Opinion Magazine
Number of visits: 9450208
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીથી પ્રભાવિત: ઍડોલ્ફો પેરિસ એસ્કિવિયેલ [Adolfo Perez Esquivel]

આશા બૂચ|Opinion - Opinion|1 April 2019

ગાંધી – એક વિશ્વ માનવ શ્રેણી મણકો – 6

વીસમી સદીના પૂર્વાર્ધમાં એક સ્પેનિશ યુવાન તેના પરિવાર સાથે સ્થળાંતર કરીને આર્જેન્ટિના ગયા. તેમનો વ્યવસાય માછીમારીનો હતો.

આ માછીમારનો પુત્ર માતા-પિતાને સહાયરૂપ થવા દસ વર્ષની ઉંમરે શેરીમાં ઊભા રહીને અને ટ્રામમાં છાપાં વેંચવાનો ધંધો કરવા લાગ્યો. જો કે એ કામમાં એ બાળકને આનંદ આવતો અને તેમાંથી મળતો થોડો ઘણો નફો તેને ખુશ રાખતો. એ સમયે ગામના ચોક – “Plaza de Mayo"માં જૂની ચોપડીઓ વેંચતી દુકાનો પણ પોતાનો ધંધો કરતી. આ બાળક ત્યાંથી પુસ્તકો ખરીદીને પોતાના મિત્રો સાથે Parque Lezama નામક એક બગીચામાં બેસીને વાંચતો. એ પુસ્તકોમાં ‘ધ સ્ટોરી ઓફ માય એક્સપેરિમેન્ટ વીથ ટ્રુથ’ (ગાંધીજીની આત્મકથા) અને થોમસ મર્ટનનું ‘ધ સેવન સ્ટોરી (માળ) માઉન્ટન’નો પણ સમાવેશ હતો.

પોતાના આ અનુભવોની વાત કરતાં આ કથાનો બાળ નાયક વધુમાં ઉમેરે છે કે તેણે ગાંધી અને તેમની ભારતમાં ચાલતી લડતો વિષે સમાચાર વાંચેલા. પણ એક પુસ્તક વેંચનાર ‘ડોન’ ગાંધી કોણ હતા અને ભારતને બ્રિટિશ સામ્રાજ્યમાંથી મુક્ત કરવા ઉપાડેલી તેમની અહિંસક લડત વિષે વાત કરી. તેણે એમ પણ કહ્યું કે ગાંધીને પોતાના દેશબાંધવોની મુક્તિ ખાતર જેલમાં ત્રાસદાયક જીવન પણ જીવવું પડેલું; જેની આ નાના બાળમાનસ પર ઘેરી અસર પડી.

આ બાળક તે ઍડોલ્ફો પેરિસ એસ્કિવિયેલ – Adolfo Pérez Esquivel. જન્મ 26 નવેમ્બર 1931 – બેનેસ એરિસમાં. માત્ર ત્રણ વર્ષની કુમળી વયે માતાનું છત્ર ગુમાવ્યું. ગરીબીના સંકજામાં સપડાયેલ હોવા છતાં માનુએલ બેલગ્રાનો ફાઈન આર્ટસ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને નેશનલ યુનિવર્સિટી ઓફ લા પ્લાટામાં ઉચ્ચ શિક્ષણ મેળવી એક સુંદર ચિત્રકાર અને શિલ્પી પણ બન્યો. વર્ષો વીતતાં માત્ર આર્જેન્ટિના જ નહીં પણ સારાયે વિશ્વમાં તેની ઓળખ એક કર્મશીલ, ચિત્રકાર, લેખક, શિલ્પી અને સામાજિક કાર્યકર તરીકે ઉપસી આવી, એટલું જ નહીં, તેમને આર્જેન્ટિનાની આપખુદ સત્તા સામે જંગ ખેલવા બદલ 1980માં શાંતિ નોબેલ પારિતોષિક પણ એનાયત થયું. જો કે એ દરમ્યાન જ (1976-1983) તેમણે 14 મહિના સુધી કેસ ચલાવ્યા વિના જેલવાસ ભોગવ્યો અને તેમના પર દમન કરવામાં આવ્યું. જોવાનું એ છે કે એ ગાળા દરમ્યાન જ તેમને બીજાં અનેક પારિતોષિકો એનાયત કરવામાં આવ્યાં જેમાંનું એક પૉપ જ્હોન XXIII તરફથી પણ હતું! માનવ અધિકારની રક્ષા માટેનું નોબેલ પારિતોષિક ઍડોલ્ફોએ પોતાના ‘ગરીબમાં ગરીબ અને નાનામાં નાના ભાઈઓ અને બહેનો વતી’ સ્વીકારેલ જેની પૂરેપૂરી રકમ એ સંસ્થાને દાનમાં આપી દીધી.  

જે સત્તા સામે જંગ ખેલવા બદલ ઍડોલ્ફોને નોબેલ પારિતોષિક મળ્યું તે વિષે થોડું જાણીએ. આર્જેન્ટિનામાં 1976 બાદ લશ્કરી શાસન આવ્યું. એ આપખુદ શાસકો કોઈ પણ પ્રકારની રાજકીય માન્યતા ધરાવનારાઓ, સમાજવાદી વિચારો ધરાવનારાઓ કે ડાબેરી વિચારસરણી ધરાવનારાઓને શોધી, પકડી, તેમના પર જુલમ કરીને ખતમ કરી દેતા. આપખુદ સરકારને આ રીતે માનવ અધિકારોનો ભંગ કરીને આતંક ફેલાવવા પાછળ અમેરિકાનો સાથ-ટેકો મળી રહ્યાં. બચાવ એવો કરવામાં આવ્યો કે સામ્યવાદનો પ્રસાર આર્જેન્ટિના અને પૃથ્વીના પશ્ચિમી પડમાં ફેલાતો અટકાવવા આ પગલાં ભરવામાં આવેલ. લગભગ 30,000 જેટલાં નિર્દોષ માણસો અદ્રશ્ય થઇ ગયાં. અપહરણ કરીને હત્યા કરી નાખી એ આંકડાઓ તો સેંકડો અને હજારોમાં પહોંચેલો. ઍડોલ્ફોએ આર્જેન્ટિનાની Dirty War તરીકે ઓળખાયેલ લડાઈનો ભોગ બનેલાઓના માનવ અધિકારોની રક્ષા કરવા માટે સંગઠનોની સ્થાપના કરીને નાણાકીય ટેકો આપવામાં અગ્ર ભાગ ભજવ્યો હતો.

શિક્ષણ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી ચૂકેલા ઍડોલ્ફોને લેટિન અમેરિકા સ્થિત એક સંગઠનના સંયોજક તરીકે પસંદ કરવામાં આવ્યા. સમાજના છેવાડાના લોકોને કારમી ગરીબીમાંથી અહિંસક માર્ગે છોડાવવા તેમણે શિક્ષણને તિલાંજલિ આપી. આપણે જાણીએ છીએ કે અસમાનતા, અન્યાય, ગરીબી અને પ્રાથમિક જરૂરિયાતોનો અભાવ લોકોમાં નિરાશા, હતાશા અને આખર હિંસાની લાગણી જન્માવતી હોય છે. સત્ય અને અહિંસાનો માર્ગ સરળ નથી એ હકીકત ઍડોલ્ફો ગાંધીજીની જીવનકથા વાંચીને જ સમજી ગયા હતા. આ પરમવીરને 1975માં બ્રાઝિલની લશ્કરી પોલીસે અટકાયતમાં રાખ્યા અને એક્વાડોરમાં લેટિન અમેરિકા અને ઉત્તર અમેરિકાના બિશપ સાથે જેલમાં ધકેલ્યા. આમ વ્યક્તિગત યાતનાઓ સહન કરવા છતાં ઍડોલ્ફો શસ્ત્રોનો આશરો લીધા વિના ન્યાય અને અધિકાર માટે શાંતિમય ઉપાયો અજમાવીને લડતા રહ્યા.

માનવ અધિકાર માટે લાડનારાઓ કોઈ દેશના સીમાડા કે કોઈ કહેવાતા ‘શક્તિશાળી નેતાઓ’ના નિર્ણયો સામે પોતાનો અભિપ્રાય દર્શાવતા હિચકિચાહટ નથી અનુભવતા હોતા. તેમણે 2011માં લીબિયાના અને સીરિયાના આંતરિક સંઘર્ષમાં હસ્તક્ષેપ કરવાના યુરોપના નિર્ણયનો વિરોધ કરેલો. સત્યવાદીને કોઈ જાતનો ભય નથી સતાવતો હોતો. ઓસામા બિન લાદેનની હત્યા બાદ ઍડોલ્ફોએ અમેરિકાના તત્કાલીન પ્રેસિડેન્ટ બારાક ઓબામાને પત્ર લખીને સ્પષ્ટ જણાવેલું કે યુ.એસ.એ. દ્વારા બિન લાદેનની ધરપકડ કરવાને બદલે તેની હત્યા કરવામાં આવી કેમ કે તેણે 9/11ની ઘટના વિષે એવી વિગતો કહી હોત જેનાથી અમેરિકાની કેટલીક ગુપ્ત બાબતો ઉઘાડી પડી જાત એવી શક્યતા હતી. તેમનું એવું માનવું હતું કે એ ઘટના અમેરિકનોએ કરાવડાવેલ સ્વઘાતી હુમલો જ હતો જેથી તેમને અફઘાનિસ્તાન, ઇરાક અને લિબિયા સામે જંગ છેડવાનું બહાનું મળી રહે. અફઘાનિસ્તાન પાસે કેમિકલ શસ્ત્રોનો જથ્થો છે, જેનો એ ઉપયોગ કરશે અને બ્રિટન પર 45 મિનિટમાં હુમલો કરશે એ ભીતિ સદંતર જૂઠી સાબિત થઇ.

ઍડોલ્ફોને પ્રતીત થયું કે ગાંધીજીનું જીવન માનવતાને ઉજાગર કરે છે. ગાંધીજીએ સત્યનો માર્ગ પુરાણ કાળના પવિત્ર શાસ્ત્રોમાંથી ગ્રહણ કર્યો, પરંતુ તેનો વિનિયોગ બહોળા સમાજમાં કરીને આખા દેશને પરદેશની ધૂંસરીમાંથી છોડાવવા માટે કરનાર તેઓ પહેલા હતા. ઍડોલ્ફોને ગાંધી ચિંધ્યા માર્ગે કાર્ય કરવાની પ્રેરણા ક્યાંથી મળી એ સવાલ થાય. એક સ્પેનિશ માછીમારનો પુત્ર, અત્યંત ગરીબાઈમાં આર્જેન્ટિનામાં ઉછરેલો, તેને આ ગાંધી વિચારનો ચેપ ક્યાંથી લાગ્યો? ગાંધી વિશેના અને ગાંધીજીએ લખેલ પુસ્તકો ઍડોલ્ફોએ એક કરતાં વધુ વખત વાંચ્યાં બાદ એમને ગાંધીજીના અધ્યાત્મ અને સામાજિક-રાજકીય કાર્યો વચ્ચેના અનુબંધને જોવાની એક દ્રષ્ટિ ખીલી અને તેમના કાર્યોને મૂલવવા એક નવો જ દ્રષ્ટિકોણ લાધ્યો. ગાંધીજીની એક લાક્ષણિકતા જો કોઈને પણ વધુ મોહિત કરી ગઈ હોય તો તે છે તેમની નમ્રતા, ત્યાગ ભાવના અને દરિદ્રો પ્રત્યે સમભાવ. તેમણે ધાર્યું હોત તો વકીલ તરીકે સારી એવી કમાણી પર આરામથી જીવન વ્યતીત કર્યું હોત. પણ એ સઘળું છોડીને એક સામાન્યમાં સામાન્ય આદમી જેટલી જ જરૂરિયાતો પર જીવન વ્યતીત કર્યું જે ઍડોલ્ફોને ખૂબ જ સ્પર્શી ગયું. માત્ર બ્રિટિશ સામ્રાજ્યની હકાલપટ્ટી સાથે જ ગાંધીજીએ લડત લડવાની નહોતી, પરંતુ પોતાના દેશની પ્રજાના આચાર-વિચારો અને મૂલ્યોમાં પણ આમૂલ પરિવર્તન લાવવા સામે, સમાજના રૂઢિગત ખ્યાલો સામે અને હિંસક પ્રતિકાર કરવાના વલણો સામે પણ તેમણે બાથ બીડવાની હતી. હિન્દુ-મુસ્લિમની એકતા માટે તેમણે અથાગ પ્રયત્નો કર્યા અને આ બધું જ ઍડોલ્ફો જેવા સંવેદનશીલ કર્મશીલને આકર્ષી ગયું.

ગરીબ અને છેવાડેના લોકોની યાતનાઓનું નિર્મૂલન કરવાના પ્રયાસો દરમ્યાન ઍડોલ્ફોને ગાંધીજીના સમગ્ર જીવન અને કાર્ય વિષે સતત જાણકારી મળતી રહી. તેમને પ્રતીત થયું કે અહિંસાની ચળવળ એ માત્ર સામ્રાજ્યનો અંત લાવવા માટેનું એક શસ્ત્ર નહોતું, પણ એ તો ગાંધીજીની જીવનપદ્ધતિ હતી. ગાંધીના મતે અહિંસાનો અમલ જીવનના દરેક સંબંધમાં થવો જોઈએ, માત્ર વ્યક્તિગત જ નહીં, પણ સામૂહિક સ્તરે પણ. ગાંધીજીનો પ્રાર્થના અને અધ્યાત્મ સાથેનો ઘનિષ્ઠ નાતો, તેમની  આમ પ્રજા માટેની નિષ્ઠા અને તેના કલ્યાણ માટે ઉઠાવવા પડતા કષ્ટો માટેની હિંમત ઍડોલ્ફોને હંમેશ માર્ગ બતાવતા રહ્યા.

‘ગાંધી – એક વિશ્વ માનવ’ શ્રેણીમાં લાન્ઝા દેલ વાસ્તો ઉર્ફે શાંતિદાસ વિષે અગાઉ લખ્યું છે. શાંતિદાસ ઉપરાંત Jean અને Hildegard Goss Goss-Mayr જેવા અહિંસાના પ્રમુખ પ્રચારકો અને અમલ કરનારાઓ પાસેથી પણ ઍડોલ્ફોને પ્રેરણા મળી. શાંતિદાસને બેનેસ એરિસમાં અહિંસા પર પ્રવચન આપતા સાંભળ્યા બાદ “Friends of Ark”ની સ્થાપનામાં ઍડોલ્ફો મદદરૂપ થયા. આમ અહિંસક માર્ગે સંઘર્ષના હલ કરવા પરની તેમની શ્રદ્ધા વધુ દ્રઢ બનતી ચાલી. ઘણાં વર્ષો સુધી ફ્રેન્ડ્સ ઓફ આર્ક સંગઠન દ્વારા સામૂહિક જીવન અને  પ્રાર્થના જીવનમાં વણી લેવા, મજદૂરી કરવી અને કારીગરનું જીવન જીવવું, અલગ અલગ કોમ અને ધર્મના લોકો વચ્ચે એકતા સાધવી અને જરૂર પડ્યે અહિંસક લડતો ચલાવવી વગેરે કાર્યોમાં તેઓ રત રહ્યા.

આજે જ્યારે ચોતરફ નફરત, હિંસા અને સંહારનું તાંડવ ખેલાઈ રહ્યું છે, ત્યારે હિંસાની આગમાં હોમાતાં લાખો-કરોડો નિર્દોષ લોકોને બચાવવા એ એક પડકાર છે. પણ એથી કરીને હાથ પર હાથ મૂકીને બેસી રહીએ તો માનવતા લાજે. શાંતિ સ્થાપવા માટેના પ્રયત્નો દસ ગણા કેમ વધારવા ન પડે, ન્યાયના પાયા પર રચાયેલ માનવીય સમાજની રચના કરવાની આપણી મથામણ ચાલુ જ રહેવી જોઈશે. ઍડોલ્ફો દ્રઢપણે માને છે કે સવિનય કાનૂન ભંગ અને અહિંસક પ્રતિકારનો ઉપયોગ ઘણાં વર્ષે થયો, જેણે બહોળા સમાજને ભાગીદાર બનાવ્યા જેથી કરીને હવે માનવ અધિકારો અને અહિંસક મૂલ્યો અવિભાજ્ય બની ગયાં છે. તેમને એમ પણ લાગે છે કે રાજકારણમાં પણ અહિંસક માર્ગે સામાજિક અને માળખાકીય પરિવર્તન લાવવા આપણે પ્રવૃત્ત થવું જોઈએ. ગાંધીજી સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્દેશો અને તેના સાધન રૂપ અહિંસક લડાઈ માટે ખૂબ સ્પષ્ટ અભિપ્રાય ધરાવતા હતા, તેવી શ્રદ્ધા આપણે પણ કેળવવી રહી.  

માનવ જાત આજે જાણે લડાઈના રૂપમાં પ્લેગ જેવા રોગથી ગ્રસ્ત થઇ રહી છે, જ્યાં જુઓ ત્યાં કોમી સંઘર્ષની જ્વાળા ભભૂકે છે, ભૂખમરો અને પર્યાવરણની સમતુલા જોખમાઈ હોવાને પરિણામે સંહાર વધતો રહ્યો છે અને કુદરતી સંપત્તિ નાશ પામતી રહી છે. આપણે કુદરત, વ્યક્તિ અને સમાજ  વચ્ચે સમતોલન પાછું મેળવવું જરૂરી છે તેમ સહુ સ્વીકારે છે. પણ એ માટે કયો માર્ગ લેવો તે સૂઝતું નથી ત્યારે ઍડોલ્ફો કહે છે કે ગાંધીજીએ અહિંસાને માનવ જીવનને સમૂળગું પરિવર્તિત કરી નાખે એવી શક્તિમાં રૂપાંતરિત કરી હતી તેના તરફ નજર નાખો તો તમને માનવી અને કુદરત વચ્ચેના સંબંધનો તંતુ જોડાતો દેખાશે. ગાંધીજીની લડત ભલે મુખ્યત્વે રાજકીય હેતુસરની હતી, પરંતુ સાથે સાથે નૈતિક, આધ્યાત્મિક અને સામાજિક ઉદ્દેશ્યથી પણ રસાયેલી હતી. આથી જ તો તેમનું લક્ષ્ય દરેક વ્યક્તિ અને તમામ સામાજિક સમૂહોની મુક્તિનું હતું.

આર્જેન્ટિનાના એક નાનકડા ગામના પુસ્તક વેંચનારા પાસેથી ગાંધી વિષે માહિતી મળી, ગાંધીની આત્મકથા અને બીજાં પુસ્તકો વાંચીને જાતને સત્ય, અહિંસા, કરુણા અને ત્યાગના પાઠો શીખવ્યા અને પોતાના દેશબાંધવો અને દુનિયાના અનેક તરછોડાયેલ લોકોને અન્યાય અને દુઃખની ગર્તામાંથી બહાર કાઢ્યા એવા ઍડોલ્ફો પેરિસ એસ્કિવિયેલને ગાંધી 150 નિમિત્તે લાખ લાખ વંદન.

e.mail : 71abuch@gmail.com

Loading

1 April 2019 admin
← સોશ્યલ મીડિયાઃ માનવ સમાજને સમાંતર વિશ્વ જ્યાં રાજકારણ ‘અંગત’ યુદ્ધ છે
ધે આર અસ : વૈકલ્પિક નેતૃત્વનું વ્યાકરણ →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved