Opinion Magazine
Number of visits: 9507408
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જે ‘પક્ષ’ કટોકટી સાથે હતો અને જે ‘ઘટક’ કટોકટી સામે હતો એ બંનેની ભૂમિકા કેવી રીતે બદલાઈ?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 June 2024

પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્ય મંત્રી સિદ્ધાર્થ શંકર રેએ ‘આંતરિક કટોકટી’ની જાહેરાત સહિતનો આખો રોડમેપ ઇન્દિરાજીને આપ્યો હતો

પ્રકાશ ન. શાહ

1975ની 12મી જૂને અમે જ્યારે જનતા મોરચાનો વિજયોત્સવ મનાવી રહ્યા હતા (મોરચાનો પ્રયોગ સ્વરાજની કાઁગ્રેસની એક નવી આવૃત્તિની દિશામાં હતો) અને 1974ની 5મી જૂને જે.પી. ઘોષિત સંપૂર્ણ ક્રાંતિ દિવસ લગીનું અંતર કાપવું રહે છે એમ મનોમન ઘોડા દોડાવતા હતા ત્યારે અમદાવાદ-અલાહાબાદના બેવડા ફટકે સ્તબ્ધ નવી દિલ્હી, અલબત્ત ઇન્દિરાઈસ્તો, શું વિચારતી હશે?

દેખીતો તો જવાબ સરળ છે કે એ 25-26 જૂનના કટોકટી રાજની દિશામાં વિચારતી હશે. દેવકાન્ત બરુઆ ત્યારે કાઁગ્રેસ પ્રમુખ હતા અને આજે જેમ સત્તા પક્ષે એક વ્યક્તિના સર્વસમીકૃત સ્તુતિ ગાનનો ચાલ છે તે બરુઆ ત્યારે ‘ઇન્દિરા ઈઝ ઇન્ડિયા’ના આરતી ગાનમાં આકાશે ચઢ્યા હતા. સહકલાકારોની ખોટ જેમ આજે નથી, ત્યારે પણ નહોતી.

જનતા મોરચાએ કિમલોપ સાથે સમાધાનની રાહે સત્તાનાં સૂત્રો સ્વીકારવાનું ગોઠવ્યું ત્યારે જેમ સાથીઓ પૈકી કેટલાકને સત્તાનું સીધું આકર્ષણ હશે તેમ કેટલાકને ચોક્કસ સંજોગોમાં આ ઉતાવળની તાકીદ પણ વસેલી હશે. કારણ વાતાવરણમાં કશુંક વરવું સોડાતું ચોક્કસ જ હતું, જો કે પકડાતું નહોતું.

એ શું હશે, એવા સવાલનો જાથુકી જવાબ મારી કને નથી એમ નથી. કાઁગ્રેસના ભાગલા વખતે ભોગીલાલ ગાંધીએ ‘ઇન્દિરા કયે રસ્તે’ એ લેખમાળા વાટે ભાખ્યું જ હતું કે આ રસ્તે એકાધિકાર ઉર્ફે સરમુખત્યારશાહી આવે છે. જે વખતે, 1969-70માં ઉમાશંકર જોશી અને પુરુષોત્તમ માવળંકર ઇન્દિરા ગાંધી કાઁગ્રેસ વાટે કશોક બ્રેક થ્રૂ કરી શકશે એવો સદ્દભાવી આશાવાદ સેવતા હતા ત્યારે ભોગીભાઈનું આ તારણ પર પહોંચવું અવશ્ય એક અસામાન્ય બીના હતી.

હમણાં ભોગીભાઈએ નિર્દેશેલ સંભાવનાની જિકર કરી. પણ નવનિર્માણોત્તર દિવસોમાં વાસ્તવમાં દિલ્હી છેડે શું બની રહ્યું હશે એનો અંદાજે હિસાબ 1977ની લોકસભાની ચૂંટણીમાં ઇન્દિરાઈ પરાસ્ત થઈ અને જનતા રાજ્યારોહણ સંભવ્યું તે પછી કટોકટી બાબતે રચાયેલ શાહ તપાસ પંચના હેવાલ પરથી મળી રહે છે. આ હેવાલ બોલે છે કે 1975ની 12મી જૂને (જનતા મોરચાના જશન દિવસે) દિલ્હીના તત્કાલીન લેફ્ટનન્ટ ગવર્નર ઇન્દિરાજીના સીધા સંપર્કમાં રહી પકડવા લાયક આસામીઓની યાદી તૈયાર કરવામાં રોકાયેલા હતા.

આનો અર્થ એ થયો કે 25મી જૂને જયપ્રકાશના સંભવિત એલાનને પરિણામે વડા પ્રધાનને જાહેર શાંતિ પર ભય ઝળુંબતો દેખાયો અને એમણે કટોકટી ઝીંકી એ એક બહાનું હતું. વસ્તુત: એનાયે પહેલાંથી એટલે કે 12મી જૂને પણ તૈયારી ચાલતી હતી. પણ વાત માત્ર આટલી જ નથી. જે બધી વિગતો બહાર આવી છે તે પ્રમાણે 1975ની 8મી જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્ય મંત્રી સિદ્ધાર્થ શંકર રેએ બાંગ્લાદેશ વખતથી જારી બાહ્ય કટોકટી ઉપરાંત કલમ 352ની રૂએ ‘આંતરિક કટોકટી’ની જાહેરાત સહિતનો આખો રોડમેપ ઇન્દિરાજીને આપ્યો હતો. આગળ ચાલતાં 25મી જૂને કેબિનેટને બાજુએ રાખીને સિદ્ધાર્થ શંકર રેને લઈને વડા પ્રધાન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અહમદને મળવા ગયા ત્યારે પણ જરૂરી મુસદ્દો રેનો જ હતો. બે મોટા સ્વરાજ લડવૈયાઓ, મોતીલાલ નેહરુ અને ચિત્તરંજનદાસ, એકનાં પૌત્રીએ ને બીજાના દૌહિત્રે આમ પ્રજાસત્તાકને રાણીસત્તાકમાં ફેરવવાની યોજના ઘડી હતી.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ એમનાં સંસ્મરણોમાં આ ઘટનાક્રમનું વર્ણન કરતાં સચોટ કહ્યું છે કે બંધારણની પરિઘિમાં રહીને સઘળાં લોકશાહી સ્વાતંત્ર્યોને કેવી રીતે પડતાં મેલાય એનો આ નમૂનો હતો.

હમણાં જ આપણે રાષ્ટ્રીય ચૂંટણીના દોરમાંથી પસાર થયા. પરિણામની પ્રક્રિયા કંઈક આંચકામાંથી પસાર થઈ અને દસ વરસના કાર્યકાળમાં લોકશાહી સ્વાતંત્ર્યોની અનવસ્થા વિશે પણ ઘણી વિગતો સામે આવી. જે પક્ષ કટોકટીની સાથે હતો અને જનતા આંદોલનનો જે ઘટક કટોકટીની સામે હતો, એ બેઉની ભૂમિકા આજે કેમ જાણે બદલાઈ ગઈ ન હોય! વસ્તુત: ક્યારેક બિનકાઁગ્રેસવાદનું લોજિક હોઈ શકતું હતું તેમ આજે બિનભા.જ.પ.વાદનુંયે લોજિક હોઈ શકે છે તે સૌને સમું પકડાતું નથી.

ગમે તેમ પણ, વાતનો બંધ વાળવામાં છું ત્યારે આલ્બર્ટો મોરાવિયાની એક મર્મવેધી વાર્તા સાંભરે છે – એના પરથી ફિલ્મ પણ ઉતરેલી, ‘ટુ વીમેન.’ વિશ્વયુદ્ધનો માહોલ છે. જર્મન લશ્કર ઘમરોળી રહ્યું છે. મા-દીકરી ચર્ચમાં આશરો લે છે. પણ ‘લશ્કરી’ તરેહ ને તાસીર જેનું નામ, એનાથી એ બચી શકે શાનાં. વળતી સવારે મા જ્યારે દીકરીને બાથમાં લઈ ડુમાતે ડૂસકે હૂંફે છે ને એના વાળ સંવારે છે ત્યારે દીકરી નાની નથી રહી, રાતોરાત મોટી થઈ ગઈ છે. કહ્યું ને, મા-દીકરી નહીં પણ ‘ટુ વીમેન.’

એક પછી એક દોર, એક પછી એક ચૂંટણી નાગરિકને જાણે ‘પુખ્ત’ બનાવે છે. આવો અકેકો અવસર જેમ અતીતને તેમ વર્તમાનને પણ મૂલવવાની અને ભાવિમાં ઝાંખવાની હામ ને સૂઝ સંપડાવે છે … હાસ્તો, આખરે તો, ‘તેઓ’ આવે ને જાય, પણ આપણી નોકરી ચાલુ રહે એ કંઈ જેવી તેવી વાત તો નથી, ભાઈ!

વિધાતાનું વરદાન – નિ:સંશય વરદાન.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 19 જૂન 2024

Loading

19 June 2024 Vipool Kalyani
← વન પર્સન કેન ચેન્જ ધ વર્લ્ડ – રોસા પાર્ક્સ
શંકર બની જા →

Search by

Opinion

  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’
  • પીયૂષ પાંડેઃ જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
  • આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી
  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved