Opinion Magazine
Number of visits: 9448923
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જવાબદારી અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય જાળવવાની

ડંકેશ ઓઝા|Opinion - Opinion|2 August 2021

ગુજરાતના ઘણા મોટા એવા નાટ્યકર્મી ભરત દવે તાજેતરમાં અવસાન પામ્યા, તે નિમિત્તે જે અંજલિ-લેખો લખાયા તેમાં ભાગ્યે જ કોઈએ તેમના ‘અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય’ (2017) પુસ્તક વિશે ઉલ્લેખ કર્યો. આપણે વ્યક્તિને અમુક ક્ષેત્રમાં જાણેઅજાણે સીમિત કે કેદ કરી દેતા હોઈએ છીએ. ભરત દવે એમ માત્ર નાટ્યક્ષેત્રમાં બદ્ધ કરી શકાય તેવા ન હતા! ગુજરાતમાં દેશી રંગભૂમિની ઘણી બોલબાલા હતી. તે પછી દિલ્હી ખાતે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાની સ્થાપના થઈ અને તેમાં ગુજરાતના જે તેજસ્વી તારલાઓએ તાલીમ મેળવીને કામ કર્યું, તેમાંના એક તે ભરત દવે.

આજની સામાજિક–રાજકીય સ્થિતિ હરકોઈ વિચારશીલ અને સંવેદનશીલ નાગરિકને અકળાવનારી છે. પ્રત્યેકના મનમાં તેમ જ જાહેર ક્ષેત્રે કામ કરનારાં સંગઠનોમાં આ વિશે લગાતાર વિચારમંથન ચાલી રહ્યું છે. ભરત દવેએ આવા સામૂહિક ચિંતનને આગળ ધપાવવાના એક વિનમ્ર પ્રયાસરૂપે આ પુસ્તક લખ્યું. આજે જે કોઈ પોતાને વ્યક્ત કરવા ઇચ્છે છે, તેની સામે કેવા પ્રશ્નો પુછાય છે, તે ભરત દવેએ પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધ્યા છેઃ “શું તમે વિકાસના વિરોધી છો ? તમે હિન્દુઓના વિરોધી છો? સ્વચ્છતાના વિરોધી છો ? રાષ્ટ્રગીત ગાવાના વિરોધી છો ? તમે ભ્રષ્ટાચારને ટેકો આપો છો ? આતંકવાદને ટેકો આપો છો ? દેશદ્રોહીઓને ટેકો આપો છો ? તમે માઓવાદીઓના સમર્થક છો ? ‘કાશ્મીર માંગે આઝાદી’ જેવા નારાને તમે મંજૂર કરો છો? તમે ગૌમાંસ ખાવા દેવાના સમર્થક છો? બોલો, મોઢેથી જવાબ આપો.” ભરત દવે નમ્રતાથી જણાવે છે કે આના જવાબો આપવા માટે તમારામાં રવીન્દ્રનાથ ટાગોર જેવી કક્ષા જોઈએ જેમણે એમ કહેવાની હિંમત દેખાડેલી કે “હું તમારા પ્રશ્નોને જ સરાસર નકારી કાઢું છું, કારણ કે મૂળભૂત રીતે આ પ્રશ્નો જ ખોટા છે અને હું તમારા વિરોધમાં ઊભો છું અથવા તમારો વિરોધ કરું છું, એનો અર્થ એ નહિ કે દેશને હાનિ પહોંચાડી રહેલાં તમામ અપરાધિક તત્ત્વોના સમર્થનમાં હું ઊભો છું!” (‘ઘરેબાહિરે’)

લોકશાહીનું હાર્દ એમાં છે કે દેશમાં પ્રવર્તતાં દૂષણો નાબૂદ કરવા બાબતે સૌ કોઈ સંમત હોય. પરંતુ તેને નેસ્તનાબૂદ કરવાની સરકારી નીતિ-રીતિઓ બાબતે પ્રામાણિક મતભેદ હોઈ શકે. આ ક્ષેત્રના મોટા વિચારક જ્હૉન સ્ટુઅર્ટ મિલે કહેલું કે વાણીની સ્વતંત્રતા માત્ર મનગમતી વાતો કહેવા કે સાંભળવા પૂરતી નથી હોતી. તમને ન ગમતી વાતોને, તમે ધિક્કારતા હો એવી વાતોને, પણ તમે એટલી જ સ્વસ્થતા અને ઉદારતાપૂર્વક સાંભળો એ જ તમારી ખરી કસોટી છે. હાલના અમેરિકી વિચારક ચૉમ્સ્કી પણ કહે છે કે ઇતિહાસમાં સ્તાલિન અને હિટલર જેવા સરમુખત્યારોએ પણ તેમની પ્રજાઓને વાણીની સ્વતંત્રતાનો અધિકાર આપેલો. પણ માત્ર એવી જ વાણીનો, જે તેમને મંજૂર હોય! ભરતભાઈએ ગંભીર ચર્ચાસ્પદ વિષય પર વૈશ્વિક સંદર્ભો સાથે સાંપ્રત સંદર્ભોને જોડીને ભારતમાં આ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની શી દશા છે, તેના વિશે ચિંતનાત્મક પુસ્તક લખ્યું છે. જે 368 પાનાંમાં ફેલાયેલું દળદાર પુસ્તક છે.

પુસ્તકમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો ઇતિહાસ પહેલાં બે પ્રકરણોમાં આલખાયેલો  છે. તે પછી પશ્ચિમી દેશોમાં કલાસ્વરૂપો ઉપરની સેન્સરશિપના કિસ્સાઓ અને તેની વિગતવાર ચર્ચા છે. તે પછી ભારતમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની બુનિયાદ અને બંધારણીય જોગવાઈઓ સહિત કેટલીક સાંપ્રત ઘટનાઓની ચર્ચા છે. ભારતમાં સાહિત્ય, નાટક, કલા, ફિલ્મ, વ્યંગવિનોદ, ઇન્ટરનેટ અને મુદ્રિત તથા વિજાણુ માધ્યમોની સ્વતંત્રતા અને તેના પરની સેન્સરશિપ વિશે ચર્ચા છે. દેશદ્રોહનો કાનૂન અને ધાર્મિક અસહિષ્ણુતા આપણા દેશમાં કેવી છે, તે વિગતે વર્ણવાયું છે. આજની વૈશ્વિક કસોટીના પાયામાં વિશ્વભરમાં જમણેરી પરિબળોનો જે રીતે ઉદય થયો છે, તેની અભ્યાસપૂર્ણ ચર્ચા પછી ભારતીય રાજકારણ અને જમણેરી પરિબળો હેઠળ વાણીસ્વાતંત્ર્ય અને અસહિષ્ણુતા સંદર્ભે કેવી સ્વતંત્રતા અને અરાજકતા પ્રવર્તે છે, તેની ચર્ચા કરતાં લેખકે પ્રાચીન ભારતમાં વૈચારિક સ્વતંત્રતા કેવી હતી, તેની પણ વિગતો આપી છે.

અંતમાં તેમના સમાપનના શબ્દો છે : “આજના અસહિષ્ણુ જગતમાં આપણને માત્ર હા-જી-હા કરનારાઓનો ખપ નથી, અંતરાત્માના ધીમા પણ મક્કમ અવાજને વિશાળ માનવજાતના આંતરવિવેક સુધી પહોંચાડી શકનારા ‘બળવાખોરો’ જ માનવજાતને વર્તમાન સમસ્યામાંથી ઉગારનારો કોઈ નવો વિકલ્પ ચીંધી બતાવશે.”

પુસ્તકના અંતે જે સંદર્ભસૂચિ આપવામાં આવી છે, તેમાં આ વિષયના મહત્ત્વનાં પુસ્તકો અને કેટલાક લેખોનો સંદર્ભ જોઈ શકાય છે.

આજે સર્વોચ્ચ અદાલત વાજબી રીતે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકાર પર વારંવાર ભાર મૂકે છે, ત્યારે વહીવટીતંત્ર, સરકાર અને તેમનાં ટેકેદાર વર્તુળો જે રીતે અભિવ્યક્ત થનાર વ્યક્તિ કે વિચારક પર કાયદાકીય અને અન્ય ધોંસ બોલાવે છે, ત્યારે માહોલ ચિંતાજનક સ્થિતિમાં પરિણમે છે. દેશભક્તિ એ કોઈ પ્રદર્શનની ચીજ નથી કે એનું કોઈ વળતર કે લાભ મેળવવાનો નથી. બંધારણ, તેની ભાવના, તે સંદર્ભે ઘડાયેલા કાયદાઓ અને વ્યાપક સમાજના સંદર્ભે કાયદાના શાસનની સ્થાપના અને તે પ્રત્યેની નિસબતમાં પણ રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત થઈ શકે છે.

આ તબક્કે એ બરાબર સમજવાનું છે કે દરેકને પોતાની આઝાદી ગમે છે અને બીજો તે જ પ્રકારની આઝાદી ભોગવે તે સામે અતિશય વાંધાવિરોધ હોય છે. લોકશાહી કે બંધારણ કોઈ એક વર્ગસમૂહની આઝાદી કે તેના જતન માટે નથી. તે તો વ્યક્તિ માત્રની આઝાદીનું જતન કરવા માટે છે. અભિવ્યક્તિની સાથે વિચારસ્વાતંત્ર્ય આવી જ જાય છે. પ્રામાણિક મતભેદ અને વિરોધી વિચાર પ્રત્યે સહિષ્ણુતા એ સાચી આઝાદીનો મર્મ છે. ભરતભાઈએ તેમના જીવનમાં છેલ્લાં વર્ષો આવા ચિંતનને સમર્પિત કર્યાં છે. જે દર્શાવે છે કે એક કલાકાર તરીકે અને એક નાગરિક તરીકે તેમને આ મુદ્દો કેટલો પીડતો હશે કે કેટલો નજીકનો લાગતો હશે.

રાજકીય સરકારોને એવું માનવું સદાય ગમતું રહ્યું છે કે જે કોઈ આપણી સાથે નથી તે બધાં આપણી સામે જ છે. આવી ખતરનાક વિચારસરણી ઉપર બંધારણ છે, ન્યાયતંત્ર છે અને કાયદાનું રાજ સ્થાપવાની મસમોટી જવાબદારી છે. સાચા નાગરિકો જ્યારે ટીકાટિપ્પણી કરે છે, ત્યારે તેમને આખા સમાજનું હિત અભિપ્રેત હોય છે તેમને માત્ર ને માત્ર રાજકીય વિરોધીઓમાં ખતવી દેવા એ પાગલપન છે. સત્તા કદી કાયમી હોતી નથી. સત્તા એ તો પ્રજાકલ્યાણનું સાધન માત્ર છે. જે નસીબદારોને જ પ્રાપ્ત થાય છે. તે સમયગાળામાં પોતાનો નાગરિક કોઇ પણ પ્રકારનું દુઃખ ન અનુભવે તે જવાબદારી ચૂંટાયેલી સરકારની હોય છે. તે સાથે એ પણ સમજવાનું છે કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર વાજબી નિયંત્રણો સાવ સ્વાભાવિક છે. કારણ કે કોઈ પણ પ્રકારની કોઈની પણ આઝાદી અમર્યાદ ન હોઈ શકે!

(અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, લેખક – ભરત દવે, ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ – 380 015, પ્રથમ આવૃત્તિ 2017, પાનાં 276, કિ. રૂા.400)

સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 09

Loading

2 August 2021 admin
← કોને ખબર ?
પત્રકારત્વ ને સાહિત્યનો સમન્વય એટલે પ્રકાશ ન. શાહ →

Search by

Opinion

  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved