
મંજુલાબહેન મો. કરણિયા
મારી માતા પાસે હું ક્યારે જમ્યો—અથવા જમવા બેસવાનો છું—તે બરાબર જાણી લેવાની એક અદ્ભુત શક્તિ હતી. તેમનો પહેલો પ્રશ્ન હંમેશાં એક જ રહેતો : જમી લીધું? ક્યારેક તો તે પૂછતાં પણ નહીં. તે માત્ર એટલું જ કહેતાં, “મને ખબર છે તું અત્યારે જમતો જ હોઈશ,” જાણે દુનિયામાં તેનાથી વધુ બીજું કશું કંઈ મહત્ત્વનું જ ન હોય !
ભારતીય ઘરોમાં, ભોજન એ જ પ્રેમ છે. માતાઓ માટે, ભોજન એ ‘સેવા અને કાળજી’નું પ્રત્યક્ષ સ્વરૂપ છે. બાળકને નવ મહિના સુધી કુખમાં રાખ્યા પછી, તેઓ સહજ રીતે તે જ ભાષામાં પોષણ આપવાનું ચાલુ રાખે છે. અમારી છેલ્લી વાતચીતમાં પણ આ ક્યારે ય બદલાયું નહીં. તેમણે અમને મુંબઈ છોડતાં પહેલા કોકિલા અંબાણી હૉસ્પિટલ ખાતે ચા પીવાની અને ‘સુદામા’માં પાવભાજી ખાવાની યાદ અપાવી હતી.
તે દિવસે જ્યારે હું હૉસ્પિટલમાંથી બહાર નીકળ્યો, ત્યારે મેં કોમલને કહ્યું કે આ કેટલું અજીબ લાગે છે—જ્યારે તેણે પોતાની શક્તિ બચાવવી જોઈએ, ત્યારે તે આપણાં ભોજન અને દિનચર્યાની ચિંતા કરી રહી છે. મને ત્યારે ખબર નહોતી કે પોતાના હૃદયને હળવું કરવાની અને કશું પણ અધૂરું ન રાખવાની આ તેમની રીત હતી.
આખી જિંદગી મારી માતાએ બહુ ઓછું માંગ્યું. તેમણે ક્યારે ય સમય, ધ્યાન કે બલિદાનની માંગણી કરી નહોતી. કામ હંમેશાં પ્રથમ સ્થાને હોવું જોઈએ, તેવો તેમનો આગ્રહ હતો. જ્યારે તેઓ અસ્વસ્થ હતાં ત્યારે પણ તેમણે અમને મુસાફરી કરવા કે મુલાકાતે આવવા માટે નિરુત્સાહ કર્યાં હતાં. તેઓ અમદાવાદ આવવાનું ટાળતાં હતાં કારણ કે તેઓ ઘરની “ઈકોસિસ્ટમ ખોરવવા” માંગતાં ન હતાં—આદિત્યની પરીક્ષાઓ, મારું વર્ક-ફ્રોમ-હોમ શેડ્યૂલ, કોમલના સમયની વહેંચણી, નર્સની જરૂરિયાત. બીજાને સામાન્ય અસુવિધા થાય તો પણ તેઓ દોષભાવ અનુભવતાં હતાં.
જ્યારે મેં તેમની સાથે રહેવા માટે ઑફિસની મુસાફરી રદ્દ કરી, ત્યારે એ વાત તેમણે નોંધી અને પછી તેમણે તે જ કર્યું જે તેઓ હંમેશાં કરતાં હતાં—તેમણે મને મુક્ત કર્યો. તેમણે કહ્યું, “તારે જવું જોઈએ. આગળ વધતા રહો. ચાલતા રહો.”
તેમણે હૉસ્પિટલમાંથી રજા મળ્યા પછી અમારી સાથે આવીને રહેવા માટે સંમતિ આપી હતી.
પરંતુ તે દિવસ ક્યારે ય આવ્યો નહીં.
સ્વભાવે હું ખૂબ જ ચીવટવાળો અને હેતુલક્ષી આયોજન કરનાર વ્યક્તિ છું. છતાં, ૨૦૨૬ માટે મેં કોઈ આયોજન કર્યું નહોતું. મારો એક માત્ર ઇરાદો મારી માતા સાથે હોવાનો હતો. મારું આખું શેડ્યૂલ તેમના સમયની આસપાસ જ રહેવાનું હતું. કોઈ લાંબી મુસાફરી નહીં. કોઈ નવાં કામ નહીં.
તેમને આ મંજૂર નહોતું. તેમણે મને કહ્યું કે મારે મારાં કામમાં આગળ વધવું જોઈતું હતું. ત્યારે પણ, તેમણે મને ફરજમાંથી મુક્ત કર્યો.
૧૬ જાન્યુઆરીએ, મને તેમના તરફથી શ્રેણીબદ્ધ કોલ્સ આવ્યા જેમાં તેમણે મને કોકિલા અંબાણી હૉસ્પિટલ આવીને તેમને મળવા કહ્યું. આ અસામાન્ય હતું—લગભગ અભૂતપૂર્વ. તેમણે હંમેશાં મને મુસાફરી ન કરવા અને મુલાકાત ન લેવા કહ્યું હતું. એક કૌટુંબિક મિત્રએ એકવાર કહ્યું હતું કે જ્યાં સુધી તે મને નહીં મળે ત્યાં સુધી તેમને કંઈ થશે નહીં.
અમે બીજા દિવસે, ૧૭ જાન્યુઆરીએ, એક અજાણ્યા ડર સાથે તેમની મુલાકાત લીધી, જેના વિશે અમે વાત નહોતી કરી.
તેમણે બધી જ વાતો કરી—અમારાં જીવન, પારિવારિક વાર્તાઓ, મિત્રો, યાદો. અને અલબત્ત, ભોજન. તેમણે સલાહ આપી. જ્યારે હું રડી પડ્યો ત્યારે તેમણે મને અટકાવ્યો. “તારે કોમલ, આદિત્ય અને આંગી માટે મજબૂત બનવું પડશે.”
જ્યારે મેં એવી ક્ષણો માટે માફી માંગી જેનાથી કદાચ તેમને દુઃખ થયું હોય, ત્યારે તેમણે તેને ખૂબ જ પ્રેમથી નકારી કાઢી. “તે દરેક માટે માત્ર સારું જ કર્યું છે. તારા ઇરાદા હંમેશાં શુદ્ધ રહ્યા છે. કોઈ ભાર સાથે ન જીવો. હળવા હૃદયે આગળ વધો.” ત્યારે પણ, તેઓ મને તમામ અપરાધભાવમાંથી મુક્ત (ક્ષમા) કરી રહ્યાં હતાં.
•••

મોતીચંદભાઈ અને મંજુલાબહેન કરણિયા (બેઠેલાં) તેમ જ બન્ને સંતાનો – અશોક અને મમતા કરણિયા
મારી માતા મંજુલાબહેન, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં એક સંસ્કારી જૈન પરિવારમાં ઉછરેલાં છ ભાઈ-બહેનોમાં ચોથા હતાં. તેમના પિતા એક વેપારી હતા, જેઓ અત્યંત આધ્યાત્મિક અને ધાર્મિક વિધિઓમાં શિસ્તબદ્ધ હતા. બે મોટા ભાઈઓ, બે નાના ભાઈઓ અને એક મોટી બહેન સાથે તેમનું બાળપણ સુરક્ષિત અને શાંત હતું.
ગૌરવર્ણ, પાતળાં અને નાજુક બાંધાનાં મંજુલાબહેને મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમના લગ્ન મારા પિતા મોતીચંદભાઈ સાથે થયા—જેઓ જોગવાડ ગામના ખેડૂતના પુત્ર હતા અને ભાયખલામાં ‘રિચાર્ડસન’માં નોકરી કરવાની સાથે મુંબઈની ગવર્નમેન્ટ લો કૉલેજમાં કાયદાનો અભ્યાસ કરી રહ્યા હતા. સંજોગોવસાત તેમણે અભ્યાસ અને નોકરી બંને છોડવા પડ્યા. તેમણે ગોરેગાંવમાં એક રૂમના ભાડાના મકાનમાં લગ્નજીવનની શરૂઆત કરી.
મુંબઈ તેમના માટે સાવ અલગ હતું. લગ્નના શરૂઆતના દિવસોમાં જ, ઘરફોડ ચોરીમાં તેમના લગ્નના દાગીના ચોરાઈ ગયા—મર્યાદિત સાધનો ધરાવતા યુવાન દંપતી માટે આ એક મોટો આઘાત હતો. તેમ છતાં અભાવ ક્યારે ય તેમના જુસ્સાને ઓછો કરી શક્યો નહીં. જ્યારે મારા પિતાના દેવાદારો ઘરે આવતા, ત્યારે તેઓ ડર્યા વગર તેમને દયા અને સન્માનથી મળતાં; વેપારની વાત શરૂ થાય તે પહેલાં તેઓ હંમેશાં પૂછતાં કે “ચા લેશો?” પાડોશીઓની સંભાળ લેવી, મિત્રો અને પરિવારોને પ્રેમ આપવો અને જમાડવા—તેમણે હંમેશાં કોઈપણ જાહેરાત વગર મદદનો હાથ લંબાવ્યો હતો.
નવ વર્ષ સુધી તેઓ સંતાન માટે રાહ જોતા રહ્યાં. છેવટે મારો જન્મ થયો અને તેના ચાર વર્ષ પછી મારી બહેન આવી ત્યારે અમે જ તેમની આખી દુનિયા બની ગયાં. જેમ જેમ અમે મોટા થયા તેમ તેમ પરિવારની આર્થિક સ્થિતિ પણ સુધરી. પ્રગતિ શાંત અને સખત મહેનતની હતી: EC TV આવ્યું, પછી પહેલી કાર આવી અને ભાડાના મકાનમાંથી અમે અમારા પોતાના ઘરમાં રહેવા ગયાં. આ બધાની વચ્ચે, મમ્મી અમારા મૂળ સાથે જોડાયેલો સેતુ બની રહ્યાં. તેઓ પરિવારનો જીવંત દસ્તાવેજ હતાં. સગાંસંબંધીઓ લગ્નની વાતચીત વખતે અવારનવાર મારી મમ્મીની સલાહ લેતા. તેમની યાદશક્તિ સચોટ હતી અને સલાહ પ્રમાણિક. તેમના અવસાન પછીના દિવસોમાં, જે લોકોના વર્ષોથી ફોન નહોતા આવ્યા, તેમણે પણ મને ફોન કરીને કહ્યું કે મમ્મી તેમના માટે શું હતાં—તેમણે કેવી રીતે મદદ કરી, સલાહ આપી અને દરેકને યાદ રાખ્યાં.
જે સંબંધો વિખેરાઈ ગયા હતા તે ફરી એકવાર સાથે આવ્યા છે. અત્યારે પણ, તેઓ સંબંધોના સેતુ બનાવવાનું ચાલુ રાખે છે. તેઓ માનતા હતાં કે ભલાઈ શાંત હોવી જોઈએ; તેમણે તકતીઓ સાથેના મંદિરના દાનના દેખાવને નકારી કાઢ્યો હતો અને ઇચ્છતા હતા કે પૈસા શાંતિથી જરૂરિયાતમંદો સુધી પહોંચે.
બાળકો તેમના કેન્દ્રસ્થાને હતાં. તેમની સિદ્ધિઓ મમ્મી માટે શાંત ઉજવણી જેવી હતી—જ્યારે મેં ૧૨મા ધોરણમાં ઈકોનોમિક્સ અને એકાઉન્ટ્સમાં ટોપ કર્યું, મને નરસી મોનજી કૉલેજમાં ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’નો ઍવૉર્ડ મળ્યો, જ્યારે મારી બહેને ઓલ ઇન્ડિયા CA રેન્ક મેળવ્યો. મારું પીએચ.ડી., મારા લેક્ચર્સ, મારા ઍવૉર્ડ્સ—આ બધું જ તેમને અપાર આનંદ આપતું. તેઓ ગર્વ સાથે આ વાત આખી દુનિયાને કહેતાં, જે તે સમયે તે મને શરમજનક લાગતું પણ આજે તે જ યાદો મને દિલાસો આપે છે. જામનગરમાં મારો TEDx ટોક તેમના માટે ખૂબ જ વિશેષ હતો—કારણ કે તે તેમના વતનમાં થયો હતો.
પરંતુ આજે, મને વિચાર આવે છે—તેમની સાથે ખુશી વહેંચ્યા વિના આ સિદ્ધિઓનો શું અર્થ છે? એ ખુશી ફક્ત એટલા માટે મૂલ્યવાન હતી કારણ કે તેમાં તેમનો ગર્વ હતો. તેમના વિના, આ ઍવૉર્ડ્સ માત્ર ભારે કાચ અને કાગળના ટુકડા છે.
જીવન આગળ વધ્યું. મેં લગ્ન કર્યા, શહેરો બદલ્યા, થોડો સમય વિદેશમાં પણ રહ્યો. મારા પિતા અને મમ્મીએ મારી બહેન સાથે મળીને પરિવારને સાચવી રાખ્યો. જ્યારે ડિસેમ્બર ૨૦૨૦માં મારા પિતાનું અવસાન થયું, ત્યારે પોતે શોકમાં હોવા છતાં તેમણે જ અમને સંભાળ્યાં. તેમણે પોતાના આંસુ લૂછ્યાં અને અમને મજબૂત બનવા કહ્યું. તેઓ કોમલને દિવસમાં ત્રણ વખત ફોન કરતાં—પોતાની તબિયત વિશે વાત કરવા માટે નહીં, પરંતુ કોમલ પોતાની અને બાળકોની સંભાળ રાખે છે કે નહીં તેની ખાતરી કરવા માટે.
પોતાના છેલ્લા મહિનાઓમાં, તેમણે બધું જ વ્યવસ્થિત કરી દીધું હતું. બાકી રહેલાં કામો પૂરાં કર્યાં. ભેટો આપી, પણ પોતે કશું જ લીધું નહીં. તેમની પોતાની વસ્તુઓ પણ અમારી પાસે પાછી આવી ગઈ. કદાચ તેઓ કોઈ પણ બોજ વગર વિદાય લેવા માંગતાં હતાં.
તેમની મને મળેલી સૌથી મોટી ભેટ અપરિવર્તિત છે : જીવન, સંસ્કાર અને સિદ્ધાંતો.
તેઓ હવે નથી અને આ મૌન ખૂબ જ ગૂંજે છે. મારા ફોનની સ્ક્રીન પરનું નામ હવે માત્ર એક નામ જ છે—એક ડિજિટલ પડછાયો જે હવે તેમની સલાહ માટે ક્યારે ય રણકશે નહીં. તેમની ખોટ ક્યારે ય પુરાશે નહીં; હું માત્ર તેની આસપાસ જીવતા શીખીશ.
અને જે શબ્દો સૌથી લાંબા સમય સુધી ગુંજશે તે હજી પણ સૌથી સરળ છે : જમી લીધું, બેટા?
હા, મમ્મી. તમારા કારણે, હું તૃપ્ત છું.
e.mail : ashokmkarania@gmail.com
![]()

