Opinion Magazine
Number of visits: 9449503
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિન્દુનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો

કરસનદાસ મૂળજી|Opinion - Opinion|25 June 2018

હિન્દુનાં પુરાણ ઈત્યાદિ શાસ્ત્રોમાં કહેલું છે કે કળિયુગના વખતમાં જુદા ધર્મ અને પાખંડો ઊભાં થશે તથા ધુતારા અને પાખંડીઓ આડા પંથો અને આડા માર્ગો ઉપર ચલાવશે. હિન્દુશાસ્ત્ર પ્રમાણે કળિયુગને આરમ્ભ થયાને આજે પાંચ હજાર વર્ષ થઈ ચૂક્યાં છે. એ પાંચ હજાર વર્ષની મુદતમાં જેટલા નવા પંથો તથા માર્ગો હિન્દુઓમાં ઊભા થયા છે તે સઘળાં ખોટાં પાખંડ સમજવાં, એવું હિન્દુશાસ્ત્ર ઉપરથી સિધ્ધ થાય છે. હવે મહારાજોનો મૂળ પુરુષ વલ્લભ જન્મ્યાને હજુ ચારસો વર્ષ થયાં નથી. વૈષ્ણવમાર્ગનાં પુસ્તકોમાં લખ્યું છે કે વલ્લભાચાર્યનો જન્મ સંવત 1535ના વૈશાખ વદ 11 વાર રવિને દિને થયો હતો. એ વાતને આજ 381વર્ષ થયાં. અને કળિયુગ બેઠાને પાંચ હજાર વર્ષ થઈ ચૂકેલાં ત્યારે વલ્લભાચાર્યનો પંથ કળિયુગના જ વખતમાં ચાલુ થયો. જેમ દાદુપંથી, સાધુ પંથી, રામસ્નેહી, રામાનન્દી, સહજાનન્દી ઈત્યાદિ પંથો ઊભા થયા તેમ વલ્લભાચાર્યનો પંથ ઊભો થયો. એ સઘળાં પંથો, કળિયુગમાં ઊભા થયા માટે હિન્દુશાસ્ત્રના વચન પ્રમાણે પાખંડી છે!

જદુનાથજી મહારાજ કહે છે કે કોટના દરવાજા આગળથી કોઈ વાલ્કેશ્વર જવા નીકળે અને કોઈ ભાયખાલા. તેમ સઘળા વેદ અને પુરાણના મૂળ રસ્તા આગળ થઈને જુદા જુદા રસ્તા ઉપર નીકળી પડ્યા છે. આ કેવી ઠગાઈની વાત છે, એક ધર્મમાંથી દસ–પન્દર આડા રસ્તા નીકળવા જોઈએ નહીં. ધર્મનો અને નીતિનો માર્ગ એક જ હોવો જોઈએ. વાલ્કેશ્વર જવાનો સીધો માર્ગ મૂકીને ભાયખાલાનો આડો માર્ગ પકડવાની જરુર શી? દરેક પંથવાળાએ એકબીજાને પાખંડી બતાવ્યા છે અને એકબીજાની ધૂળ ઝાટકી છે, તો તેમ કરવાની જરૂર શી? પણ અમે આગળ જણાવ્યું છે કે જે હથિયારથી મહારાજ પોતાનો બચાવ કરવા બહાર પડ્યા છે, તે હથિયાર મહારાજને આડે આવીને નડશે. મહારાજ હિન્દુશાસ્ત્રોને ઈશ્વરકૃત માને છે, ત્યારે એનાથી એમ નહીં કહેવાય કે હિન્દુશાસ્ત્રનું ફલાણું વચન ખોટું છે! કળિયુગમાં પાખંડી મતો ઊભા થશે, એ વચન મજકૂર મહારાજથી એમ નહીં કહેવાય કે ખોટું છે. ત્યારે બીજા કેટલા ય પંથોની જેમ મહારાજનો પંથ કળિયુગમાં ઊભો થયો, માટે તે ખોટો અને પાખંડ ભરેલો છે એવું હિન્દુશાસ્ત્રથી સિધ્ધ થાય છે.

મહારાજનો પંથ પાખંડ ભરેલો તથા ભોળા લોકોને ઠગવાનો છે તે અસલ વેદપુરાણ વગેરેના ગ્રંથોથી ઉપર જણાવ્યા પ્રમાણે સાબિત થાય છે. એટલું જ નહીં; પણ મહારાજોનાં બનાવેલાં પુસ્તકો ઉપરથી પણ સાબિત થાય છે કે મહારાજોએ કંઈ જ નહીં; પણ નવું પાખંડ અને તરકટ ઊભું કર્યું છે. જુઓ બ્રહ્મ સમ્બન્ધ બાબત મૂળ શ્લોક ઉપર લમ્બાવીને ગોકુળનાથજીએ કેવી ટીકા કરી છે :

અર્થ – ‘તે માટે પોતે ભોગવે તે પહેલાં પોતાની પરણેલી બાયડી પણ (ગોસાંઈજી મહારાજને) સોંપવી અને પોતાનાં બેટા–બેટી પણ તેમને સોંપવાં. પરણ્યા પછી પોતે ભોગવે તે પહેલાં (ગોસાંઈજી મહારાજને) અપર્ણ કર્યા પછી પોતાના કામમાં લેવી.’

અરરરર! આ કેવું પાખંડ, આ કેવો ઢોંગ અને આ કેવી ઠગાઈ!! અમે જદુનાથજી મહારાજને પૂછીએ છીએ કે કયા વેદમાં, કયા પુરાણમાં, કયા શાસ્ત્રમાં અને કઈ સ્મૃિતમાં લખ્યું છે કે મહારાજને અને ધર્મગુરુને પોતાની પરણેલી સ્ત્રી ભોગવ્યા પહેલાં સોંપવી. પોતાની સ્ત્રી જ નહીં; પણ પોતાની બેટી અથવા દીકરીને પણ સોંપવી! અરરરર!!! આ લખતાં અમારી કલમ ચાલતી નથી. અમને અતિશય કંટાળો અને ધ્રુજારી છૂટે છે. લોકોને દેખતી આંખે આંધળા કરવા, અને તેઓની આંખમાં ધૂળ છાંટીને ધર્મને બહાને તેઓની કાચી કુંવારી વહુદીકરી ભોગવવી એના કરતાં વધારે પાખંડ અને ઠગાઈ કઈ? વલ્લભાચાર્ય સિવાય કળિયુગમાં બીજાં ઘણા પાખંડો અને ઘણા પંથો ઊભાં થયા છે; પણ મહારાજોના પંથ જેવી નફટાઈ, ખંધાઈ, બુરાઈ, લુચ્ચાઈ અને ઠગાઈ બીજા કોઈ પણ પંથવાળાએ કરી નથી. અમે જ્યારે આવા કઠણ શબ્દ વાપરીએ છીએ ત્યારે અમારા ભોળા હિન્દુિમત્રોને અમારી ઉપર ગુસ્સો આવે છે, અને તે ગુસ્સાને લીધે અમારે ઘણું શોષવું પડ્યું છે અને પડે છે; પણ જ્યાં ભોળા લોકોની આંખમાં ધૂળ છાંટીને તેમની વહુદીકરીને ભોગવવાનું મહારાજો પોતાનાં પુસ્તકોમાં લખે છે અને તે પ્રમાણે તેઓ ભોગવે છે ત્યારે અમારા પેટમાં મોટા ભડકા ઊઠે છે. અમારી કલમ એકદમ તપીને ગરમ થઈ જાય છે. અમારા ભોળા હિન્દુિમત્રો ઉપર અને તેઓની વિચારશક્તિ ઉપર અફસોસ કરવો પડે છે.

જદુનાથજી મહારાજે ‘સ્વધર્મ વર્ધક’ ચોપાનિયું કાઢવા માંડ્યું છે તેને અમે પૂછીએ છીએ કે તમે કેવી રીતે ધર્મનો વધારો કરવા માગો છો? તમારા વડિલોએ ભોળા લોકોની આંખમાં ધૂળ છાંટીને આંધળા કર્યા છે તેઓને દેખતા કરવા માગો છો કે ધર્મનું ખોટું અભિમાન ધરીને ભોળા લોકોને વધારે ઠગવા માગો છો? જદુનાથજી મહારાજ! તમે જો ધર્મનો વધારો, ફેલાવો કરવા માગતા હો તો તમે પોતે સારું આચરણ પકડીને તમારા બીજા મહારાજોને ઉપદેશ કરો, ધર્મગુરુઓ પોતે જ જ્યાં સુધી વ્યભિચારના સમુદ્રમાં ડુબેલા માલૂમ પડશે ત્યાં સુધી તેઓથી ધર્મનો બોધ થઈ શકવાનો નથી. ગોકુળનાથજીએ ઉપર જણાવેલી ટીકા કરીને તમારા વૈષ્ણવ માર્ગને મોટો ડાઘ લગાડ્યો છે તે પ્રથમ કાઢી નાખો. એ ટીકા કરનાર ઉપર ધિક્કાર નાખો, તે ટીકા પ્રમાણે મહારાજો ચાલીને પોતાના સેવકની વહુ–દીકરીઓને બગાડે છે તેથી હાથ ઊઠાવો અને રસમંડળી જેવી અનીતિનો એકદમ નાશ કરો. જ્યાં સુધી તમે તેમ કરશો નહીં ત્યાં સુધી તમારાથી ધર્મનો ઉપદેશ અને સ્વધર્મનો વધારો થઈ શકવાનો નથી, તે સત્ય જાણી લેજો.

(‘સત્ય પ્રકાશ’, તા. 21 ઓક્ટોબર, 1860)

https://govindmaru.wordpress.com/2018/06/22/k-m/

સૌજન્ય : ગોવિંદભાઈ મારુ સંચાલિત બ્લૉગ – ‘અભીવ્યક્તી’; 22 જૂન 2018 

Loading

25 June 2018 admin
← ધ્રુપદ ને ખયાલ એકકંઠ ક્યારે
શિક્ષણ અને સંસ્કાર →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved