
રવીન્દ્ર પારેખ
સગીરનાં લગ્નને બાદ કરતાં, લગ્ન નોંધણીમાં માતાપિતાની સંમતિ અનિવાર્ય નથી. આમ પણ સગીરાનાં લગ્ન, માબાપની સંમતિ હોય એટલા માત્રથી કાયદેસર થઈ જતાં નથી. માબાપની સંમતિ હોય તો પણ બાળવિવાહ પ્રતિબંધક કાયદા હેઠળ, લગ્ન ગેરકાયદેસર અને દંડનીય અપરાધ જ છે, એટલે માતાપિતાની સંમતિ સગીરનાં લગ્નને કાનૂની બનાવી શકતી નથી તે હકીકત છે. કાયદાકીય રીતે લગ્ન માટે યુવાનની ઉંમર 21 અને યુવતીની 18 વર્ષ હોવી અનિવાર્ય છે. વચમાં તો યુવતીઓ માટે લગ્નની કાયદાકીય ઉંમર 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ કેન્દ્રીય મંત્રી મંડળે, ડિસેમ્બર, 2021માં રજૂ કર્યો હતો. મતલબ કે 18ની યુવતી સરકાર ચૂંટી શકે, પણ પરણી ન શકે એવી સ્થિતિ હતી. જો કે, હવે યુવતીની લગ્ન માટેની કાનૂની ઉંમર 18 હોય તેમ લગ્નો થાય છે.
ગુજરાતના ગૃહમંત્રીએ થોડા દિવસ પર મોર માર્યો હોય તેમ, એવી જાહેરાત કરી કે લગ્નમાં નોંધણી વખતે એટલે કે મેરેજ સર્ટિફિકેટ માટે વર-વહુએ માતાપિતાનું ડેકલેરેશન આપવાનું રહેશે. ટૂંકમાં, માબાપની સંમતિ અનિવાર્ય ગણાશે. પ્રેમલગ્નની સમસ્યાઓ સંદર્ભે આવો નિયમ એક તબક્કે વાજબી લાગે, પણ તે ઘણા પ્રશ્નો ઊભા કરે છે. લગ્ન નોંધણીના નવા નિયમો પ્રમાણે અરજી માટે બંને પક્ષકાર – વર-વધૂ અને બે સાક્ષીઓની સહીઓ સાથે નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરીને રજૂ કરવી પડશે અને તેની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા અપાયેલા ઓળખના પુરાવા, જેવાં કે, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, ઓળખપત્ર … વગેરે આપવાના રહેશે. હવે નવાં નિયમ પ્રમાણે મેરેજ સર્ટિફિકેટ માટે અરજી કરનાર યુગલના માતાપિતાને કામકાજના દસ દિવસમાં આસિસ્ટંટ રજિસ્ટ્રાર દ્વારા જાણ કરવામાં આવશે. આ જાણકારી સરકારે નક્કી કરેલાં માધ્યમો દ્વારા ઈલેક્ટ્રોનિક રીતે કે રૂબરૂ આપવામાં આવશે. આસિસ્ટંટ રજિસ્ટ્રાર અરજી મળ્યાં બાદ સંબંધિત જિલ્લા કે તાલુકાના રજિસ્ટ્રારને મોકલશે ને નિયમોનું યોગ્ય રીતે પાલન થયું હશે, તો 30 દિવસમાં મેરેજ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવશે.
આટલું ઓછું હોય તેમ ગુજરાતના ગૃહમંત્રીએ બીજી પણ કેટલીક જાહેરાતો કરી છે, જેમ કે, લવ મેરેજમાં માતાપિતાની સંમતિ ફરજિયાત રહેશે. લગ્ન કરનાર યુગલે માતાપિતાની સહમતિના પુરાવા આપવાના રહેશે. ગૃહમંત્રીના કહેવા મુજબ, ભાગીને પરણતી દીકરીની સલામતી માટે લગ્ન વખતે માબાપની સંમતિની ઊઠેલી માંગને લીધે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમો પાછળનો છૂપો હેતુ એ છે કે લગ્ન સમાજમાં જ થાય ને સામાજિક માળખું સચવાઈ રહે. એમ પણ લાગે છે કે કેટલીક સામાજિક સંસ્થાઓની માંગને પોષવા, લગ્ન નોંધણી પ્રમાણપત્રમાં માતાપિતાની સંમતિ સરકારે અનિવાર્ય ગણી છે. લવ જેહાદના નામે જે ખેલ ચાલી રહ્યો છે ને ઓળખ છુપાવીને છોકરીઓને ફસાવવામાં આવી રહી છે તે અટકાવવા, માતાપિતાની સંમતિનો નિયમ લાવવામાં આવ્યો છે. એટલું સારું છે કે નવા નિયમો અંગે 30 દિવસમાં આવનારા વાંધા-સૂચનો બાદ, સરકાર માતાપિતાની સંમતિ અંગે ઘટતો નિર્ણય લેશે. જો કોઈ વાંધા મંજૂર ન થાય તો લગ્નમાં માબાપની સંમતિ અનિવાર્ય બનશે ને તે કાનૂની રૂપ પામશે.
લગ્નમાં માબાપની સંમતિનો કાયદો લાવવાની વાત જૂની નથી ને શક્ય છે કે તેનો કાયદો પણ થઈ જાય. રાજ્ય સરકારે લગ્ન નોંધણીમાં કેટલાક સુધારા સૂચવ્યાં છે ને લગ્ન માટે માબાપની સંમતિની જોગવાઈ ઉમેરી છે. એ કાનૂની રૂપ પામે તો લગ્ન કરવાના અધિકાર પર બ્રેક લાગે એમ બને. એમ કરવાથી મુક્ત રીતે લગ્ન કરવાના બંધારણીય હક પર તરાપ પડે એવું, નહીં? ધારો કે માતાપિતા લગ્ન માટેની સંમતિ નથી આપતાં તો લગ્નની નોંધણી નહીં થાય એમ ખરું?
એમ લાગે છે કે સરકારે કોઈ વાતે દોરવાઈને આ સુધારો કરવા ધાર્યું છે. અમુક જ્ઞાતિ-કોમની લાગણી છે એટલે, કે અમુક કોમ તેનો લાભ ન ઉઠાવે એટલે, માતાપિતાની સંમતિનો મુદ્દો ઉપસાવાયો છે, પણ આવા નિર્ણયો બાયસ્ડ માઈન્ડથી લેવાતા હોવાનો વહેમ પડે છે. ખાસ કરીને આવી કાનૂની બાબતો પૂરાં ગાંભીર્યથી ને પૂરતાં તાટસ્થ્યથી સરકારે જોવાની રહે, પણ એવું ઓછું જ બને છે. સરકાર પક્ષપાતી હોય એ અપેક્ષિત નથી. મોટે ભાગના વકીલો સરકારના સંમતિના મુદ્દે સહમત નથી ને તેમની પાસે તેનાં કારણો પણ છે. સરકાર વ્યક્તિના બંધારણીય અધિકારની ઉપરવટ જતી હોય એવું પણ લાગે છે. ઘણાનો મત છે કે માબાપની સંમતિના ઉમેરણથી લગ્નની નોધણીમાં કોઈ ફરક પડે એમ નથી. બંધારણમાં ઉંમર લાયક વિજાતીય વ્યક્તિઓને લગ્નનો અધિકાર આપ્યો હોય તો માબાપની સંમતિનો સુધારો નિરર્થક છે. એ સુધારો કરવો હોય તો બંધારણ બદલવું પડે, કારણ બંધારણની કલમ 21 તો કોઈ પણ ઉંમર લાયક વિજાતીય વ્યક્તિઓ ગમે ત્યારે ને ગમે ત્યાં લગ્ન કરવા મુક્ત છે તેવું કહે છે. તેને માબાપની સંમતિને મુદ્દે સંકુચિત કરી શકાય નહીં. એ સાથે જ માબાપને મુદ્દે પણ કેટલાક પ્રશ્નો ઊભા થાય છે.
માબાપે છૂટાછેડા લીધા હોય ને કોઈ સંમતિ આપવા તૈયાર ન હોય, એ સ્થિતિમાં શું કરવું કે સંતાન અનાથ તરીકે બીજા ઘરોમાં ઊછર્યું હોય ત્યારે માબાપ નક્કી કરવાની પણ મુશ્કેલી રહે. કમ સે કમ કોઈ પણ કાનૂની મુદ્દો બંધારણીય અધિકારની ઉપરવટ જતો હોય તો તેને કાનૂની સ્વરૂપ ન અપાય એ જ ઇચ્છનીય છે.
કોણ જાણે કેમ પણ જ્ઞાતિ કોમ વચ્ચેનું રાજકારણ કોઈ પરિણામ પર આવતું નથી એ દુ:ખદ છે. એક તબક્કે જાતિ, કોમ વિશેની માન્યતાઓ જુદી જ હતી. કોઈ પણ જાતિ, કોમ સાથે ભેદભાવ વગર રહેવાનું શીખવાતું, પણ હવે એ ભેદ સપાટી પરથી જ વકરતો આવે છે ને એને સરકાર નવા નિયમો વડે વધુ ગાઢ કરે તે કોઈ પણ રીતે ક્ષમ્ય નથી. લવ જેહાદનું દૂષણ દૂર કરવા કાયદાથી સખત હાથે કામ લેવાને બદલે, કોઈની તરફેણ કરવા સંમતિનો નિયમ લાવવો, કાયદા પર સરકારનો જ ભરોસો નથી એ વાતનો પડઘો પાડે છે.
આમ તો સંમતિનો મુદ્દો કાનૂની રૂપ ધારણ ન કરે તે ઇચ્છનીય છે, પણ ધારો કે તેવું સ્વરૂપ પકડે છે, તો તેનો ગેરલાભ લેનારાઓ પણ નીકળશે. ગુજરાતમાં સંમતિનો કાયદો થાય તો લગ્નોત્સુકો અન્ય રાજ્યમાં લગ્ન નોંધણી માટે જશે તો તેનો હાથ પકડવા ક્યાં જઈશું? એ સ્થિતિમાં અન્ય રાજ્ય તો કોઈ પગલાં નહીં ભરે, કારણ ત્યાં સંમતિનો કોઈ કાયદો નથી. તો, ગુજરાત પણ ક્યાં પગલાં ભરશે, જ્યાં લગ્ન ગુજરાત બહાર જ થયાં છે? એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે મૂળભૂત અધિકારોની ઉપરવટ જઈને કોઈ કાયદો થઈ ન શકે. આપણે ત્યાં દરેક ધર્મ અનુસાર લગ્ન નોંધણીના નિયમો છે. અલગ અલગ ધર્મની વ્યક્તિઓ લગ્ન કરવા માંગતી હોય, તો તેણે સ્પેશિયલ મેરેજ એક્ટની જોગવાઈઓને અનુસરવાનું રહે. એમાં ઓલરેડી 30 દિવસનો નોટિસ પિરિયડ છે જ. એ દરમિયાન વાંધા નોંધાવી જ શકાય. ધારો કે માતાપિતાને લગ્નનો વાંધો છે તો તેઓ પણ 30 દિવસમાં વાંધો ઉઠાવી જ શકે. આ પ્રોવિઝન હોય જ તો માબાપની સંમતિનો મુદ્દો અલગથી ઉપસાવવો જરૂરી નથી.
એક તરફ હિંદુ આંતરજ્ઞાતીય લગ્નો માબાપની સંમતિથી થાય છે, સરકાર પણ તેને રોકડ પુરસ્કારથી નવાજે છે, ત્યાં માબાપની સંમતિનો કાયદો કરવાની વાત બંધારણની વિરુદ્ધ તો છે જ, વધારે સંકુચિત માનસિકતાનો પડઘો પાડે છે. વારુ, આ સુધારા ગુજરાત પૂરતા જ મર્યાદિત હોય, તો તેથી અન્ય રાજ્યો વચ્ચેની સંવાદિતા પણ ખોરવાશે. એ પછી પણ કોઈક રીતે લગ્નમાં માબાપની સંમતિનો કાયદો થાય જ છે, તો તેને ઉપલી અદાલતોમાં ન જ પડકારાય એવું નથી.
ટૂંકમાં, વાત તુક્કાથી આગળ જતી નથી-
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 ફેબ્રુઆરી 2026
![]()

