Opinion Magazine
Number of visits: 9449455
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જવાબદારી તમારી, હરામખોરી અમારી…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 June 2024

રવીન્દ્ર પારેખ

રાજકોટમાં અગ્નિકાંડ થયો ને જેના કોલસા પડવાના હતા તેના પડી ગયા. હવે તંત્રો જાગ્યા છે ને એ સાથે જ આખું ગુજરાત ‘હેઈસો હેઈસો’ કરતું ધંધે લાગી ગયું છે. બધાં ઘોડા ગયા પછી તબેલો બંધ કરવા નીકળ્યાં છે. એ પણ ધૂળ નાખી, પણ આડેધડ બધું સીલ કરી દેવાથી રાતોરાત આખું રાજ્ય ફાયર સેફ્ટીમાં પહેલું તો નહીં આવેને? તો, 9 શહેરોમાં 2,901 યુનિટ સીલ કરી દેવાનો અર્થ ખરો? આ સીલબંધીને કારણે કેટલા ય વેપારીઓ નવરા ધૂપ થઈ ગયા છે. એ સાચું છે કે સલામતીનાં સાધનો દરેકે અગાઉથી જ રાખવાં જોઈએ, પણ એવું થયું હોત તો રાજકોટ અગ્નિકાંડ થયો જ ન હોતને ! અગમચેતીની બાબતમાં સરકાર, તંત્રો ને પ્રજા સરખાં જ બેદરકાર છે. હવે જ્યારે તંત્રો મોડાં મોડાં જાગ્યાં છે, તો જેટલો સમય તંત્રોએ લીધો છે એટલો સમય પ્રજા પણ લેશેને ! હજી SOPનાં ઠેકાણાં નથી. તંત્રો પોતાની ભૂલ જોતાં નથી ને પસ્તાળ લોકો પર પાડે છે. જો તંત્રોને સમય લાગતો હોય તો લોકોને પણ વ્યવસ્થા ઊભી કરવામાં સમય લાગી શકે છે. ઘણા વેપારીઓ ફાયર સેફ્ટીની બધી સુવિધાઓ ઊભી કરવા તૈયાર છે, તો તેને વાજબી સમય આપવો જોઈએ.

13મીથી સ્કૂલો ચાલુ થઈ ગઈ છે ને ઘણી સ્કૂલોને સીલ લાગેલાં છે. એને કારણે ઘણી સ્કૂલો ચાલુ ન થઈ હોય એમ બને. તંત્રોએ એવી સ્કૂલોને કડક ચેતવણી આપીને અને સાધનો વસાવવાની તાકીદ કરીને સીલ ખોલવાં જોઈએ. કેટલીક જગ્યાએ શરતી સીલ ખૂલ્યાં પણ છે, તો સંબંધિતોએ ઘટતી વ્યવસ્થાઓ વહેલી તકે ઊભી કરવી જોઈએ ને તંત્રોએ પણ પછી ‘ફોલો અપ’નું ધ્યાન રાખવાનું રહે. મુશ્કેલી શું છે કે અત્યાર સુધી ફાયર સેફ્ટીનાં સાધનોની ચિંતા ખાસ થઈ જ ન હતી, હવે તેનું આયોજન કરવાની જરૂર ઊભી થઈ છે, પણ તેટલાં સાધનો બજારમાં ઉપલબ્ધ નથી. ઉપાડ વધ્યો છે ને સાધનો ટાંચાં છે, એટલે છે તેનાં બ્લેક બોલાય છે. શું છે કે ધંધો તો લોહીમાં છેને ! પાવડા મારીને લૂંટનારાઓ તો ક્યારે દૂર હતા?

બીજી તરફ સરકાર કે તંત્રો ગેમ ઝોનનાં નિયમો ઘડવામાં પડ્યાં છે. એનો સીધો અર્થ એ થાય કે આજ સુધી બધું લોલે લોલ જ ચાલતું હતું. અગાઉની આવી જ ઘટનાઓ પછી પણ આપણી જાતમાં કોઈ ફરક પડ્યો નથી. હવે થોડો વખત નિયમો નિયમોનું ચાલશે ને વળી કોઈ ઘટના બનશે કે ફરી પાછા એ જ લવારા ચાલશે કે કોઈને છોડવામાં નહીં આવે. એનો પડઘો એવો પડે છે કે કોઈને પકડવામાં નહીં આવે. સરકારને તો એમ જ છે કે પ્રજા મૂર્ખ છે. તેને તો જે કહો તે સાચું માની લે છે, એટલે કોઈને નહીં છોડવાનો બકવાસ ચાલે છે ને ચાલશે. હવેથી આ લાઇસન્સ આપશે ને હવેથી તે કાર્યવાહી થશે ને કૈં થશે તો કોઇની જવાબદારી રહેશે નહીં … જેવા લવારા થતા રહે છે. ખરેખર તો જેનું જાય છે તેનું જાય છે, બાકીનાને કોઈ ફેર પડતો નથી.

તંત્રોએ પસ્તાળ પાડી તો તવાઈ સ્કૂલ રિક્ષા ને સ્કૂલ વાન પર આવી. વાનની પાછળ મુકાયેલાં સી.એન.જી. સિલિન્ડર પર બેસીને હજારો વિદ્યાર્થીઓ સ્કૂલે જતાં આવતાં હતાં. હવે સ્કૂલ-રિક્ષા કે વાને ફાયર સેફટીની વ્યવસ્થા ઊભી કરવાની આવી છે, તો એના ખર્ચનો બોજ વાલીઓ પર નખાયો છે. સ્કૂલવાનનું ભાડું 1થી 5 કિલોમીટર સુધીમાં મહિને 150થી 200 રૂપિયા વધારી દેવાયું છે. સ્કૂલ વાન એસોસિયેશનનો બચાવ એવો છે કે આર.ટી.ઓ. અને ટ્રાફિક પોલીસ તપાસ કરશે તો ફાયર સેફટી, વીમો અને 12 વિદ્યાર્થીઓને વાનમાં બેસાડવાનો નિયમ લાગુ થતાં ખર્ચ વધશે એટલે ભાડું વધાર્યે જ છૂટકો છે. ભાડું વધારવાનું કારણ નિયમોની જાળવણી છે, જે સ્કૂલ વાન એસોસિયેશનની નૈતિક જવાબદારી છે, પણ એ નિભાવવી હોય તો એનો બોજ વાલીએ જ ઉઠાવવાનો આવે. એ રીતે સુરતના જ અઢી લાખ વાલીઓએ મહિને ત્રણથી પાંચ કરોડનો બોજો ઉપાડવાનો આવ્યો છે. વાલી એવી નબળી બોરડી છે કે તેને સ્કૂલો, સ્કૂલવાનો અને સ્કૂલ રિક્ષાઓ ઝૂડતી જ રહે છે.

આમ તો સલામતીની કાળજી સ્કૂલોએ, તેની સાથે જોડાયેલાં વાહનોએ લેવાની રહે. જે તે સાધનો વસાવવા અંગે વાહનોની ફીમાં વધારો સુદ્ધાં જાહેર થઈ ચૂક્યો છે, પણ વાનમાં બધું બરાબર છે કે નહીં, તેની કાળજી વાલીઓએ લેવાની છે, એવો આદેશ શિક્ષણ વિભાગે કર્યો છે. ટૂંકમાં, કોઈ કહેતાં કોઈ જ જવાબદારી લેવા તૈયાર નથી. તેને લગતી ઉઘરાણીઓની કોઈને છોછ નથી, પણ કૈં થાય તો હાથ ઊંચા કરી દેવા બધાં જ તૈયાર છે. એ શરમજનક છે કે રિક્ષા, વાન કે બસમાં આવતા વિદ્યાર્થીઓનું વાહન બરાબર છે ને તે ચેક કરી લીધું છે ને તે સેઇફ છે ને કૈં થશે તો તેની જવાબદારી મારી રહેશે, એવું ડેક્લેરેશન સ્કૂલના સંચાલકોએ વાલીઓ પાસેથી લીધું છે ને વાલીઓએ તે આપ્યું પણ છે. વાલીઓએ જે બધું ચેક કરવાનું છે, તેની યાદી પણ આપવામાં આવી છે. એ બધું RTOએ ચેક કરવાનું છે, પણ વાલીઓ નવરા છે એટલે હવેથી એ કામ તેઓ કરશે. નિયમો કડક થયા તે સારી વાત છે, પણ તે પ્રમાણે બધું છે કે નહીં, તે તપાસવાનું વાલીઓને માથે નાખવાનો કોઈ અર્થ નથી.

કૈં ખોટું ચાલે તો તેમાં સુધારો કરવાનું ઓછું જ બને છે, પણ તે સ્વીકારી લઈને તેને અનુરૂપ ફેરફારો કરવાનો કોઈને વાંધો નથી આવતો. હમણાં થોડા વખતથી શહેરોમાં સિગ્નલ દર્શનનો વિશેષ ઉપક્રમ યોજવામાં આવ્યો છે. ખાસ કરીને સુરતમાં ટ્રાફિક જામની સમસ્યાનું બહુ સંભળાતું નથી. હા, મેટ્રોને કારણે જામ થવાના ઘણા પ્રસંગો પડે છે, પણ તેમાં સિગ્નલ આગળ તો ભાગ્યે જ કોઈ મુશ્કેલીઓ સામે આવી છે, પણ તંત્રો અત્યારે એલર્ટ મોડ પર છે, એટલે સુરતમાં 62 કરોડના ખર્ચે 118 ટ્રાફિક જંકશન પર ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી છે. એને લીધે ચાર રસ્તા આવે ત્યાં સિગ્નલ પર લગભગ 90થી 120 સેકન્ડ વાહનોએ ઊભાં રહેવાનું અનિવાર્ય થઈ ગયું છે. ટ્રાફિક હોય કે ન હોય, લાલ સિગ્નલ લીલું ન થાય ત્યાં સુધી તાપમાં ને સંતાપમાં ઊભાં રહેવાનું ફરજિયાત થઈ ગયું છે. ટ્રાફિક સાચવવા સિગ્નલો લગાવાયાં, પણ હવે સિગ્નલોને કારણે ટ્રાફિક જામ થવા લાગ્યો છે. એથી જે તે જગ્યાએ પહોંચવામાં મોડું થવા લાગ્યું છે, કારણ સિગ્નલોની સેકંડો ઉમેરવાની રહી જતી હતી. થતું હતું એવું કે એક લાલ સિગ્નલને લીલું કરવામાં જે સેકંડો જાય તેમાં તે પછીનાં લાલ સિગ્નલોની લીલાશ જોવામાં બીજી સેકંડો ઉમેરવાની થાય ને એવું તો ઘણાં સિગ્નલો વટાવવા જતાં થયું. ઘણી જગ્યાએ તો એક સિગ્નલ વટાવો કે ચારસો-પાંચસો મીટરમાં વળી સિગ્નલ લાલ આંખો કાઢવા લાગે ને થોભ્યે જ છૂટકો થાય. એથી ઓફિસોમાં, સ્કૂલોમાં, કોર્ટમાં, નાની મોટી સંસ્થાઓમાં પહોંચવામાં સમય બમણો થવા લાગ્યો ને ઈંધણ પણ બમણું ફૂંકાવા લાગ્યું. તેમાં જો કોઈ સિગ્નલ તોડવાની કોશિશ કરે તો એને માથે મેમો ફાટવાનું જોખમ તો ખરું જ, એટલે ચુમાઈને સિગ્નલ પર સમાધિસ્થ થયા વગર છૂટકો જ નહીં ! ગાય કૂતરાનું જુદું કાઢીએ, એમ સિગ્નલ માટે વાહનમાં વધારાનું ઈંધણ નખાવવાનું થયું.

આ બધું સાહેબોને નવો તુક્કો ન આવે ત્યાં સુધી ચાલશે. હેતુ સારો – શહેરની ટ્રાફિક સેન્સ સુધારવાનો, પણ વ્યવહારુ ઓછો. એમાં ફેરફારને અવકાશ છે. એવા ઘણા વિસ્તારો છે, જ્યાં રાત્રે અગિયાર પછી ટ્રાફિક નામનો જ હોય છે, ત્યાં ઓરેન્જ કલરનું સિગ્નલ જીવતું કરી શકાય. ત્યાં પણ ‘લાલ’, ઘણાંને ટાલ પાડે એમ બને. આ વ્યવસ્થા સુધાર માંગે છે, તે સૂચવવાને બદલે DEO નવું ફરમાન બહાર પાડે છે કે સિગ્નલ પર થોભવાને કારણે વિદ્યાર્થીઓ સ્કૂલે 15 મિનિટ મોડા પડે તો તેમને સ્કૂલમાં પ્રવેશ આપવો. એટલું સારું છે કે DEO સાહેબે બધી સ્કૂલોનો સમય પંદર મિનિટ મોડો નથી કર્યો.

સાવચેતી તરીકે આમ કોઈને કૈં કરવાનું સૂઝતું નથી, પણ આગ લાગે છે કે કૂવો ખોદવા બધાં જ લાગી પડે છે ને એમાં નક્કર તો કૈં થતું જ નથી, કૈં કર્યાનું નાટક ચાલે છે ને થોડા વખત પછી બધાં ફરી દરમાં ભરાઈ જાય છે. રાજકોટનો જ દાખલો લઈએ તો અગ્નિકાંડમાં SIT કૈં ઉકાળી શકી નથી. તે કોઈ ખાતાકીય તપાસ કરતી નથી. 20થી વધુ દિવસ થવા છતાં કોઈ નક્કર કામગીરી થઈ નથી. હાઇકોર્ટે સુઓમોટો પર ચોથી વાર સુનાવણી કરતાં કહેવું પડ્યું છે કે સરકાર આમ સુષુપ્ત જ રહે છે, કોઈ ઘટના બને પછી જ તે પગલાં ભરે છે. પછી તો ઘણાં અળસિયાં દોડાદોડી કરવા લાગે છે. કોઈ સીલ કરવા લાગે છે, કોઈ ફાયર સેફટીની તપાસમાં લાગે છે, કોઈ સ્કૂલનાં વાહનોનાં ભાડાં વધારી દે છે, કોઈ કૈં થાય તો અમારી જવાબદારી નહીં, કહીને હાથ ઊંચા કરી દે છે ને ગાળિયો વાલીઓનાં ગળામાં ફસાવી દેવાય છે. જાણે કહેતાં હોય કે જવાબદારી તમારી, હરામખોરી અમારી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 જૂન 2024

Loading

14 June 2024 Vipool Kalyani
← કૂવો ગળી ગયો
“If On a Winter’s Night a Traveler” વિશે — 9   →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved