Opinion Magazine
Number of visits: 9706154
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હું છું, મારી ભાષા છે, પણ આશા ક્યાં છે?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 February 2026

ગુજરાતી ભાષાને શાળાઓમાં ‘ફરજિયાત‘ કરવા માટે વિધેયક પસાર કરવું પડે, એ આપણી ભાષાપ્રીતિની સફળતા છે કે માતૃભાષાના અધઃપતનની સૌથી મોટી ચેતવણી?

પ્રકાશ ન. શાહ

હજુ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનાં ઉજવણાં આછર્યાં ન આછર્યાં અને આ ‘બે શબ્દો’ સૂર્યપ્રકાશ જોશે.

શરૂઆત, પેલા કહે છે તેમ, શરૂઆતથી જ કરું? યુનેસ્કોએ નવસ્વાતંત્ર્યપ્રાપ્ત બાંગ્લાદેશની સત્તાવાર ભલામણ પછી 21મી ફેબ્રુઆરી સાથે આ દિવસ જોડ્યો હતો. પાકિસ્તાને ઉર્દૂને એકમેવ રાષ્ટ્રભાષા થોપવાની કોશિશ કરી એના વિરોધમાં પૂર્વ પાકિસ્તાન(પૂર્વ બંગાળ)ના છાત્રો સડકો પર ઊતર્યા ને પાકિસ્તાનના હુકમરાનોએ એમને અવિચારી રીતે ડામ્યા : તે દરમ્યાન કેટલાક બાંગ્લા છાત્રોએ શહાદત વહોરી. 1952ની 21મી ફેબ્રુઆરીની આ ઘટના આગળ ચાલતાં સ્વતંત્ર બાંગ્લાદેશના ઉદય ભણી લઈ ગઈ.

આપણે ત્યાં સ્વરાજ આંદોલન જોડાજોડ ધરમ મજહબને ધોરણે જે ‘રાષ્ટ્ર’વાળી ચાલી, એની સામે પાકિસ્તાનનું આ વિભાજન એક જુદી જ મિસાલ પેશ કરે છે અને કથિત મજહબી એકતાને છોડીને ભાષાનો મુદ્દો અગ્રસ્થાને આવે છે. મુદ્દે, ઉર્દૂ ન તો બધા મુસલમાનોની ભાષા છે, ન તો કેવળ મુસલમાનોની ભાષા છે, એ સાદી સુધબુધ નવા પાક હાકેમોમાં નહોતી ને આ નોબત આવી. એની સામે આપણે જે રાહ લીધો, સમવાયી અભિગમપૂર્વક, એને કારણે અલગ અલગ ભાષા સંસ્કૃતિવાળા પ્રદેશોને સહજીવન સારુ મોકળાશ મળી રહી: ક્યારેક નવા ભાગલાની કગારે લાગતું દ્રવિડ આંદોલન આજે છૂટા પડવા જેવા પૂર્વવત્ મિજાજમાં ન વરતાતું હોય તો તેનું રહસ્ય આ વિગતમાં છે.

રહો, આ ચર્ચા કેવળ ઉપખંડકેન્દ્રી બની રહે તે પૂર્વે યુનેસ્કોની ભૂમિકાને જરી સમજીએ. માતૃભાષાના મહિમામંડન સાથે એમાં અનુસ્યૂત આગ્રહ ભાષાવૈવિધ્યના સમાદરનો છે. સમાદર અંગેની એની ચિંતા ને ચર્ચા ક્યાં ક્યાં પહોંચે છે! આપણે તો હિંદી-ચીની-રૂસી-ઇંગ્લિશ-સ્પેનિશ-ફ્રેન્ચ એમ પાંચપચીસ દસવીસ ભાષાઓનાં નામમાં રમીએ છીએ. પણ દુનિયામાં નાની નાની કેટલી બધી થઈને 8,300 આસપાસ ભાષાઓ છે. 

ઊલટ પક્ષે, દુર્દૈવ વાસ્તવ એ છે કે આજે દુનિયાના વિદ્યાર્થીઓ પૈકી ખાસા 40 ટકા એવા છે જેમને પોતાની માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ નસીબ નથી, કેમ કે અડખે-પડખે બધે જ કથિ મોટી ભાષાઓ જળો પેઠે જામી ગઈ છે અને તે નાની ભાષાઓને ગ્રસતી જાય છે અગર એને દુય્યમ દરજ્જાનું જીવન જીવતા દૃશ્ય છતાં અદૃશ્યવત્ લોકમાં સીમિત કરે છે. નેશન ફર્સ્ટ, એક ભારત શ્રેષ્ઠ ભારત તરેહનાં દેશ-દેશનાં સ્લોગન તળે નાની ભાષાઓ કાં તો કરમાઈ જાય છે કે પછી નકરી ચંપાતી, નકો નકો જિંદગી બસર કરે છે.

વારુ, હમણે ગુજરાતીનાં ગીતો બહુ ગાયાં આપણે ને સાયન્સ સિટી સહિત સઘળે ફૂલેકાં ખાસાં ચડાવ્યાં આપણે, પણ એ ગીતો ગાવાનો અધિકાર ને માતૃભાષા દિવસના આંતરરાષ્ટ્રીય સ્વરૂપનો સાક્ષાત્કાર, આપણને છે ખરો? 1960માં ભાષાને ધોરણે ગુજરાતનું રાજકીય એકમ અસ્તિત્વમાં આવ્યું – અને છેએએક ફેબ્રુઆરી 2023માં એક વિષય તરીકે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજિયાત ગુજરાતી હોય જ, એવું વિલક્ષણ વિધેયક પસાર કરી શક્યા … જાણે નંદ ઘેર આનંદ ભયો. હરખે હુલસતા એક છાપાએ મથાળું પણ મજાનું ફટકાર્યું : ‘હું છું, મારી ભાષા છે, કંઈક થશે એવી આશા છે.’ ભાઈ, આશા તો કે’દીની મંડાઈ હતી, જ્યારે ખુદાવંદ ખંડેરાવના દરબારમાં દલપતરામ વડોદરે ગુજરાતી વાણી રાણીના વકીલ તરીકે પુગ્યા હતા. આગળ ચાલતાં સયાજીરાવના સમયમાં ગુજરાતીમાં વહીવટ પણ રૂઢ થયો, પણ પછી શું થયું? આ લખું છું ત્યારે 1959માં અમદાવાદના ટાઉન હૉલમાં સાહિત્ય પરિષદના વીસમા અધિવેશન વેળાએ કાકાસાહેબને પ્રમુખ પદેથી બોલતા સાંભળું છું કે એક સવારે વડોદરાનો વહીવટ ગુજરાતીને બદલે અંગ્રેજીમાં ચાલવા લાગ્યો તે સાથે ખબર પડી કે સ્વરાજ આવ્યું છે!

અંગ્રેજ રાજના સહજ સંપર્ક તરીકે અંગ્રેજીનો જે પરિચયલાભ થયો એને જરૂર ન છોડીએ, પણ જ્યાં જ્યાં એ અસ્થાને ને અકારણ અસવાર થઈ ગયું છે ત્યાં ત્યાં તો એને છોડી શકીએ ને? છેક બાળપણથી ધરાર અંગ્રેજી માધ્યમની શાળાઓનો જે નિ:શેષ અશાસ્ત્રીય વા વાયો છે એનું વારમ શું, એ પ્રશ્ન અવશ્ય અસ્થાને નથી. ઇતિહાસમાં ઠીક ઠીક પાછળ જઈને જે એક વાત મને વારે વારે સંભારવા જેવી લાગે છે એ તો આપણા એકના એક આનંદશંકરની કુલીન દ્વિધા, અને અંતે જતાં મતપરિવર્તન.

આનંદશંકર શરૂ શરૂમાં અંગ્રેજી મારફતે જ શાલેય શિક્ષણના આગ્રહી હતા તે ‘વસંત’ના તત્કાલીન અંકોમાંથી પસાર થનારના ખયાલમાં હોય જ. 1917ના ઓક્ટોબરમાં ભરૂચમાં ગુજરાતી કેળવણી પરિષદ મળી ત્યારે પ્રમુખ સ્થાનેથી ગાંધીજીએ કદાચ એમના જેવાને જ લક્ષ્યમાં રાખીને રેવરંડ ટેલર કૃત સર્વપ્રથમ ગુજરાતી વ્યાકરણના આરંભઉદ્દગારો સંભાર્યા હતા કે ‘ગુજરાતી – આર્યકુળની – સંસ્કૃતની પુત્રી – ઘણી ઉત્કૃષ્ટ ભાષાઓની સગી! તેને કોણ કદી અધમ કહે! પ્રભુ, એને આશીર્વાદ દેશો! જુગજુગના અંત સુધી તેની વાણીમાં સદવિદ્યા, સદજ્ઞાન, સદધર્મનો સુબોધ હજો!’

આગળ ચાલતાં, 1928માં નડિયાદની સાહિત્ય પરિષદમાં પ્રમુખ સ્થાનેથી બોલતાં આનંદશંકરે પોતાના મતપરિવર્તનની સાહેદી આપી હતી : ‘1857માં આપણી મુખ્ય યુનિવર્સિટીઓ સ્થપાઈ તે વખતે સર ચાર્લ્સ વૂડે પ્રગટ કરેલી આશા કે ગ્રેજ્યુએટો પોતાનું જ્ઞાન નીચેના વર્ગમાં ઉતારશે એ અત્યાર સુધી સફળ થઈ નથી, તેનું કારણ ગ્રેજ્યુએટોનો દોષ નથી, પણ યુનિવર્સિટીના શિક્ષણમાં સર્વ શાસ્ત્રના મણિ ગણમાં માતૃભાષા સૂત્રવત્ પરોવાયેલી નથી એ જ છે. રાજા રામમોહન રાય અને મેકોલેએ સ્થાપેલી અને ચાર્લ્સ વૂડે અભિષિક્ત કરેલી શિક્ષણ પ્રણાલી લગભગ સો વર્ષ સુધી એના એ રૂપમાં જ ચાલ્યાં કરે એ જ એની જડતાની પૂરી નિશાની છે.’

આરંભિક માધ્યમ તરીકે અને વહીવટની રીતે દેશ ભાષાઓની સવાઁગ પ્રતિષ્ઠા, નાનાં નાનાં ભાષાજૂથોને સ્વતંત્ર સ્થાનમાન, રાષ્ટ્રવાદ પરત્વે સમવાયી લોકતાંત્રિક અભિગમ – જેથી એકે ભાષા ધ લેંગ્વેજ બની સવાર ન થઈ જાય અને દેશ દેશ વચ્ચે સમવાયસમાદર, આ મહદ્ દર્શન, 21મી ફેબ્રુઆરીનાં રંગઉજવણાંના તરણા ઓથેથી સમજાઈ રહેશે? દુ:સાધ્ય હશે તો હશે, પણ અસાધ્ય અવશ્ય નથી.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 25 ફેબ્રુઆરી  2026

Loading

25 February 2026 Vipool Kalyani
← કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
જુઇશ પ્રજાએ સત્યાગ્રહ કર્યો હોત તો? →

Search by

Opinion

  • જુઇશ પ્રજાએ સત્યાગ્રહ કર્યો હોત તો?
  • મનથી મન તરફ
  • શિવા પત્રકારત્વ સન્માન સમારંભ  
  • સુખવટો
  • રેવડી વહેંચવામાં દેશની રેવડી દાણાદાણ થઈ રહી છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી
  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved