Opinion Magazine
Number of visits: 9449524
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેરળ મૉડેલ સત્ય, ગુજરાત મૉડેલ મિથ્યા

ભરત મહેતા|Opinion - Opinion|13 May 2020

ખૂબ જ સાચવી, સંગોપી, ફુગ્ગામાં હવા ભરીને ઊભું કરાયેલું ગુજરાત મૉડેલ કચ્છના વાવાઝોડામાં કે ભૂકંપ, સુરતના પ્લેગમાં કે પૂરમાં, ૨૦૦૨ના તોફાનમાં ભ્રામક છે એની પ્રતીતિ કરાવતું જ હતું, પણ ભક્તો સ્વીકારતા ન હતા. આ મહામારીમાં ગુજરાતનો અર્થ જ સર્વથા બદલાઈ ચૂક્યો! ગુજરાત એટલે નધણિયાતી પ્રજા! જે મૉડેલના તુંબડે તણાઈને બાદશાહસલામત દિલ્હી પહોંચી ગયા છે એ મૉડેલ અત્યારે દિગંબર દીસે છે! ગુજરાતમાં ભા.જ.પ.નું ત્રણ દાયકાનું શાસન કેવું ઢમઢોલ અને માંહે પોલમપોલ છે એની નાગરિકોને પ્રતીતિ કરાવે છે.

એક તરફ ભારતના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીનું માનીતું શહેર અમદાવાદ વુહાન બનવા જઈ રહ્યું છે, ત્યારે કોરોનાનો સૌથી પહેલો પરચો અનુભવનાર કેરળે આ મહામારીને નાથી લીધી છે! હજુ હમણાં જ વિનાશક પૂરનો સામનો કરનાર કેરળમાં આ શી રીતે બન્યું અને વિકાસનો બિલ્લો લગાવેલા ગુજરાતમાં કેમ ન બન્યું એ તુલનાનો વિષય છે.

પહેલો દાખલો જ નોંધપાત્ર છે. કેરળમાંથી વુહાન ભણવા ગયેલો વિદ્યાર્થી ૩૦ જાન્યુઆરીએ વાઇરસના ચેપ સાથે મળી આવ્યો. ભારતનો આ પહેલો કેસ હતો. એ કેસને ઝડપભેર પકડી શકવાનું કેરળમાં શક્ય એટલે બન્યું કે કેરળમાં ૨૬મી જાન્યુઆરીથી, દુનિયામાં આ મહામારી ફેલાઈ હોવાથી, સંદેહાસ્પદોને ‘કોરોના નિયંત્રણકક્ષ’માં લઈ જવામાં આવતા હતા! આમ, વેળાસર પગલાં એ કેરળની સફળતાનું પહેલું પગથિયું.

કેરળમાં ૨૬ જાન્યુઆરી પહેલાંથી જ અખાતી દેશોમાંથી (દુબઈ, કતાર, શારજાહ) નોકરિયાતો આવી ચૂક્યા હતા. આવા કેસ ચેપગ્રસ્ત હોય કે ન હોય, એમને સરકારે ઝડપભેર શોધી કાઢ્યા. આ બાબતમાં દેશનાં બીજાં રાજ્યો ઊંઘતાં ઝડપાયાં. માર્ચ સુધીમાં આ ઓળખ કેરળે પૂરી કરી અને શોધી કાઢ્યું કે સરહદી જિલ્લો કાસરગોડ સહુથી વધુ પ્રભાવિત છે. પાયાની મુશ્કેલી એ હતી કે આ સરહદી જિલ્લામાં મૅડિકલ કૉલેજ ન હતી! માત્ર એક જ મહિનામાં કોસરગોડમાં મેડિકલ કૉલેજ બનાવવામાં આવી! કોસરગોડ જિલ્લાની આ મેડિકલ કૉલેજ ઊભી કરવામાં, કૉન્ટ્રાકરથી માંડીને મજૂરોએ મહેનતાણું લીધા વિના કામ કર્યું. રાજ્યની મજૂરો પ્રત્યેની, પ્રજા પ્રત્યેની લાગણી કેવી હોય છે તેનાથી પ્રતિસાદ મળતો હોય છે. અહીં કોઈ પણ દરદી દવાખાનામાં જાય તો પહેલાં કહેવામાં આવતું. ‘ચિંતા ના કરશો! તમે સલામત છો, કારણ કે તમે કેરળમાં છો.’ આની સામે ગુજરાતના દરદીઓ દર્દભરી દાસ્તાન રોજબરોજ પ્રસાર માધ્યમોમાં નજરે પડે છે.

કાસરગોડ જિલ્લાની માફક કોરોનાથી સહુથી પ્રભાવિત જિલ્લો કન્નુર હતો. ભારતનાં બિહાર, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા અને મધ્ય પ્રદેશમાંથી મજૂરો જેમ મુંબઈ, મદ્રાસ, દિલ્હી બેંગ્લોર કે સુરત જાય છે, તેમ કન્નુર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં નોકરીઓ કરે છે. કેરળના ૪૮૬ કેસમાં ૧૭૬ કેસ કાસરગોડના અને ૧૧૫ કન્નુરના હતા. આમ, પ્રભાવિત ક્ષેત્રનું વેળાસર રેખાંકન એ કેરળની સફળતાનું બીજું પગથિયું હતું.

આટલી ઓછી સંખ્યામાં કેસ મળ્યા હોવા છતાં સંભાવનાના આધારે વિદેશથી આવેલા, એમના સંપર્કમાં આવેલા એવા દોઢ લાખ લોકોને સીધા જ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા અને એ પણ ૨૮ દિવસ માટે, જેથી નાગરિકો પૂર્ણપણે સુરક્ષિત રહે. મોબાઈલ લોકેશન દ્ધારા એમના પર કડક નજર રાખવામાં આવી. આવા લોકોને ઘેર ઘેર જીવનજરૂરી સામાન પહોંચાડવા માટે મૅડિકલ ઑફિસરની ટીમ બનાવવામાં આવી હતી. આમ, ક્વૉરન્ટીન નાગરિકોને નધણિયાતા નહોતા છોડ્યા.

ગુજરાતે કેરળની વ્યવસ્થાની ઘણી બધી નકલ કરી, પણ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું માર્યું. ‘નમસ્તે ટ્રમ્પ’માં લાખોની ભીડ ગુજરાતની ભયંકર ભૂલ હતી, જેમાં વીસ હજાર એન.આર.આઇ. અને પાંચસો અમેરિકન આવ્યા હતા. કેરળે પૂનાની એક ખાનગી પ્રયોગશાળા પાસે ફુલપ્રૂફ રેપીડ કીટ તૈયાર કરાવીને આરોગ્યકર્મીઓને સુરક્ષિત રાખ્યા. ત્યાં આરોગ્ય-કર્મીઓમાંથી કોઈ જ સંક્રમિત થયું નથી. ૧૮ જુદી જુદી સમિતિ કાર્યરત હતી. રક્તદાન પર પણ કડક ધ્યાન રાખવામાં આવ્યું. દિશા, આશા, આંગણવાડીના કાર્યકરો, આરોગ્યકર્મીઓ, સરકારી અધિકારીઓએ અને રાજકર્તાઓ વચ્ચે જબરજસ્ત સુમેળ કેરળની સફળતાનું ત્રીજું કારણ હતું, જ્યારે આપણે ત્યાં મેયર અને કલેકટર વચ્ચે દ્વંદ્ધયુદ્ધ રચાયાં! મૅડિકલ રિસર્ચ કાઉન્સિલને ભારત સરકારે હજુ એવું પૂછતાં શરમ નથી આવતી કે ગંગાજળ કોરોનાની દવા તરીકે વાપરી શકાય? તપાસ કરીને કહો ને!

૨૪મી ફેબ્રુઆરીએ કેરળે કોરોનાને ‘રાજકીય આપત્તિ’ જાહેર કરી. ઠેર ઠેર બૅરીકેડ, ક્વૉરન્ટીન, આઇસોલેશન વૉર્ડ કરી દીધા. ત્યારે બાકીના દેશમાં ફુલપ્રૂફ કીટ આપવાના બદલે ફૂલડાં વરસાવાતાં હતાં, ખાનગી ડોકટર્સની સાથે મેળ સાધી શકાતો ન હતો! કેરળે કોરોનાગ્રસ્ત અને અન્ય નાગરિકો માટે એપ તૈયાર કર્યું. વળી એ એપનો વધુમાં વધુ ઉપયોગ થાય એ માટે ઇન્ટરનેટની સ્પીડ ૩૦થી ૪૦ ટકા વધારી દેવામાં આવી ! ૧,૪૦૦થી વધુ સરકારી સામૂહિક રસોડા ઊભાં કરવામાં આવ્યાં! આધારકાર્ડ, રેશનકાર્ડના આધારે ૧૫ કિલો અનાજ આપવામાં આવ્યું. ખાનગી દવાખાનાં, નિશાળો, ધર્મસ્થળો, સભાગૃહોમાં આઇસોલેશન વૉર્ડ બનાવવામાં આવ્યા. મુખ્યમંત્રીએ પ્રતિદિન માધ્યમો સાથે સંપર્ક રાખ્યો. સંક્રમણનું પરીક્ષણ ઝડપી થાય તે માટે સરકારીની સાથોસાથ ખાનગી પ્રયોગશાળા ભાડે રાખવામાં આવી, જ્યારે આપણે ત્યાં હવે જણાવવામાં આવે છે કે ગુજરાતમાં સારું ચિહ્ન : સંક્રમિત સંખ્યા ઘટી!

આ સમાચાર ઊભા કરાયેલા છે કારણ કે ‘દિવ્ય ભાસ્કર’(૧૧ મે, ૨૦૨૦)માં જણાવ્યા પ્રમાણે ટેસ્ટિંગ અડધું કરી દેવામાં આવ્યું છે. સેમ્પલ ટેસ્ટિંગની આંકડાની ઇન્દ્રજાળ ગુજરાત મૉડેલે રમવી પડે છે, જે લોકડાઉન પછી નાગરિક સમાજને તબાહ કરી દેશે.

સામા છેડે કેરળની સેન્ટ્રલ યુનિવર્સિટીના બાયો- કૅમેસ્ટ્રી વિભાગના ડૉ. રાજેન્દ્ર પિલ્લનકોટ અને એમના નેતૃત્વમાં ડૉ. અશ્વિની નાયર તથા ડૉ. વી.વી. સમીર કુમારે મોલિક્યુલર બાયોલોજી લૅબમાં ટેસ્ટિંગ ઝડપી કરવા માટેના નવા નવા રસ્તાઓ ખોળી બતાવે છે. આમ, ત્યાં શિક્ષણજગત પણ જોડાયું છે. આપણે ત્યાં યુનિવર્સિટીઓ અપ્રસ્તુત વિષયો પર ટિકટોક જેવા વેબિનારોમાં પડી છે. ત્યાં સેવાકાર્યમાં અઢી લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું. આપણે ત્યાં એન.એસ.એસ. ક્વૉરન્ટીન છે! સરકારે રૂ. ૨,૦૦૦ કરોડની નાગરિકોને લોન, રૂ. ૫૦૦ કરોડનું હૅલ્થ પૅકેજ જાહેર કર્યું છે. ૧૯,૭૬૪ શિબિરો ચાલે છે. જ્યારે અઢી લાખ લોકોને ક્વૉરન્ટીન કરેલા ત્યારે પ્રત્યેક દસ ઘર વચ્ચે એક પોલીસ કર્મચારી મૂકેલા, જેથી ત્યાં કાયદો તોડનાર હજાર નાગરિકો પણ નથી!

ટૂંકમાં, જ્યાં કોરોનાએ સહુથી પહેલું આક્રમણ કર્યું એ રાજ્યમાં કેવળ ચાર જ મોત થયાં. આજે સ્થિતિ સંપૂર્ણ કાબૂ હેઠળ છે. ૨૮મી એપ્રિલે કેરળમાં ૧૨૩ કેસ હતા. પછી નવા કેસ નથી. કેરળની આ સફળતાને આપણે ગુજરાત સાથે તુલનાવીએ ત્યારે થાય છે કે ફુગ્ગો ફૂટી ગયો! હવેની કોરોનાલક્ષી જાહેરાતો ગુજરાતમાં એવી છે કે ગુજરાતને રામભરોસે છોડી દેવાયું છે. જે રીતે ઘણા દરદીઓને ધુત્કારી ઘેર હડસેલવામાં આવી રહ્યા છે તે જોતાં એ સાચું જ લાગે છે.

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 13 મે 2020

Loading

13 May 2020 admin
← કોરોનાકાળમાં ખપમાં લેવાયેલા ભારતના જૂના-નવા કાયદા
વિકાસની વ્યાખ્યા અને દિશા બદલવા સિવાય માણસ પાસે કોઈ વિકલ્પ નથી →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved