Opinion Magazine
Number of visits: 9446713
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિંદ સ્વરાજના સૈનિક લખનભાઈ

સ્વાતિ|Opinion - Opinion|3 April 2020

સમાજે, આ વ્યવસ્થાએ, વ્યક્તિ, કુટુંબ, સંસ્થા માટે ચોક્કસ માળખાં બનાવ્યાં છે અને તેની અપેક્ષા એવી રહે છે કે બધું તે પ્રમાણે જ ચાલતું રહે. આ વ્યવસ્થા એક વર્ગ – મોટા ભાગે પૈસાદાર અને ઉપલા મધ્યમવર્ગ માટે તો ઉપરથી ખૂબ સારી દેખાય છે. પરંતુ, આ વ્યવસ્થામાં ગરીબ તેમ જ મધ્યમ વર્ગને ભાગે અન્યાય તેમ જ સહન કરવાનું જ આવે છે. આ વિશ્વમાં, આપણા દેશ-સમાજમાં એવા લોકો મળી આવે છે જે પોતાનો નહીં, નીચામાં નીચાનો વિચાર કરે છે. ગાંધીના દેશમાં આમ તો આ વિચારનો પરિચય ન કરાવવાનો હોય, કારણ કે એમણે સમાજસેવા કરનારા, જેમને વિશેષ સગવડો પ્રાપ્ત છે તેવાઓને બીજાઓનો વિચાર કરવાની પ્રેરણા આપી અને સમાજસેવાની પરિપાટી આ દેશમાં ઊભી કરી.

એક આખી જમાત આ દેશમાં ઊભી થઈ, જેમણે પોતાના વ્યક્તિગત સ્વાર્થ, વ્યક્તિગત જીવનો બાજુ પર મૂકીને પોતાનું જીવન સંપૂર્ણપણે સમાજને સમર્પિત કરી દીધું. લખન મુસાફિર – પ્રેમથી જેમને આપણે લખનભાઈ તરીકે ઓળખીએ છીએ તે આ જ જમાતના એક વીરલા છે. કારણ કે તેમણે માળખાંને તોડ્યાં છે. આવા લોકોને દુનિયા પાગલ પણ ગણે છે. તેમને નથી પૈસા કમાવામાં રસ, નથી પોતાનું ‘કરિયર’ બનાવવામાં કે ન પોતાની ‘પ્રોફાઈલ’ વધારવામાં. તેમને રસ છે એક સારી વ્યક્તિ બનવામાં, સમાજ કેવી રીતે વધુ સ્વસ્થ અને ન્યાયી બને તેમાં.

મૂળ ભાવનગર જિલ્લાના વતની લખનભાઈના નવજીવનની શરૂઆત એંશીના દાયકાની શરૂઆતમાં થઈ. વિનોબાજીની પ્રેરણાથી શરૂ થયેલા ગૌવંશ બચાવવાના દેવનાર(મુંબઈ)ના આંદોલનમાં તેઓ જોડાયા. ગાય બચે તો ખેતી બચે અને ખેતી બચે તો ગામડાં બચે, એ હેતુથી શરૂ થયેલ આંદોલનમાં દેશભરના લોકોએ દેવનારના કતલખાના સામે વર્ષો સુધી સત્યાગ્રહ કર્યો હતો.

૧૯૮રની સાલમાં વિનોબાજીના પવનાર આશ્રમમાં સાદગી-સ્વાવલંબનના પાઠ શીખ્યા. ત્યારબાદ ૧૯૮૩થી ૧૯૮૬ સુધી જાણીતા સર્વોદય કાર્યકર ડૉ. દ્વારકાદાસ જોષી સાથે વડનગરમાં રહીને રચનાત્મક કાર્યોમાં જોતરાયા. અહીં તેમણે યુવાશિબિરો, સજીવ ખેતી તરફ ખેડૂતોને વાળવા તથા ગ્રામવિકાસનાં કામો કર્યાં. ત્યાર બાદ ત્રણેક વર્ષ સુધી રાજપીપળા વિસ્તારનાં ગામોમાં બાયોગૅસ તેમ જ પાયખાનાં અને બાથરૂમ બનાવવાનાં કામ કર્યાં તો સજીવખેતીની શરૂઆત પણ તેમણે અહીં કરી.

લખનભાઈ મૂળ મૌલિક વિચાર અને વિવિધ પ્રયોગોના માણસ. છેવાડાનો માણસ પોતાના પગ પર ઊભો રહે, શોષણવિહીન તેમ જ સ્વસ્થ સમાજની રચના થાય, વગેરે હેતુઓને લઈને તેમણે કામો કર્યાં. ચૈતન્યભાઈ ભટ્ટ અને મિત્રો સાથે મળીને ‘લોકમિત્રા’ ઢેઢુકી(જિ. રાજકોટ)માં બાલમંદિર, આંગણવાડી, શિક્ષણ, સજીવ ખેતીનો પ્રચાર-પ્રસાર જેવાં પાયાનાં કામો કર્યાં.

સજીવ ખેતીની વિવિધ પેદાશોની સાથે લખનભાઈનો બીજા એક મૌલિક અને સફળ પ્રયોગ એટલે સજીવ ગોળ. બજારમાં ‘ઊજળો’ ગોળ મળે છે તેમાં અનેક રસાયણો નંખાય છે. ધોવાનો સોડા અને કેટલાક કિસ્સામાં ડીટરજન્ટ પણ વપરાતો હોય છે. કાટીંદ્રા(જિ. ભરૂચ)ના નિવાસ દરમિયાન મિત્રો સાથે મળીને આવાં હાનિકારક રસાયણોને બદલે ખાટી ભીંડીની ભાજીનો રસ નાંખીને ગોળની અશુદ્ધિ સાફ કરવાનો પ્રયોગ કર્યો. આજે હવે છેલ્લા બે દાયકાથી લખનભાઈના મિત્રો દ્વારા આવો સજીવ ખેતીનો ગોળ બનાવાય છે અને ગુજરાતભરમાં લોકોએ તેને અપનાવ્યો છે. કાંટીદ્રા નિવાસ દરમિયાન તેમનો બીજો પ્રયોગ હતો ખેતી દ્વારા જીવનયાપન કરવાનો. સાથે સાથે પર્યાવરણ સુરક્ષા સમિતિના નેજા હેઠળ ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદૂષણને કારણે થતા નુકસાન અંગે લોકજાગૃતિનાં કામોમાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા નિભાવી.

છેલ્લાં પંદર વર્ષથી લખનભાઈ રાજપીપળા વિસ્તારમાં (નર્મદા જિલ્લો) આદિવાસી ખેડૂતો, યુવાનો, બહેનો અને બાળકો સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં જોતરાયેલા છે. અંતરિયાળ માથાવાડી ગામમાં લોકો વચ્ચે રહે છે. આદિવાસીની ખેતી એટલે મહદંશે વરસાદ આધારિત સૂકી ખેતી – વર્ષભરનું અનાજ મેળવવાની મુશ્કેલી. આ ગામોમાં વૉટરશેડનાં કામો દ્વારા તેમ જ ખેતી સુધારણાનાં કામો, સજીવ ખેતી, બીજસંગ્રહ વગેરે કરીને લોકો સ્વાવલંબી બને તેવા પ્રયત્નો કર્યા. તો અગરબત્તી બનાવવાની, નાગલી, લાલ જુવારના પાપડ બનાવવા, સજીવ ખેતીનાં શાકભાજી વગેરે ઉચિત ભાવે વેચવા યુવાનોને-બહેનોને તાલીમ આપી. ઘરે ઘરે હળદર ઉગાડી શકાય તેવો પ્રયોગ પણ આ ગામોમાં તેમણે કર્યો. સાથે સાથે આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે તે હેતુથી નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મળે તે માટે નિયમિતરૂપે તેમને ભણાવે ને વળી ગામના યુવાનોને પણ તેમાં ભેળવે.

લોકો સાથે જીવતો, તેમનાં સુખ-દુઃખનો સાથી આ માણસ જ્યારે જુએ છે કે એક તરફ આદિવાસીઓનાં જીવન વધુ સારાં થાય તે માટે આટઆટલા પ્રયત્નો કરવામાં આવે છે તો બીજી તરફ તેમની જમીન, તેમની રોજીરોટી, તેમનાં જીવનો અને સંસ્કૃતિ ખતમ થઈ જાય તેવા ફેરફારો ખૂબ વેગથી આવી રહ્યા છે, ત્યારે તે અંગે જાગૃતિ ફેલાવવામાં સ્થાનિક મિત્રોની સાથે આ કામમાં પણ તે મંડી પડે છે.

કેવડિયા વિસ્તાર એટલે ગુજરાત અને દેશમાં નર્મદાબંધથી જાણીતો વિસ્તાર. એક જમાનામાં ગુજરાતની જીવાદોરી ગણાનારો નર્મદા બંધ આજે સ્ટેચ્યુ ઑફ યુનિટીની ઝાકઝમાળમાં વિસારે પડી ગયો છે. આજે હવે આ વિસ્તારને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. સફારી પાર્ક, રીવર રાફ્ટિંગ, ક્રૂઝ, ખરીદી માટેના મોલ્સ અને ફાઈવસ્ટાર હોટેલો વિકસાવવામાં આવી રહ્યાં છે.

આદિવાસી વિસ્તારમાં બંધારણના અનુચ્છેદ-પ પ્રમાણે PESA [Panchayat (Extension to Scheduled Areas) Act, 1996] કાયદો લાગુ પડવો જાઈએ, જે આદિવાસીઓને નિર્ણયની સ્વતંત્રતા આપે છે. એટલે કે ગ્રામસભાની પરવાનગી વિના આ વિસ્તારમાં કોઈ પ્રોજેક્ટનું આયોજન થઈ શકે નહીં. તેને બદલે આજે આખો વિસ્તાર સહેલાણીઓ માટેના આનંદ-પ્રમોદનું કેન્દ્ર બનાવી દેવાયો છે. એટલે કે સ્થાનિક રહેવાસીઓ(આદિવાસીઓ)ને ભાગે બાકી રહે પ્રવાસીઓના ફેંકેલા ટુકડા પર જીવવાનું!

ર૦૧ર-૧૩માં ગુજરાત સરકાર દ્વારા કેવડિયા એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટીની રચના કરવામાં આવી. લોકોએ તેનો વિરોધ કર્યો અને સરકારે આ યોજના પડતી મૂકવી પડી. પરંતુ, સરકારે ફેરવી તોળ્યું અને સરદાર પટેલનું પૂતળું તેમ જ પ્રવાસનના ૩૦ પ્રોજેક્ટ લોકોના માથે થોપી દેવાયાં. આટલું ઓછું હોય તેમ લોકોના વિરોધને ક્રૂરતાપૂર્વક ડામી દેવા સરકારે ડિસેમ્બર મહિનામાં ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ઍન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઍક્ટ’ પસાર કર્યો. આ કાયદાથી આદિવાસી વિસ્તારને અનુચ્છેદ-પમાં મળતા વિશેષ અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. આવા કિસ્સાઓમાં અનુભવ એવો છે કે મોટા પ્રમાણમાં લોકોને વિસ્થાપિત કરી દેવાય, વળતર મળે જ નહીં, મળે તો પણ નજીવું.

લોકો આ અન્યાય સામે લડી રહ્યા છે અને પોતાના અધિકારની માંગણી કરી રહ્યા છે. લખનભાઈ જે વર્ષોથી આ વિસ્તારમાં લોકો સાથે એક થઈને રહ્યા છે તે પણ આ લડતમાં ખભેખભા મિલાવીને લડી રહ્યા છે. પોતાનું સર્વસ્વ આપીને લોકોની મુશ્કેલીઓને વાચા આપવા તેઓ બધા પ્રયત્નો કરી રહ્યા છે.

સત્તાને ક્યારે ય તેનો કોઈ વિરોધ ગમે ખરો? કહેવાય છે કે સ્ટેચ્યુ ઑફ યુનિટીનો આખો પ્રોજેક્ટ સરકારનો અને દેશના ઉચ્ચ પદે બેઠેલા નેતાનો ચહીતો પ્રોજેક્ટ છે. તેઓ કોઈ પણ ભોગે અહીં સ્વપ્નાની સૃષ્ટિ રચવા માંગે છે. હા, કોઈ પણ ભોગે! એટલે જ્યારે પણ કોઈ મંત્રી, મુખ્યમંત્રી કે વડાપ્રધાન આ વિસ્તારમાં આવવાના હોય ત્યારે લખનભાઈ તેમ જ ગામોના અન્ય લોકોને જેલમાં પૂરી દેવાય છે, કે નજરકેદ કરી દેવાય છે. તેમના ઉપર ખોટા વાહિયાત કેસ દાખલ કરાય છે. સાવ અકારણ જ વર્ષમાં ઓછામાં ઓછા બે-ત્રણ વાર તો તેમને જેલમાં ઠોકી જ બેસાડાય છે. પરંતુ, આ વખતે સરકારના ગભરાટે માઝા મૂકી.

તારીખ ૮મી માર્ચ રવિવારના દિવસે લખનભાઈને રસ્તા વચ્ચે રિક્સામાં બેઠા હતા ત્યારે નર્મદા, ભરૂચ, વડોદરા, છોડાઉદેપુર તેમ જ તાપી જિલ્લાઓમાંથી તડીપાર કરવાની અરજી નર્મદા પોલીસે બજાવી છે. આ કંઈ નોટિસ બજાવવાની રીત હોઈ શકે!?

લખનભાઈ વિશે પોલીસ કહે છે કે તે પ્રામાણિક રીતે કોઈ કામધંધો કરતા નથી – પોલીસની સમજણ આ બાબતમાં મર્યાદિત હોય તે સમજી શકાય છે. દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે જેમને સમાજ હોંશે હોંશે પોતાના ગણી લે છે – તેમની જરૂરિયાતો પૂરી કરવી એ સમાજને લહાવો લાગે છે. લખનભાઈ એ જમાતના છે. આ માણસ પોતાના માટે નહીં, સમાજ માટે જીવે છે. અને તેથી જ તેના યોગક્ષેમની ચિંતા સમાજ કરે છે, આ વાત ભ્રષ્ટાચાર અને જીહજૂરીથી ટેવાયેલા સરકારી તંત્રને ન સમજાય તે સ્વાભાવિક જ છે.

લખનભાઈ પર કરવામાં આવેલા આક્ષેપો તદ્દન બેબુનિયાદ, વાહિયાત અને નિંદનીય છે.

૧. તે મારક હથિયાર લઈને ફરે છે અને તેના વડે તેઓ હુમલો કરે છે.

૨. તે કોમી માનસ ધરાવે છે.

૩. લોકોને ડરાવે છે, તેથી તેમની સામે જુબાની આપવા કોઈ તૈયાર નથી.

૪. અસરગ્રસ્ત અને અસામાજિક તત્ત્વો સાથે મળીને સરકારી યોજનાનો વિરોધ કરે છે, નારા લગાવે છે વગેરે.

૫. સરકારી કર્મચારીઓ સાથે ઝઘડો કરે છે.

અન્ય આક્ષેપો, જેમાં પોલીસ કહે છે કે ‘સ્થાનિક અને બહારના લોકો સાથે મળીને સરકારી પ્રોજેક્ટનો વિરોધ કરે છે.’ આ તો દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે, આમ કરવું તે કંઈ ગુનો નથી. દેશમાં આજે જે એકહથ્થુ શાસન અને દમનનું વાતાવરણ છે તેને લીધે લોકશાહીના ત્રણે સ્થંભો એટલે કે સમાચાર માધ્યમો, સરકારી અધિકારીઓ (બ્યુરોક્રસી) તેમ જ ન્યાયતંત્ર પોતાની ભૂમિકા ન્યાયી રીતે નથી બજાવતા. લખનભાઈને મળેલી તડીપાર થવાની આ નોટિસ એ ઉપર દર્શાવેલા માહોલની નીચેના સ્તર પર થનારી અસર છે.

રાજપીપળા વિસ્તાર નસીબદાર છે કે ત્યાં લખનભાઈ જ નહીં, તેમના જેવા બીજા મિત્રો પણ આ વિસ્તારને પોતાનો માની ધૂણી ધખાવીને બેઠા છે. સમાજસેવામાં ખૂંપી ગયા છે. સાચી વાત તો એ છે કે સમાજે (જેમાં સરકાર પણ આવી જાય) તેમણે આવા લોકોના કામમાં મદદરૂપ થવાનું હોય, તેમની કદર કરવાની હોય. લખનભાઈ જેવી સંપૂર્ણ સમર્પિત વ્યક્તિને પોલીસતંત્રએ બજાવેલી તડીપારની અરજી અત્યંત બેહૂદી, શરમજનક અને અર્થ વિનાની છે. સમસ્ત આદિવાસી સમાજ, કર્મશીલો તેમ જ સંવેદનશીલ નાગરિકો તેનો વિરોધ કરે છે. ૧રમી માર્ચે જ્યારે લખનભાઈને રાજપીપળાની સબડિવિઝનલ કોર્ટમાં હાજર થવાનું હતું ત્યારે રાજ્યના ભૂતપૂર્વ મંત્રી સુરેશભાઈ મહેતા સહિત રાજ્યભરમાંથી કર્મશીલો અને ગામેગામથી મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ હકીકત લખનભાઈની સારપ અને લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે.

હુજરતપાગા, વડોદરા

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2020; પૃ. 08-09

Loading

3 April 2020 admin
← પધારો મારે દેશ
રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved