધી ફેલાયેલાં હોવાં જોઈએ. વિવિધ વાદનો પરિચય થયા પછી અને આધુનિક સાહિત્યના સંપર્કમાં મુકાયા પછી પણ આ મૂળિયાં ઊખડ્યાં નહિ. પીએચ.ડી. માટેના મારા શોધનિબંધનો મુદ્દો ગુજરાતી નવલકથામાં નિરૂપાયેલા નિયમો અને સમકાલીન પરિબળોના સંબંધને લગતો હતો, અને એ પછી ય મેં ગુજરાતી નવલકથામાં જણાયેલા મૂલ્યસંદર્ભોની તપાસ કરતા સ્વાધ્યાયલેખોનો સંચય ‘નિસબત’ નામથી કર્યો-તે બધું જોતાં હું આમ કહેવા પ્રેરાઉં છું.

આપણી વિવેચનપરંપરા સમૃદ્ધ અને સમુજ્જવલ છે, તે ઝાઝે ભાગે તો તપોનિષ્ઠ અધ્યાપકોને લઈને. એમના વારસા રૂપે, અધ્યાપનકાર્ય કરતાં-કરતાં વિવેચન માટે આવશ્યક પરંપરાપરિચય, શાસ્ત્રજ્ઞાન અને શિસ્તજન્ય સજ્જતાની ગડ બેસતી ગઈ.

એક સંયોગની વાત પણ કરું. બી.એ. અને એમ.એ., બન્ને કક્ષાએ મારે નવલકથાસ્વરૂપનો વિશેષ અભ્યાસ કરવાનો આવ્યો હતો – વિશ્વસાહિત્યની કેટલીક ઉત્તમ કૃતિઓના નમૂના સાથે. પછી સહજક્રમે પીએચ.ડી. માટે એ જ સ્વરૂપની સોબતમાં મુકાવાનું થયું. દરમિયાન હું વાર્તા-નવલકથા-લઘુકથા લખતો થયો હતો. કથાવાચનલેખન વખતની મારી મનોદશા વિશે કહું તો કથા વાંચતી વખતે જરૂરી વ્યાવહારિક તાટસ્થ્ય જાળવીને પણ હું એમાં સંડોવાતો હોઉં છું. લેખકની ગતિ કઈ દિશા પકડે છે, કઈ દિશામાં વળે છે, ક્યાં અટકે છે અને ક્યાં પહોંચે છે, એ જોતો-જોતો હું ય કૃતિમાં ગતિ કરતો હોઉં છું અને એમ કરતાં-કરતાં ક્યારેક વિસ્મયનો, ક્યારેક વિક્ષોભનો અનુભવ કરું છું. એ અનુભવપ્રેરિત આ ઉદ્‌ગાર છે – ‘કથા, તું બહુરૂપિણી!’ બહુરૂપિણી તે ફક્ત બાહ્ય સ્વરૂપે-ભેદે કરીને જ નહિ, કથા આંતરિક રીતે પણ આપણી સમક્ષ કેવાં-કેવાં રૂપ પ્રગટ કરતી હોય છે, તેનો સંકેત મેં ગુજરાતી નવલકથાના આરંભકાળથી માંડીને અત્યાર સુધીની કૃતિઓને લઈને આ પુસ્તકમાં સમાવિષ્ટ અભ્યાસ-લેખોમાં કરેલો છે. મારા આ અનુભાવનની વાતને જ વિજયભાઈ અને તમે સૌ વિવેચન કહો છે.                                       

E-mail:dhirendramehta29@gmail.com

[નર્મદ સાહિત્ય સભા, સુરત તરફથી અપાયેલા ‘મોહનલાલ પાર્વતીશંકર દવે ચંદ્રક’(વિવેચન માટે)ના સ્વીકાર પ્રસંગે.]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2021; પૃ. 05 તેમ જ 03

Loading

17 December 2021 admin
← વર્ષા અડાલજા : પ્રેરણા અને પરિશ્રમથી મહેકતો શબ્દ
મા, તારે જ કારણે જગતનાં સર્વ સુખ મળ્યાં →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved