Opinion Magazine
Number of visits: 9504769
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકમિલાપ – વિદાય વેળાએ

તેજસ વૈદ્ય|Opinion - Opinion|21 November 2019

ભાવનગરમાં સર પ્રભાશંકર પટ્ટણી ઇન્સ્ટિટ્યૂટમાં બી.એસ.સી.માં મેં એડમિશન લીધું હતું. વતન સોમનાથની બહાર રહેવાના અને હોસ્ટેલમાં રહેવાના એ શરૂઆતના દિવસો હતા. અત્યાર સુધીનું જીવન ગામમાં જ વિતાવ્યું હતું, પહેલી વખત કોઈ ફાટફાટ થતાં શહેરમાં રહેવાના દિવસો આવ્યા હતા. મૂળે ગામનો જીવ એટલે શહેરમાં લોકો સાથે મળતાં અને ભળતાં થોડો સંકોચ થતો. હું કોલેજમાં પણ મોટે ભાગે એકલો જ જોવા મળતો. હોસ્ટેલથી કોલેજ અને કોલેજથી હોસ્ટેલ આ ગોઠવાઈ ગયેલું શિડ્યુલ હતું.

મહેન્દ્ર મેઘાણી વિશે તો ખૂબ સાંબળ્યું હતું પરંતુ તેમની લોકમિલાપ નામની પુસ્તકોની દુકાન છે એ વિશે ભાવનગર આવ્યા પછી માલૂમ પડ્યું. બનતાં સુધી મને મારા મોટા ભાઈ ગૌરાંગે જણાવ્યું હતું. કારણ કે, ગૌરાંગ ભાવનગરમાં જ કોલેજ કરી ચૂક્યો હતો.

એક દિવસ હોસ્ટેલેથી ફરતો ફરતો લોકમિલાપ જઈ ચઢ્યો, અને પછી તો દોડવું'તું ને ઢાળ મળ્યો – નાચવું'તું ને ડાન્સફ્લૉર મળ્યો જેવો ઘાટ ઘડાયો. પછી તો અઠવાડિયે દશ દિવસે લોકમિલાપ જવાનો ક્રમ થઈ ગયો હતો. ઘડિયાળ મેળવી શકો એવા ટકોરાબંધ સમયે લોકમિલાપના દરવાજા ઉઘડે.

લોકમિલાપમાં પ્રવેશો એટલે સામે બે તસવીરો જોવા મળે. ગાંધીજી અને અબ્રાહમ લિંકન. એક વખત વાતચીત દરમ્યાન ગોપાલ મેઘાણીએ કહ્યું હતું કે જેમ મંદિરમાં દેવ હોય તેમ આ બંને અમારા દેવ છે. લોકમિલાપની બહાર નવા નવા સુવાક્યોનું બોર્ડ મૂકેલું હોય. ક્યા કવિનો જન્મદિવસ કે તિથિ આવી રહ્યા છે એની વિગત હોય અને લોકમિલાપમાં નવાં આવેલાં પુસ્તકોની યાદી હોય. ટૂંકમાં, એન્ટ્રીથી જ આંખોને જલસો પડી જાય.

મારી અંદર એક વાચક તો હતો જ જે સામયિકો અને છાપાં તેમ જ પૂર્તિઓ વાચતો રહેતો હતો. એ વાચકને પુસ્તકો તરફ દોરવાનું કામ બે જણાએ કર્યું. એક અમારા ગામ સોમનાથના બાલુભાઈ જોષી અને બીજું લોકમિલાપ ટ્રસ્ટ. કોઈ ચોક્કસ પુસ્તક ખરીદવાનું હોય તો એ નિમિત્તે તો લોકમિલાપ જવાનું થતું જ, પરંતુ અચાનક જ જઈ ચઢ્યો હોઉં અને પુસ્તકો લઇને બહાર આવું એવું મોટે ભાગે થતું. ભાસ્કરભાઈ વૈદ્ય ઉર્ફે મારા બાપ અને મિનાક્ષીબહેન વૈદ્ય ઉર્ફે મારી મા દિલેર લોકો છે, તેમણે હોસ્ટેલમાં રહેતા દીકરાને ક્યારે ય કહ્યું નહોતું કે આ અભ્યાસ સિવાયના આટલાં મોંઘાં પુસ્તકો શા માટે ખરીદ્યા? પુસ્તકો ખરીદવાની વિધિવત્ શરૂઆત લોકમિલાપથી જ થઈ હતી.

લોકમિલાપનો પુસ્તકમેળો એવો રસપ્રદ કે એનો મહિનાઓથી ઈન્તેજાર રહેતો કે આ વખતે કોણ મુખ્ય વક્તા આવશે. લોકમિલાપના બૂકસ્ટોરની પાછળ એક ફળિયું છે જેમાં પુસ્તકમેળો લાગતો અને દિલના અરમાન ઝૂમી ઊઠતા.

મહેન્દ્ર મેઘાણીના પુત્ર ગોપાલ મેઘાણીએ પિતાના વારસાના જે રખોપા કર્યા એનાથી પોરસ ચઢે. મહેન્દ્ર મેઘાણીએ પુસ્તકો અને વાંચનની જે આહલેક જગાવી છે એનો કોઈ જોટો જ જડે એમ નથી. આવું નમૂનેદાર કામ કરનારા ગુજરાતમાં જ નહીં, દેશમાં પણ ગણ્યાગાંઠ્યા જ હશે. કુદરતે કેટલાક માણસોને એવા ઘડ્યા હોય છે કે એને પોતાને જીવનમાં શું કરવાનું જે એની જબરી સ્પષ્ટતા હોય છે અને જીવનભર એ ધ્યેયમાંથી વિચલિત થતા નથી. મહેન્દ્રકાકા તમે અમારા જેવા કેટલાંયના જીવતરને ન્યાલ કરી દીધાં એનો આભાર માનવા માટે મૌન – નતમસ્તક.

બૂકસ્ટોર્સ તો મેં દેશભરમાં ઘણા ય જોયા છે, પરંતુ લોકમિલાપને માત્ર બૂકસ્ટોર ન કહી શકાય. ત્યાં વાચક કેળવાય એવો માહોલ છે. રસવૃત્તિ ધરાવતી વ્યક્તિ કંઈ પણ ન ખરીદવાની જીદ સાથે પણ ત્યાં જઇ ચઢે તો પુસ્તકો કે સંગીતની સી.ડી. લીધા વગર પાછી ન નીકળી શકે એવી ખેંચાણવાળી જગ્યા લોકમિલાપ છે.

મેં એક વખત રશિયન સાહિત્યકાર ફ્યોદોર દોસ્તોયવસ્કીની નવલકથા ક્રાઈમ એન્ડ પનિશમેન્ટનું અનુવાદિત પુસ્તક ખરીદ્યુ હતું. ખરીદ્યાના પાંચેક મહિના પછી મેં વાંચવાનું શરૂ કર્યું તો માલૂમ પડ્યું કે અંદરના દશેક પાના છે જ નહીં. બાઇન્ડીંગ કે પ્રિન્ટીંગમાં કોઇ ક્ષતિ રહી ગઈ હશે. હું લોકમિલાપ ગયો અને વાત કરી તો ગોપાલભાઈએ તરત કહ્યું કે પુસ્તક ક્યાં છે. મેં સંકોચ સાથે આપ્યું અને કહ્યું કે મને બીજી નકલ આપોને. તેમણે કહ્યું કે તમામ નકલ વેચાઈ ગઇ છે અને તરત પુસ્તકના પૈસા મારા હાથમાં ધરી દીધા. પાંચેક મહિના પછી કોઇ ગ્રાહક પુસ્તક લઇને આવે અને બિલ જ માગવામાં ન આવે અને તરત પૈસા પાછા આપી દેવામાં આવે એ માહોલ અમથો ઊભો ન થાય. લોકમિલાપ બંધ થાય છે ત્યારે આવી મીઠપવાળી વ્યવહારિકતા પણ ભૂતકાળ બની જશે એ વાતનું દુ:ખ છે. મેં ભાવનગર છોડ્યા પછી પણ જ્યારે ભાવનગર જવાનું થતું તો હું લોકમિલાપ અને પ્રસારની મુલાકાત લેવાનું ક્યારે ય ચૂકતો નહીં. લોકમિલાપ અને પ્રસારના સૂચિપત્રો અને બૂકમાર્ક એટલા રસસભર હોય કે મેં આજ પણ કેટલાંક સંઘરી રાખ્યા છે.

મુંબઈનો મ્યુઝિક સ્ટોર રીધમ હાઉસ બંધ થયું ત્યારે દિલમાં લાગી આવ્યું હતું, અને જ્યારે ખબર પડી કે લોકમિલાપ બંધ થવાનું છે, ત્યારે ફરી દિલની રીધમને ધક્કો લાગ્યો હતો. મનમાં એવી ઈચ્છા થઈ કે નાના બાળકની જેમ જઇને મહેન્દ્ર મેઘાણીનો હાથ હલાવીને પૂછીએ કે કાકા, આવું કેમ!?

લોકમિલાપે તો વર્ષો સુધી પુણ્યનો વેપાર કર્યો જ છે ત્યારે એ જો રજા માગતું હોય તો એને હસતા વદને જ અલવિદા કહેવી પડે. લોકમિલાપ અને પ્રસાર ભાવનગરના નહીં ગુજરાતના રતન હતા.

https://www.facebook.com/tejas.vaidya.16/posts/2897418933610410

Loading

21 November 2019 admin
← તેમના હાથમાં ગાંધીની આત્મકથા મુકતા આખા શરીરમાં જાણે રોમાંચ પ્રસરી ગયો
Islamophobia: What’s Common between Payal Tadvi and Fathima Latif →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved