Opinion Magazine
Number of visits: 9446244
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લિંચિંગથી બળાત્કાર અટકે? નાગપુરની કોર્ટમાં ૨૦૦ સ્ત્રીઓએ એક બળાત્કારીનું લિંચિંગ કર્યું હતું

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 December 2019

દેશના કોઈ પણ ભાષાના સમચારપત્રને તમે ખોલો, તો એક સમાચાર અવશ્ય મળશે – આઠ મહિનાની, પાંચ વર્ષની, વીસ વર્ષની, ચાલીસ વર્ષની કે સિત્તેર વર્ષની સ્ત્રી સાથે બળાત્કાર. પછી જે તે શહેરમાં, છાપાની ભાષામાં, આક્રોશ ફાટી નીકળે અને બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપવાના નારા લાગે. રાજકારણીઓ સલાહ આપે કે કેવી રીતે સ્ત્રીઓનાં ઉત્તેજક કપડાં બળાત્કારનું કારણ બને છે અને મીડિયાને પણ આમાં રસ પડી જાય. હવે તો બળાત્કારમાં ‘શિકારી’ અને ‘શિકાર’નો ધર્મ કયો હતો, એ પહેલાં જાણવામાં આવે છે અને પછી લાગણીઓનું સ્વરૂપ નક્કી કરવામાં આવે છે.

ભારતમાં બળાત્કાર અને જાતિય હિંસાની ૨૪,૨૧૨ ઘટનાઓ આ વર્ષના પહેલા છ મહિનાઓમાં જ નોંધાઈ છે. આ આંકડો સુપ્રીમ કોર્ટનો છે. મતલબ કે દર એક દિવસે ૧૩૨ ઘટના બને છે. આ ૧૩૨ ઘટનામાં આપણે છોકરીએ કેવાં કપડાં પહેર્યા હતાં કે અપરાધી ક્યા ધર્મનો હતો, તે જોવા બેસીશું? દેશનો એક બહુ મોટો વર્ગ બળાત્કાર માટે તત્કાળ ફાંસીની માંગણી કરતો થયો છે. તેને એવું લાગે છે બળાત્કારનો કિસ્સાઓમાં સખ્ત સજા થતી નથી, એટલે આ સમસ્યા છે.

૨૦૧૨માં દિલ્હીમાં નિર્ભયા સામૂહિક બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપીઓને મૃત્યુદંડની સજા થઇ છે, પણ હજુ તેમની દયાની અરજીનો નિકાલ નથી આવ્યો, તેવામાં હૈદરાબાદની આ ઘટનાએ એટલો આક્રોશ ઊભો કર્યો છે. ૨જી જાન્યુઆરીએ રાજ્ય સભામાં સમાજવાદી પાર્ટીનાં જયા બચ્ચને એવું સૂચન કર્યું કે આરોપીઓનું જાહેરમાં લિંચિંગ કરવું જોઈએ. એ.આઈ.એ.ડી.એમ.કે.ના અન્ય એક સભ્ય વિજીલા સથ્યાનાથે કહ્યું કે ચારે આરોપીઓને ૩૧મી ડિસેમ્બર પહેલાં લટકાવી દેવા જોઈએ. કૉન્ગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે માત્ર કાનૂનથી આ સમસ્યા નહીં ઉકલે, આવા અપરાધ વિરુદ્ધ સખ્ત અભિગમ અપનાવવો પડશે.

લોકોનો ગુસ્સો ખાસો વાસ્તવિક છે. એ ચાર આરોપીઓ પર ખરેખર મોત ભમે છે. હૈદરાબાદની ઘટના પછી સોશ્યલ મીડિયામાં એક તસ્વીર ફરતી થઇ હતી, જેમાં ૨૦૦ સ્ત્રીઓએ બળત્કારના એક આરોપીને ખુલ્લી અદાલતમાં રહેસી નાખ્યો હતો. તસ્વીરમાં તેને ‘ભારતમાં બળાત્કારીનું પહેલું લિંચિંગ’ ગણાવાયું હતું. તેમાં લખવામાં આવ્યું હતું કે બળાત્કારીને સતત જમીન મળતા હતા, એટલે ગુસ્સે ભરાયેલી સ્ત્રીઓએ તેની આંખમાં મરચાં નાખીને મારી નાખ્યો હતો. સોશ્યલ મીડિયામાં લોકો આ તસ્વીરને એવા ‘ઉદાહરણ’ના રૂપમાં ફેરવી રહ્યા હતા કે હૈદરાબાદના ચાર બળાત્કારીઓ સાથે પણ આવું જ થવું જોઈએ.

પહેલી નજરે એવું લાગ્યું કે આ કોઈ ફેક ન્યુઝ છે, કારણ કે મીડિયામાં આ ઘટનાને લઈને બહુ ચર્ચા ન હતી, પરંતુ ઊંડાણથી તપાસ કરતાં ખબર પડી કે મહારાષ્ટ્રના નાગપુરની જિલ્લા કોર્ટમાં ૨૦૦૪માં આ ઘટના બની હતી, પણ રાષ્ટ્રીય મીડિયામાં એનું બહુ રીપોર્ટીંગ થયું ન હતું. આમ તો એ હત્યા જ હતી, પણ સામાજિક ન્યાયને આપણે હત્યા કહેતા નથી, ન્યાય કહીએ છીએ. આ કેસમાં માત્ર બળાત્કારનો જ મુદ્દો ન હતો. ૩૨ વર્ષનો ભારત કાલીચરણ ઉર્ફે અક્કુ યાદવ નાગપુરની કસ્તૂરબા નગર ઝૂંપડપટ્ટી વિસ્તારનો ગુંડો હતો, અને તેની પર બળાત્કાર, ખંડણી, લૂંટફાટ અને હત્યાના ૨૪ કેસ હતા, અને તેની ૧૨ વખત ધરપકડ થઇ હતી. સ્થાનિક પોલીસનાં એ ગજવાં ભરતો હતો, એટલે તેની સામે કોઈ કેસ પુરવાર થતો ન હતો. લોકોમાં, ખાસ કરીને વિસ્તારની મહિલાઓમાં, તેની સામે રોષ ભરાયો હતો.

૨૦૦૪માં જાન્યુઆરી મહિનામાં તેની કસ્તૂરબા નગરમાંથી હકાલપટ્ટી પણ કરવામાં આવી હતી, પણ તે ત્યાં જ છૂટથી ફરતો હતો. ઉષા નારાયણે નામની એક સ્થાનિક કાર્યકરને અક્કુ અને તેના સાગરીતોએ બળાત્કાર કરી એસીડ નાખવાની ધમકી આપી હતી, તે પછી લોકોએ અક્કુનું ઘર પણ સળગાવી દીધું હતું. ઓગસ્ટ મહિનાની ૧૩મી તારીખે અક્કુ યાદવ એક કેસ સબબ કોર્ટમાં હતો. કસ્તૂરબા નગરની અંદાજે ૨૦૦ જેટલી સ્ત્રીઓએ તે દિવસે નક્કી કર્યું હતું કે અક્કુ પાછો બહાર આવવો ના જોઈએ. શાક સમારવાનાં ચાકુ અને મરચાં પાવડર લઈને આ સ્ત્રીઓને ૭ નંબરની કોર્ટમાં પહોચી ગઈ. અક્કુ કોર્ટરૂમમાં હાજર થયો, તો ટોળાંમાં એક સ્ત્રીને જોઈને બોલ્યો પણ ખરો કે તને તો હું વારંવાર બળાત્કાર કરીશ. સ્ત્રીઓએ સેન્ડલ કાઢીને અક્કુને મારવાનું શરૂ કર્યુ. પછી તેને ચાકુથી મારવાનું શરૂ કર્યું. અમુક સ્ત્રીઓએ તેની આંખમાં મરચું ભભરાવ્યું. અમુકે મોઢા પર પથ્થર માર્યા. તેનો શિકાર થયેલી એક સ્ત્રીએ તો તેનું અંગ કાપી નાખ્યું. કોર્ટરૂમની ફર્શ પર જ અક્કુએ જીવ ગુમાવ્યો.

પોલીસે પાંચ સ્ત્રીઓની તત્કાળ ધરપકડ કરી અને પાંચ દિવસ માટે કસ્ટડીમાં લેવામાં આવી. બાકીની સ્ત્રીઓ પાછી ના હટી. તેમણે આ પાંચ ‘બહેનો’ માટે જામીન અરજી કરી. દરમિયાનમાં આ સ્ત્રીઓની તરફેણમાં એવું વાતાવરણ બની ગયું હતું કે નાગપુરના ૧૩૦ વકીલોએ કેસ લડવા તૈયારી બતાવી. રાષ્ટ્રીય મહિલા પંચની અધ્યક્ષ પૂર્ણિમા અડવાણીએ કહ્યું કે યાદવનો આતંક રોકવામાં પોલીસ નિષ્ફળ ગઈ હતી, એટલે આ બહેનો પાસે કોઈ વિકલ્પ ન હતો. પાંચ ‘બહેનો’ને જમીન નહીં મળે એવું લાગ્યું, તો તમામ સ્ત્રીઓએ નક્કી કર્યું કે આપણે કોર્ટમાં સમપર્ણ કરીને મોતનો આરોપ સામૂહિક રીતે સ્વીકારી લેવો. સૂત્રો પોકારતી તમામ સ્ત્રીઓ એ જ કોર્ટ પર હાજર થઇ, જ્યાં અઠવાડિયા પહેલાં તેમણે અક્કુને રહેંસી નાખ્યો હતો.

પોલીસે કોર્ટને ઘેરી રાખી હતી. અંદર વકીલોએ કહ્યું કે પાંચ આરોપી સ્ત્રીઓ સામે પુરાવા નથી, અને હવે કસ્ટડીની જરૂર નથી. મેજિસ્ટ્રેટ આર.એન. મહેરાએ એક દિવસ માટે ઓર્ડર મુલતવી રાખ્યો. બહાર સ્ત્રીઓએ મુદ્દત માનવાનો ઇનકાર કર્યો અને ત્યાં બેસી જઈને કહ્યું કે પાંચેને જામીન નહીં મળે, ત્યાં સુધી તેઓ ઊઠશે નહીં.વકીલોએ જિલ્લા કોર્ટના જજ જી.એસ. કસ્વાહ સમક્ષ અરજી કરી અને જામીન મેળવ્યા. નાગપુર સેન્ટ્રલ જેલમાંથી પાંચે સ્ત્રીઓનો છુટકારો થયો, તો બસ્તીમાં જાણે તહેવાર થઇ ગયો. તે પછી એક દાયકા સુધી કેસ ચાલ્યો અને ૨૦૧૪માં જિલ્લા કોર્ટે પુરાવાના અભાવે તમામ સ્ત્રીઓને નિર્દોષ છોડી મૂકી.

વેરની વસૂલાતના નામે લોકોએ કરેલી આ હત્યાને માફ કરાય? આ સ્ત્રીઓ વતી બોલતાં હાઈકોર્ટના નિવૃત્ત જજ ભાઉ વહાણેએ ત્યારે કહ્યું હતું, “આ અઘરો સવાલ છે. તેમણે કાયદો હાથમાં લીધો હોય, તો તેનું કારણ એ છે કે કાનૂન અને કાનૂનનું પાલન કરતી સંસ્થાઓ તેમને મદદ કરી ન હતી.” કસ્તૂરબા નગરની સ્ત્રી આગેવાનો ઉષા નારાયણે અને ભગનબાઈ મેશરામે કહ્યું હતું, “એ ન્યાય હતો. અમે અમારા માટે ન્યાય મેળવ્યો હતો. અમને દીવાલ સરસી જડી દેવામાં આવી હતી.”

ચુકાદો આવ્યો, તે પછી અક્કુ યાદવના ભત્રીજા અમન યાદવે બદલો લેવા કસમ ખાધી હતી. ૫ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ, ૧૫ અને ૧૭ વર્ષના બે સગીર છોકરાએ, આ અમરને તીક્ષ્ણ હથિયારોથી મારી નાખ્યો. આમાંથી એક છોકરાની દાદીએ ફરિયાદ કરી હતી કે અમર વારંવાર તેની છેડતી કરે છે. બંને છોકરાઓએ, કાકાની જેમ જ, તેનો ‘ન્યાય’ કરી નાખ્યો.

બળાત્કાર માનવીય વિકૃતિ છે. માણસમાં આદિ સમયથી અચ્છાઈ અને બુરાઈ છે. માણસની સુધારવાની પ્રક્રિયા અનંતકાળથી ચાલતી આવી છે અને ચાલતી રહશે. કાનૂનથી વિકૃતિ રોકાઈ નથી. ઇનફેક્ટ, બળાત્કાર કાનૂનનો પ્રશ્ન છે જ નહીં. એ સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા છે. સામાજિક જાગૃતિ વગર, એકલા હાથે કાનૂન કશું કરી નહીં શકે. બળાત્કારના અપરાધ બદલ મોતની સજા કરવાથી એક આરોપીનો ન્યાય તો તોળાય છે, પણ એ ભવિષ્યના આરોપીઓને બળાત્કાર કરતાં રોકે છે? નાગપુરમાં થયેલા લિંચિંગથી નિર્ભયા કે પ્રિયંકા રેડ્ડીનો બળાત્કાર કેમ ના અટક્યો? કોઈની પાસે આનો જવાબ નથી.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 08 ડિસેમ્બર 2019

Loading

9 December 2019 admin
← એક અજાણ્યા ગાંધીની આત્મકથા : નટવર ગાંધી
ડાયસ્પોરા ગણાતા આપણા લેખકોએ રાજસત્તા અને લેખક-વ્યક્તિ વચ્ચે ઊભા થતા સંઘર્ષની યાતના નથી વેઠી →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved