Opinion Magazine
Number of visits: 9446805
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગઝલ વિશે થોડું વધારે-

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 May 2020

કવિતાને કોઈ શબ્દની છોછ નથી, પણ જે તે કાવ્યપ્રકારની સ્વરૂપ લેખે વિશેષતા છે તેમ જ મર્યાદાઓ પણ છે. જેમ કે હાઈકુ એ 17 અક્ષરની મર્યાદા સ્વીકારી છે. કોઈ 18 કે 16 અક્ષરનું હાઈકુ લખે તો તે બીજું કૈં પણ હોય, હાઈકુ નથી! એવું જ સોનેટનું. કોઈ 15 કે 13 પંક્તિનું સોનેટ ન લખી શકે.

એ જ પ્રમાણે ગઝલમાં વાતચીતના શબ્દોનું મહત્ત્વ સ્વીકારાયું છે. વારિ, ઉદધિ, સ્પંદન જેવા શબ્દો વાતચીતમાં ચલણી બને, એનો વપરાશ સહજ બને તો ગઝલમાં આવી જ શકે, પણ એનો સમય લાગે. એ એક જણનું કામ નથી. એ સ્કૂલોમાં ખપમાં લેવાય તો પ્રચાર વધારે સરળ બને. આ બધા શબ્દો કવિતાના અન્ય પ્રકારો-સોનેટ કે અછાંદસ કે ખંડકાવ્ય જેવામાં વપરાય જ છે. વાત ગઝલની હોય તો એ એક જ પ્રકાર એવો છે જેની વ્યાખ્યામાં જ વાતચીતનું મહત્ત્વ સ્વીકારાયેલું છે. એટલે એમાં સરળ, સહજ શબ્દો વધુ આવકાર્ય બને. આમ થવાનું કારણ પણ છે. મોટે ભાગના શાયરો સંસ્કૃત ને અન્ય ભાષાના અભ્યાસીઓ ન હતા. ઉર્દૂમાં લખતા હતા, પણ ઉર્દૂના બહુ મોટા અભ્યાસી ન હોય એવા પણ ઘણા શાયરો હતા. એ પછી ગુજરાતીમાં ગઝલ લખતા થયા. એમાં પણ ઘણા ગુજરાતી શાયરો બહુ ભણેલા ન હતા. એટલે જેની સહજ જાણકારી હતી એવા શબ્દોનો ઉપયોગ એમણે ગઝલમાં કર્યો, પણ એમાં જે ઉત્તમ લખનાર હતા તેઓએ ગઝલની મૂળભૂત વ્યાખ્યાને વફાદાર રહેવાનું સ્વીકાર્યું. એ વ્યાખ્યા હતી – ગઝલ એટલે પ્રિયતમા સાથે એકાંતે વાતચીત. અહીં પ્રિયતમાનો અર્થ પ્રિયતમા જ નથી.

ગુજરાતી કવિતામાં ઈશ્વરની પ્રેમિકા બનીને ઈશ્વર ભક્તિ નરસિંહ, મીરાં વગેરેએ કરી. ગઝલમાં વાત એવી નથી. એમાં ઈશ્વરને માશૂકા તરીકે, પ્રેમિકા તરીકે જોવાય છે એટલે એમાં ભક્તિનો નહીં, પણ પ્રેમનો મહિમા છે. આપણી પ્રેમલક્ષણા ભક્તિથી ગઝલ એ રીતે જુદી પડે છે. ગઝલ કૈં ભજન, પદ કે ગીત નથી. એટલે કોઈ ગીતગઝલ કે ગઝલગીત જેવા પ્રયોગો કરે છે તે બાવાના બે ય બગાડે છે. નથી એમાં ગીત રહેતું કે નથી એમાં ગઝલ રહેતી. વારુ, પ્રેમિકા સામે પંડિતની ભાષા નહીં, પ્રેમની જ વાત પ્રભાવક નીવડે. એ જ કારણ છે કે ગઝલમાં વાતચીતની ભાષા અપેક્ષિત છે. જેમને એવું છે કે તત્સમ, તદ્ભવ શબ્દોનો ગઝલમાં ઉપયોગ થવો જોઈએ તે સોનેટ, ખંડકાવ્ય કે એવા અન્ય પ્રકારોમાં એનો ઉપયોગ ભલે કરે, પણ ગઝલને ન બગાડે. લીંબુનું બહુ બહુ તો સંતરું ઠીક લાગે, તેનું તડબૂચ કરવામાં તો તેના આત્માને હણવા જેવું થશે.

ગઝલની બીજી વિશેષતા એ છે કે તે તરત જ કોમ્યુનિકેટ થાય છે. સોનેટમાં ચમત્કૃતિ 14મી પંક્તિએ આવે છે જ્યારે ગઝલના શે'રમાં એ બીજી જ પંક્તિએ આવે છે એટલે એ બીજા કોઈ પણ કાવ્ય પ્રકાર કરતાં ભાવકને વહેલી સમજાય છે. એનો આનંદ તરત જ થાય છે. એટલે જ એ સૌથી વધુ લોકપ્રિય પણ છે. આ લોકપ્રિયતાને કારણે જ જે આવે તે ગઝલ લખવા મંડી પડે છે. વધારે કૈં જાણ્યા વગર લોકપ્રિય થવા ઘણા કહેવાતા ગઝલકારો ગઝલ જેવું લખી મારે છે ને એને વખાણનારાઓ તો બિચારા ગઝલ કેમ લખાય તે તો જાણતા જ નથી એટલે એમ જ ‘વાહ,વાહ!' કરીને બિરદાવે છે ને ગઝલકાર રાજીનો રેડ થઈને વળી થોડી ગઝલ ઘસડી મારે છે. એ જ કારણ છે કે ગઝલ વધુ લખાઈ ને વગોવાઈ પણ ખૂબ છે. એમાં વાંક ગઝલનો નથી, ગઝલકારોનો છે. ગઝલને તેના ટીકાકારો નહીં મારે, ગઝલકારો જ મારશે.

બીજી એક વાત પણ મહત્ત્વની છે. સરળ શબ્દે પણ કવિતા તો સિદ્ધ થવાનું જ છે. જે શબ્દ કવિતામાં નવું રૂપ પ્રગટ ન કરે કે નવો અર્થ પ્રગટ ન કરે કે હૃદયને સ્પર્શે નહીં કે રક્તમાં આંદોલન ન જગવે તે શબ્દ સરળ હોય કે અઘરો, કવિતાને ખપનો નથી .ફાફડા, જલેબી, ઘારી, દૂધપાક જેવા શબ્દો સરળ છે, પણ એ ગઝલમાં કે કવિતા માત્રમાં કશું વિશેષ સિદ્ધ ન કરે તો એનાથી કદાચ પેટ ભરાય, મન નહીં, તે કહેવાની જરૂર ખરી?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

21 May 2020 admin
← ગિરીશ કર્નાડ : વૈશ્વિક કક્ષાના સર્જક અને કલાકાર
મળતર →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved