Opinion Magazine
Number of visits: 9503111
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કિસાન આંદોલન, સરકારી સંગ્રામવિશ્રામ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 December 2021

જેનું છેવટ સારું તેનું સૌ સારું : આ જુગજૂની કેહતી સાંભરી ન સાંભરી ત્યાં તો એ આવી એવી આછરી ગઈ; કેમ કે ભારત સરકારે (વસ્તુતઃ વડા પ્રધાને) ત્રણ કૃષિ કાનૂન પડતા મૂક્યાની જાહેરાત કરી તે સાથે વાર્તા પૂરી થતી નથી.

કહી તો શકાય કે શાંત આંદોલનની ફતેહ થઈ – અને એ ખોટું પણ નથી. કહી તો શકાય કે આંદોલને એક બિનકોમી તાસીર પ્રગટ કરી – અને એ ખોટું પણ નથી : જેમ શાહીનબાગ દિવસોમાં મુસ્લિમબહુલ ધરણાર્થીઓને શીખ લંગરની અને દેશના વિવિધ હિસ્સાઓમાંથી નાગરિક કર્મશીલોની કુમક મળી રહી હતી; ખેડૂત આંદોલનની દેખીતી શીખ પહેલને એક નાજુક નિર્ણાયક વળાંકે ટિકૈત નેતૃત્વમાં જાટ જમાવટથી બળ મળ્યું. નાત-જાત-કોમ-લિંગના ભેદ વગરની દેશના ઠીકઠીક પ્રદેશોની સામેલગીરી પણ એમાં રહી. મહિલા નેતૃત્વ પ્રસંગોપાત બરોબરીને ધોરણે ઉભર્યું. આ બધા એના જમા મુદ્દા છે અને રહેશે.

પંજાબ અને ઉત્તર પ્રદેશની આવી રહેલી વિધાનસભા ચૂંટણી પહેલાં મતલણણી માટે ખેડરૂપનો આ નિર્ણય છે એ તો જાણે કે પ્રથમદર્શી અને વ્યાપક અવલોકન બની જ રહ્યું છે, પણ કૃષિ કાનૂન પાછા ખેંચાઈ રહ્યાની જાહેરાતના તરતના દિવસોમાં ગોદી મીડિયામાં એકંદરે હાંસિયે મુકાયેલી લખનૌની વિરાટ કિસાન રેલીમાં ટિકૈત અને બીજાઓએ કહ્યું છે તેમ એમ.એસ.પી. અને બીજા મુદ્દા (ખાસ તો લખીમપુર ખેરી ઘટનામાં કેન્દ્ર સરકારના મંત્રીની અમાનવીય ઉદ્દંડતા) ઊભા જ છે.

વડા પ્રધાને અમારી તપસ્યા ઓછી પડી એમ કહ્યું તે સંમિશ્ર પ્રતિભાવો જગવે છે. ૨૦૧૫માં ભૂમિ અધિગ્રહણ કાનૂન માટેની અભદ્ર અધીરાઈ જેવો જ કિસ્સો, વ્યાપક વિશ્વાસ અને સહમતિની ખાસ કૂશી કોશિશ વગરનો આ કૃષિ કાનૂન બેતનો પણ હતો. એની સામે પ્રતિકારને રાહે સાત સો લોકોએ જીવન ગુમાવ્યાં – તપસ્યા કહો, તપ ને તિતિક્ષા કહો, એ તો બીજે છેડે હતાં. કોરોના મામલે શ્રમિક સ્થળાંતરમાં સરકારી ચૂકથી (જો કે ‘ચૂક’ એ નરમ પ્રયોગ છે) હજારો નાગરિકોએ જે વેઠવું પડ્યું એનો કોઈ દિલી પ્રતિસ્પંદ કેન્દ્રિય નેતૃત્વને સ્તરે જાગ્યો જાણ્યો નથી.

નહીં કે જેને કૃષિ-સુધાર કહે છે તેવા કોઈક મુદ્દા અપ્રસ્તુત છે. સર્વોચ્ચ અદાલતે નીમેલી સમિતિના સભ્યોએ પોતે આપેલ હેવાલ જાહેર કરવાની જે માંગ કરી તે આ સંદર્ભમાં ચોક્કસ દુરસ્ત છે. બને કે એમાંથી કંઈક સહવિચાર મુદ્દા મળી રહે. અન્યથા પણ ચર્ચાપાત્ર મુદ્દા હોઈ જ શકે છે. પણ એકતરફી હંકારવાનો સત્તારવૈયો એ માટેની ભૂમિકા થવા દે તો અને ત્યારે ને કેન્દ્ર સરકારે, વડા પ્રધાન જેને ઓછી પડેલી તપસ્યા કહે છે તે ગાળામાં આંદોલનને જે રીતે ખાલીસ્તાની, નક્સલ, દેશદ્રોહી વગેરે વિશેષણોથી વગોવવાની ચેષ્ટા કરી અને આંદોલનના સમર્થનમાં સક્રિય કર્મશીલ બૌદ્ધિકોને ‘આંદોલનજીવી’ કહી કોઈક રીતે ઉતારી પાડતી કોશિશ કરી એને વિશે શું કહીશું. મને લાગે છે, વડા સુરક્ષા સલાહકાર દોવલે થોડા વખત પર જે ‘ઉચ્ચ વિચાર’ પ્રગટ કર્યા હતા એમાં કંઈક તાળો મળે છે. દોવલે કહ્યું હતું કે સલામતી સારુ જે બળો અને પરિબળો સામે લડવાનું રહે છે એમાં હવે ‘સિવિલ સોસાયટી’ અંગે સાવધાન ને સતર્ક રહેવાપણું છે. સત્તામાનસ હંમેશ શત્રુખોજમાં રાચતું હોય છે, અને કોઈ ન જડ્યું તો જે નાગરિકને નાતે કશાંક ટાકાટિપ્પણ, કશોક પ્રતિવાદ કે કિંચિત્‌વિશેષ-અભિવ્યક્તિ કરે છે તે એને સારુ કેમ જાણે ‘સૉફ્ટ ટાર્ગેટ’ ઠરે છે. સર્વોચ્ચ અદાલતની કોશિશ છે તેમ જો પેગસસ વિગતો સરકારી દાબડાની બહાર નીકળે તો આ વસ્તુ બને કે સાફ સમજાઈ રહે. ગમે તેમ પણ, સર્વોચ્ચ અદાલતે આ મામલે જે પ્રગટ ટિપ્પણી કરી તેમાં જ્યૉર્જ ઓરવેલ(૧૯૮૪)નું સ્મરણ કર્યું હતું તે ભૂલવા જેવું નથી.

ખરું જોતાં સત્તામાનસ અને એના હેવાયાં મીડિયારાં તો સિવિલ સોસાયટીની સક્રિયતાની જરૂરત અગાઉથી પણ વધુ હોવાની લાગણી જગવે છે. કિસાન આંદોલનના લાંબા પટ પર કથિત રાષ્ટ્રીય છાપાં જે રીતે સમાચાર સંકોચનથી ચાલ્યાં એમાં સત્તારૂઢ રાષ્ટ્રવાદનો પ્રતાપ વાંચવો કે બીજું કૈંક.

આ રાષ્ટ્રવાદી સત્તામાનસ, તમે જુઓ, છેલ્લાં બે’ક દસકાથી સાથે રહેલાં અકાલી દળને સાથે રાખી શક્યું નથી. કિસાન મુદ્દે જુદા પડ્યા તે વિગત સાચી અને સ્વીકાર્ય છે, પણ હિંદુત્વ રાજનીતિ જોડે મુસ્લિમો જ નહીં પરંતુ શીખો પણ અસુખ અનુભવે છે તે સમજવા જેવું છે. સાથે હતા તે ગાળામાં આ પ્રશ્ન પ્રગટ થયા વિના રહ્યો નહોતો.

હમણાં હિંદુત્વનો ઉલ્લેખ કર્યો એટલે સલમાન ખુરશીદની સંઘપ્રકાશિત કિતાબ સાંભરી આવી. પુસ્તકમાં એક ઠેકાણે હિંદુત્વ અને જેહાદી ઇસ્લામને એક સાથે મુકાયાં છે તે બદલ ઊહાપોહ ઉઠ્યો છે. બીજી પાસ, ગુલામનબી આઝાદે સલમાન ખુરશીદના વિધાન પરત્વે અસંમતિ અને નારાજગી પ્રગટ કરી છે. જો કે એમાં કાઁગ્રેસની આંતરિક સત્તાકારીનોયે હિસ્સો હશે. પણ પાયાની વિગત એ છે કે જેહાદી સરખામણી બાદ કરતાં ખુરશીદ અને આઝાદ એક જ પેજ પર છે. જે બુનિયાદી વાત પર બેઉ સમ્મત છે તે એ છે કે હિંદુધર્મ અને હિંદુત્વ બે ન્યારી બાબતો છે. એક તો જેવો છે તેવો પણ ધર્મ છે; બીજી એક રાજકીય વિચારધારા છે. આ દોર આગળ લંબાવીએ તો એમાંથી નીકળતો તર્ક એ છે કે જે હિંદુધર્મ એના કૉમનવેલ્થ સ્વરૂપને કારણે આકર્ષે છે તે હિંદુત્વે પહોંચતાં ‘અમે’ વિ. ‘તમે’ની કોમી ધ્રુવીકૃત પરિસ્થિતિએ પહોંચી જાય છે. જે મુસ્લિમ કોમવાદના સૌ વાજબી રીતે જ ટીકાકાર છીએ એના હિંદુ અડધિયા જેવી આ રાજનીતિ બની રહે છે.

અલબત્ત, જરી ફંટાઈને આ ચર્ચામાં ગયા પણ તે યથાપ્રસંગ સ્વતંત્રપણે અને વિગતે ચર્ચવા જોગ મુદ્દો છે એટલું કહી તંત્રીસ્થાનેથી વિરમતાં કિસાન આંદોલનને કૃષિના કોર્પોરેટીકરણનો જે ભય હાલના અંબાણી-અદાણી માહોલમાં વરતાય છે તે તરફ ધ્યાન ખેંચી સત્તામાનસ જનઆંદોલન પરત્વે સહૃદયતા કેળવે એવી અપીલ સાથે અટકીશું. (ટિકૈતે કહ્યું છે કે સંગ્રામવિશ્રામ સરકારે જાહેર કર્યો છે, અમે નહીં).

નવેમ્બર ૨૫, ૨૦૨૧ 

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 01-02

Loading

1 December 2021 admin
← સર્વજનવિહારી પ્રભાષ જોશી, મારા તો કાકા
વીર કોણ હતા ? … મદનલાલ ઢીંગરા કે સાવરકર →

Search by

Opinion

  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન
  • એકસો પચાસમે સરદાર પૂછે છેઃ ખરેખર ઓળખો છો ખરા મને?
  • RSS સેવાના કાર્યો કરે છે તો તે ખતરનાક સંગઠન કઈ રીતે કહેવાય? 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved