Opinion Magazine
Number of visits: 9449547
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જીવનમૂલ્ય શ્રેણી – ૩ = પ્રાર્થના

સુમન શાહ|Opinion - Opinion|18 October 2019

વિચરતા વિચારો 

હા, એક સર્જક તરીકે આ માયાવી જગત મને બહુ જ ગમે છે. મને મારે વિશે હમણાં જ સૂઝ્યું કે હું પ્રેમભિક્ષુ છું, ભીખારી નથી. પ્રેમ માટે અંજલિ જરૂર ધરું પણ ભીખ માગવા નહીં.

મને શ્રદ્ધા છે કે એક દિવસ એ પૌત્રી અને એક દિવસ એ દીકરી કોઈને ને કોઈને જરૂર પ્રાર્થતી હશે. પ્રારમ્ભે પ્રાર્થના એક આછીપાછી વસ્તુ હોય છે, ક્રમે ક્રમે સંસ્કાર રૂપે વિલસે છે.

: પ્રાર્થના :

પ્રાર્થના એક જીવનમૂલ્ય છે.

મોટા ભાગની માનવજાત માને છે કે પ્રાર્થના કરવી જરૂરી છે. માણસ પોતાના ઇષ્ટદેવને વહેલી સવારે કે રાતે સૂતી વખતે યાદ કરે છે. મન્દિરે કે મસ્જિદે જાય છે, ચર્ચમાં જાય છે. ભારતીય પરમ્પરામાં, ઘંટ વગાડીને પ્રભુને જણાવાય છે કે – હું આવી ગયો છું; બે હાથ જોડીને પ્રણામ કરાય છે. એક જમાનામાં સાષ્ટાન્ગ દણ્ડવત પ્રણામ કરાતા હતા પણ હવે ઓછા થઇ ગયા છે. કેમ કે લોકને કપડાં બગડી જવાની બીક હોય છે. અને ન બગડે એટલી સ્વચ્છતા મન્દિરોમાં પણ હવે લગભગ નથી હોતી. આરસપહાણની ફ્લોર ને એવાં છત-શિખરમઢ્યાં વિશાળ ભવ્ય મન્દિરોની વાત જુદી છે, ત્યાં તો પ્રસાદમાં પિઝ્ઝા પણ મળે છે, આઈ મીન, ખરીદી શકાય છે…

જે લોકો પ્રાર્થના નથી કરતા તેઓ પોતાને આધુનિક સમજે છે – મૉડર્ન. તેમ છતાં, રીપીટ તેમછતાં, ૨૪ કલાક દરમ્યાન એકાદ વખત તો તેઓ – ઓ માય ગૉડ; ઓહ્ જિસસ; યા અલ્લાહ; ઓ ખુદા; યા પરવરદિગાર; હે ભગવાન, તું કરે તે ખરું; ઓ ભગવાન; હે રામ; હે કૃષ્ણ; ઓ મારા રામ, આ શું થઈ ગયું; બજરંગ બલી, કર સબ કી ભલી; વગેરે બોલે જ છે.

'ગૉડ ઇઝ ડેડ' કહેનારા નિત્શેએ પણ એ પહેલાં 'ગૉડ વૉઝ ઍલાઇવ' એમ મનોમન તો સ્વીકાર્યું જ હશે. પણ નિત્શેએ પૂરું જે કહ્યું છે તેને ધ્યાનમાં લીધા વિના જ અબુધો નિત્શેને વગોવે છે. નિત્શેએ એમના 'ગે સાયન્સ' પુસ્તકમાં પૂરું જે કહ્યું છે તે આ છે : ઈશ્વરનું મૃત્યુ થયું છે. ઈશ્વર મૃત રહેવાનો છે. એને આપણે મારી નાખ્યો છે, આપણે હત્યારા છીએ. આપણને કેમની સાતા વળવાની – આપણને – હત્યારાઓને – હત્યારાના હત્યારાઓને …? : આ વિધાનનો એક ધ્વનિ સ્પષ્ટ છે કે આપણે ઈશ્વરને વીસરી ગયા છીએ, પ્રાર્થના ભૂલી ગયા છીએ; ઉપરાન્ત ઈશ્વરને મંજૂર ન હોય એવાં અનેક કામોમાં મચી પડ્યા છીએ. એટલે તો પછી ઈશ્વર મરી ગયો કે બીજું કંઈ …?

મૉડર્નિટીનો અને 'મૉડર્ન એરા'-નો પ્રારમ્ભ 'રૅનેસાંસ' દરમ્યાન થયો છે. માનવજાતના પુનર્જાગરણનો સમય. માનવજાત ૧૭-મી સદીમાં 'એજ ઑફ રીઝન' અને 'સાયન્ટિફિક રીવૉલ્યુએશન'-માંથી તેમ જ ૧૮મી સદીમાં 'ઍન્લાઈટન્મૅન્ટ'-ના સમયોમાંથી ગુજરી છે. એ વારાફેરામાં, હૃદયને સ્થાને ચિત્તનો તેમ જ ભાવને બદલે તર્કનો મહિમા વધ્યો છે. આજે, ખાસ તો, પોતાને મૉડર્નિસ્ટમાં ખપાવતા લોકો પોતાની દલીલ જીતવા માટે થાય એટલી જકાજકી કે જીભાજોડી કરીને રહે છે. એમની વિજિગીષા અને એમની જિજીવિષા વચ્ચે કશો ફર્ક નથી બચ્યો હોતો. પણ તર્ક એમ કહે છે કે દરેક દલીલને તોડી શકાય છે બલકે દરેક બૌધ્ધિક જીતને બીજી જ ઘડીએ પછાડી શકાય છે. કેમ કે તર્કશક્તિ જન્મજાત વિજયી ચીજ છે.

આમ્સ્ટર્ડામમાં મારી છ વર્ષની પૌત્રીએ મને હનુમાનજીની મૂર્તિ પાસે હાથ જોડીને બેસેલો ઘણી વાર જોયેલો. એક દિવસ મારી જેમ એણે હથેળીઓ જોડી અને મારી આંખો જેવી બંધ હતી એવી જ એણે પણ કરી. મેં એને કહ્યું ધિસ ઇસ અ પ્રેઅર ટુ ગૉડ. એણે કહ્યું ઓકે, આઈ વિલ્લ, ને ચાલી ગઈ. હમણાં દેશમાં એક વયસ્ક પણ બેફિકર દીકરીને મેં કહેલું કે હું તને 'મનોજવમ્ મારુતતુલ્ય વેગમ્ … શીખવાડીશ. પછી એ વાત મારાથી ભુલાઈ ગયેલી. એણે પણ મને યાદ નહીં કરાવેલું. મને આ બન્ને ઘટનાઓનો આનન્દ છે એટલો અફસોસ નથી. કેમ કે મને શ્રદ્ધા છે કે એક દિવસ એ પૌત્રી અને એક દિવસ એ દીકરી કોઈને ને કોઈને જરૂર પ્રાર્થતી હશે. પ્રારમ્ભે પ્રાર્થના એક આછીપાછી વસ્તુ હોય છે, ક્રમે ક્રમે સંસ્કાર રૂપે વિલસે છે.

નાનપણમાં ગાતા – ઓ ઈશ્વર ભજીએ તને / મોટું છે તુજ નામ / ગુણ તારા નિત ગાઈએ / થાય અમારાં કામ / હેત લાવી હસાવ તું / સદા રાખ દિલ સાફ / ભૂલ કદી કરીએ અમે / તો પ્રભુ કરજે માફ. એક બીજી પ્રાર્થનામાં કહેતા – હે પ્રભુ આનન્દદાતા / જ્ઞાન હમ કો દીજિયે / લિજીયે હમ કો શરણ મેં / હમ સદાચારી બને. બન્ને પ્રાર્થનાઓ મતલબી હતી. કામ થઈ ગયાં, ભૂલો માફ થઈ ગઈ, સદાચારી પણ બની ગયા. આનન્દ પણ મળી ગયો. પણ પછી શું? જીવનમાં પ્રશ્નો તો આવે છે ને જાય છે; કાયમ માટે ચાલી નથી જતા. મતલબ, એક વારની પ્રાર્થના પૂરતી નથી થતી. પ્રાર્થના નિત્ય કરવાની વસ્તુ છે.

નિત્શેએ ઈશ્વરના મૃત્યુની સાંકેતિક વાત કરી એ પછી સાર્ત્ર કામૂ કે સિમૉં દ બુવા જેવાં અનેક મહાન ચિન્તકો આપણને નિરીશ્વરવાદી જોવા મળ્યાં છે. સામાન્ય બૌધ્ધિકો પણ પોતાને નિરીશ્વરવાદી ગણતા-ગણાવતા હોય છે. અસ્તિત્વવાદીઓએ મુખ્યત્વે, મુક્ત ઈચ્છા, ચિન્તા કે આતુરતા કે વ્યાકુળતા, નૈરાશ્ય તેમ જ ઍબ્સર્ડિટી અને તેની સામે જીવનના અર્થની શોધ અને અધિકૃત વ્યક્તિતા જેવા ગહન પ્રશ્નો વિશે ઘણું ગહન ચિન્તન પીરસ્યું છે. પરન્તુ વાત એમ છે કે આ બધા પ્રશ્નો બીજાં અનેકાનેક મનુષ્યો પણ અનુભવે છે. વળી મોટા ભાગની માનવજાત અસ્તિત્વવાદી નથી બલકે ઈશ્વરમાં માને છે. અથવા એમ કહો કે ઈશ્વરનું મૃત્યુ થયું છે એ વાત એમના ગળે નથી ઊતરતી. તો તેનું શું?

તેનો એક ઉત્તર છે, ડૅનિશ ફિલસૂફ કિર્કેગાર્ડ. કિર્કેગાર્ડ આદિ (પહેલા) અસ્તિત્વવાદી છે. પણ તેઓ ઈશ્વરવાદી હતા, આસ્તિક હતા. એમના પછી થઈ ગયેલા નિત્શે વગેરેએ ચર્ચ્યા એ બધા જ પ્રશ્નો એમણે પણ હાથ ધરેલા. પરન્તુ એમના ચિન્તનમાં એમણે શ્રદ્ધાને – ફેઈથને – કેન્દ્રવર્તી મૂલ્ય આપ્યું છે. 'ઈશ્વર નથી' એ જો ચાવીરૂપ સંજ્ઞા છે તો કિર્કેગાર્ડમાં 'ઈશ્વર છે' એ ચાવી રૂપ સંજ્ઞા છે. એમનો 'નાઈટ ઑફ ફેઈથ' શ્રદ્ધાપુરુષ છે. એમણે કરેલી 'પૅશનેટ પૅગન'-ની વાત આ પ્રાર્થનાવિષયક જીવનમૂલ્ય પરત્વે ખૂબ સ્મરણીય છે.

પૅગન એટલે બૂતપરસ્ત અને બહુ-ઈશ્વરવાદી ભગત. જો કે આજકાલ, જે વ્યક્તિ મન્દિર મસ્જિદ નથી જતી તેને પૅગન કહેવાય છે. કિર્કેગાર્ડ પૅશનેટ પૅગન એને કહે છે જે ભલે અમસ્તી મૂર્તિને -ફૉલ્સ આઈડોલને- ભજતો હોય, પણ, એક ટેવને કારણે ચર્ચમાં પ્હૉંચી જતા પેલા કર્મકાણ્ડી ખ્રિસ્તી કરતાં તો એ બંદો જીવન વધારે સારું જીવે છે. એમણે સાગ્રહ કહ્યું હતું કે ઈશ્વરને અભિમુખ રહો અને એ માટે 'લીપ ઑફ ફેઈથ' લો – એટલે કે ખરા-ખોટાની ભાંજગડ છોડો, સફળ થવાય, ન થવાય, ચિન્તા છોડો, ઝંપલાવો.

હું એ ભૂમિકાએ પ્રાર્થનાને સાભિપ્રાય – બરાબર, સમુચિત, યોગ્ય – ગણું છું. પ્રાર્થના ઈશ્વર પાસે કશું માગવા માટે કે કશી ફરિયાદ કરવા માટે નથી. એ તો જાત સાથે બે-ઘડી વાત કરવા માટે છે. એથી ઈશ્વરનો સાક્ષાત્કાર નથી થવાનો પણ આત્મસાક્ષાત્કાર જરૂર થવાનો છે. પ્રાર્થનાથી માણસને પોતાના ઇષ્ટમાં શ્રદ્ધા બેસે છે એ સાચું છે પણ એથી આત્મશ્રદ્ધા ખાસ વિકસે છે. પ્રાર્થનાકારો એટલું જ કહે છે કે એથી ઊંઘ સારી આવે છે. એથી બીજો દિવસ સારો ઊગે છે. ને સારી ઊંઘ અને સારા દિવસથી વધારે આપણને કશુંક અદકેરું મળી જાય એવું અહીં કશું છે નહીં.

હા, એક સર્જક તરીકે આ માયાવી જગત મને બહુ જ ગમે છે. મને મારે વિશે હમણાં જ સૂઝ્યું કે હું પ્રેમભિક્ષુ છું, ભીખારી નથી. પ્રેમ માટે અંજલિ જરૂર ધરું પણ ભીખ માગવા નહીં. એટલે કોઈ મને દિલોદિમાગથી ચાહે એ જ ગમે ને હું પણ એને એમ ચાહું તો જ ગમે. એવા નગદ પ્રેમભાવની પાર્શ્વભૂ વિના મારાથી કશી કલા સરજાય નહીં. બીજા બધા સ્થાયી ભાવો પ્રેમની આસપાસ આપોઆપ ગોઠવાઈ જવાના. ને એટલે એમાં ઈશ્વરને કે ન-ઈશ્વરને જગ્યા નથી. હું એવા કોઈ ટ્રાન્સન્ડેન્ટલ ગૉડને ભજતો રહું તો મારી આગવી સૃષ્ટિ સરજી શકું નહીં. મને સર્જકજીવને ઈશ્વર જેવું પારગામી કશું પણ પરવડે નહીં. અને મારી કલાને મારા પોતાના મૂળાધાર સિવાયનું કશું ખપે નહીં. ઈશ્વર કે કોઈપણ ગ્રાન્ડ નૅરેટિવ શુદ્ધ સર્જન માટે અનિવાર્ય નથી; ઘણી વાર તો એ જ મોટી અડચણ હોય છે.

પણ, એ સમજો કે મારી ચોપાસનું જગત મને ભીડીને બેઠું હોય છે. પેલું ટ્રાન્સેન્ડેન્ટ છે, તો આ મન્ડેન છે. નર્યું વ્યવહારગ્રસ્ત, સાંસારિક. એ એટલું જ ક્રૂર પણ છે. વળી મારી પાસે મારા હું સિવાયનું કશું છે નથી. ઉપરાન્ત મારા હું-ને હું કદી પૂરેપૂરું પુરવાર કરી શકતો નથી. મારું સત્ય મારી પાસે જ રહી જાય છે. મારી કલા મારી તિજોરીમાં કે મારા આર્કાઇવમાં કે મારા રેઝર્વૉરમાં જ પડી રહે છે. એ મહામૂલા સંચય સાથે જીવી જવાનો આનન્દ હોઈ શકે છે. એના સત પર ખડા રહીને, સ્વશરણે રહીને, જીવી જવાય છે, એની ના નથી.

તેમ છતાં, મને ચૅન ન પણ પડે, બધું અક્કારું થઈ પડે; ઍબ્સર્ડિટી મારો પીછો ન છોડે, નૈરાશ્ય મને ચૉંટેલું રહે; નાસીપાસી વળગેલી રહે, કશી સાતા ન પણ વળે. કશો કરાર ન પણ વળે. તો હું કશા અમૂર્તને પ્રાર્થું તો એથી મારો કશો મહા ક્ષય નથી થઈ જતો. ને ત્યારે મને રવીન્દ્રનાથ-સરજિત પ્રાર્થના ગાવાનું મન થઈ જાય છે :

અંતર મમ વિકસિત કરો અંતરતર હે
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુન્દર કરો હે
જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે
મંગલ કરો, નિરલસ નિ:સંશય કરો હે
યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બન્ધ
સંચાર કરો સકલ કર્મે શાન્ત તોમાર છન્દ
ચરણપદ્મે મમ ચિત્ત નિસ્પન્દિત કરો હે
નન્દિત કરો, નન્દિત કરો, નન્દિત કરો હે

= = =

(૧૫ ઑક્ટોબર ૨૦૧૯)

Loading

18 October 2019 admin
← દેશની તિજોરીમાં જમા કરાવનારાઓ સવા અબજ ને તેને લૂંટનારા માંડ સાડા આઠ હજાર?
રાષ્ટૃવાદ માફકસરનો હોઈ જ ન શકે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved