Opinion Magazine
Number of visits: 9446507
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કર્ણાટક: નફરતના બજારમાં મહોબ્બતની જીત

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 May 2023

રાજ ગોસ્વામી

“ભા.જ.પ.ની હાર, કાઁગ્રેસની જીત.” બહુ સમય પછી આવી હેડલાઈન આવી છે. કર્ણાટક વિધાન સભાની ચૂંટણીમાં કાઁગ્રેસનું પલડું ભારે છે અને ભા.જ.પ. નબળી વિકેટ પર છે એવું ઘણા લોકો માનતા હતા, અને એક્ઝિટ પોલમાં પણ એવું જ અનુમાન હતું. જો કે, (ભા.જ.પ. સહિત) એક મોટા વર્ગને એવી ઉમ્મીદ હતી કે પરિણામો ત્રિશંકુ વિધાનસભા તરફ જશે અને જે.ડી.એસ. કિંગ મેકર બનશે. ઘણા લોકોને આશંકા હતી કે ભા.જ.પ.ને ચૂંટણીઓ જીતવાની અને સરકારો બનાવાની એવી આદત પડી ગઈ છે કે કર્ણાટકમાં પરિણામો જાહેર થઇ ગયા પછી પણ છાતી ઠોકીને એવું ન કહેવાય કે કાઁગ્રેસની સરકાર બનશે.

કાઁગ્રેસને ઘણા વખત પછી ‘સોલિડ વિજય’ સાથે એક રાજ્યમાં સત્તામાં આવી છે. એનાથી પક્ષની નેતાગીરી અને કાર્યકારોમાં નૈતિક જુસ્સો વધશે, જે ઘણા સમયથી તળિયે બેઠેલો છે. ભા.જ.પ. અને ખાસ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તોતિંગ વિજયરથનાં પૈડાંમાં આડખીલી બનવા માટે કાઁગ્રેસને એક નિર્ણાયક જીતની ઘણા સમયથી તલાશ હતી, જે કર્ણાટકની પ્રજાએ આપી છે.

મશહૂર ગઝલ ગાયક જગજીત સિંહે ગાયું હતું કે બાત નિકલેગી તો દૂર તલક જાયેગી. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ ખાલી રાજ્ય પૂરતાં જ મર્યાદિત નથી. તેની અસર દૂર તેલંગાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છતીસગઢ વિધાનસભા અને 2024ની લોકસભાની ચૂંટણી સુધી જવાની છે. લોકસભાની ચૂંટણી માટે મમતા બેનરજી, નીતિશ કુમાર, શરદ પવાર વિપક્ષોને એક છત્ર નીચે લાવવા સક્રિય થઇ ગયેલાં છે. એમાં કાઁગ્રેસનું વજન કેટલું રાખવું તેને લઈને મતભેદ હતા. કર્ણાટકમાં કાઁગ્રેસના પ્રદર્શન પછી એક તો વિપક્ષી એકતામાં તેનો અવાજ મોટો થશે, અને બે, વિપક્ષોના એક થવાની પ્રકિયાને ગતિ મળશે.

રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ પછીની આ પહેલી ચૂંટણી હતી. યાત્રા કેટલી સફળ રહી, તેનો કેટલો પ્રભાવ રહ્યો તેની આ ચૂંટણીમાં પરીક્ષા હતી. કર્ણાટકનાં પરિણામો બતાવે છે કે લોકોએ કાઁગ્રેસના પ્રજાલક્ષી અભિગમમાં વિશ્વાસ મુક્યો છે. રાજકીય કાર્યકર અને સેફોલોજીસ્ટ યોગેન્દ્ર યાદવે એક ચેનલ પર લાઈવ કાર્યક્રમમાં બહુ રસપ્રદ નિરીક્ષણ કર્યું હતું કે કર્ણાટકમાં 21 વિધાનસભા બેઠકોમાંથી ભારત જોડો યાત્રા પસાર થઇ હતી. 2018માં, તેમાંથી ભા.જ.પ.ની 12, કાઁગ્રેસની 5 અને જે.ડી.એસ.ની 4 બેઠકો હતી. શનિવારે વિધાનસભાનાં પરિણામ આવવાનાં શરૂ થયાં ત્યારે 11. 30 કલાકે ત્યાં કાઁગ્રેસ 17 બેઠકો અને જે.ડી.એસ. 4 બેઠકો પર આગળ હતી. ભા.જ.પ.નું ખાતું જ ખુલ્યું નહોતું.

એ વાત નોંધવા જેવી છે કે એ યાત્રાના કારણે જ કર્ણાટક કાઁગ્રેસમાં ચૂંટણી જીતવાનો જુસ્સો ઊભો થયો હતો અને રાજ્યની નેતાગીરીએ તેની પ્રચાર વ્યૂહરચના સંપૂર્ણપણે ભા.જ.પ. સરકારની નિષ્ફળતા અને જનતાના પ્રશ્નો પર કેન્દ્રિત કરી દીધી હતી. રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોતે તો ટ્વીટ કરીને કર્ણાટકની જીતનું શ્રેય રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને આપ્યું હતું. રાહુલ ગાંધીએ યાત્રા વખતે કહ્યું કે તેમનો આશય ‘નફરતના બજારમાં મહોબ્બતની દુકાન ખોલવાનો છે.’ કર્ણાટકનાં પરિણામો જાહેર થયાં ત્યારે દિલ્હીમાં બપોરે ત્રણ વાગે પત્રકારો સમક્ષ ઉપસ્થિત રાહુલે કહ્યું હતું, “કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થયું છે, મહોબ્બતની દુકાનો ખૂલી છે. કર્ણાટકે બતાવી દીધું છે કે દેશને મહોબ્બત ગમે છે.”

કર્ણાટક ભા.જ.પ. માટે દક્ષિણ ભારતનું પ્રવેશદ્વાર બન્યું હતું. આ એક માત્ર રાજ્ય હતું જ્યાં ભા.જ.પ.ની સરકાર હતી. એના જોરે ભા.જ.પ. દક્ષિણમાં પગપેસારો કરવા માગતું હતું. 2013માં ભા.જ.પ. અહીં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી હતી, પરંતુ બહુમતીનો આંકડો પાર કરવામાં વિફળ રહેતાં કાઁગ્રેસ-જે.ડી.(એસ)ના નેતૃત્વમાં સરકાર બની હતી. 2019માં તેને ગબડાવીને ભા.જ.પ. સત્તામાં આવી હતી.

દક્ષિણમાં તેના હિન્દુત્વ એજન્ડાને ફેલાવા માટે કર્ણાટક એક પ્રયોગશાળા હતું. એક તો 2025માં, ભા.જ.પ.ના માર્ગદર્શક આર.એસ.એસ.ની સ્થાપનાનાં સો વર્ષ પૂરાં થાય છે. તેને વિશ્વાસ થઇ ગયો છે કે તેણે ઉત્તર ભારતને સર કરી લીધું છે. આવતા વર્ષે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની સાથે જ ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવાની ભા.જ.પ.-સંઘની ઉતાવળ સમજી શકાય તેવી છે.

એ યોજનામાં દક્ષિણ ભારત તેની પડખે હોવું જરૂરી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં, કર્ણાટકમાં ભા.જ.પે. તેની સત્તા જાળવી રાખવા અને હિન્દુત્વની ચેતના જગાવવા માટે સતત મહેનત કરી હતી. તેણે રાજ્યમાં એવી જગ્યાઓ પણ પસંદ કરી છે જ્યાં સાંપ્રદાયિક વિભાજન સ્પષ્ટ રીતે ભા.જ.પ.ની તરફેણમાં છે.

જો કે, ગવર્નન્સની વાત આવી ત્યાં ભા.જ.પ. નબળી વિકેટ પર ઊભેલી નજર આવી. દક્ષિણ ભારતનાં રાજ્યો તેના બહેતર શાસન માટે જાણીતાં છે, પરંતુ કર્ણાટકમાં ભા.જ.પ.નો દેખાવ વખાણવા લાયક નહોતો. ‘40 ટકા કમિશન સરકાર’નું લેબલ તેની પર એવું ચોટ્યું હતું કે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાફ છબી દાવ પર લાગી ગઈ હતી. એટલા માટે જ, ભ્રષ્ટાચારના અને કુશાસનના આરોપો વચ્ચે બી.એસ. યેદુરપ્પાને ભા.જ.પે. ઘરે બેસાડી દીધા હતા અને બાસવરાજ બોમ્માઈને મુખ્ય મંત્રીની ખુરશી સોંપી હતી. જો કે, ભ્રષ્ટાચારનું લેબલ તો એ પણ હટાવી શક્યા નહોતા.

વિડંબના કેવી કે 2014માં મોદી લહેરમાં ભા.જ.પે. કાઁગ્રેસને પછાડી તેનું એક કારણ કેન્દ્રમાં કાઁગ્રેસ સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપો હતા. 2023માં, ટેબલ ફરી ગયું. આ વખતે ભ્રષ્ટ શાસનનો આરોપ સહન કરવાનો વારો ભા.જ.પ.નો હતો. કદાચ એ જ કારણ હતું કે વડા પ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, યુ.પી. મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચારમાં ‘ગૂડ ગવર્નન્સ’ના નામે કોઈ દાવાઓ પેશ કરી ન શક્યા.

તેમનું સમગ્ર ફોકસ કાઁગ્રેસની કથિત મુસ્લિમ-તરફી, હિંદુ વિરોધી નીતિઓ હતી. કર્ણાટકથી અજાણી વ્યક્તિને એવું લાગે તેમ હતું જાણે ત્યાં કાઁગ્રેસની સરકાર હોય અને ભા.જ.પ. વિપક્ષમાં હોય. જો કે, વડા પ્રધાન છેલ્લાં નવ વર્ષથી સત્તામાં છે છતાં દરેક ચૂંટણીઓમાં વિપક્ષી નેતાની આક્રમકતાથી જ કાઁગ્રેસ પર વરસતા રહ્યા છે. કાઁગ્રેસની એ વ્યૂહાત્મક સફળતા જ કહેવાય કે ભા.જ.પ. સરકારના ભ્રષ્ટાચારની વાતને તે ઘેર-ઘરે પહોંચાડવામાં સફળ રહી હતી.

કર્ણાટકમાં ભા.જ.પ.ના બાસવરાજ બોમ્માઈની સરકારે તેની સિદ્ધિ તરીકે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો, પરંતુ રાજ્ય સરકાર પર ’40 ટકા કમિશન’ના ભ્રષ્ટાચારના આરોપને કાઁગ્રેસ આક્રમક રીતે ઉછાળી રહી હતી એટલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસોમાં હિન્દુત્વનો નારો આપ્યો હતો. કર્ણાટક ભા.જ.પ.માં આંતરિક કલહ પણ ચરમસીમાએ છે એટલે પાર્ટીએ મોદીના ચહેરાને જ આગળ ધર્યો હતો. દેખીતી રીતે જ, વડા પ્રધાને કર્ણાટકની ચૂંટણીને મોદી વિરુદ્ધ કાઁગ્રેસનો જંગ બનાવી દીધો હતો.

એ કારણથી જ મોદીએ “કાઁગ્રેસે મને 91 ગાળો આપી છે”થી લઈને “કાઁગ્રેસ બજરંગ બલી પર પ્રતિબંધ મુકવા માગે છે” અને કાઁગ્રેસ આવશે તો કર્ણાટકમાં ‘કેરળ સ્ટોરી’ (ફિલ્મ) બનશે જેવા ભાવનાત્મક મુદ્દાઓ ઉછાળ્યા હતા. ગૃહ પ્રધાન અમિત શાહે તો ચૂંટણી સભાઓમાં એવો પણ પ્રચાર કર્યો હતો કે કાઁગ્રેસ જો સત્તામાં આવશે તો કર્ણાટકમાં તોફાનો થશે.

મોદીએ ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે તો કર્ણાટકના મતદારોને સીધી જ અપીલ કરી હતી કે મતદાન બુથમાં ‘જય બજરંગ બલી’ બોલીને મત આપજો. ઘણા લોકો એવું માનતા હતા કે સત્તામાં આવીને પી.એફ.આઈ. અને બજરંગ દળ પર પ્રતિબંધ મૂકશે એવું વચન આપીને કાઁગ્રેસે ભા.જ.પ.ના હાથમાં હથિયાર આપી દીધું છે. કાઁગ્રેસના નેતાઓને જો કે એવો આત્મવિશ્વાસ હતો કે રાજ્યના તટીય પ્રદેશને બાદ કરતાં બીજે ક્યાં ય હિન્દુત્વનું કાર્ડ ચાલવાનું નથી.

એટલા માટે જ, વડા પ્રધાનના ‘જય બજરંગ બલી’ના નારાને પકડી લઈને કાઁગ્રેસના અધ્યક્ષ ખડગેએ નવો નારો આપ્યો હતો; જય બજરંગ બલી, તોડ દે ભ્રષ્ટાચાર કી નલી! એ આત્મવિશ્વાસ સાચો ઠર્યો છે. મતદારોએ જો સાચે જ વડા પ્રધાનની વાત માની હોય, તો બજરંગ બલીએ ભા.જ.પ.ને પાઠ ભણાવ્યો છે!

બોમ્માઈને કદાચ આનો અંદાજ હતો કે હિંદુ-મુસ્લિમ મુદ્દો કારગત નહિ નીવડે. એટલા માટે જ, પંદર દિવસ પહેલાં જ એક નેશનલ ટી.વી.ના એન્કરે તેમને હિજાબ અને લવ જીહાદ અંગે પૂછ્યું ત્યારે બોમ્માઈએ આશ્ચર્યજનક રીતે કહ્યું હતું કે રાજ્યમાં આવો કોઈ મુદ્દો છે નહીં, ખાલી ટી.વી.વાળાઓને જ એ દેખાય છે. ગયા વર્ષે જ, શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમ છોકરીઓના હિજાબ પહેરવાને લઈને મોટો વિવાદ ખડો થયો હતો જ્યારે બોમ્માઈ સરકારે સ્કૂલ યુનિફોર્મ પહેરવાનું ફરજિયાત કરતો હુકમ કર્યો હતો. નોંધવા જેવું છે કે હિજાબ પ્રતિબંધ માટે જવાબદાર શિક્ષા મંત્રી બી.એસ. નાગેશ તેમની બેઠક બચાવી શક્યા નથી.

પરિણામો પરથી એટલું તો સ્પષ્ટ છે કે કર્ણાટકના મતદારોએ આવા મુદ્દાઓ ખારીજ કરી નાખ્યા છે. કાઁગ્રેસને મત મળ્યા છે એનો અર્થ એટલો જ કે એક તો ભા.જ.પ.ના શાસનમાં ભ્રષ્ટાચારથી લોકો ત્રાસી ગયા હતા અને બીજું, કાઁગ્રેસે તેના પ્રચારમાં લોકોના જીવનનિર્વાહની બુનિયાદી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

2024માં તેનાથી કાઁગ્રેસ અને વિપક્ષોનો રસ્તો આસાન થયો છે એવું કહેવું અસ્થાને છે, પરંતુ જનતાના બુનિયાદી પ્રશ્નો પર જ ચૂંટણી લડી શકાય છે અને જીતી શકાય છે તે વાત કર્ણાટકે પુરવાર કરી છે. 1980ના દાયકામાં, પત્રકાર (અને મોદી સરકારમાં એકવાર મંત્રી) એમ.જે. અકબરે, મુંબઈ શહેર બાકીના દેશથી અલગ જ દુનિયામાં જીવે છે તે વાતની રમૂજ કરતાં કહ્યું હતું, “સમય આવી ગયો છે કે બોમ્બે હવે ઇન્ડિયા સાથે ડિપ્લોમેટિક રિલેશન્સ સ્થાપે.”

દક્ષિણ ભારતનાં પાંચ રાજ્યોમાંથી એક માત્ર કર્ણાટક ભા.જ.પ. પાસે હતું. શનિવારે કર્ણાટકે દક્ષિણ ભારત સાથે તેના ડિપ્લોમેટિક રિલેશન્સની પુન:સ્થાપના કરી છે.

લાસ્ટ લાઈન:

આ લા ગા બલ્લા વનુ આરા સા ના ગા બલ્લા (કન્નડ કહેવત)

અર્થાત્‌, જે નોકર તરીકે કામ કરવા તૈયાર હોય એ રાજા તરીકે કામ કરવા લાયક બને

પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 14 મે 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

14 May 2023 Vipool Kalyani
← વેધક વાર્તાઓમાં કાશ્મીર, કુદરત, યુક્રેન, ગાંધી અને નારીસંવેદન
નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ ઓછું ને ‘શિક્ષા’ વધારે છે … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved