Opinion Magazine
Number of visits: 9446637
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસની હેવાનિયતને કોઈ સીમા નથી … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 June 2023

રવીન્દ્ર પારેખ

સાઉથની એક ફિલ્મ જોઈ. જેમાં બસ કંડકટર તેનાં ડ્રાઇવરને કહે છે કે કોઈ યાત્રી તેની બેગ ભૂલી ગયો છે ને તેમાંથી લોહી વહી રહ્યું છે. કંડકટર બેગ ખોલીને જુએ છે તો અંદર કપાયેલા બે હાથ દેખાય છે. એ પછી એક સૂટકેસ બતાવાય છે, જેમાંથી કોઈના કપાયેલા પગ મળી આવે છે. પોલીસ બધાં અંગો જોડીને એક શરીર તો બનાવે છે, પણ માથું નથી મળતું, એટલે લાશ કોની છે તેની ખબર પડતી નથી. આવું જોતાં અરેરાટી થતી, પણ હવે થતી નથી, કારણ ફિલ્મ કરતાં વધુ ભયંકર ઘટનાઓ રોજિંદા જીવનમાં, મીડિયામાં, જોવા-જાણવાની થાય છે. સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડ બહુ દૂરની ઘટના નથી, જેમાં કહેવાતો પ્રેમી ધોળે દિવસે જાહેરમાં છરીના ઘા ઝીંકીને જીવ લઈ લે છે ને કેટલાક લોકો છોકરીને બચાવવાને બદલે તેની થતી હત્યાનો આરામથી વીડિયો ઉતારે છે. સંવેદના કેટલી હદે બુઠ્ઠી થઈ શકે તેનો એ નમૂનો છે.  

ચારેક દિવસના કેટલાક સમાચાર જોઈએ. ઇચ્છાપોર, સુરતમાં ચાર વર્ષની છોકરીને એક પડોશીએ ન છોડી ને હવે તેને ફાંસીની સજાની માંગ કરાઇ રહી છે. સુરતની એક શિક્ષિકાને તેનાં કહેવાતા પ્રેમીએ ધમકી આપી કે જો તે સગાઈ કરશે તો તેની દશા ગ્રીષ્મા જેવી થશે. એ ભયંકર છે કે નવી હત્યા માટે ઉદાહરણ ગ્રીષ્માની હત્યાનું અપાય છે, એમાં શરમ નથી, નફ્ફટાઈ છે. 30 મેએ સુરતમાં ડબલ મર્ડર થયું. પતિએ પત્નીને ગળે ટૂંપો દઈને મારી નાખી તો તેનાં પ્રેમીએ પતિને પતાવી દીધો. આ તો સુરતની જ વાત થઈ, ગુજરાત અને દેશ પર પણ નજર નાખીએ.

ગુજરાતમાં જ 9 જાન્યુઆરીએ, 2023 ને રોજ 10 હત્યાઓ નોંધાઈ, જેમાં અમદાવાદમાં 2, સુરતમાં 3, જામનગરમાં 2 તથા સુરેન્દ્રનગર, વડોદરા અને રાજકોટમાં એક, એક હત્યાઓ થઈ હતી. દિલ્હીમાં 8 ફેબ્રુઆરી, 2023 ને રોજ શ્રદ્ધાનું ખૂન થયું હતું, જેમાં તેનાં કહેવાતા પ્રેમી આફતાબે શ્રદ્ધાના ટુકડા કરીને તેનો હપ્તે હપ્તે નિકાલ કરવાની કોશિશો કરી હતી, એ માટે તેણે માર્બલ ગ્રાઈન્ડરનો ઉપયોગ કરી હાડકાંનો ભૂકો કર્યો હતો. એ પછી 29 મેને રોજ દિલ્હીમાં 16 વર્ષની સાક્ષીની સાહિલ નામના હત્યારાએ છરીના ચાલીસેક ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી. સાક્ષી મરી ન ગઈ ત્યાં સુધી તેને ઘા મરાયા ને 6થી વધુ વખત તેનું માથું પથ્થર ઝીંકીને છૂંદવામાં આવ્યું. આ ઘટના દરમિયાન ત્યાંથી પસાર થનારાઓએ સાક્ષીભાવે સાક્ષીની હત્યા જોઈ. બિલિમોરામાં 23 જૂને લિવ ઇનમાં રહેતાં યુવકે તેની પાર્ટનરની ગળું દબાવી હત્યા કરી ને પોતે ફાંસો ખાઈ લીધો. વલસાડમાં 1 જૂને પત્ની કુહાડીના ઘા મારી પતિની હત્યા કરે છે ને પ્રેમી સાથે મળીને લાશ કોથળામાં નાખી ત્રીસેક કિલોમીટર દૂર નાખી આવે છે. 1 જૂને જ હરિયાણાનાં ફરીદાબાદમાં 15 વર્ષની બહેન 12 વર્ષના ભાઈનું ગળું દબાવી મારી નાખે છે. કેમ? તો કે, માતાપિતા ભાઈને જ મોબાઈલ આપતાં હતાં ને એને ગેમ રમવા મોબાઈલ જોઈતો હતો ત્યારે ભાઈએ ન આપ્યો. આટલી વાતમાં સગીર બહેને સગીર ભાઈની હત્યા કરી. 2 જૂને રાજકોટમાં પતિથી ત્રાસેલી સગી જનેતાએ બે બાળકોને ગળે ટૂંપો દીધો ને પોતે એસિડ પીને આપઘાત કરી લીધો. 9 જૂને મુંબઈમાં લિવ ઇનમાં રહેતી સરસ્વતીની તેનાં પાર્ટનરે હત્યા કરી ને લાશના ટુકડા કરી, તેને કૂકરમાં બાફયાં અને કૂતરાંને ખવડાવ્યાં. અહીં નોંધી છે એટલી ઘટનાઓ જ અરેરાટી ઉપજાવવા પૂરતી છે, પણ સંખ્યા એટલી છે કે કોઈ સ્ત્રીની હત્યાનું જ છાપું ચલાવવા ઈચ્છે તો તેને ઘટનાની ખોટ ન પડે એમ બને.

વાત હત્યાની જ નથી, તે કેવી કરપીણ રીતે થાય છે તે ચિંતાજનક છે. હત્યાઓ આ વર્ષે જ થઈ ને અગાઉ કશું થયું જ નથી, એવું નથી. હત્યાઓ કોઈ પણ કાળમાં થઈ જ છે, વાત એટલી જ નથી, એમાં જે રીતે વધારો થતો આવ્યો છે ને તેમાં જે વરવાપણું ઉમેરાતું આવે છે તે માણસાઈ અને માનસિક્તાના અનેક પ્રશ્નો ઊભા કરે છે. હત્યા જેવો ગુનો તો ગમે તે સંજોગોમાં થયો હોય તો પણ, સજાને પાત્ર છે. સંજોગો સજાની અવધિ ઘટાડે, તો પણ તેની માફી એટલે નથી, કારણ, હત્યા એક વ્યક્તિનો જીવ લે છે ને મૃત વ્યક્તિ ફરી એ જીવન પામી શકતી નથી. ગમે તેવું પ્રાયશ્ચિત પણ જીવ પાછો આપી શકતું નથી. છેલ્લા થોડા સમયમાં હત્યાની જે ઘટનાઓ વધતી આવે છે તે ખૂનીની માનસિકતા સંદર્ભે અનેક પ્રશ્નો ઊભા કરે છે.

અહીં જે હત્યારાઓની વાત થઈ છે, એમાંના ઘણા ખરા યુવાનો છે. આજનું યુવા માનસ બહુ જ શોર્ટ ટેમ્પર્ડ છે. ઘણા ખૂબ સારા ને સ્વસ્થ છે, પણ ઘણા અસહિષ્ણુ અને શંકાશીલ પણ છે. સ્વભાવે તે તામસી અને બેફામ છે. તે બહુ ઝડપથી ઉશ્કેરાય છે ને ઉતાવળિયા નિર્ણયો લે છે. તે અવિવેકી અને હિંસક છે. તે તડફડ કરવામાં માને છે. તે હથિયાર હાથવગાં રાખે છે ને સામાન્ય વાતોમાં પણ ખૂન કરતાં અચકાતાં નથી. હથિયારો હવે દેખાડાનું નિમિત્ત પણ છે. લગ્ન કે અન્ય પ્રસંગોમાં બંદૂકથી હવામાં ગોળીબાર કરવા કે તલવારથી કેક કાપવાનું સામાન્ય છે. આ બધી સગવડો ગુનાહિત માનસને ઉશ્કેરવામાં મદદ કરે છે. જો કે આવું યુવાનો જ કરે છે એવું નથી, આધેડો પણ સત્તા ને પૈસાને જોરે કૈં પણ કરતાં હોય છે.

ટૂંકમાં, માણસની જિંદગી બહુ સસ્તી થઈ છે. તેને ગમે ત્યારે, ગમે તે ખરીદી કે વેચી શકે છે. સારા માણસો હજી છે અને એનો જ ભરોસો છે, પણ દુષ્કર્મો અગાઉ ક્યારે ય ન હતા એટલા વિકૃત હવે છે. આઝાદી એટલી તો બચી છે કે સ્ત્રીનો તેની ઈચ્છા વિરુદ્ધ પુરુષો ઉપયોગ કરી શકે છે, તો સ્ત્રીઓ પણ સ્વતંત્ર મિજાજની થઈ છે. તે પણ એ બધા જ ગુના કરી શકે છે, જે પુરુષો કરે છે. 23મીના જ સમાચાર છે, જેમાં વડોદરામાં એક યુવતીએ નિર્વસ્ત્ર થઈને એક વૃદ્ધ પાસેથી પચાસ હજાર પડાવ્યા.

આખી યુવા પેઢી આજ્ઞાંકિત મટીને આર્ગ્યુમેન્ટ અને ઉપેક્ષા કરતી થઈ છે. એ પણ છે કે યુવતીઓ લગ્ન કરતાં કેરિયરને વધુ મહત્ત્વ આપતી થઈ છે. તેને લગ્નનાં હકોમાં રસ છે એટલો તેની ફરજમાં નથી. સંતાનોને ઉછેરીને તે ફિગર ખરાબ કરવા નથી માંગતી. સંતાનની જરૂર લાગે તો દત્તક લેવાનું તેને વધુ અનુકૂળ છે. એને લગ્નનો વિકલ્પ લિવ ઇનમાં દેખાયો છે. એટલે કોઈ જવાબદારી વગરનો સંબંધ તેને ખપે  છે, પણ તે એ ભૂલી જાય છે કે લિવ ઇનને કાનૂની માન્યતા નથી. લિવ ઇનમાં જ્યારે ભંગાણ પડે છે ત્યારે તકરારના નિકાલમાં કાયદો મદદમાં આવતો નથી ને પરિણામ ઘણુંખરું હિંસક અનાચારમાં જ આવે છે.

એ પણ છે કે હત્યા કરવામાં સ્ત્રીઓ પણ પાછળ નથી. તે પતિ કે પ્રેમી કે સંતાનને જાતે કે કોઇની મદદથી ખતમ કરી દેતાં અચકાતી નથી. એની સરખામણીમાં પુરુષ વધુ નિષ્ઠુર અને ઘાતકી થઈ શકે છે. અહીં વર્ણવી છે એ હત્યાઓમાં પણ પુરુષ બદથી બદતર થતો દેખાય છે. ગ્રીષ્મા, સાક્ષી, શ્રદ્ધા કે સરસ્વતીની હત્યામાં હત્યારો વધુને વધુ રાક્ષસીપણું બતાવે છે. આમાં પણ બે પ્રકાર પડે છે. એકમાં એવો હત્યારો બહાર આવે છે જેને ફાંસી જેવી સજાનો ય ભય નથી, એટલે તે ધોળે દિવસે પણ ગળું કાપી નાખતાં અચકાતો નથી. તે છોકરી મરી ન જાય ત્યાં સુધી ઘા ઝીંકે છે. તે પછી પણ સંતોષ નથી થતો તો એકથી વધુ વખત પથ્થર ઝીંકીને માથું છુંદી નાખવાનું પણ ચૂકતો નથી. છોકરી મરી જાય પછી પણ તેને મારતાં જ રહેવાનું ઝનૂન ભયંકરથી પણ વધુ ભયંકર છે. બીજો પ્રકાર એવા ખૂનીઓનો છે જે પકડાઈ જવાના ભયે વધુ ઘાતકી રીતે વર્તે છે. પકડાવાની બીકે તે પુરાવાનો નાશ કરવાની પેરવીમાં પડે છે. લાશ જ ન રહે તો પોતાને કોઈ નહીં પકડે એવું તે માને છે, એટલે લાશના કટકા કરે છે ને તે પછી પણ સમાધાન નથી થતું તો હાડકાંને ગ્રાઈન્ડર મશીનમાં ફેરવીને તેનો ભૂકો કરે છે ને એનો નિકાલ કરીને છૂટકારો મેળવે છે. એકાદ તો એવો ઘાતકી છે કે લાશના ટુકડા કરે છે, તેને કૂકરમાં બાફે છે ને કૂતરાંને ખવડાવે છે. ગમે એટલી ઉદારતાથી જોઈએ તો પણ, આવા ખૂનીનો કોઈ પણ એંગલથી બચાવ થાય એમ નથી. એક પળ તો એવા ખૂનીઓ પર એવો ધિક્કાર છૂટે છે કે જે રીતે તેણે હત્યા કરી એ જ રીતે તેનો પણ ન્યાય કરવો જોઈએ, પણ કાયદો ખૂની જેટલો ઘાતકી કે વિકૃત થઈ શકતો નથી એ ટ્રેજેડી છે.

ખબર નથી પડતી કે હત્યા કર્યાં પછી પણ ખૂનીને અપરાધભાવ જન્મવાને બદલે વધુને વધુ ઘાતકીપણું પ્રગટ કરવાનું કેમ બને છે? જે હત્યાઓ અહીં વર્ણવાઈ કે અન્યત્ર થઈ હશે તેમાં ઉશ્કેરાટ નથી હોતો, પણ હત્યાનું વ્યવસ્થિત કાવતરું હોય છે. એ પછી પોતે કઇ રીતે પકડાઈ શકે એમ છે, એ શક્યતાઓને નાબૂદ કરવા હત્યારો એ તમામ પુરાવાઓનો નાશ કરે છે જે તેની વિરુદ્ધ પડે એમ છે. એ જ કારણ છે કે તે મરનારને વધુ ભયંકર રીતે નામશેષ કરવા મથે છે. આવી નૃશંસ હત્યાઓ માનવ મગજ કઇ હદે વિકૃત થયું છે એની ચાડી ખાય છે. એક જમાનામાં માણસને વધુ ને વધુ હિંસક અને વિકરાળ બતાવવા કથાવાર્તાઓમાં રાક્ષસ કે શેતાન ચિતરાતા હતા, ને એ તો કાલ્પનિક હતા, પણ આજના કેટલાક માણસોને જોઈએ છીએ તો હેવાનો કે રાક્ષસો બહુ વામણા લાગે છે…

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 જૂન 2023

Loading

26 June 2023 Vipool Kalyani
← 21 વર્ષના ઓટિસ્ટિક છોકરાએ 3.13 સેકન્ડમાં રુબિક પઝલ સોલ્વ કરી: 
ગાંધી, ગીતા પ્રેસ અને કલકત્તાના મારવાડીઓ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved