Opinion Magazine
Number of visits: 9449500
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કવીશ્વર દલપતરામ અને હોપ વાચન માળા

દીપક મહેતા|Opinion - Opinion|3 December 2020

 

ભણતાં પંડિત નીપજે, લખતાં લહીઓ થાય,
ચચ્ચાર ગાઉં ચાલતાં, લાંબો પંથ કપાય.
*
એક અડપલો છોકરો, જીવો જેનું નામ,
અતિશે કરતો અડપલાં, જઈ બેસે જે ઠામ.
*
હતો હું સુતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો?
મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું?
મહા હેતવાળી દયાળી જ માં તું.
*
ભલો દૂરથિ દેખતાં દીલ ભાવ્યો,
ચઢી જેમ આકાશમાં મેહ આવ્યો,
દિસે કુંડનો દેવતા બીજ જેવો,
દીઠો આજ આબુ ગિરીરાજ એવો.
*
દેખ બિચારી બકરીનો પણ, કોઈ ન જાતાં પકડે કાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

*

(ઉપરની પંક્તિઓમાં, અને હવે પછી અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે.)

કવીશ્વર દલપતરામ

ઉપરની, અને તેના જેવી બીજી અનેક પંક્તિઓ એક જમાનામાં ચાર-પાંચ પેઢીના ભણેલા-ગણેલા લોકોને મોઢે રહેતી, કેટલીક કહેવત રૂપે પણ વપરાતી. આજે પણ તેનાથી પરિચિત હોય તેવાની સંખ્યા બહુ નાની નહિ હોય. આ પંક્તિઓ ઉત્તમ કાવ્યનાં ઉદાહરણ છે એમ તો કોઈ નહિ કહી શકે. છતાં મોટા લોકસમુદાય સુધી એ પહોંચી એનાં કેટલાંક કારણ છે. આપણી ચાર-પાંચ પેઢીના લોકો આ અને આવી બીજી કૃતિઓ સ્કૂલમાં ભણ્યા હતા કારણ એ તેમનાં પાઠ્ય પુસ્તકોમાં આવતી હતી. બીજું કારણ, આ કૃતિઓના ભાવ કે વિચાર અને અભિવ્યક્તિની સરળતા. ત્રીજું કારણ, તેમાં રહેલી ગેયતા. ચોથું કારણ જનસામાન્યનાં જીવન અને અનુભવ સાથેની તેની તદ્રૂપતા. આવી કૃતિઓ પાઠ્યપુસ્તકમાં છપાતી ત્યારે, સરકારી નિયમ પ્રમાણે, તેના રચનારનું નામ કૃતિ સાથે છપાતું નહિ. એટલે ઘણાંને તો એ વાતની પણ ખબર ન હોય કે આ કાવ્યોની રચના કવીશ્વર દલપતરામે (૧૮૨૦-૧૮૯૮) કરી છે. પછીથી તેમની સમગ્ર કવિતા ‘દલપત કાવ્ય’ના બે ભાગમાં પ્રગટ થઈ ત્યારે ૧૮૮૫માં પ્રગટ થયેલા તેના બીજા ભાગમાં આ કૃતિઓ ‘હોપ વાચન માળામાંની કવિતાઓ’ નામના વિભાગમાં સમાવી હતી. શરૂઆતમાં નોંધ મૂકી હતી: ‘હોપ વાચનમાળામાં આવેલી કવિતાઓ દલપતકાવ્યમાં ઉમેરવા માટે કેળવણી ખાતાના વડા મે. ડીરેક્ટર સાહેબની પરવાનગી માગવામાં આવી હતી જે તેઓ સાહેબે આપવાથી હોપ માળાની ૧૮૫૯ વાળી પહેલી જ આવૃત્તિમાંથી આ કવિતાઓ લીધી છે.’

સર થિયોડોર સી. હોપ

એટલે કે, આ કૃતિઓ હોપ વાચનમાળા માટે લખાઈ હતી. તેની પહેલી આવૃત્તિ ૧૮૫૯માં પ્રગટ થઈ હતી. તો પહેલો સવાલ એ થાય કે આ ‘હોપસાહેબ’ હતા કોણ? આપણાં ભાષા, સાહિત્ય, શિક્ષણ અંગેનાં લખાણો, પુસ્તકો, અભ્યાસો, સંદર્ભગ્રંથો ફેંદી વળો. ભાગ્યે જ કશી માહિતી મળશે. એમનું આખું નામ સર થિયોડોર સી. હોપ. ૧૮૩૧ના ડિસેમ્બરની ૯મી તારીખે ગ્રેટ બ્રિટનમાં જન્મ. ૧૯૧૫ના જુલાઈની ચોથી તારીખે ત્યાં જ અવસાન. ખાધેપીધે સુખી કુટુંબમાં જન્મ. પિતા જેમ્સ હોપ હતા ડૉક્ટર. બ્રિટનની સેન્ટ જ્યોર્જિસ હોસ્પિટલમાં કામ કરતા હતા. હૃદયરોગ વિષે સંશોધન પણ ચાલી રહ્યું હતું પણ એ પૂરું થાય તે પહેલાં તો ટી.બી.ની માંદગીથી અવસાન થયું. પિતા ડૉક્ટર, તો માતા ઍન હતી લેખિકા. સુખી કુટુંબોના એ વખતના ચાલ પ્રમાણે ઘરે શિક્ષકો રાખીને તેમની પાસે થિયોડોરને ભણાવેલા. પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીની કૉલેજમાં ભણ્યા. ભાષાઓ શીખવાના શોખીન. બાવીસ વર્ષની ઉમ્મરે ૧૮૫૩માં તેઓ હિન્દુસ્તાન આવીને મુંબઈ સરકારમાં જોડાયા. તે વખતે તેઓ પાંચ યુરોપિયન ભાષા બોલી શકતા હતા. હિન્દુસ્તાન આવ્યા પછી બે વર્ષ થિયોડોરની નિમણૂક ગુજરાતના ઍજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે થઈ. પછી તેમની બદલી મુંબઈ થઈ અને ગવર્નર સર જ્યોર્જ કલાર્કના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે કામ કર્યું. પછી ફરી બદલી અમદાવાદ થઈ. આ વખતે તેમણે અમદાવાદનાં શિલ્પ-સ્થાપત્યનો ઊંડો અભ્યાસ કર્યો. ૧૮૬૫-૬૬માં લાંબી રજા લઈને તેઓ સ્વદેશ ગયા અને અમદાવાદ, બીજાપુર અને ધારવાડનાં શિલ્પ-સ્થાપત્ય વિષે ત્રણ દળદાર ગ્રંથ લખ્યા. આ ઉપરાંત તેમણે ‘સુરત, ભરૂચ, એન્ડ અધર ઓલ્ડ સિટીઝ ઓફ ગુજરાત’ નામનું પુસ્તક પણ લખ્યું છે.

રજા પરથી પાછા ફર્યા પછી આઠ વર્ષ સુધી સર હોપે સુરતના કલેક્ટર તરીકે કામ કર્યું. સુરતનો ‘હોપ પૂલ’ તે આ હોપ સાહેબના જ માનમાં બંધાયેલો. ૨૦૧૫માં જૂનો પુલ તોડી તેની બાજુમાં નવો પુલ બંધાયો છે. ૧૮૭૧માં ફરી મુંબઈ. મુંબઈની મ્યુનિસિપાલિટી ગેરવહીવટને કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલી. તે અંગે તપાસ કરવા નીમાયેલી સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે કામ કર્યું, અને થોડો વખત મ્યુનિસિપલ કમિશનરના પદ પર પણ રહ્યા. ત્યાર બાદ વાઇસરોયની ધારાસભા(લેજિસ્લેચર)માં મુંબઈ ઇલાકાના પ્રતિનિધિ તરીકે નિમણૂંક થઈ. રેવન્યૂ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી તરીકે થોડો વખત કામ કર્યુ. ૧૮૭૬માં દુષ્કાળ રાહત ખાતાના સેક્રેટરી બન્યા. ૧૮૮૦માં કેન્દ્રીય નાણાં ખાતાના સેક્રેટરી નીમાયા. ગવર્નર-જનરલની કાઉન્સિલના પબ્લિક વકર્સ મેમ્બર તરીકે તેમણે સાડા પાંચ વર્ષ કામ કર્યું. (આ હોદ્દો એટલે આજની કેન્દ્ર સરકારના પ્રધાનનો હોદ્દો.) રેલવેના તેમ જ ખેતીવાડી માટેની સિંચાઈના વિકાસમાં તેમણે મહત્ત્વનો ફાળો આપ્યો. હોપની કામગીરીનાં વર્ષો દરમિયાન રેલવેના પાટાની કુલ લંબાઈ આઠ હજાર માઇલથી વધીને ૧૪ હજાર માઇલ જેટલી થઈ અને સીંચાઈમાં વીસ ટકાનો વધારો થયો. ૧૮૮૨માં સરકારે તેમને સી.આઈ.ઈ.નો તથા ૧૮૮૬માં કે.સી.એમ.આઈ.નો ઇલ્કાબ આપ્યો. ૧૮૮૮માં હિન્દુસ્તાન છોડીને તેઓ સ્વદેશ પાછા ગયા. ૧૯૧૫માં અવસાન બાદ લંડનની હાઇગેટ સેમેટરી(કબ્રસ્તાન)માં તેમને દફનાવવામાં આવ્યા.

૧૮૫૪મા કંપની સરકારે સર ચાર્લ્સ વૂડનો શિક્ષણ અંગેનો ખરીતો સ્વીકાર્યો અને પહેલી વાર મુંબઈ ઈલાકાની સરકારમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ (શિક્ષણ ખાતું) શરૂ થયું. ડિરેક્ટર ઓફ પબ્લિક ઇન્સસ્ટ્રકશનની નિમણૂંક કરવામાં આવી. આ નવી વ્યવસ્થામાં સર થિયોડોર હોપને ઉત્તર વિભાગના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર નીમવામાં આવ્યા. (એ વખતે મુંબઈ ઈલાકાના ત્રણ વિભાગ હતા : ઉત્તર વિભાગ, જેમાં આજના ગુજરાતના બ્રિટિશ હકૂમત નીચેના ભાગનો સમાવેશ થતો હતો), દક્ષિણ વિભાગ (જેમાં આજના મહારાષ્ટ્રનો સમાવેશ થતો હતો) અને કોંકણ વિભાગ.

ગુજરાતી, મરાઠી, વગેરે ‘દેશી’ ભાષાઓનાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરાવીને પ્રગટ કરવાની પહેલ મુંબઈથી માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને કરી હતી. આ કામ માટે તેમણે કેપ્ટન જ્યોર્જ રિસ્તો જર્વિસની પસંદગી કરી હતી. તેમણે ૧૮૨૩ના સપ્ટેમ્બર સુધીમાં છ ગુજરાતી પાઠ્ય પુસ્તકો તૈયાર કરીને છપાવ્યાં હતાં. ગુજરાતી ભાષાનાં એ પહેલવહેલાં શાલેય પાઠ્ય પુસ્તકો. પણ મુંબઈમાં તૈયાર થતાં ગુજરાતી પાઠ્ય પુસ્તકો સામે અમદાવાદમાં પહેલેથી જ વિરોધ હતો. એ વિરોધને કારણે પાઠ્ય પુસ્તકોની ભાષા ‘સુધારવા માટે’ રણછોદાસ ઝવેરીને મુંબઈમાં રોકવામાં આવ્યા હતા. તેમણે કેટલાંક પાઠ્ય પુસ્તકોની ભાષા થોડી ‘સુધારી’ પણ ખરી. છતાં વિરોધ શમ્યો નહિ. મુંબઈમાં તૈયાર થતાં પાઠ્ય પુસ્તકો સામે બીજો વાંધો એ હતો કે તે મોંઘાં હતાં. હોપ આ વાત સાથે સહમત થતા હશે તેમ લાગે છે, કારણ દલપતરામના કહેવા પ્રમાણે ‘હોપસાહેબે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને કહ્યું કે સરકારી નિશાળોમાં ભણાવાતી ચોપડીઓ મુંબઈમાં છપાય છે તેનો ભાવ ઘણો મોંઘો હોય છે. તેથી ગરીબ લોકોને એ ચોપડીઓ ખરીદવી મુશ્કેલ પડે છે. માટે ગુજરાતના ભલા માટે એ ચોપડીઓ સસ્તે ભાવે છાપી આપવાનું કામ સોસાયટી માથે લે તો ઘણું સારું, અને એ કામ કરવા જેવું છે, કારણ પુસ્તકો તૈયાર કરવાં એ તો આ સોસાયટીનો એક ઉદ્દેશ છે.’

પણ સોસાયટીએ એ દિશામાં ઝાઝું કામ કર્યું નહિ, એટલે હોપસાહેબે પાઠ્ય પુસ્તકો તૈયાર કરાવવાની જવાબદારી પોતાને માથે લીધી. સરકારની મંજૂરી લઈને તેમણે પોતાના તાબા હેઠળના તમામ ડેપ્યુટી ઇન્સ્પેક્ટરોને અમદાવાદમાં ભેગા કર્યા. મોહનલાલ ઝવેરી અને પ્રાણલાલ મથુરદાસને ડેપ્યુટી તરીકેનાં કામમાંથી છૂટા કરી બુક કમિટીના મેમ્બર  બનાવ્યા.  (આ મોહનલાલ ઝવેરીએ વાચન માળાનો વિગતવાર ઇતિહાસ લખી રાખ્યો હતો જે પછીથી તેમના દીકરા કૃષ્ણલાલ ઝવેરીએ ‘ગુજરાતી’ સાપ્તાહિકના ૧૯૧૦ના દિવાળી અંકમાં છપાવ્યો હતો.) ભોગીલાલ પ્રાણવલ્લભને પ્રમુખ બનાવ્યા. એ કમિટીના બીજા સભ્યો હતા મહીપતરામ નીલકંઠ, દલપતરામ ડાહ્યાભાઈ, મયારામ શંભુનાથ, પ્રાણલાલ મથુરદાસ, અને દુર્ગારામ મંછારામ મહેતા. મોહનલાલ ઝવેરી લખે છે : ‘નિશાળોમાં ચાલતી ચોપડીઓ કેટલાંક દૂષણોને લીધે બંધ કરી તેને બદલે નવી વાચન પાઠમાળા તૈયાર કરવાનું કામ હોપ સાહેબે આરંભ્યું. કમિટીની ઓફીસ (મહાલક્ષ્મી) ટ્રેનીંગ કોલેજના એક ઓરડામાં રાખવામાં આવી હતી.’

હોપ વાચનમાળાના સભ્યો

આ કામ માટે હોપસાહેબે કવીશ્વર દલપતરામની સેવા છ મહિના માટે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી પાસે ઉછીની માગી. તેમણે સૂચવ્યું કે તેટલો વખત દલપતરામની જગ્યાએ આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે બીજા કોઈને રાખી લો. દર મહિને કમિટી દલપતરામને એક સો રૂપિયાનો પગાર આપશે. પણ સોસાયટીના સેક્રેટરીએ એ વાત સ્વીકારી નહિ. પણ એવો રસ્તો સૂચવ્યો કે દલપતરામ એક દિવસ સોસાયટીનું કામ કરે અને એક દિવસ બુક કમિટીનું કામ કરે. મહિને ૧૫ દિવસનો પગાર રૂ. ૫૦ સરકાર આપે. અને બીજા પંદર દિવસનો પગાર રૂ. ૩૦ સોસાયટી આપે. કુલ ૮૦ રૂપિયાનો પગાર થાય. શરૂઆતમાં દલપતરામ કદાચ આ કામ માટે બહુ ઉત્સાહી નહિ હોય, કારણ તેમણે કહ્યું કે મારી આંખે બિલકુલ દેખાતું નથી એટલે હું શા ખપમાં આવીશ? ત્યારે હોપસાહેબે જવાબ આપ્યો કે અમારે તમારી આંખની નોકરી જોઈતી નથી, તમારી જીભની નોકરી જોઈએ છીએ. લખવા માટે કારકૂનો જોઈએ તેટલા રાખશું. પછી કમિટીનું કામ શરૂ થયું ત્યારે ‘કવિતાના પાઠ’ લખવાનું કામ દલપતરામને સોંપાયું. પણ તે માટેના વિષય નક્કી કરવાની જવાબદારી મહીપતરામ રૂપરામને સોંપાઈ. એટલે કે હોપ વાચનમાળામાં દલપતરામની જે કવિતા છે તેના વિષય મહીપતરામે ઠરાવેલા. આ ઉપરાંત બીજા કવિઓના ‘કવિતાના પાઠ’ની પસંદગી કરવાનું કામ પણ મહીપતરામને જ સોંપાયું હતું.

૧૮૫૯ના ફેબ્રુઆરી સુધીમાં વાચનમાળાના સાત ભાગ તૈયાર થઈ ગયા. તેની હસ્તપ્રતો લઈ હોપ પોતે સુરત ગયા અને કેળવણી ખાતાના ગુજરાતી ટ્રાન્સલેટર રેવરન્ડ ગ્લાસ્ગોની મંજૂરી લઈ આવ્યા. એ જ વર્ષે સાતે ભાગની પહેલી આવૃત્તિ એક સાથે પ્રગટ થઈ. આ નવી વાચનમાળા તૈયાર કરવા પાછળનું એક મુખ્ય કારણ એવું બતાવવામાં આવેલું કે મુંબઈમાં છપાતાં પુસ્તકો બહુ મોંઘાં હોય છે. પણ આ નવી વાચનમાળાના સાતેસાત ભાગ મુંબઈનાં છાપખાનાંમાં જ છપાવવા પડ્યા. પહેલા છ ભાગ એજ્યુકેશન સોસાયટીના છાપખાનામાં અને સાતમો ભાગ થોમસ ગ્રેહામના છાપખાનામાં. કારણ એ વખતે મુવેબલ ટાઈપ વાપરતું એક પણ છાપખાનું અમદાવાદમાં નહોતું. જે થોડાં હતાં તે બધાં લિથો પ્રેસ હતાં. અને તેમાં તો કામ બહુ ધીમું થાય. આ પુસ્તકોના પૂંઠા ઉપર માત્ર ‘નવી સરકારી વાચનમાલા’ એટલું જ છાપ્યું હતું. તેને ‘હોપ વાચનમાળા’ નામ તો પાછળથી અપાયું. પણ તે કઈ આવૃત્તિથી અપાયું તે જાણી શકાયું નથી.

આપણે ત્યાં એક એવી છાપ ઊભી કરવામાં આવી છે કે વાચનમાળામાં હોપનું તો માત્ર નામ હતું. ખરી મહેનત તો દલપતરામ અને બીજા કમિટી મેમ્બરોની હતી. પણ સર થિયોડોર હોપ ભાષા-સાહિત્યના અભ્યાસી હતા. શિક્ષણના વહીવટકાર હોવા ઉપરાંત જાણકાર વિદ્વાન હતા, ભારતીય સ્થાપત્યના અભ્યાસી હતા, દેશની સરકારમાં પ્રધાન બનીને સફળ અને યાદગાર કામગીરી બજાવી શકે એવા કુશળ હતા. હોપ વાચન માળાનાં પુસ્તકો તૈયાર કરવામાં તેમનો સક્રીય સાથ હતો. પણ આજે હવે એ હોપ વાચનમાળા ભુલાઈ ગઈ છે, દલપતરામ સિવાયના કમિટી મેમ્બરો ભુલાઈ ગયા છે, અને સર થિયોડોર હોપ પણ ભુલાઈ ગયા છે. બહેરામજી મલબારીએ ગાયું હતું તેમ : ચક્રવર્તી મહારાજ ચાલિયા કાળચક્રની ફેરીએ.

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

પ્રગટ : “નવનીત સમર્પણ”, ડિસેમ્બર 2020

xxx xxx xxx

Loading

3 December 2020 admin
← બિહાર ચૂંટણીમાં ડાબેરી ઉભાર
એમનો ય જમાનો હતો, કોણ માનશે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved