Opinion Magazine
Number of visits: 9446378
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જ્યાં સુધી ‘ગંગામાં નાહી લેવાથી’ પુણ્ય મળતું રહેશે, ત્યાં સુધી ગંદકી રહેવાની…

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 November 2019

સ્વચ્છ ભારત અભિયાનને પાંચ વર્ષ પૂરાં થઇ ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨ ઓકટોબર, ૨૦૧૪ના દિવસે તેની શરૂઆત કરી હતી. ૨ ઓકટોબર ૨૦૧૯ના રોજ, મહાત્મા ગાંધીની જન્મ જયંતીને દિવસે, મોદીએ ભારતને ખુલામાં શૌચ મુક્ત જાહેર કર્યું હતું. વડાપ્રધાનની દિવાળી પહેલાંની છેલ્લી હાઈપ્રોફાઈલ મિટીંગ ચીનના રાષ્ટ્રપતિ શી ઝીન્પીંગ સાથે હતી, ત્યારે તેમણે મહાબલીપુરમના સમુદ્ર કાંઠે કચરો વીણીને, નવા વર્ષે સ્વચ્છતા અભિયાનને વધુ એક ધક્કો આપવા પ્રયાસ કર્યો હતો. પાંચ વર્ષ પછી, એવું ખોંખારીને કહી શકાય કે ભારત સ્વચ્છ બની ગયું છે, અથવા વધુ મહત્ત્વની રીતે પૂછીએ તો, ભારતીયો સ્વચ્છતા માટે જાગી ગયા છે?

ભારતમાં ગંદકીનો પ્રશ્ન માત્ર શારીરિક નથી, એ એક જટિલ સામાજિક માનસિકતા છે. વડાપ્રધાન આ માનસિકતાને બદલવા પ્રયાસ કરી રહ્યા છે. સ્વચ્છતા અભિયાનના સરકારી આંકડા ભલે જે કહેતા હોય તે, મૂળ તો આ માનસિકતાનો સવાલ છે, અને જ્યાં સુધી લોકોના વિચારોમાં પરિવર્તન નહીં આવે, તંદુરસ્તીની અગત્યતા નહીં સમજાય અને ખાસ તો, સામાજિક પરિસ્થિતિઓમાં ક્રાંતિ નહીં આવે, ત્યાં સુધી ભારત, દાખલા તરીકે, દુનિયાના સૌથી સ્વચ્છ દેશો સ્વિટ્ઝર્લૅન્ડ કે ફ્રાંસની તોલે નહીં આવે.

વડાપ્રધાને પાંચ વર્ષ પહેલાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું, ત્યારે ટોકિયો-જાપાનથી પ્રકાશિત થતી, એશિયા-પેસેફિક કેન્દ્રિત 'ધ ડિપ્લોમેટ' પત્રિકામાં લખવામાં આવ્યું હતું કે ભારતના લોકોમાં (મશીનથી વિપરીત) શારીરિક શ્રમ પ્રત્યે એક ચોક્કસ અભિગમ છે, અને એના કારણે અસ્વચ્છતા ફેલાય છે. ભારતની ગંદકી ગરીબી દૂર કરવાથી દૂર નહીં થાય, કારણ કે દુનિયામાં ઘણાં દેશો એવા છે, જે ગરીબ છે પણ અત્યંત સ્વચ્છ છે, એમ 'ધ ડિપ્લોમેટે' કહ્યું હતું.

સ્વચ્છતાના બે પહેલુ છે : શારીરિક અને માનસિક. દુનિયાના તમામ ધર્મો અને રીતિ-રિવાજો શરીર અને મનને સ્વચ્છ રાખવાની જરૂરિયાતમાંથી આવ્યા છે. તમામ ધાર્મિક વચનો અને કાનૂની નિયમો માણસને ‘તન અને મન’થી પવિત્ર રહેવા પર ભાર મૂકે છે. આપણી તમામ ધાર્મિક પરંપરાઓ અને વિધિઓમાં તનશુદ્ધિને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. કેમ? કારણ કે મનશુદ્ધિનો સૌથી સરળ અને હાથવગો ઉપાય તનશુદ્ધિ છે. મતલબ કે શરીરને ધોઈ નાખો, તો મન પણ ધોવાઇ જાય. આ જ કારણથી આપણી સાર્વજનિક જગ્યાઓ ગંદી છે, કારણ કે લોકો પોતના ઘરમાં તો સ્વચ્છતા રાખે છે, પણ એ કચરો ઘરના દરવાજામાંથી બહાર ફેંકે દે છે. એનો અર્થ એ થયો કે હું (કે મારું ઘર) સ્વચ્છ છે, એ પૂરતું છે અને એ કચરાથી બીજા લોકો ગંદા થાય, તે પ્રશ્ન મારો નથી. આ માનસિકતાના કારણે જ દુનિયામાં સૌથી વધુ ખુલ્લામાં શૌચ કરતો દેશ ભારત છે.

ખ્રિસ્તી મિશનરીઓએ 18મી-19મી સદીમાં જે સ્વચ્છતા અભિયાન ચલાવેલું તેમાંથી કહેવત આવેલી કે ‘સ્વચ્છતા એ જ પ્રભુતા છે.’ ગાંધીજીએ આમાંથી જ પ્રેરણા મેળવી હતી. ગાંધીજી કેમ ભારતીયોમાં સ્વચ્છતાની તીવ્ર ઈચ્છા જગવવામાં નિષ્ફળ રહ્યા? કારણ કે મોટા ભાગના ભારતીયો એવું માને છે કે ન્હાઈ-ધોઈ લો એટલે આપણે સ્વચ્છ થઇ ગયા, પણ બહાર ગંદકી થતી હોય તેનું શું? મોટા ભાગના લોકોને તેની કોઈ ફિકર નથી. કારણ એ છે કે આપણે સમાજને સ્વચ્છ રાખવામાં માનતા નથી (યુરોપમાં સાર્વજનિક સ્વચ્છતાની તીવ્ર ભાવના છે). ગાંધીજી ભારતીયોની આ માનસિકતા દૂર કરવામાં નિષ્ફળ ગયા હતા.

2010માં ‘સાયન્સ’ નામના પ્રતિષ્ઠિત સામયિકે એક અભ્યાસમાં આચરણ અને અહેસાસ વચ્ચેના સંબંધનો ફોડ પાડીને કહેલું કે હાથ ધોવાની સામાન્ય ક્રિયા ય માણસને નૈતિક અપરાધબોધમાંથી મુક્તિ આપે છે એટલું જ નહીં, બીજાની અનૈતિકતાને ય માફ કરવા પ્રેરે છે.

સરળ રીતે કહીએ તો હાથ ધોવા એટલે પાપ ધોવાં! દુનિયાના તમામ ધર્મોમાં સ્નાન કરવાની ક્રિયા આટલા માટે જ કેન્દ્રસ્થાને છે. ધર્મોએ મનશુદ્ધિ માટે તનશુદ્ધિ પર ભાર મૂક્યો, તેમાંથી એક માન્યતા પ્રચલિત બની છે કે ગંગામાં નાહીએ તો સર્વે પાપ ધોવાઇ જાય. મેલી ગંગાને સાફ કરવાની સરકારી યોજનાઓ નિષ્ફળ રહેવાનું કારણ એ છે કે જે કામ તમે તાર્કિક રીતે શરૂ ન કરો, એ કામ તર્ક સંગત રીતે ખતમ પણ ન થાય. જેમ પગમાંથી કાંટો કાઢવા બીજા કાંટાની જરૂર પડે છે, તેમ એક અંધશ્રદ્ધાને ખતમ કરવા બીજી અંધશ્રદ્ધાની આવશ્યકતા રહે છે. ગંગા ગંદી જ એટલા માટે થઇ છે કારણ કે લોકો એવું મને છે કે તેના પાણીમાં ન્હાવાથી મનશુદ્ધ થઇ જાય છે.

જ્યાં સુધી ‘ગંગામાં નાહી લેવાથી’ પુણ્ય મળતું રહેશે ત્યાં સુધી ગંદકી રહેવાની.

આપણી નદીઓમાં, શહેરોમાં ગંદકી એટલા માટે નથી કે આપણને સ્વચ્છતા ગમતી નથી. ગંદકી એટલા માટે છે કે આપણે તનશુદ્ધિ કરીને મનશુદ્ધિનું પુણ્ય કમાવી લેવાની ફિરાકમાં છીએ. ‘મેં તો ગંગામાં નાહીને પાપ ધોઇ નાખ્યું. મારું કામ થઇ ગયું. હવે ગંગા મેલી છે કે સાફ એનાથી શું ફરક પડે છે’ એવી માનસિકતા ગંગાની (અને સાર્વજનિક જગ્યાઓની) ગંદકી માટે જવાબદાર છે.

ગાંધીએ તનશુદ્ધિની સાથે સાથે મનશુદ્ધિની વાત પણ કરેલી, અને એ માટે એમણે વૈચારિક સફાઇનું સૂચન કરેલું. ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. તેમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાં : સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા. વડાપ્રધાન જો ખરેખર ભારતને સ્વચ્છ અને સુખી દેશ બનાવવા માંગતા હોય, તો આ ૭ બાબતો અપનાવવા જેવી છે.

જે દેશમાં ‘ગંગામાં નાહી લેવાથી’ સર્વે પાપ ધોવાઇ જાય છે તેવી માન્યતા પ્રબળ હોય, તે દેશમાં મનશુદ્ધિની વાત કર્યા વગર તનશુદ્ધિના જાપ જપવાનો કોઇ મતલબ નથી, એવી ગાંધીજીને ખબર હતી. સાધન શુદ્ધિના ગાંધીજીના આગ્રહ પાછળ આ જ ડહાપણ હતું. તેમણે સુભાષચંદ્ર બોઝનું સમર્થન ન કર્યું કારણ કે બોઝ હિંસક ક્રાંતિ મારફતે સ્વતંત્રતા મેળવવાના આગ્રહી હતા. એવી જ રીતે શરીર સ્વચ્છ હોય, પણ મન ગંદુ હોય, તો પછી સ્વચ્છતાનો શું મતલબ?

1925માં એમણે ‘યંગ ઇન્ડિયા’માં લખેલું, ‘મનશુદ્ધિ વગર માત્ર તનશુદ્ધિ વડે ઇશ્વરની કૃપા ન મળે.’ ગાંધી માટે સ્વચ્છતા એ જાહેર આરોગ્યનો જ વિષય ન હતો. એમણે મંદિરમાં દલિતોના પ્રવેશ સામે સત્યાગ્રહ કરેલો. એમણે એક અનાથ મુસ્લિમ બાળકને દત્તક લેવા હિન્દુને સમજાવેલો. આ બધી વાતો મનશુદ્ધિની છે. તેમણે કહેલું કે, ‘ગંદા પગ લઇને હું કોઇને મારા મનમાં ચાલવા નહીં દઉં.’

સ્વચ્છ ભારતનો ગાંધીજીનો સંદેશ ફિલોસોફિકલ હતો. 1935ના ‘હરિજન’ના અંકમાં એ લખે છે, ‘શરીરના આરોગ્ય માટે જેમ સ્વચ્છતા જરૂરી છે, તેવી રીતે આત્માના સ્વાસ્થ્ય માટે આધ્યાત્મિક શુદ્ધતા જરૂરી છે. હકીકતમાં આત્મા શુદ્ધ હશે, તો શારીરિક સ્વચ્છતા એની જાતે આવશે. સ્વચ્છતાનો સંબંધ આંતરિક અને બાહ્ય છે. અંદરની સ્વચ્છતા એટલે સત્યપ્રેમ. સત્ય પવિત્રતાની પહેલી શરત છે અને એ સ્વચ્છતાનું બીજું નામ છે. આપણે બહારથી સ્વચ્છ અને સાફ હોઇએ, પરંતુ મનથી ગંદા હોઇએ તો આપણે દંભ કરી રહ્યા છીએ. એટલે, જે ભાઇ-બહેન નિયંત્રિત જીવન જીવવા માગે છે તેમના માટે બાહ્ય સ્વચ્છતા ત્યારે જ મતલબવાળી હશે જો એમની અંદર સ્વચ્છતા હશે.’

આ વાંચ્યા પછી સમજી શકાય છે કે ગંગા નદીમાં પોતડી પહેરીને ન્હાતા હોય, તેવા ગાંધીનો એકે ય ફોટો કેમ નથી.

Loading

9 November 2019 admin
← ‘હેલ્લારો’ : સર્જકતા, સમજ અને મહેનતથી બનેલી ફિલ્મ, શું તેની છાલક પુરુષપ્રધાન માનસને ભીંજવી શકશે ?
હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે મૂળ ભેદ શું છે ? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved