Opinion Magazine
Number of visits: 9449803
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૃષ્ણ એટલે અંતરમાં વસીને અંતર રાખનારો ઈશ્વર

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 August 2020

આજે કૃષ્ણ જન્મોત્સવ ! કૃષ્ણની વ્યાખ્યા શક્ય નથી. તે સૌને બાંધે છે, પણ કોઈની સાથે બંધાતો નથી. તે બધાંનો છે ને કોઈનો નથી. તે એકલો છે ને એકલો દેખાતો નથી. નાનો હતો ત્યારે ગોવાળો સાથે, ગોપીઓ સાથે રહ્યો, મોટો થયો તો યાદવો સાથે, પાંડવો સાથે રહ્યો. આમ તો સીધી કોઈ જ લેવાદેવા નો’તી, પણ કુરુક્ષેત્રના સાક્ષી થવાનું આવ્યું ને અનેકોનાં મૃત્યુ તેણે નિહાળ્યાં. જ્યાં ધર્મ હતો ત્યાં તે રહ્યો ને અધર્મ હતો ત્યાં વિનાશ થવા દીધો. ધર્મનો જય, પાપના ક્ષય વગર શક્ય નથી તે યુદ્ધ વગર સિદ્ધ થાય એમ ન હતું.

આમ તો બધા ધર્મને તેના દેવો, સ્થાપકો છે. એ સૌને માટે આદર છે, પણ ધર્મની સ્થાપના માટે યુગે યુગે અવતરતો હોવા છતાં કૃષ્ણ કોઈ ધર્મનો સ્થાપક નથી. તે એક જ ધર્મ જાણે છે, સ્વધર્મ ! ને તે પ્રમાણે જ તે જીવ્યો ને તે જ તે સૌને સૂચવે છે.

વિષ્ણુનો તે આઠમો અવતાર છે. આમ તો વિષ્ણુ જતન-સંવર્ધનના દેવ છે, તે દેવ તરીકે જ અસુરોનો કે અધર્મનો નાશ કરી શકતા હતા, તો અવતાર લેવાની જરૂર કેમ પડી? આપણને માનવ જન્મની બહુ પડી નથી, પણ દેવોને માનવરૂપ બહુ વહાલું છે. માનવ થવાથી માતપિતાનો પ્રેમ મળે છે, મા નવ માસ ધારણ કરે છે એટલે દેવ પણ માનવ બને છે. દેવો જાણે છે કે માનવ છે તો દેવો છે. માનવ જ નહીં હોય તો દેવ થઈનેય શું કરવાનું?

જ્યાં જન્મ લેવાનું કોઈને મન ન થાય ત્યાં કારાવાસમાં કૃષ્ણ જન્મે છે. આ માણસને શાંતિ ખપતી જ નથી. જન્મતાં જ માતપિતાથી તે અલગ થયો ને પિતાને જ માથે ચડીને ગોકુળ ગયો. અહીં, પાલક માતાપિતા પણ સગાં માબાપથી ઉતરતાં નથી એ વાતનો તેણે મહિમા કર્યો. ગોપાલન કર્યું ને ગોપાલ બન્યો. દૂધ, માખણને ગોકુળમાં જ રાખવાં તેણે ગોપીઓની મટુકી ફોડી. તેનાં ચીર હર્યાં ને જમુનાને કાંઠે રાસોત્સવ પણ કર્યો. કાળીનાગને નાથીને નદીને સ્વચ્છ કરી.

રાધા કાલ્પનિક છે, કૃષ્ણથી મોટી છે, અગિયારેક વર્ષની રાધા કૃષ્ણને કેડે લઈને ફરતી પણ બતાવાઈ છે, પણ એ કેવી અદ્દભુત કલ્પના છે જેણે પ્રેમ એટલે વિરહ, પ્રેમ એટલે ઝંખના, પ્રેમ એટલે સમર્પણનો મહિમા કર્યો. કોઈ પ્રેમકથા આટલી ભવ્ય નથી. સમાજમાં લગ્ન સિવાયના પ્રેમનો આજે પણ સ્વીકાર નથી, જ્યારે આ લગ્નેતર પ્રેમ મંદિરોમાં સ્થપાયો. મંદિરમાં રહ્યાં એટલો વખત પણ રાધાકૃષ્ણ સાથે રહ્યાં નથી. ટૂંકમાં, વિરહ જ ચિરંતન છે.

કૃષ્ણ દ્વારિકાધીશ છે, પણ તેણે બહુ ઓછાથી ચલાવ્યું છે. મોરપિચ્છ માથે ધર્યું ને વાંસની વાંસળી કરી. ગ્રામ સંગીતનું માધુર્ય શું હોય તે કૃષ્ણે વાંસળીથી બતાવ્યું. જગતમાં બે મામા પંકાયેલા છે. કંસ અને શકુનિ. બંનેના અંતમાં તે કારણ બન્યો. કંસને મુક્તિ આપી ને કેદમાંથી સૌને છોડાવ્યાં. મુક્ત થયેલી રાણીઓને અપમાનિત જીવન ન જીવવું પડે એટલે ૧૬,૧૦૮ રાણીઓનું સ્વામિત્વ સ્વીકારી તેમનું ગૌરવ કર્યું. આટલી રાણીઓ ઉપરાંત રુક્મિણી ને સત્યભામા સાથે પરણ્યો ને કહેવાયો બ્રહ્મચારી ! બ્રહ્મચર્ય તન જોડે નહીં, પણ મન જોડે જાય છે તે સિદ્ધ કર્યું. મનથી કૃષ્ણ વિરાગી છે.

વસુદેવની બહેન કુંતી. એ નાતે કૃષ્ણ મહાભારતમાં આદિપર્વને અંતે પ્રવેશે છે. દ્રૌપદીને વરીને અર્જુન કુંતી પાસે આવે છે ને તે વગર જોયે જ કહી દે છે, જે હોય તે પાંચે ભાઈઓ વહેંચી લો. પછી ભૂલ સમજાય છે, પણ સુધરતી નથી. એનો ઉકેલ કૃષ્ણ લાવે છે. પાંચે ભાઈઓની ઈચ્છા દ્રૌપદીને પામવાની હતી જ, દ્રૌપદી પાંચેની બને તો ભાઈઓ વચ્ચે સંપ જળવાઈ રહે એમ હતું. એ સંપ છેવટ સુધી રહ્યો એમાં કૃષ્ણનું દૂરંદેશીપણું કામ કરી ગયું.

કૃષ્ણે સમગ્ર જીવન દરમિયાન પ્રેમનું જ સૌન્દર્ય પ્રગટાવ્યું છે. દેવકી ને જશોદા તરફના પ્રેમમાં જે સત્વ ને તત્ત્વ પ્રગટ થાય છે તે પ્રેમનું એક બાળસ્વરૂપ છે તો રાધા તો પ્રેમિકા જ છે. ગોપીઓ સાથેની રમણામાં રટણાનો જુદો જ સૂર સંભળાય છે. રુક્મિણી અને સત્યભામાના સ્નેહ પર તો અધિકાર હતો, પણ ત્યાં ય કશી અપેક્ષા નથી. કૃષ્ણે કોઈ પર અધિકાર કર્યો નથી, તો કોઈનો અધિકાર થવા ય નથી દીધો. કૃષ્ણને સખ્યમાં છે એટલો બીજા કશામાં રસ નથી. અર્જુન સખા છે ને દ્રૌપદી સખી છે. આ સખા સહાય કરે છે. અર્જુન સુભદ્રાને ભગાડી જાય છે તેમાં કૃષ્ણ પોતે મદદ કરે છે. જ્યારે સમગ્ર કૌરવ દરબાર કશી જ સહાય કરી શકે એમ નથી ત્યારે દ્રૌપદી કૃષ્ણને પોકારે છે ને ચીર કૃષ્ણ પૂરે છે. જાણે બાળપણમાં હરેલાં ગોપીના ચીર અહીં પુરાય છે. હિસાબ ચૂકતે!

એ જ દ્રૌપદીની કર્ણને લાલચ પણ કૃષ્ણ આપે છે કે જયેષ્ઠ પાંડવ થા અને દ્રૌપદીને પ્રાપ્ત કર. અહીં કૃષ્ણ તકસાધુ લાગે, પણ તેની તક સાધુની છે એ ભૂલવા જેવું નથી. કર્ણ, દુર્યોધનના ઉપકાર હેઠળ એટલો દબાયેલો છે કે તે કૃષ્ણનો પ્રસ્તાવ સ્વીકારી શકતો નથી. દ્રૌપદીની જાણ બહાર કર્ણને લલચાવવાની વાત ગમે નહીં, પણ હેતુ યુદ્ધને રોકવાનો હતો. દ્રૌપદીએ ને ભીમે લીધેલી પ્રતિજ્ઞા જાણવા છતાં કૃષ્ણ વિષ્ટિ માટે નીકળે છે ત્યારે દ્રૌપદી પૂછે છે કે મારી દુશાશનના લોહીથી કેશ ધોવાની પ્રતિજ્ઞાનું શું? કૃષ્ણ કહે છે, યુદ્ધ હું રોકવા ઈચ્છું તો પણ દુર્યોધન તેમ થવા દે તેમ નથી. એવે વખતે દુર્યોધનને રોકવાનો એક જ માર્ગ હતો, કર્ણ! જો કર્ણ પાંડવ થઈ જાય તો દુર્યોધનના હાથ હેઠા પડે એમ હતું. યુદ્ધ ઈચ્છતી દ્રૌપદીને કૃષ્ણે ચેતવી છે કે યુદ્ધ થશે તો પાંચ પાંડવો સિવાય કોઈ બચવાનું નથી ને સ્થિતિ એ આવી કે પાંડવો ને કૌરવો નિર્મૂળ થવા સુધી આવ્યા. અધર્મનો તો નાશ થાય જ છે, પણ યુદ્ધ ધર્મને પણ હાનિ પહોંચાડ્યા વગર રહેતું નથી તે મહાભારતનો સાર છે.

કૃષ્ણ એટલે વિરોધાભાસ ! શિશુપાલનો સોમી ગાળ પછી વધ કરે છે, પણ ગાંધારી છેલ્લે યાદવકુળના નાશનો શાપ આપે છે તો તે સહી લે છે. તે સહે છે, પણ જણાવા દેતો નથી, પણ હસે છે તો સૌને પ્રભાવિત કરે છે. આમ તો આ એક જ ભગવાન એવો છે જે હસે છે. કૃષ્ણ એવો છે જે ઈશ્વર ઓછો ને મનુષ્ય વધારે છે. તેની સાથે આંખમાં આંખ નાખીને વાત થઈ શકે. તેને તુંકારી શકાય.

કૃષ્ણ એટલે કર્મ ! અર્જુન કર્તવ્યથી વિમુખ થઈને કુરુક્ષેત્રમાં શસ્ત્ર ઉપાડવાની ના પાડે છે તો કૃષ્ણ ગીતા ઉપદેશે છે ને યુદ્ધ માટે તૈયાર કરે છે ને કમાલ જુઓ કે પોતે તો શસ્ત્ર ઉપાડવાનો નથી એવું મોટા ઉપાડે જાહેર કરી ચૂક્યો છે. એ જ કૃષ્ણ જ્યારે ભીષ્મ, પાંડવ સેનાનો ઘોર સંહાર કરવા નીકળે છે તો સુદર્શન ધરીને સામે ધસી જાય છે.

કૃષ્ણ એટલે ચમત્કાર પણ! તે ટચલી આંગળીએ ગોવર્ધન ઊંચકીને પ્રજાને બચાવે છે તે સાથે ઇન્દ્રનો ગર્વ પણ ગાળે છે. જશોદાને મુખમાં બ્રહ્માંડ દર્શન કરાવે છે તો બે વખત વિરાટરૂપે પ્રગટે છે. એક તો વિષ્ટિ વખતે દુર્યોધનની શાન ઠેકાણે લાવવા ને બીજી વખત અર્જુનને એ ભાન કરાવવા કે યુદ્ધ તું કરે એવું લાગે તો પણ તે તું નથી કરતો. એ કરનાર વિરાટ તત્ત્વ જુદું જ છે. કૃષ્ણ જે વખતે જે સત્ય લાગે એ જ કરે છે. અભિમન્યુને કૌરવોએ નીતિ વિરુદ્ધ હણ્યો તો જયદ્રથને સૂર્યાસ્ત વહેલો કરીને, અર્જુનને હાથે હણાવ્યો. કર્ણ નિ:શસ્ત્ર હતો ત્યારે જ અર્જુનને વધ કરવાનું કહે છે. તે નથી માનતો, તો પોતે સારથિ હોવા છતાં આદેશ આપે છે. એવું કોઈ છળ નથી, જે કૃષ્ણે ન કર્યું હોય, પણ કશું પણ સારું કે ખરાબ કૃષ્ણે પોતાને માટે કર્યું નથી ને બીજું એ કે અધર્મ પણ સરવાળે તો ધર્મની રક્ષા માટે જ કર્યો છે.

કૃષ્ણે કશું પણ પાસે રાખ્યું નથી. બધું જ જતું કર્યું છે. માતાપિતા, રાધા, વાંસળી, રુક્મિણી, સત્યભામા, દ્રૌપદી…માંથી કશું જ પાસે નથી રાખ્યું. એની વિશેષતા એ છે કે એ જ્યાંથી નીકળ્યો ત્યાં પાછો આવ્યો નથી. સુદર્શન ધારણ કર્યું, તે ય પાસે ન રાખ્યું, નહીંતર પગની પાનીમાં તીર મારનાર પારધીને હણી નાખ્યો હોત! તે સકળ છે તે સાથે જ અકળ છે. મૃત્યુ પણ કેવું? પગમાં તીર વાગ્યું ને મૃત્યુનો ભાસ થયો પ્રભાસમાં ! જન્મ અસાધારણ બાળકનો ને મૃત્યુ સાધારણ માણસનું ! છાતીમાં નહીં, પગમાં તીર વાગ્યું હોય ને કોઈ માણસ મર્યો હોય એવો એક જ દાખલો છે, કૃષ્ણનો! તેમાં આ તો ભગવાન હતો. તે આમ મરે? ભગવાન આટલો બધો માણસ ન હોવો જોઈએ ! એને તે શું કહેવું? જય શ્રી કૃષ્ણ!

૦

e.mail : ravindra21111946@gmail.com

Loading

12 August 2020 admin
← “ઈતિહાસની ઘટનાઓનો બદલો લેવાની વૃત્તિ સભ્ય સમાજ માટે સારી નથી”
ઉત્તમ કવિ અને ઉમદા ડોક્ટર દિલીપ મોદીની દુખદ વિદાય →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved