Opinion Magazine
Number of visits: 9448345
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૂઝ કનેક્શન શ્રેણી (30)

સુમન શાહ|Opinion - Opinion|16 April 2022

બે મનુષ્યજીવો -સ્ત્રીઓ પુરુષો – ઘણી નિકટતાથી જીવતાં હોય. મીઠા સમ્બન્ધથી જોડાયેલાં હોય. પણ એઓ જ એક દિવસ સમ્બન્ધને છેહ દઇને છૂટાં પડી જાય છે. સમ્બન્ધનું ઘણું સુખ હતું પણ સમ્બન્ધછેહનું એથી યે મોટું દુ:ખ ઊભું થઈ જાય છે. જીવન ખારું ખારું લાગે છે. આમ કેમ? કેમ કે માનવજીવન ઍબ્સર્ડ છે, અસંગત, અર્થહીન. પુનરાવર્તનનો દોષ વ્હૉરીને પણ હું આ જ વિધાન કર્યા કરું છું; કર્યા જ કરીશ.

પણ માણસ માણસ વચ્ચે સમ્બન્ધ એક પ્રાણસભર રસાયણ છે. માણસ પોતાના પ્રાણથી જીવતો હોય છે પણ સમ્બન્ધથી બીજા સાથે જોડાય એટલે તેના પ્રાણ સાથે પણ જોડાતો હોય છે. બેવડી પ્રાણશક્તિથી જીવતો થઈ જાય છે. સ્ત્રી અને પુરુષ, સ્ત્રી અને સ્ત્રી, પુરુષ અને પુરુષ, પ્રિયા અને પ્રિય, મિત્ર અને મિત્ર, મિત્ર અને મિત્રાણી, મિત્રાણી અને મિત્રાણી – કોઇ પણ સમ્બન્ધથી જોડાયેલાં, સૌ કોઈ !

કહે છે, પરદેશમાં ગામનું કૂતરું મળે તો પણ હેત ઉભરાય છે. જો કે અમુક ગુજરાતીની સામો અમુક ભટકાય તો નજરો નથી મેળવતા, ડોકું સ્હૅજ ઊંચું કરી આકાશ ભણી જોવા લાગે છે. એક જ દેશપ્રદેશના, ઘણી વાર તો એક જ શ્હૅરના કે ગામના હોય, છતાં બે મનુષ્ય વચ્ચે આવી લુખ્ખાસ શા માટે? આપણે જોતા આવ્યા છીએ કે ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા ને કંકાસ થાય છે. પતિ-પત્ની લડી પડે છે, એ જુદી વાત છે કે રાતે એક થઈ જાય છે. બે મિત્ર કે બે બેનપણી વચ્ચે અણબનાવ થાય છે ને કાયમ માટે છૂટાં પડે છે. પ્રૅમલા-પ્રૅમલી વચ્ચેના બ્રેક-અપની વાતો આપણે જાણીએ છીએ. પૅચ-અપની પણ જાણીએ છીએ કેમ કે બ્રેક-અપની જાણતા હોઈએ છીએ. મનુષ્યજીવનમાં ઓળખીતા ઓળખીતા વચ્ચેનો કે પરિચિત પરિચિત વચ્ચેનો એવો દુખદ અલગાવ વિચાર માગી લે છે.

એ અલગાવ કે એ સમ્બન્ધછેહ અનેક રીતે થાય છે :

બે મિત્રને એકબીજાનો પરિચય થાય તે પછી એ સમ્બન્ધ ઠીક ઠીક વિકસે. બને કે વિકાસ દરમ્યાન સમ્બન્ધ ‘અતિ’ થઇ જાય. કોઇ એક મિત્ર ઑચાઈ જાય. કોઇ એક બેનપણી મૉં મચકોડતી થઈ જાય. મૈત્રી ભાંગી પડે. કહેવાયું જ છે કે ‘અતિ પરિચયાત્ અવજ્ઞા’, પણ અવજ્ઞાથી ય આગળ, સમ્બન્ધનાશ થાય છે.

મોટાભાગનાં પ્રેમીઓનું જીવન પ્રારમ્ભે ધમધમાટ હોય છે. વ્હૉટ્સઍપિન્ગ – ફોન વિડીઓફોન ચૅટિન્ગ મૅસેજીસ; કે ઇમેઇલ્સ, પાર વગરનાં. ન સમયની દરકાર કે ન સ્થળનું ભાન. સમ્બન્ધ પ્રેમનો હોવાછતાં ક્રમે ક્રમે ટેવ બનીને રહી જાય છે. એ જ સમયે એ જ સ્થળે એ જ મિજાજ સાથે મળવું ને એ-ની-એ જ વાતો કરવી, એ જ લટ સંવારવી, એ જ રીતનાં ચૂમી કે ચુમ્બન કરવાં, વગેરે ટેવવશ જિવાવા લાગે છે. એટલે પછી એક દિવસ માણસને સમ્બન્ધનો કંટાળો આવવા લાગે છે, બેપરવાઇ આવી જાય છે. કોઇ કમનસીબ ઘડીએ બન્ને એકબીજાંને અજાણ્યાં કે પરાયાં પણ લાગવા માંડે છે. રાતદિવસનો પ્રેમ પળવારમાં અલોપ થઇ જાય છે.

સંસ્કૃત કાવ્યશાસ્ત્રી રાજશેખરે (૧૦મી સદી) કાવ્યના કે સાહિત્યકલાના ભાવકોના પ્રકાર પાડ્યા છે. એમાં એમણે એક પ્રકાર ‘અરોચકી ભાવક’-નો કલ્પ્યો છે. અરોચકતાનું કારણ એ ભાવકની રુચિ કે સુરુચિ નહીં પણ સાહિત્યિક અરુચિ હોય છે. અમુક સાહિત્યરચના જોઇને મૉં બગાડીને એ આઘો ખસી જાય છે. દુનિયામાં આ અરોચકીઓના જેવા અરોચકી મનુષ્યો પણ હોય છે, ઘણા મળી આવે છે. એઓ હઠીલા હોય છે. રાજશેખરે અરોચકી ભાવકોમાં અકાટ્ય એવી ‘સ્વાભાવિકી અરોચકતા’ પણ જોઇ છે. કહ્યું છે કે અનેક ‘સંસ્કારો’ કરો તો પણ એ નષ્ટ નથી થતી. હઠીલાઓનું પણ એવું જ હોય છે – પથ્થર પર પાણી.

Pic courtesy : Pinckney Well Drilling

પૃથ્વી પર લગભગ ૭.૯ બિલિયન મનુષ્યો જીવે છે. માણસે વિચારવું જોઇએ કે એમાં પોતાના કેટલા -? કદાચ ૭ ! એમાં ખરેખરા કેટલા -? સરવાળા બાદબાકી પછી ૧ કે ૨ જ જડશે. જો એટલા ૧ કે ૨-ને પણ ન સાચવી શકાય, તો? તો હું એને જીવનની મહા મોટી નિષ્ફળતા ગણું છું.

આત્મા પરમાત્મામાં ભળી જાય એ તો જ્યારે થાય ત્યારે, પણ નજીકમાં, બાજુમાં કે સૉડમાં વસતા સ્વજનના આત્મા જોડે જોડાવાનું તો સરળ છે; તે બને કે નહીં? વિશ્વમાનવી બનવાનું ભાખી શકાય છે પણ નિકટતમ જીવતી વ્યક્તિ જોડે માનવી નથી થઈ શકાતું; એવું કેમ? અસ્તિત્વાદીઓ તો એમ કહીને છૂટી પડવાના કે સામાની સ્વતન્ત્રતા વિશે વ્યક્તિ જવાબદાર નહીં રહી હોય. કેમ કે માણસથી સ્વની તન્ત્રતાનો ઝાઝો ખરચો બીજાને માટે નથી કરી શકાતો. એ ગમે ત્યારે સ્વમાં પાછો ફરીને જંપે છે. વળી, એ ભૂમિકાએ એ લોકો તો એમ પણ કહેવાના કે પ્રેમસમ્બન્ધ એક અશક્યતા છે. આ તો જો કે તત્ત્વનું વર્ણન થયું; જ્ઞાન થયું એમ પણ કહેવાય.

પુનરાવર્તનનો દોષ વ્હૉરીને કહ્યા કરું છું કે જીવન અર્થહીન છે, પણ એ જ દોષ વ્હૉરીને એમ પણ કહ્યા કરું છું કે માણસે પોતાના જીવનને હર પળે અર્થવતું કરવું જોઈશે. જેઓ પોતાની નિકટે બચી ગયેલાં વહાલાંને પ્રેમ નથી કરી શકતાં તેઓ જાણ્યે અજાણ્યે જીવનનો દ્રોહ કરે છે. જીવનદ્રોહીને કોઈ ઉગારી શકતું નથી.

અસ્તિત્વવાદીઓએ જનમાવેલા જ્ઞાનથી એકમેકમાં ભળી જવાતું નથી, ત્યાંના ત્યાં જ રહેવાય છે. ભળી જવા માટેના પ્રયાસો આદરવા બાકી રહે છે. એ જ્ઞાનની વિરુદ્ધ જઇને કહું કે ભળી જવા માટેનું મહા રસાયણ પ્રેમ છે. પોલી કે ખોખલી હરેક ક્ષણને પ્રેમથી ખરી કે સાચી કરી શકાય છે. એ કામ અઘરું જરૂર છે, પણ અશક્ય નથી.

બાકી, સમ્બન્ધછેહ માણસને એકલો પાડી દે છે. ઘરના ખૂણે એકલો એકલો પોતાની એકલતા જોડે વાતો કર્યા કરે છે. અહમ્-ના કૂવામાં પડ્યો રહે છે ને એ પ્રકારે ખતમ થઈ જાય છે.

= = =

(April 16, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

16 April 2022 admin
← આર્થિક રીતે પછાત વર્ગ : વ્યાખ્યા અને વાસ્તવિક્તા
ભાષા પ્રજા દ્વારા સ્વીકૃત થાય પછી વધારે સમૃદ્ધ બને →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved