Opinion Magazine
Number of visits: 9446330
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લિન્ચિંગ: ઉચાટ અને અસુરક્ષાનો સાર્વજનિક તમાશો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|16 August 2018

ભારતની ભાષાઓમાં એક નવો શબ્દ આવ્યો છે, લિન્ચિંગ. આમ તો એનો અર્થ, ઓક્સફર્ડ ડિક્શનેરી પ્રમાણે, 'ટોળાં દ્વારા કોઈ અપરાધીને ગેરકાનૂની રીતે ગળેફાંસો આપવો' એવો થાય છે, પણ એ લિન્ચિંગની વ્યાખ્યા થઇ, એના માટે ભારતીય ભાષાઓમાં કોઈ પર્યાયવાચી શબ્દ નથી. સાદી ભાષામાં એને ટોળાંશાહી કહેવાય. ભારતમાં સામાજિક-રાજકીય અન્યાય માટે થતી હિંસા બહુ જૂની વાત છે, જેને કોમી-તોફાનો કે જનાક્રોશ જેવાં નામોથી ઓળખાય છે. આપણે ત્યાં સામૂહિક હિંસાનો ઇતિહાસ ઊંડો છે.

પણ લિન્ચિંગ હત્યા નથી. હત્યા એકાંતમાં થાય છે. એ લાગણીના આવેશમાં કે હતાશામાં થાય છે. લિન્ચિંગ એ સાર્વજનિક તમાશો છે. એ લોકોના જોવા માટે થાય છે. પ્રેક્ષકો ન હોય તો લિન્ચિંગનો અર્થ સરતો નથી. અફઘાનિસ્તાનમાં તાલીબાનોનો સૂરજ તપતો હતો ત્યારે, શરિયા કાનૂનનો ભંગ કરનાર અપરાધીઓને, મોટા ભાગે સ્ત્રીઓને, જાહેરમાં મારવામાં આવતાં હતાં. ભારતમાં ૨૦૧૦થી ૨૦૧૭ સુધીમાં ૬૦ ઘટનાઓમાં ૨૫ લોકોને લિન્ચિંગમાં મારી નાખવામાં આવ્યાં છે. આ આંકડો ઇન્ડિયાસ્પેન્ડ નામની ડાટા વેબસાઈટનો છે. આ મામલો સંસદમાં ઊઠ્યો ત્યારે સરકારે કહ્યું કે, સરકાર આવા આંકડા એકત્ર કરતી નથી.

આનું એક કારણ એ છે કે, લિન્ચિંગ એટલે શું એની કોઈ કાનૂની વ્યાખ્યા નથી. પિનલ કોડની ૩૦૨ની કલમ હત્યા માટે છે, પણ એમાં અપરાધ પાછળનો ભાવ સ્પષ્ટ નથી. લિન્ચિંગ એટલે ટોળાં દ્વારા હત્યા એટલું જ નહીં, એ હિંસા પાછળ એક સમુદાય પર સામાજિક અંકુશ મૂકવાનો આશય પણ હોય છે. એમાં 'કાનૂન ક્યા કર લેગા' એવો લલકાર પણ છે.

લિન્ચિંગનો આ મામલો સુપ્રિમ કોર્ટમાં આવ્યો ત્યારે ન્યાયાધીશોએ એટલા માટે જ કહ્યું કે, સંસદ આ ટોળાંશાહીને રોકવા માટે સખ્ત કાયદો ઘડે. કોર્ટે કહ્યું કે, "લોકો કાયદો હાથમાં ના લઇ શકે. આ પ્રકારના બનાવો કોઈ પણ રૂપમાં અસ્વીકાર્ય છે. ચાહે ગૌ-રક્ષા હોય કે બાળકો ઊઠાવી જવાની અફવા, લિન્ચિંગ અપરાધ જ છે. અસહિષ્ણુતા, વૈચારિક દાદાગીરી કે પૂર્વગ્રહોમાંથી આવતી નફરતની હિંસા ચાલવા ના દેવાય."

લિન્ચિંગ, શબ્દ રૂપે અને અપરાધ રૂપે, મૂળ દક્ષિણ અમેરિકાના ગુલામીના ઇતિહાસમાંથી આવે છે. ૧૮૬૫થી ૧૯૨૦ની વચ્ચે સધર્ન અમેરિકામાં હબશી લોકો પર જે રાજકીય-સામાજિક જુલમ થયા હતા, ત્યારે ૩,૫૦૦ લોકોનાં લિન્ચિંગ થયાં હતાં. આ કોઈ છૂટીછવાઈ સહજ હિંસા ન હતી. એ હેતુપૂર્વકની રાજકીય કતલ હતી. એના મૂળમાં ગુલામી પ્રથા સામે થયેલા ગૃહયુદ્ધ પછી, ગોરા લોકોનું આધિપત્ય સાબિત કરવા અને આફ્રિકન-અમેરિકાનોને કાબૂમાં કરવા માટેની લડાઈ હતી.

તમે થોમસ જેફરસનનું નામ સાંભળ્યું હશે. એ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના તૃતીય પ્રેસિડેન્ટ (૧૮૦૧-૧૮૦૯) હતા. અમેરિકન સ્વતંત્રતાનું ઘોષણાપત્ર એમણે લખ્યું હતું. ૧૭૭૯થી ૧૭૮૧ સુધી જેફરસન વર્જીનિયા સ્ટેટના દ્વિતીય ગવર્નર હતા. એમના નામે એક પત્ર છે, જે પહેલી ઓગસ્ટ,૧૭૮૦માં લખાયો હતો. પત્ર લખાયો હતો બેડફોર્ડ કાઉન્ટી મિલિશિયા(નાગરિક સૈન્ય)ના કર્નલ ચાર્લ્સ લિન્ચને. અમેરિકન ક્રાંતિના ઇતિહાસમાં કેટલાંક નામોને યાદ કરાય છે, તેમાં આ ચાર્લ્સ લિન્ચ મોખરે છે. ગ્રેટ બ્રિટનના શાસનમાંથી ૧૩ કોલોનીઓએ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના રૂપમાં સ્વાતંત્ર્ય જાહેર કર્યું, ત્યારે આ ચાર્લ્સે લિન્ચે બ્રિટિશ વફાદારોને પકડવા માટે સૈન્ય બનાવ્યું હતું.

પત્રમાં જેફરસન લખે છે, "આ લોકોને તત્કાળ પકડવાની જે મેથડ તમે અપનાવી છે એ ઉત્તમ છે. તમે એટલું ધ્યાન રાખજો કે, પાછળથી એમની સામે નિયમ પ્રમાણે ખટલો ચાલે." એ ઓગસ્ટ મહિનામાં જ, લિન્ચના માણસોએ (એમને પેટ્રીઅટ્સ કહેવાતા હતા) એવા ત્રણ દેશદ્રોહીઓ(એમને ટોરીઝ કહેવાતા હતા)ને શોધી કાઢ્યા હતા. બેને ચાબૂકથી ફટકાર્યા, ત્રીજાને લટકાવી દીધો.

ચાર્લ્સ લિન્ચ યુવાનીમાં ક્વેકર(એક ઈસાઈ સંપ્રદાય)નો સભ્ય હતો, અને એક ક્વેકરની જ છોકરીને પરણ્યો હતો. એમાં જ એ જમીનદાર બન્યો, અને ગુલામો રાખતો થયો. એણે બ્રેડફોર્ડ કાઉન્ટીમાં 'શાંતિની અદાલત' શરુ કરી, એટલે એને ક્વેકર પંથમાંથી 'નાત બહાર' મૂકવામાં આવ્યો. નાત બહાર મુકાયો એટલે, ગુજરાતી ભાષામાં કહીએ તો, એ બહારવટે ચડ્યો. એણે એક સૈન્ય ઊભું કર્યું, અને 'સમાજ સેવા' શરુ કરી.

પોતે જ પોલીસ અને પોતે જ ન્યાયાધીશ. એ ઘરમાં જ કોર્ટ બેસાડતો. એના માણસો શકમંદોને પકડી લાવતા, અને કર્નલ લિન્ચને એ ગદ્દાર લાગે તો, એમને અંગૂઠાઓમાં દોરડું બાંધીને લટકાવવામાં આવતા, અને પછી કોડા મારવામાં આવતા. આ ગદ્દારોને ત્યાં સુધી આવી રીતે લટકાવી રાખવામાં આવતા, જ્યાં સુધી એ લોકો 'રિહાઈ'ની ભીખ ના માંગે. છેક ગવર્નર જેફરસન તરફથી હુકમ હોવા છતાં, લિન્ચ તાબડતોબ ન્યાય તોળતો. એને એવો વિશ્વાસ હતો કે, એને કશું જ નહીં થાય. બેએક વર્ષ સુધી આ પ્રેક્ટિસ ચાલતી રહી, અને એમાંથી જ એ 'લિન્ચના કાનૂન' તરીકે જાણીતી થઇ.

આમાં મોટાભાગના પીડિતો આફ્રિકન-અમેરિકન હતા અને બીજા ઇમિગ્રન્ટ હતા. આવાં લિન્ચિંગ જાહેરમાં, લોકો જુવે એ રીતે થતાં. એના ફોટા પાડવામાં આવતા, અને નજરાણાં તરીકે પોસ્ટકાર્ડ બનાવીને મોકલવામાં આવતા. લટકાવીને મારવા ઉપરાંત, એમને ગોળીઓ મારવી, જીવતા સળગાવવા, પુલ ઉપરથી ધક્કો મારવો કે કારની પાછળ બાંધીને ઢસેડવા જેવી રીતો પણ અપનાવવામાં આવતી. દક્ષિણ અમેરિકામાં ૧૮૯૨માં લિન્ચિંગ એની ચરમસીમાએ હતું. આ લિન્ચિંગમાં એક જ રાજકીય સંદેશો હતો – ગોરા અમેરિકનો (જેના વોટથી ડોનાલ્ડ ટ્રમ્પ આજે ચૂંટાયા છે) મર્દ છે, અને બ્લેક પુરુષો નપુંસક.

અમેરિકામાં એક સદી સુધી લિન્ચિંગ એક વ્યાપક સમસ્યા હતું. અમેરિકન પ્રતિનિધિ સભામાં ૧૮૮૨થી ૧૯૬૮ સુધી લિન્ચિંગ વિરોધી કાનૂન માટે ૨૦૦ બીલ રજૂ કરવામાં આવ્યાં હતાં. એમાંથી, દક્ષિણ અમેરિકાના વગદાર ડેમોક્રેટ્સના કારણે, સેનેટમાં એક બીલ પાસ થઇ શક્યું ન હતું. આ ઘાતકી પ્રથાને કાનૂનના દાયરામાં લાવવાની નિષ્ફળતા માટે ૨૦૦૫માં સેનેટે માફી માગી હતી. હવે, એક નવું બીલ સેનેટમાં વિચારણા હેઠળ છે, જે લિન્ચિંગને ફેડરલ અપરાધ બનાવશે.

ભારતમાં સુપ્રિમ કોર્ટે કૈંક આ જ તર્જ પર, લિન્ચિંગને (પિનલ કોડની પ્રવર્તમાન જોગવાઈઓથી) અલગ અપરાધ તરીકે ગણવા સૂચન કર્યું છે. એકલદોકલ હત્યા હોય એને સામાન્ય ક્રાઈમ કહેવાય, પણ એ જો પ્રકોપ બનીને સામે આવે તો એ નૈતિક બ્રેકડાઉન ગણાય. જાણીતા લેખક શિવ વિશ્વનાથન્‌ કહે છે, લિન્ચિંગ આમ તો કાયદાની ઐસીતૈસી જેવું લાગે, પરંતુ એની પાછળ ઉચાટ અને અસુરક્ષાની રાજનીતિ છે. જે સમાજમાં વ્યગ્રતા હોય, તેને એક ફોકસની જરૂર પડે છે, જેના પર હિંસા ઊતારી શકાય. ઘણા સમાજોએ આવી રીતે આક્રોશ રિલીઝ કરવા માટે જાત-પાત, ધર્મ, રંગ અને વ્યવસાયના આધારે બલીના બકરા ઊભા કરેલા છે.

ભારતમાં વોટ્સએપ પર અફવાના પગલે લિન્ચિંગનો ભોગ બનેલા લોકો આવા જ અજાણ્યા, નીચલા વર્ગના, ગરીબ લોકો જ હતા. આપણે આના માટે ટેકનોલોજી કે વોટ્સએપને ભાંડીએ છીએ અને એને બંધ કરવા કે નિયંત્રિત કરવાની વાત કરીએ છીએ, પરંતુ એની ગહરાઈમાં એક આદિમ સામાજિક માનસિકતા છે, જે ડર અને ઉચાટથી ભરેલી છે. એ ડર અને ઉચાટ 'બીજા' લોકોનો છે, જે આપણા જેવા નથી. લિન્ચિંગને કાયદો-વ્યવસ્થાના પ્રશ્ન તરીકે જોવાનું સરળ છે, અઘરું તો એના સામાજિક અચેતનને સમજવાનું છે.

https://www.facebook.com/permalink.php?story_fbid=2092230304438351&id=1379939932334062  

Loading

16 August 2018 admin
← સુઝન અને વિવેક
વાજપેયી વહાલનો દરિયો →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved