Opinion Magazine
Number of visits: 9447225
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

દીપક બી. મહેતા|Opinion - Literature|6 October 2019

કવિ નાનાલાલ, નરસિંહરાવ દિવેટિયા, ઝવેરચંદ મેઘાણી, મંજુલાલ મજમુદાર જેવા ચાર ચાર અગ્રણી સાક્ષરોએ એક જ પુસ્તકની પ્રસ્તાવના લખી હોય, અને તે પણ માત્ર ‘શુભેચ્છા’ દર્શાવતી, એક-બે પાનાંની નહિ, પણ પુસ્તકના વિષયની તલસ્પર્શી ચર્ચા કરતી, એવું બને? હા, એક પુસ્તકની બાબતમાં તો બન્યું જ છે. એ પુસ્તક તે શાંતિ ચૂનીલાલ બરફીવાળા સંપાદિત ‘રાસકુંજ.’

ગુજરાતના રાસ-ગરબાનો આટલો મોટો, આટલો વ્યાપક, આટલો વ્યવસ્થિત સંચય તેનાથી પહેલાં પ્રગટ થયો નહોતો અને તેના પછી પણ પ્રગટ થયો નથી. આ પુસ્તકના પહેલા ભાગની કુલ ત્રણ આવૃત્તિ પ્રગટ થઇ હતી, અને ત્રણે આવૃત્તિની પ્રસ્તાવના જુદા જુદા સાક્ષરોએ લખી હતી. રાસકુંજની પહેલી આવૃત્તિ ૧૯૨૮માં પ્રગટ થઇ હતી, અને એ જમાનામાં તેની ૨,૦૦૦ નકલ છપાઈ હતી, જે માત્ર છ મહિનામાં વેચાઈ ગઈ હતી. તેમાં કુલ ૬૪ કવિઓની ૧૭૩ કૃતિઓ સમાવવામાં આવી હતી.

આ સંપાદનની એક આગવી વિશિષ્ટતા છે તેમાં કરેલી કૃતિઓની ગોઠવણી. પહેલી પંક્તિ કે લેખકના નામના અકારાદિ ક્રમે નહિ, પણ જુદા જુદા ઢાળોના ગુચ્છ બનાવીને તેમાં કૃતિઓને ગોઠવી છે. જેમ કે ‘વહેલા આવજો હો લાલ’ એ ગીતના ઢાળની છ કૃતિઓ અહીં છે. આવા લગભગ ૭૫ જુદા જુદા ઢાળ સંપાદકે તારવ્યા છે. આ આવૃત્તિમાં સૌથી વધુ કૃતિઓ – ૨૮ – કવિ નાનાલાલની છે. પુસ્તકના આરંભે તેમનો ફોટો મૂક્યો છે. તેના મથાળે લખ્યું છે: ‘રાસયુગના અધિષ્ઠાતા’ અને નીચે લખ્યું છે: ‘મહાકવિ શ્રી ન્હાનાલાલ દલપતરામ.’ આ આવૃત્તિમાં લગભગ વીસ પાનાંની કવિ નાનાલાલની પ્રસ્તાવના છે. તેમાં કવિએ કહ્યું છે: “રાસ એટલે ગુજરાતણની સર્વોત્તમ રસકલા. રાસમાં તો ગુજરાતણનો સકલ રસાત્મા છે.” પછી તેમણે નરસિંહ મહેતાથી શરૂ કરી ૧૯૧૦માં પોતાનો પહેલો રાસ સંગ્રહ છપાયો ત્યાં સુધીના મુખ્ય મુખ્ય કવિઓના રાસની અછડતી ચર્ચા કરી છે. નાનાલાલ માટે સહજ નહિ એવી નમ્ર રીતે તેઓ કહે છે: “સુંદર મનોહારી રાસોનો ઉમંગ ઉછાળતો ઉપાડ એમાં નથી. મારા રાસથી મારી રસભાવના હજી તો પરિતર્પાઈ નથી.”

‘રાસકુંજ’ પહેલાં પ્રગટ થયેલા બીજા કેટલાક રાસસંગ્રહો વિષે પણ તેમણે લખ્યું છે. આ આવૃત્તિ માટે નાનાલાલે માત્ર પ્રસ્તાવના જ લખેલી એવું નહોતું. બીજી ઘણી રીતે પણ સંપાદકને તેઓ મદદરૂપ થયા હતા. પોતાની પ્રસ્તાવનામાં સંપાદક લખે છે: “શ્રી ન્હાનાલાલ કવિએ કરેલા ઉપકારો યોગ્ય શબ્દોમાં દર્શાવવા અશક્ય છે. પ્રસ્તાવના લખી રાસકુંજને અલંકૃત કરી છે એ મદદ તો સૌ કોઈ જાણે એવી છે. પણ રાસકુંજની હસ્તપ્રત બારીકાઈથી તપાસી જઈ છપાવવામાં કાળજીપૂર્વક અથઇતિ દેખરેખ રાખી, સંગ્રાહિકાની ખામીઓ ને તેની હઠીલાઈ ભણી દુર્લક્ષ કરી, નિઃસ્વાર્થ મદદ તેમણે આપી ન હોત તો જે સ્વરૂપે રાસકુંજ પ્રગટ થાય છે તે સ્વરૂપે એ કદાપિ પ્રગટ થાત નહિ.”

હવે જુઓ આ જ પુસ્તકના આ જ ભાગની ૧૯૩૪માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિ. અહીં કવિ નાનાલાલની પ્રસ્તાવના તો નથી જ, પણ તેમની એક પણ કૃતિ પુસ્તકમાં જોવા મળતી નથી. સંપાદકે પ્રસ્તાવના ન છાપવા અંગે કશો ખુલાસો કર્યો નથી, પણ પહેલી આવૃત્તિમાં નાનાલાલની ૨૮ કૃતિઓ હતી અને આ બીજી આવૃત્તિમાં એક પણ કૃતિ નથી તે અંગે પ્રસ્તાવનામાં એક ફૂટનોટમાં આટલું જ કહ્યું છે: “મહાકવિ શ્રી ન્હાનાલાલના રાસો એમની રજા ન મળવાથી આ આવૃત્તિમાં લઇ શકાયા નથી.” (પા. ૫૧)

૧૯૨૮થી ૧૯૩૪ વચ્ચેના છ વર્ષમાં એવું તે શું બન્યું હશે કે નાનાલાલ આ સંપાદકથી અને તેમની ‘રાસકુંજ’થી આટલી હદે વિમુખ થઇ ગયા હશે? ચોક્કસ જવાબ મળવો અઘરો છે, પણ એક અનુમાન થઇ શકે. રાસકુંજના સંપાદક શાન્તિબહેન અને તેમના પતિ ચૂનીલાલ બરફીવાળા બંને તે વખતની મુંબઈની કૉન્ગ્રેસની પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લેતા હતા. (મુંબઈના અંધેરી પરામાં જે રસ્તા પર ‘બરફીવાળા લોજ’ નામના મકાનમાં તેઓ રહેતાં એ રસ્તાને પાછળથી ‘ચૂનીલાલ બરફીવાળા રોડ’ નામ અપાયું છે.) ૧૯૬૩માં પ્રગટ થયેલા રાસકુંજના બીજા ભાગની પ્રસ્તાવનામાં શાન્તિબહેન લખે છે: “રાસકુંજની બીજી આવૃત્તિ છેક ૧૯૩૪માં પ્રગટ થઇ શકી. કારણ કે રાષ્ટ્ર ચળવળમાં અંધેરીમાં અને પાર્લાની છાવણીમાં કૈંક આગળ પડતો ભાગ લીધો. તેની અસર તબિયત પર થઇ; વળી જેલયાત્રા કરી, તેથી તબિયત વધારે બગડી.” એટલે કે ૧૯૩૦ની ચળવળ વખતે શાન્તિબહેન ગાંધી રંગે પૂરેપૂરા રંગાઈ ગયાં હતાં. એ પહેલાં ગાંધીજી અને નાનાલાલ વચ્ચે ‘દૂઝણી ગાય’વાળો પ્રસંગ બની ગયો હતો અને નાનાલાલ માત્ર ગાંધીજીના જ નહિ, ‘ગાંધીવાળાઓ’થી પણ વિમુખ થઇ ગયા હતા. એવી મનોદશામાં ગાંધી રંગે રંગાયેલાં શાંતિબહેનને પોતાનાં પ્રસ્તાવના અને કૃતિઓ છાપવા માટે નાનાલાલે પરવાનગી ન આપી હોય તેમ બને?

આ સંદર્ભમાં બીજી એક વાત પણ સૂચક બને તેવી છે. રાસકુંજના પહેલા ભાગની બીજી આવૃત્તિની પ્રસ્તાવના લખવા માટે સંપાદકે પસંદગી કરી છે ગાંધીજીએ જેમને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ આપેલું તે ઝવેરચંદ મેઘાણીની. ‘રાસકુંજ’ની પહેલી આવૃત્તિ ૧૯૨૮માં પ્રગટ થઇ તેની સાથે જ તેનું જોડિયું પુસ્તક ‘રાસકુંજની સરિગમ’ પણ પ્રગટ થયું હતું. તેમાં બધાં જ ગીતોનાં નોટેશન્સ આપવામાં આવેલાં. હવે, ‘રાસકુંજની સરિગમ’ પુસ્તકની વિસ્તૃત પ્રસ્તાવના લખી છે નરસિંહરાવ દીવેટિયાએ. શાસ્ત્રીય સંગીતની તેમની જાણકારી જોતાં તેમની પસંદગી યોગ્ય જ ગણાય, પણ તેમાંના કેટલાક વિચારો નાનાલાલના વિચારોનો વિરોધ કરનારા છે. આ વાતથી નાનાલાલ નારાજ થયા હોય એમ બને? રાસકુંજની બીજી આવૃત્તિમાં મેઘાણીની પ્રસ્તાવના ઉપરાંત ‘આશીર્વાદ’ શીર્ષકથી નરસિંહરાવભાઈનું લખાણ પણ છપાયું છે. તેમાં તો તેમણે નાનાલાલનો સ્પષ્ટ રીતે વિરોધ કર્યો છે. લખે છે: “ગુજરાતના ગરબાને ‘રાસ’ સંજ્ઞા કાંઇક અર્ધદર્શનથી જ અપાઈ છે, અને તે પણ ગુજરાતી સાહિત્યમાં તો પાછલાં થોડાં વર્ષોથી જ. રા. ન્હાનાલાલ કવિયે પોતાના ગરબીસંગ્રહ ‘ન્હાના ન્હાના રાસ’ એ સંજ્ઞાથી પ્રથમ છપાવ્યા તે પૂર્વે રાસગરબો અથવા ગરબી એ સમીકરણ ગુજરાતી સાહિત્યમાં જાણવામાં આવ્યું નહોતું.”

રાસકુંજના પહેલા ભાગની ૧૯૫૪મા પ્રગટ થયેલી ત્રીજી આવૃત્તિમાંથી મેઘાણીની પ્રસ્તાવના કાઢી નાખવામાં આવી છે, પણ તેમની દસ કૃતિઓ પુસ્તકમાં સમાવી છે. એ આવૃત્તિની પ્રસ્તાવના મંજુલાલ મજમુદારે લખી છે. ૧૯૬૩માં પ્રગટ થયેલા બીજા ભાગની પ્રસ્તાવના પણ તેમણે જ લખી છે. પુસ્તકના બંને ભાગમાં મળીને કુલ ૬૪૫ કૃતિઓ સમાવવામાં આવી છે. નાનાલાલ, નરસિંહરાવ, મેઘાણી જેવા સાક્ષરો તો આ પુસ્તકને આવકારે, પણ અગેય અને વિચારપ્રધાન કવિતાના પ્રખર પુરસ્કર્તા બલવન્તરાય ઠાકોરે પણ તેને આ શબ્દોમાં આવકાર આપ્યો હતો: ”સૌ. શાન્તિબહેન બરફીવાળાએ જે જાતની કવિતાઓ સંગ્રહી છે તે એ જાતમાંની ઉત્તમ કવિતાઓ. ભાગ્યે કોઈ એ જાતની ખરેખર સારી કવિતા રહી ગઈ હોય એટલો મોટો સંગ્રહ એમણે કર્યો છે.”

e.mail : deepakbmehta@gmail.com

Loading

6 October 2019 admin
← Gandhi Alone is the ‘Father of India’
બ્રિટન : પ્રવાસી ભારતીયોની બીજી માતૃભૂમિ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved