Opinion Magazine
Number of visits: 9545334
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 October 2025

રવીન્દ્ર પારેખ

તહેવારો આવે એટલે ખાણીપીણીના જલસા પડી જાય છે, તેમાં ય સુરતમાં તો ખાસ ! દિવાળીના તહેવારો શરૂ થઇ ગયા છે અને દિવાળીના નાસ્તા, મીઠાઈઓ, શરબતો, મુખવાસ … વગેરેની ધોધમાર ખરીદી શરુ થઈ ગઈ છે. દિવાળી નિમિત્તે પગાર, પેન્શન, બોનસની પણ વહેલી લહાણી થાય છે, એટલે આવક વધતાં ખરીદીની પણ મોકળાશ વધે છે, તેથી કપડાં, ખાણીપીણીની ધૂમ ખરીદી નીકળે છે. દિવાળી ઉજવવાનું નાનેથી માંડીને મોટેરાં સુધીનાં અને અમીરથી લઈને ગરીબ સુધીનાં તમામ લોકોને ગમતું હોય છે. તંદુરસ્ત હોય કે નાદુરસ્ત, સૌ દુ:ખ ભૂલીને ઘારી-ઘૂઘરા, સુંવાળી-થાપડા-ચોળાફળી ઝાપટવામાં પડે છે અને પરેજીને થોડા દિવસ બાજુ પર મૂકી દે છે. એક સમયે આ બધી વસ્તુઓ ઘરમાં બનતી હતી, પણ હવે બધું બહારથી ઘરમાં આવે છે, એટલે કોઈ હવે ઘરમાં મહેનત કરતું નથી. બહારથી ઘરમાં આવતું થયું, એટલે નફો રળી ખાવા ભેળસેળવાળી, હલકી કક્ષાની વસ્તુઓનું વેચાણ દર વર્ષે વધે છે ને ઉત્તરોત્તર વધતું જ રહે છે. આમ પણ દિવાળીમાં તળેલી વસ્તુઓનું જોખમ શરીરને હતું જ, તેમાં ભેળસેળિયું ખાવાનું વધતાં આરોગ્યના પ્રશ્નો વધુ વકરે છે.

ભેળસેળ વધતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય ખાતું આ વખતે સફાળું બેઠું થયું છે અને બજારમાં વેચાતી મીઠાઈઓ અને અન્ય ખાદ્ય સામગ્રીઓનું લેબોરેટરીમાં તપાસ કરાવવાનું પણ શરૂ થયું છે. જરૂર પડી ત્યાં હલકી ગુણવત્તાની સામગ્રીનો નાશ કરવાનું પણ બન્યું છે. એમ કરવાથી નકલી વસ્તુઓ કે નબળી વસ્તુઓનું વેચાણ ઘટવું જોઈએ, પણ તેવું બહુ બનતું નથી. થોડોઘણો સુધારો થયો હોવાનું લાગે, પણ નફાખોર વેપારીઓ દંડ ભરીને કે લાંચ આપીને પણ, ભેળસેળિયું વેચવાનું ભાગ્યે જ છોડે છે. આ દુકાનદારો એટલા રીઢા હોય છે કે તેમને તંત્રોનો કોઈ ભય લાગતો નથી. તેઓ દંડ ભરીને પણ હલકી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓનું વેચાણ પૂરી બેશરમીથી ચાલુ રાખે છે. ભલભલા ખૂનીઓ પૈસા દબાવીને છૂટી જતાં હોય, તો વેપારીઓને પણ એવું હોય છે કે દંડ, સજા ને લાંચથી તે અનેકની જિંદગી સાથે રમત રમી શકે છે. લોકોની જિંદગીમાં હોળી સળગાવીને આ સજ્જનો દિવાળી ઉજવતાં હોય છે.

આમ થવામાં વેપારીઓની લોભિયા વૃત્તિ તો જવાબદાર છે જ, પણ કોર્પોરેશનની ઢીલાશ પણ ઓછી જવાબદાર નથી. તંત્રો બરાબર ફરજ બજાવે તો પણ આવા વેપારીઓને કાબૂ કરી શકાતા નથી, તેમાં પદ્ધતિમાં રહેલી બેદરકારી કદાચ વધારે જવાબદાર છે. વધારે નહીં, તો છેલ્લા એક બે દિવસમાં વર્તમાનપત્રોમાં આવેલા સમાચારો જોઈએ, તો ખ્યાલ આવશે કે તંત્રો ચૂકે છે, તેનો લાભ વેપારીઓ આપોઆપ ઉઠાવે છે. કેવી રીતે તે જોઈએ –

આપણે કેટલા ઘાતકી થયા છીએ, તેનો દાખલો કફ સિરપને લીધે થયેલાં બાળકોનાં મૃત્યુએ આપ્યો જ છે. રોગ મટાડવા દર્દી દવા લે છે, પણ હવે દવાથી દર્દ નહીં, દર્દી જ મટી જાય છે. હરામના પૈસા મેળવવાની એવી લ્હાય માણસને લાગી છે કે પૈસા મળતા હોય તો માણસ પોતે મરવા કે મારવા પર આવી જાય છે.

જાહેરાતોમાં ચીજવસ્તુઓની શુદ્ધતા દેખાડાય છે, એવું ખરીદી વખતે દેખાતું નથી. છેતરવું અને છેતરાવું માણસ માત્રની લાક્ષણિકતા છે. છેતરાયો ન હોય એવો માણસ મળવો મુશ્કેલ છે, પણ પૈસાથી છેતરાવા કરતાં ભેળસેળિયા, અશુદ્ધ અને હલકી ખાદ્ય સામગ્રી દ્વારા આરોગ્યનું જે જોખમ છેતરીને ઊભું કરવામાં આવે છે તે વધારે ઘાતક છે. તંત્રો તપાસ, પરીક્ષણ વગેરે તો કરે છે, પણ તેનો અર્થ રહેતો નથી. જેમ કે, અમરોલી-કોસાડમાં પોલીસ અને સુરત પાલિકાએ રેડ કરીને હલકી ગુણવત્તાવાળા ઘીનો 361 લિટરનો જથ્થો સીઝ કર્યો ને તેના સેમ્પલ ફૂડ વિભાગે તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા. રિપોર્ટમાં એ નમૂના સબ સ્ટાન્ડર્ડ જણાયા છે. નમૂનાઓમાં ચરબી-ફેટી એસિડનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. તેને ધ્યાને લઈ જવાબદાર ડેરી પ્રોડક્ટ્સ વેચનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આમ તો આ બધું બરાબર લાગે છે, પણ તપાસ ન થઈ હોત તો આ બધું વેચાયું જ હોત ! એટલે કે વેચનારને તો પોતે ખોટું કરે છે એવું લાગતું જ નથી. વારુ, સેમ્પલ લેબોરેટરીમાં મોકલાય તે પછી પણ ભેળસેળિયા કે અશુદ્ધ ઘી-માવા વગેરેનું વેચાણ અટકતું લાગતું નથી. ઘારીનો નમૂનો તપાસ માટે મોકલાય ને રિપોર્ટ આવે ત્યાં સુધીમાં ચંદની પડવો તો પૂરો થઈ ચૂક્યો હોય છે, એ સ્થિતિમાં પેલી તપાસનો શો મતલબ રહે છે, તે વિચારવાનું રહે છે. થવું તો એવું જોઈએ કે તપાસ સ્થળ પર જ થાય ને નબળું લાગે તો તે દુકાનનું લાઇસન્સ જપ્ત કરી તાત્કાલિક અસરથી વેચાણ અટકાવવામાં આવે. જેવું ઘોડદોડ રોડની મીઠાઈની એક દુકાનમાં થયું. ફૂડ વિભાગે દરોડો પાડ્યો એ જ વખતે મીઠાઈની ટ્રે પર વાંદો ફરતો દેખાયો. વાંદો એટલો નસીબદાર કે રંધાયો નહીં, નહીંતર કોઈના બોક્સમાં ને ત્યાંથી કદાચ કોઈ હોજરીમાં ગયો હોત ! મીઠાઈના દુકાનદારે મામલો પતાવવા ને પટાવવાની કોશિશ કરી જોઈ, પણ 120 કિલો મીઠાઈનો નાશ કરવામાં આવ્યો જ ને ઉપરથી 10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો. આ નમૂનાઓનું પરીક્ષણ સ્થળ પર જ થાય તો હલકી ચીજવસ્તુઓનાં વેચાણ પર બ્રેક લાગે. ખરેખર તો તહેવારો પૂરા ન થાય ત્યાં સુધી એ દુકાનોને સીલ કરી દેવી જોઈએ, જેથી થોડો વખત તો લોકો છેતરાતા બચે.

આ ઉપરાંત મીઠાઈની 12 દુકાનોમાંથી 24 નમૂનાઓ લેવામાં આવ્યા. એ તમામ નમૂનાઓ એક યા બીજા કારણોસર ફેલ થયા. આમાં પણ એકવાક્યતા નથી. એક છાપું કહે છે કે બધા નમૂના ફેલ થયા તો એક કહે છે, નમૂના તપાસમાં મોકલ્યા છે ને રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી થશે. પોલીસ અને પાલિકાએ હાથ ધરેલા જોઈન્ટ ઓપરેશનમાં પુણા યોગીચોક વિસ્તારની ડેરીઓના 80 કિલો માખણ અને રો મટિરિયલ કબજે લઈ ડેરી સંચાલકો સામે કાનૂની કાર્યવાહી કરી હતી.

આ ગરબડ સુરતમાં જ છે એવું નથી, રાજકોટમાં પણ નમકીન અને મિલ્ક શોપીનું દૂધ ને ઘી ખાવા લાયક જણાયું નથી. બીજા શહેરોની સ્થિતિ પણ બહુ વખાણવા લાયક નહીં જ હોય ! એમ લાગે છે કે તપાસ બે રીતે ચાલે છે. એકમાં તરત નિર્ણય આવે છે, બીજામાં લેબોરેટરી રિપોર્ટ આપે તેના પર આધાર રાખવો પડે છે. વેલ, ત્યાં સુધીમાં તહેવારો વિદાય લઈ ચૂક્યા હોય છે, નબળી ને હલકી વસ્તુઓ વેચાઈ ચૂકી હોય છે ને આરોગ્યને જે નુકસાન થવાનું હોય તે થઈ ચૂક્યું હોય છે. આ તપાસ તહેવારોમાં જ થાય છે, તે પણ બરાબર નથી. હલકી કક્ષાની વસ્તુઓ વેચવા ટેવાયેલા વેપારીઓ તો કોઈ પણ સમયે ગુણવત્તા જોડે છેડછાડ કરી જ શકે છે.

વધારે દુ:ખદ તો એ છે કે લોકો તહેવાર ઉજવવાના ઉમંગમાં ખાવાપીવાની વસ્તુઓ ખરીદતા હોય છે. એમને ઉજવણાંનો એવો આનંદ હોય છે કે તેઓ ક્યાં છેતરાય છે એનો ખ્યાલ પણ નથી આવતો. ખ્યાલ આવતો હોય તો થોડું લેટ ગો પણ કરતા હોય છે. એ છેતરપિંડી તેમને તહેવારો પછી ભારે પડતી હોય છે. તબિયત બગડતાં દવાખાનાના ચક્કરો શરૂ થાય છે. વેપારીઓ વધુ કમાણીના લોભમાં નિર્દોષ લોકોને દવાદારૂના ચકરાવે એવા ચડાવે છે કે ખર્ચનો પાર નથી રહેતો. વળી દવા ભેળસેળિયા નીકળી તો ભોગ જ ફરી જાય છે. કફ સિરપ જો નિર્દોષ બાળકોના જીવ લઈ શકતાં હોય તો કોનો ભરોસો કરવો તે સમજાતું નથી.

વેલ, આવી ભેળસેળવાળી ખાવાની વસ્તુઓ મફત નથી મળતી કે વેપારીઓ તે દયાદાન ધરમમાં પણ નથી વેચતાં. તહેવારને નામે વધુ મોંઘા ભાવે આ બધું વેચાય છે ને તે વળી વધુ દામ આપીને ખરીદાય છે ને પરિણામ, માંદગીમાં ને ક્યારેક તો મૃત્યુમાં આવે છે. કમાલ છે ને, માંદગી કે મોત પણ કેટલાં મોંઘાં થઈ ગયાં છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 ઑક્ટોબર 2025

Loading

17 October 2025 Vipool Kalyani
← શબ્દો થકી
સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે?  →

Search by

Opinion

  • નફરત એ રાજકીય હિન્દુત્વનો શ્વાસ છે !
  • ગુજરાતી વિશ્વકોશને વંદન 
  • ગુજરાતના યુવકોને કેનેડા કેમ રહેવું છે? 
  • ગઝલ 
  • નવી શ્રમ સંહિતામાં કેટલાક આવકારદાયી બદલાવ સાથે કામદારોને ચિંતા કરાવે એવી જોગવાઇ પણ છે …

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો
  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved