Opinion Magazine
Number of visits: 9449307
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંંધીહત્યાઃ વાદ વિવાદ અને વિકૃતિ

ઉર્વીશ કોઠારી|Gandhiana|12 October 2017

વર્તમાન સત્તાધીશોને ગોડસેના વિચારોના ફેલાલાવાથી શરમ આવે છે ? કે મીઠી ગલીપચી થાય છે ?

ગાંધી એક એવું પાત્ર છે, જેને મારી નાખ્યા પછી પણ તે પીછો છોડતું નથી. કટ્ટર હિંદુત્વકેન્દ્રી એક સંગઠને કરેલી અપીલ પછી સર્વોચ્ચ અદાલતે ગાંધીહત્યા વિશે નવેસરથી તપાસની દિશામાં ડગ માંડ્યું છે અને તે માટે ‘એમિકસ ક્યુરી’(amicus curiae = અદાલતના મદદકર્તા)ની નિમણૂક કરી છે. 

આવતા વર્ષે ગાંધીને ગોળીએ દીધાનાં સિત્તેર વર્ષ પૂરાં થશે, પણ ચિત્રકથાના ફેન્ટમ જેવા પાત્રની માફક, ગાંધી ‘મરતો’ નથી. પ્રયાસો સતત થાય છે: કોઈ એને ભગવાન બનાવીને મારે છે, તો કોઈ શેતાન તરીકે ચિતરીને. કોઈ એને ધૂર્ત રાજકારણી (ચતુર બનિયા) તરીકે મનોમન મારે છે, તો કોઈ એને દંભી સંત તરીકે. ડાબેરીઓને તે રૂઢિવાદી ને ક્રાંતિવિરોધી લાગે છે, તો જમણેરીઓને તે અસ્પૃશ્યતા – હિંદુ ધર્મની સમજ જેવી ઘણી બાબતોમાં રૂઢિ – પરંપરા ખોરવનાર જણાય છે. જમણેરીઓમાં પણ જે જમણેરી છે અને જેમના માટે મુસ્લિમો અને પાકિસ્તાન વચ્ચે કશો ફરક નથી, તેમને ગાંધી મુસ્લિમતરફી – પાકિસ્તાનતરફી અને ભારતવિરોધી લાગે છે. હા, ભારતવિરોધી અને તેનાથી ઓછું કશું જ નહીં. એવા લોકો હત્યારા નથુરામ ગોડસેની જુબાનીને ધગધગતી દેશભક્તિનો દસ્તાવેજ માને છે.

જે સમયે ગાંધીહત્યા થઈ, તે અરસામાં આવેશનાં પૂર માનવતાનાં બધાં બંધનો તોડીને ફરી વળ્યાં હતાં. ભારતે કદી ન જોયેલા પ્રમાણમાં માનવ હત્યાકાંડ અને અત્યાચાર ત્યારે થયાં. આવા વખતે શાંતિની અને માનવતાની વાત કરનાર વિલન અને દેશદ્રોહી સુધ્ધાં લાગી શકે. (આ હકીકતનો અનુભવ પછીનાં વર્ષોમાં થયેલાં હુલ્લડ વખતે શાંતિ અને વિશ્વાસ માટે પ્રયાસ કરનાર સૌ કોઈને થયો હશે.) ભાગલા વખતે ઉશ્કેરાટના અભૂતપૂર્વ વાવાઝોડામાં એક માત્ર ધ્રૂજતી-ટમટમતી છતાં અવિચળ જ્યોતનું નામ હતું: ગાંધી. હતાશ-નિરાશ-સ્વપ્નભંગ થયેલા, છતાં છેલ્લા શ્વાસ સુધી પ્રયાસ ન છોડનારા ગાંધી.

કપરો સમય હીરો અને વિલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરી આપે છે, પણ લોકોની સમજ પર ત્યારે એવો પડદો પડેલો હોય છે કે ખોટું સાચું લાગે ને સાચું ખોટું. ઇચ્છનીય અનિષ્ટ લાગે ને અનિષ્ટ આવકાર્ય. એ વખતે ગાંધી પાકિસ્તાનમાં હોત અને મુસ્લિમ હોત તો ગાંધીહત્યા કોઈ ઝનૂની મુસ્લિમના હાથે થઈ હોત. (આ કલ્પના છે, પણ તેમાં રહેલું તથ્ય સમજવા માટે, પાકિસ્તાનની સરકારોએ ખાન અબ્દુલ ગફારખાન સાથે કરેલો ક્રૂર વ્યવહાર તપાસી શકાય). ગાંધી હિંદુ હતા અને તેમના પોતાના કહેવા પ્રમાણે ચુસ્ત, સનાતની હિંદુ. એટલે તેમની હત્યા ભારતમાં હિંદુુના હાથે થાય, તે કરુણ કવિન્યાય તરીકે સમજી શકાય એવું હતું. મુસ્લિમોનો વિરોધ કરીને પોતાની જાતને સવાયા દેશભક્ત સમજનારા ગોડસે અને એની વિચારસરણીવાળા બધાની આંખો પર ત્યારે ધિક્કારની પટ્ટી બંધાયેલી હતી. તેમના માટે દેશની અને દેશભક્તિની વ્યાખ્યાનો પાયો કોઈની તરફેણ કરતાં અનેક ગણો વધારે કોઈના વિરોધ પર આધારિત હતો. હિંદુહિતની બડી બડી વાતો કરનારા હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘવાળાએ આઝાદી પહેલાં કૉંગ્રેસ સામે અને મુસ્લિમો સામે ધિક્કાર ફેલાવવા ઉપરાંત અને મુસ્લિમ લીગના હિંદુ અડધિયાની ભૂમિકા અદા કરવા ઉપરાંત, દેશહિતનાં કે અંગ્રેજી રાજના વિરોધનાં બીજાં કયાં કાર્યો કર્યાં?

હવે કેટલાક સંશોધકો શોધી લાવ્યા છે કે ‘અમારી (એટલે કે હિંદુહિતના નામે ધિક્કાર ફેલાવનારી) વિચારધારાવાળા કેટલાકે આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો ને ભોગ પણ આપ્યો હતો.’ જાણીને આનંદ થયો, પણ સવાલ એ છે કે કેમ એ કોઈ નાયકોના કે આદર્શના સ્થાને નથી? એ લોકોની આ કામગીરી તમારી સંસ્થા કે વિચારધારાની મુખ્ય ધરી કેમ ન બની શકી? કેમ એ તમારામાં અપવાદ બની રહ્યા? અને કેમ હવે એવા અપવાદોના સાચકલા પ્રદાનનો સ્વાર્થી ઉપયોગ તમે સ્વતંત્રતા સંગ્રામથી અળગા રહ્યાની તમારી શરમ ઢાંકવા કરો છો? માન્યું કે પાઠ્યપુસ્તકો સરકારી હતાં ને સરકારો કાૅંગ્રેસની, પણ તમારાં સમાંતર પાઠ્યપુસ્તકો તમે ક્યાં નથી બનાવ્યાં? તેમાં કેમ શિવાજી – રાણા પ્રતાપથી માંડીને ભલભલા દેશનાયકોને મુસ્લિમવિરોધના સગવડિયા ખાંચા ને ખાનાંમાં પૂરીને રજૂ કરવા પડે છે?

ધિક્કારકેન્દ્રી માનસિકતાને દેશભક્તિની પરાકાષ્ઠા સમજનારામાંથી કોઈ 1948માં ગાંધીને ગોળીએ દઈ દે, તે દુઃખદ છે પણ આશ્ચર્યજનક નથી. એ વખતે આ ‘પરાક્રમ’નાં ઉજવણાં થાય, તે શરમજનક છે, પણ આશ્ચર્યજનક નથી. દુઃખ-શરમ-આઘાત-આશ્ચર્ય એ બધું ત્યારે થાય છે, જ્યારે સાત-સાત દાયકા પછી પણ એ ધિક્કાર ઓસરતો નથી, બલકે તેને નવાં નવાં સ્વરૂપે, નવા પેકિંગમાં રજૂ કરાતો રહે છે. ગાંધીની હસ્તીને ભૂંસી નાખવાનું અશક્ય લાગતાં, તેને અપનાવવાનો દંભ કરીને, સમાંતરે તેના હત્યારાઓની માનસિકતાને પુનઃ પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવે છે — કદીક પુસ્તિકાઓ ને ચોપાનિયાં દ્વારા, તો હવેના જમાનામાં વૉટ્સઅેપ અને ફેસબુકની પોસ્ટ પર.

લોકોની દેશભક્તિનેે જગાડવા માટે ગાંધીને બદલે ગોડસેનો ઉપયોગ થાય, એવા હીણપતભર્યા સમયમાં આપણે આવી ગયા છીએ? 1947-48માં ચોતરફ ઉશ્કેરાટ અને આવેગનાં પૂર હતાં અને તે સ્થિતિ અસાધારણ હતી. અત્યારે નથી એવા હત્યાકાંડ ને નથી એટલા મોટા પાયાના સંઘર્ષ. છતાં ગાંધી પ્રત્યેનો ધિક્કાર અકસીરપણે શી રીતે ફેલાવી શકાય છે? વર્તમાન સરકાર એવું વાતાવરણ ઊભું કરવામાં અથવા એવું વાતાવરણ ઊભું કરનારને માનસિક હૈયાધારણ પૂરી પાડવામાં મન, વચન ને કાર્યથી કેટલા અંશે જવાબદાર છે? વર્તમાન સત્તાધીશોને ગોડસેના ‘દેશભક્તિ’ના વિચારોના ફેલાવાથી શરમ આવે છે? કે મીઠી ગલીપચી થાય છે? શરમ આવતી હોય તો, ઇન્ટરનેટ પર મસમોટું ભાડૂતી સૈન્ય ધરાવતા સત્તાધીશો દેશભક્તિના નામે ધિક્કાર ફેલાતો અટકાવવા, ગાંધીને બદલે ગોડસેને મહાન દેશભક્ત સાબિત કરનારો પ્રચાર અટકાવવા અને સાચી માહિતી આપવા માટે કેવાં પગલાં લે છે?

ગોડસેને હીરો ગણનારા વાત કરવા બેસે ત્યારે દંભી ગાંધીવાદીઓ ભણી આંગળી ચીંધે છે. નિરપેક્ષ દૃષ્ટિએ વાત સાચી છેઃ દંભી ગાંધીવાદીઓએ દંભ, અણસમજ અને સ્વાર્થથી ગાંધીવિચારની હત્યા કરી છે, પરંતુ આવું કહેવાનો ગોડસેના ચાહકો અને તરફદારોને અધિકાર નથી. ગોડસેની દલીલો વૉટ્સએપ પર ફોરવર્ડ કરનારા ગોડસેના જમાનામાં પેદા થયા હોત તો તેમણે પણ ગાંધીહત્યાનો જશ્ન મનાવ્યો હોત. અત્યારે તેમના દ્વારા ફોરવર્ડ થતા કે પોસ્ટ કરાતા ગોડસેની તરફેણના સંદેશા ગાંધીહત્યાનો પશ્ચાદવર્તી (રેટ્રોસ્પેિક્ટવ) અસરથી મનાવાતો જશ્ન જ છે. ગાંધી ને ગોડસેની વાત આવે, ત્યારે સૂફિયાણી હાંકનારા કહે છે કે ગાંધીનું પણ સત્ય હોય છે ને ગોડસેનું પણ સત્ય હોય છે.

બરાબર છે. પણ તમારું સત્ય કોના સત્યની સાથે છે?

સૌજન્ય : ‘પોઇન્ટ બ્લેન્ક’, “દિવ્ય ભાસ્કર”, 10 અૉક્ટોબર 2017

Loading

12 October 2017 admin
← જવાહરલાલ નેહરુ અને ‘પ્લેબોય’
આઇ-કૅનને આપવામાં આવેલો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર શું કહે છે? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved