Opinion Magazine
Number of visits: 9446679
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૂઝ કનેક્શન શ્રેણી (20)

સુમન શાહ|Opinion - Opinion|25 January 2022

આ શ્રેણીમાં હું અસ્તિત્વવાદની ભૂમિકાએ માનવસમ્બન્ધો વિશે, સવિશેષે જાતીય સમ્બન્ધ વિશે – સૅક્સ્યુઅલ રીલેશનશિપ વિશે – એક વિસ્તૃત ચર્ચા શરૂ કરું છું.

ભારતીય પરમ્પરામાં રજનીશ – ઓશો – ઇત્યાદિ દાર્શનિકોએ જાતીયતાને અધ્યાત્મમાર્ગનું અનુત્તમ સાધન ગણીને તેનું ઘણું ગૌરવ કર્યું છે. જાણીતું છે કે ઓશોએ તો સમ્ભોગને સમાધિ સાથે જોડીને પોતાના એ દર્શનની ચરમ સીમા દર્શાવી છે.

મનુષ્યના અધ્યાત્મજીવનના એ દાર્શનિકો એમની જગ્યાએ બરાબર છે, છતાં એ જાણવું જરૂરી છે કે જાતીય જીવનની નરી વાસ્તવિકતા શું છે, તેનું સ્વરૂપ શું છે અને તેની ફળશ્રુતિ શું છે.

મને એ જાણ સાર્ત્રના અસ્તિત્વશીલ દર્શને લાધી છે ને હું તેને કેટલીક વીગતોમાં આ સ્થાને મૂકી રહ્યો છું :

સાર્ત્ર ઇચ્છા – ડીઝાયર – અને જાતીય ઇચ્છા – સૅક્સ્યુઅલ ડીઝાયર – વચ્ચે ફર્ક જુએ છે. હું દાખલો આપું કે કેળું ખાવાની ઇચ્છા અને જાતીય આવેગવશ ચુમ્બન કે આલિંગન કરવાની ઇચ્છામાં ફર્ક છે.

સાર્ત્ર એમ કહે છે કે જાતીય ઇચ્છાને જાતીય અંગાંગો સાથે ઝાઝી લેવાદેવા નથી, જેટલી એને આપણા હોવાપણાની – બીઇન્ગની – અવસ્થાઓ સાથે છે. આપણે માણસો જનમથી માંડીને મરણ લગી જાતીય જીવો – સૅક્સ્યુઅલ બીઇન્ગ્સ – હોઈએ છીએ. તેમ છતાં, જાતીય અંગાંગો આપણી ઇચ્છાઓને સમજી કે સમજાવી શકતાં નથી.

સાર્ત્ર જણાવે છે કે કોઈને આપણે ખાલી મૉજ ખાતર નથી ઇચ્છતા; એટલા માટે પણ નહીં કે જાતીય ઉત્થાનથી મળતા આનન્દનું એ વ્યક્તિ ભાજન છે. સાર્ત્ર જણાવે છે કે આપણે ચેતનાને ઝંખીએ છીએ – વી ડીઝાયર કૉન્સ્યસનેસ.

સામાન્ય ઇચ્છા અને જાતીય ઇચ્છા વચ્ચેનો ફર્ક એટલો સ્પષ્ટ છે કે આપણે કેળું ખાવા માંડીએ ને ખવાઈ જાય એટલે આપણને સંતોષ થઈ જાય; પણ, સામાની ચેતનાને વિશેની આપણી ઝંખના મટી જતી નથી.

આપણે કહીએ છીએ કે ઇચ્છાએ આપણને કબજે કરી નાખ્યાં કે આપણને ડઘાવી દીધાં કે અભિભૂત કરી મેલ્યાં, પણ એવું આપણે ભૂખ વિશે કે તરસ વિશે નથી કહી શકતાં.

સાર્ત્ર જણાવે છે કે તેમ છતાં જાતીય ચેતના મારું સમાધાન તો કરે જ છે – કૉમ્પ્રોમાઇઝિસ મી. ઇચ્છા વડે મારી ચેતના ‘ક્લૉગ્ડ’ થઇ જાય છે – અવરોધાય છે – અથવા એમ કહેવાય કે 'ઇટ ઇન્વેડ્સ અસ', આપણને મ્હાત કરી દે છે. આપણે એને થવા દઇએ કે દાબી દઇએ, પણ કોઇ પણ હિસાબે જાતીય ભૂખ બીજાંઓની હોય એવી મારી નથી હોતી, કેમ કે એ મારા જ ચિત્તને સાંકળી રાખે છે, માત્ર મારા શરીરને નહીં.

સાર્ત્ર દર્શાવે છે કે સમ્ભોગમાં ચેતના રસ્તો દેખાડી દે છે કે આપણે શરીર બની રહીએ. એ દરમ્યાન વ્યક્તિ ઇચ્છે છે કે પાર્ટનર વ્યક્તિ માત્ર હાડમાંસ બની રહે. સાર્ત્ર જણાવે છે કે સામી વ્યક્તિને, અન્યને – અધરને – પંપાળીએ છીએ એટલે અન્યના હાડમાંસ જાગે છે, એમાં જીવ આવે છે. એમ કરીને અન્યમાં ભલે ઇચ્છા જગાડીએ છીએ પણ ત્યારે આપણે પણ આપણા શરીરને શરીર રૂપે અનુભવવા માગીએ છીએ – શરીર કે જેને દુનિયા શરીર કહે છે.

Picture courtesy : GOGRAPH

સાર્ત્ર ચિત્ત અને શરીર વચ્ચે ચાલતા ઇન્ટરપ્લેને – લીલાને – વર્ણવતાં કહે છે કે આપણે સભાન હોઈએ છીએ છતાં, સમ્ભોગ દરમ્યાન પાર્ટનરને નર્યા એના શરીરમાં બદલી નાખવાનું કરીએ છીએ, આપણને પણ આપણે માત્ર શરીર રૂપે જ ઇચ્છીએ છીએ – ભલે ને થોડી વાર માટે.

કોઇ પણ યુગલ વચ્ચે પ્રવર્તતી આ વાસ્તવિકતા છે. એમાંથી 'બીઇન્ગ ઍન્ડ ધ અધર'ને વિશેના – સત અને અન્યને વિશેના – પાયાના પ્રશ્નો ઊભા થાય છે.

સાર્ત્રે પહેલાં તો ‘નોસિયા’ નવલકથા લખેલી, ૧૯૩૮. એ પાયાના પ્રશ્નો એમના મહાન દાર્શનિક ગ્રન્થ ‘બીઇન્ગ ઍન્ડ નથિન્ગનેસ’-માં પૂરી નિસબતથી નિરૂપણ પામ્યા છે – ૧૯૪૩. એવું કહેવાય છે કે દર મિનિટે ૨૫૦ શબ્દ વાંચી શકે એ વાચકને એ મહા ગ્રન્થ વાંચતાં ૧૩ કલાક અને ૩૧ મિનિટ લાગે.

એમનું સમગ્રતયા દર્શન એ છે કે, મનુષ્યચિત્ત અને વિશ્વની વસ્તુઓ નહીં પણ ચેતના અને તેનું વિરુદ્ધ જે શૂન્યત્વ છે તેનો અને સતનો – નથિન્ગનેસ અને બીઇન્ગનો – મુદ્દો માનવજીવનમાં હમેશાં પ્રાધાન્ય ભોગવે છે.

નથિન્ગનેસ અને બીઇન્ગ એક દ્વૈત છે. એવું કે જેને કદી પણ નિ:શેષ કરી શકાતું નથી. એમાં, સંસારમાં અસ્તિત્વને પડતાં દુ:ખોની વારતા છે. એ દ્વૈતે પેદા કરેલાં ટેન્શન્સનો માણસ સામનો તો કરે છે, પણ કેવી રીતે? એવો દમ્ભ ઓઢીને કે લોકો વ્યક્તિઓ નથી પણ વસ્તુઓ છે – સબ્જેક્ટ્સ નથી પણ ઑબ્જેક્ટ્સ છે !

સાર્ત્ર એને વંચના કહે છે – બૅડ ફેઇથ. વંચના, કામ અથવા સૅક્સ અને સૅક્સ્યુઆલિટીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સમ્ભોગમાં કે જાતીય વ્યવહારોમાં પુરુષ સ્ત્રીને કે સ્ત્રી પુરુષને કોઈ પણ સમયે વસ્તુ ઑબ્જેક્ટ – ગણતાં થઈ જાય છે, એ તો જગજાહેર સત્ય છે.

હવે પછી સમજીશું નથિન્ગનેસ, બીઇન્ગ, ધ અધર, બૅડ ફેઇથ, વગેરે વગેરે.

=  = =

(January 23, 2021: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

25 January 2022 admin
← ઘોલેરા મીઠા સત્યાગ્રહ [1930]
લૂઝ કનેક્શન શ્રેણી (21) →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved