Opinion Magazine
Number of visits: 9446269
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માનવ-સભ્યતામાં બન્યું એમ કે વાણીનું સ્થાન લેખને લીધું અને લેખન છેલ્લે મુદ્રણ બની ગયું

સુમન શાહ|Opinion - Literature|2 February 2020

રજૂઆતની કલા

સરજાયા-લખાયા-છપાયા પછી સાહિત્યકૃતિ એની રજૂઆતનો મામલો બની જાય છે

શબ્દ લખાય છે, છપાય છે, એ તો ઠીક છે. પણ બોલાય છે, કેમ કે એ જીવન્ત વાણી છે. બોલાય છે, સાંભળવા માટે. શબ્દનો પહેલો શ્રોતા, બોલનાર પોતે હોય છે. ‘આપ કેમ છો?’ પૂછે – એ વખતે એ ત્રણેય શબ્દોને, પહેલાં તો, એ પોતે સાંભળતો હોય છે. પણ એ જો ગૂંચવણિયું બોલે કે ધીમું બબડે તો સામાવાળા પેલા ‘આપ’-ને એ નહીં સંભળાય. શબ્દ બરાબર સંભળાય એવી નિસબતથી રજૂ થવો જોઈએ. સરખી રજૂઆત વિના કોઈપણ વાણી-વચન સફળ નથી થતું. સાંભળનારે પણ બરાબર સાંભળવાની ગરજથી સાંભળવું જોઈશે. પેલો પૂછનાર ‘તું’ કે ‘તમે’ કેમ છો? એમ નથી બોલ્યો, ‘આપ’ બોલ્યો છે. ‘આપે’ એ પર ધ્યાન આપવું જોઈશે. ધ્યાન આપશે તો જ એ પ્રશ્નમાં વસેલા ભાવને અનુભવી શકશે. વાણીનું મૂળ પ્રયોજન અનુભવ છે. કાવ્ય, ટૂંકીવાર્તા કે નાટક વગેરે ભલે શબ્દમાં સરજાય, અનુભવવા માટે છે. એ પ્રયોજનને વીસરીને થયેલું સર્જન કે તેની રજૂઆત વ્યર્થ નીવડશે; નિષ્ફળ ‘અવાજ’ લાગશે.

માનવ-સભ્યતામાં બન્યું એમ કે વાણીનું સ્થાન લેખને લીધું અને લેખન છેલ્લે મુદ્રણ બની ગયું. વાણી પુસ્તકમાં ઠરી ગઈ. વાણીનો છેલ્લો અવતાર પુસ્તક છે. આ બહુ મોટું પરિવર્તન છે. મોટું એ રીતે કે એમાં ક્યાં ય બોલનારો હાજર નથી. તેમ જ કવિ વાર્તાકાર કે નાટ્યકાર હાજર નથી. શબ્દસૃષ્ટિ ખરી પણ એનો સર્જક અનુપસ્થિત. વળી, શબ્દસૃષ્ટિનો અનુભવ સામા માણસે જાતે મેળવવાનો …

હવે, સામો તો પોતાની શક્તિમતિ અનુસાર જ અનુભવવાનો ! ખાલી વાંચી જાય. કડકડાટ કે સડસડાટ, પણ વાંચી જાય. કેટલાક તો ગગડાવી જતા હોય છે. કેટલાક તો કાગડા કે ચકલાચકલીની જેમ અહીંતહીં ચાંચ મારતા જાય ને ગમતું ગમતું જ વાંચે. રચના ચૂંથાઈને મરણતોલ થઈ ગઈ હોય. કેટલાક નીવડેલા સાહિત્યકારો નવોદિતનું લખ્યું કેવીયે ગજબ રીતે વાંચી લેતા હશે, નથી ખબર. પણ નવોદિત ભટકાઈ જાય ત્યારે પ્રેમથી કહેતા જરૂર હોય છે — મધુસૂદન, ભાઈ, તારું એ કાવ્ય જોઈ ગયો ! ‘માધવી, તારી વાર્તા, જોઈ ગયો, સારી છે, પ્રયાસ ચાલુ રાખજે’. ‘જોઈ જવા’-થી કેવુંક વંચાય, નથી ખબર. એ મહાનોની એવી અટપટી રીત છે.

ઉપનિષદકાલીન ગુરુ-શિષ્ય

ઉપનિષદ-કાળે ઋષિ અને શિષ્ય એકબીજા સામે ઉપસ્થિત હતા. વૃક્ષની છાયામાં વ્યાઘ્રચર્મ પર ગુરુ બેસતા, શિષ્ય દર્ભાસને બેસતો. આજકાલ અધ્યાપક સામે વિદ્યાર્થી બેઠો હોય છે પણ ઉપનિષદ રચાય છે ખરું? અધ્યાપક ઊભાઊભ, સ્થિત, ને વિદ્યાર્થી બેઠેલા, સ્થિર. યુનિવર્સિટી ડિપાર્ટમૅન્ટ્સમાં અને કૉલેજે કૉલેજે ગુજરાતી સાહિત્ય ભણાવનારા કેટલાયે અધ્યાપકો છે. પણ એમાંના કેટલા અધ્યાપકો વિદ્યાર્થીને અનુભવ લગી દોરી જતા હશે? જો કે આ સવાલ ક્લાસમાં સાહિત્યકૃતિ લઈને જનારા અધ્યાપકને જ લાગુ પડે છે. મારા વતન ડભોઈના ‘સયાજી સાર્વજનિક પુસ્તકાલય’-માં સામાન્ય પ્રજાજનોને મેં વાંચતા જોયા છે. ટેબલ પર કૉણીઓ ટેકવાઈ હોય ને પુસ્તક હથેળીઓમાં જતનથી સાહી રાખ્યું હોય — અનુભવમાં ગરકાવ થઈ ગયા હોય …

કાવ્ય, વાર્તા કે નાટકને ખાલી વાંચી જઈએ, નહીં ચાલે. સર્જક પોતે પોતાની રચના રજૂ કરે તો ફર્ક પડી શકે છે. જો કે ફર્ક તો જ પડે જો એને રજૂ કરતાં આવડતું હોય. આપણે ત્યાં કોઇ કોઇ કવિઓ છે જેઓ પોતાની જ રચનાની રજૂઆતમાં અડવડિયાં ખાતા હોય છે. ટ્રાફિક-જામ વેઠીને કવિસમ્મેલનમાં મહા મહેનતે પ્હૉંચેલા સભાજનો એને દયાળુ નજરે સહી લેતા હોય છે. આમે ય, અમુક કવિસમ્મેલનમાં વધારે તો, સ્હૅવાનું હોય છે.

કેટલાક વાર્તાકારો પોતાની રચનાને ઊંધું ઘાલીને ફટાફટ પતાવતા હોય છે — જાણે એમને ટ્રેન પકડવાની હોય. સામે બેઠેલા સાવધ શ્રોતાઓને જુએ જ નહીં. નો આઈ-કૉન્ટેક્ટ. એક વાર્તાકારમિત્ર પોતાની વાર્તા એમનાં પત્ની પાસે રજૂ કરાવે છે. કારણ જે હોય તે. મને એમની એ પ્રામાણિક નિખાલસતા ગમે છે. સભાને રચનાનો પરચો મળે છે અને પત્નીની આવડતનાં સૌને દર્શન પણ થાય છે. એઓ એ પ્રસંગે તો પત્નીને નતમસ્તકે સુણતા હોય છે.

આ લેખનો કેન્દ્રવર્તી મુદ્દો જ એ છે કે સરજાયા-લખાયા-છપાયા પછી સાહિત્યકૃતિ એની રજૂઆતનો મામલો બની જાય છે. રજૂઆત એક કલા છે. હરેક સાહિત્યપ્રકારને રજૂ કરવાની રીત અલગ છે. કાવ્યનું ગાન થવું જોઈએ. ગાયન વિના સૉનેટ કે આખ્યાન રજૂ ન્હૉતાં થતાં. ગઝલને હંમેશાં તરન્નુમનો સાથ હતો. વાર્તા કહેવા-સુણવા અને નાટક જોવા-સાંભળવા માટે છે. હંમણાંના આપણે ત્યાં ‘કાવ્યપઠન’ અને ‘વાર્તાવાચિકમ્’ શબ્દો વપરાય છે તે યોગ્ય છે. કેમ કે પઠન અને વાચિકમ્ જો બરાબર થાય તો સીધાં વાણી સાથે જોડાઈ જાય. મુદ્રણ આડખીલી ન બને. નાટક અને વાર્તામાં સંવાદ તેમ જ દૃશ્યો ખડાં થાય એવાં આલેખન અને સ્થળ-કાળનાં વર્ણન હોય છે. નાટક ભજવાય ત્યારે એ ત્રણેયને જોઈ-સાંભળી શકાય છે. વાચિકમ્-માં એ ત્રણેયનો સાક્ષાત્કાર થવો જોઈશે. એ માટે વાર્તામાં જેટલાં પાત્રો હોય એટલા રજૂઆતકારો જોઈશે, એકથી ન ચાલે. એકથી ચલાવવું હોય તો એ આ ત્રણેયનું વહન કરી શકે એવો મહાન હોવો જોઈએ. જો કે ત્યારે પણ રજૂઆત કૃતક લાગવાનો સંભવ છે. યાદ રાખો કે વાર્તા કથનસૂર પકડીને સંભળાવવાની વસ્તુ છે, એને નાટકની રીતે રજૂ ન કરાય.

હરેક રચનાને રજૂ કરવાની રીત પણ અલગ છે. કોઈપણ કાવ્યને, અરે, હરેક કવિના હરેક કાવ્યને, એના લયમાં જ રજૂ કરાય. છાન્દસ રચનાને છન્દોલય સાચવીને જ. અક્ષરમેળને લઘુ-ગુરુ-યતિ સાચવીને જ. માત્રામેળને માત્રાઓ સાચવીને જ. ગઝલ પણ રદીફકાફિયાનું કાર્ય — ફન્કશન — ભૂલીને તો નહીં જ ! અછાન્દસ રચનાનો પણ લય હોય છે, વળી, એ તો કાવ્યે કાવ્યે બદલાતો હોય છે. એ બદલાવ પણ સચવાવો જ જોઈએ.

કાવ્ય ગદ્યમાં પણ હોય છે ને એને પણ લય હોય છે. ગદ્યકાવ્યના સંદર્ભમાં બૉદ્લેર યાદ ન આવે એવું ન બને. પણ એ વાત કોઈ બીજી વાર. સુબન્ધુ અને બાણ ભટ્ટ સંસ્કૃત કવિતાવિશ્વના મહાન ગદ્યકવિઓ છે. સુબન્ધુની ‘વાસવદત્તા’-માં અલંકાર-સમૃદ્ધિ અને પાણ્ડિત્ય-લક્ષ્મી બન્ને છે. બાણની ‘કાદમ્બરી’-માં ક્યારેક એક જ વાક્ય બેચાર પાનાં લગી ચાલતું હોય છે. એમાં સમાસ, શબ્દગુચ્છ, કલ્પનો, વર્ણનો કે આલેખનો એવાં તો લયાનુકારી કે રજૂ કરનારો વહ્યો જાય ને સાંભળનારો અવાક સુણતો રહે. હું ‘કાદમ્બરી’-ને અંગ્રેજીમાં ભણેલો ! પ્રૉફેસરબાનુ બોલતાં – ઍન્ડ ધેન ધ ડિસ્ક્રિપ્શન ઑફ અચ્છોદ-સરોવર સ્ટાર્ટ્સ … પછી અચ્છોદ-સરોવરને બાણના સંસ્કૃતમાં રજૂ કરતાં.

ગદ્યને સંસ્કૃત કાવ્યાચાર્યે ‘કવિની કસોટી’ કહ્યું છે તે વાર્તા કે નાટકના ગદ્યને પણ એટલું જ લાગુ પડે છે. એ વિધાન તેમના ઊંડા કલાનુભવોની નીપજ છે. દારુડિયાઓની જેમ એ લોકો સોમરસ પીને લુઢકી ન્હૉતા જતા. એમની જાગૃતિ જુદી જ વસ હતી. એ વિના થોડા કંઈ સર્જનના આવા મહા મર્મ ખૂલે?

પૂછવાલાયક સવાલ એ છે કે — શાળાકૉલેજોમાં આ વૈવિધ્યસભર રજૂઆતની કલા શીખવાય છે ખરી?

= = =

[શનિવાર તારીખ ૧/૨/૨૦૨૦-ના ‘નવગુજરાત સમય'માં પ્રકાશિત લેખ અહીં સૌજન્યથી મૂક્યો છે]

Loading

2 February 2020 admin
← શાહીનબાગની સ્ત્રીઓ
47 વર્ષ પછી યુરોપિયન સંઘમાંથી બ્રિટનની વિદાય સંઘમાંથી કાશી ગયું →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved