Opinion Magazine
Number of visits: 9563003
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીના સંગમાં સરદારના વ્યંગ

અશ્વિનકુમાર|Gandhiana|16 December 2020

ગાંધીજી અને સરદાર વચ્ચે લગભગ ત્રીસ વર્ષનો સુવાસભર્યો સહવાસ છે. પ્રારંભમાં મોહનદાસને વલ્લભભાઈ 'અક્કડપુરુષ' લાગે છે. ગોરંભમાં એ જ સરદાર ગાંધીજીનો 'જમણો હાથ' બની રહે છે. ૯-૧-૧૯૧૫ના રોજ વતન-વાપસી બાદ બહુ થોડા વખતમાં ગાંધીજીને 'મહાત્માજી'નું બિરુદ મળ્યું હતું. એ વેળાએ વલ્લભભાઈએ ટીકા કરી હતી કે, "આપણે ત્યાં મહાત્માઓ બેસુમાર છે." ('ગાંધી'સ ટ્રુથ', એરિક એરિક્સન, પૃ. ૯૦) આ જ વલ્લભભાઈ ગાંધીવિદાયના આઘાતમાં ૯-૨-૧૯૪૮ના રોજ નરહરિ પરીખને પત્રમાં લખે છે : "આપણે માથેથી છત્ર ચાલી ગયું." ('સરદારશ્રીના પત્રો – ૪', પૃ. ૩૬૫)

ગાંધી-સરદાર સંબંધ વિશે કાકાસાહેબ કાલેલકર ‘ગાંધી પરિવારના જ્યોતિર્ધરો'માં નોંધે છે : "ગાંધીજી અને સરદાર વલ્લભભાઈએ એકબીજાને બરાબર ઓળખ્યા. બંનેને આનંદ હતો કે આપણને એક સારા લગભગ સમાનધર્મી મળી ગયા. સરદાર વલ્લભભાઈમાં ચારિત્રની ઊંચાઈ ન હોત તો ગાંધીજી એમને પોતાનો 'જમણો હાથ' ન બનાવત. ગાંધીજીમાં તેજસ્વિતા અને તીવ્ર દેશભક્તિ ન હોત તો વલ્લભભાઈ જેવા માની પુરુષ એમના સિપાહી ન બનત. બંનેમાં આદર્શની સમાનતા ન હોત તો ત્રીસ વરસ સુધી બંનેનો આટલો ઘનિષ્ઠ સહયોગ ચાલી ન શક્યો હોત."

સરદાર વ્યક્તિ તરીકે પાક્કા છે, અભિવ્યક્તિમાં એક્કા છે. પાંચ ફૂટ સાડા પાંચ ઇંચ જેટલી ઊંચાઈ અને એકસો છેતાળીસ રતલ આસપાસનું વજન ધરાવતા વલ્લભભાઈ પાસે અમર્યાદિત, અસાધારણ, અજોડ વિનોદવૃત્તિ છે. તેમની લાયકાત અને વકીલાતથી એમનાં વાણી-વર્તનમાં વ્યંગરંગ ભળે છે. સરદારમાં નિર્ભયતા, નેતૃત્વશક્તિ, નિખાલસતા છે. વ્યંગના ચાબુક મારવા માટે આટલા ગુણો પૂરતા છે! મો. ક. ગાં. કરતાં વ. ઝ. પ. ઉંમરમાં છ વર્ષ અને ઓગણત્રીસ દિવસ નાના છે. સરદાર માટે ગાંધીજી સાથે વિનોદ-વિહાર કરવા આટલું વયઅંતર પૂરતું ઓછું અને પ્રમાણમાં સલામત છે! 'વિનોદ-વલ્લભ' સરદાર લોકજીવનની વાસ્તવિકતા પણ જાણે છે અને ગાંધીજીવનની નિકટતા પણ માણે છે. મો.ક. ગાંધી સાથે મોકળાશ અનુભવનાર વલ્લભભાઈ સત્યના પ્રયોગવીર સામે વ્યંગના પ્રયોગો કરી શકે છે. કારણ કે, ગાંધીજી હસી શકે છે, સહી શકે છે!

મોહન-વલ્લભ-મહાદેવના ત્રિવેણી સંગમમાં, યરવડામંદિર સાચે જ દિવ્ય-ભવ્ય-નવ્ય જણાય છે. મહાદેવભાઈની રોજ-નોંધમાં સરદારના વ્યંગ-રૂપનું મનોહર દર્શન કરી શકાય છે. 'સરદાર : એક સમર્પિત જીવન'ના લેખક રાજમોહન ગાંધીના મતાનુસાર, " … આ ડાયરીમાં વલ્લભભાઈનું જીવંત સ્વરૂપ જોવા મળે છે, તેટલું બીજે કશે મળતું નથી …" (પૃ. : ૨૧૩) જાન્યુઆરી, ૧૯૩૨થી મે, ૧૯૩૩ સુધીના ગાંધીસોબતના સોળ માસના જેલ-જીવનમાં સરદારની વિનોદ-ચાંદની સોળે કળાએ ખીલેલી અનુભવી શકાય છે. જેલવાસ દરમિયાન ગાંધીજી માટે ખજૂર ધોવાનું, દાતણ કૂટવાનું, સોડા બનાવવાનું … વગેરે કામ વલ્લભભાઈએ દિલથી સ્વીકાર્યું હતું.

'મહાદેવભાઈની ડાયરી'ના પહેલા ભાગમાં નોંધ છે : વલ્લભભાઈ બાપુને હસાવવામાં બાકી નથી રાખતા. આજે પૂછે : "કેટલાં ખજૂર ધોઉં?" બાપુ કહે : "પંદર." એટલે વલ્લભભાઈ કહે : "પંદરમાં અને વીશમાં ફેર શું?" બાપુ કહે : "ત્યારે 'દશ.' કારણ દશમાં અને પંદરમાં ફેર શું?" (પૃ. ૯) જમી રહ્યા પછી વલ્લભભાઈ હંમેશની જેમ દાતણ કૂટીને તૈયાર કરવા બેઠા. પછી કહે : "ગણ્યાગાંઠ્યા દાંત રહ્યા છે તો પણ બાપુ ઘસ ઘસ કરે છે. પોલું હોય તો ઠીક પણ સાંબેલું વગાડ વગાડ કરે છે." (પૃ. ૧૩) વલ્લભભાઈની ગમ્મત આખો દિવસ ચાલતી જ હોય. બાપુ બધી વસ્તુમાં 'સોડા' નાખવાનું કહે છે. એટલે વલ્લભભાઈને એ એક મોટો મજાકનો વિષય થઈ પડ્યો છે. કંઈક અડચણ આવે એટલે કહે : "સોડા નાખોની!" અને એની હાસ્યજનકતા બતાવવાને સારુ  … વૈદ્યના નેપાળાની વાત કરીને ખૂબ હસાવ્યા. (પૃ. ૧૪)

ગાંધીજી જેલમાં ક્યારેક મોડે સુધી બેસીને બહુ કાગળો લખાવતા. આ અંગે મહાદેવભાઈ નોંધે છે : "વલ્લભભાઈ પણ હવે મંત્રીની પદવીએ ચઢ્યા અને ઢગલા કાગળો ઉકેલવામાં મદદ કરવા લાગ્યા. એમને તો પાછું મનગમતું કામ. એમના વિનોદનો ફુવારો તો ચાલતો જ હોય. કોઈના કાગળમાં જોયું કે સ્ત્રી કુરૂપ છે એટલે ગમતી નથી, એટલે તુરત બાપુને કહે : "લખોની કે આંખ ફોડી નાખીને એની સાથે રહે, એટલે કુરૂપ જોવાનું નહીં રહે!" "(મહાદેવભાઈની ડાયરી, ભાગ-૨, પૃ. ૨૭૫)

સરદાર પાસે સચોટ તળભાષા જીભવગી છે. ગાંધીજી કહે છે : "વલ્લભભાઈની ખેડૂતી ગુજરાતી તેની પાસેથી કોઈ હરી જ ન શકે." (કિ.ઘ. મશરૂવાળાને પત્ર, ૨૧-૯-૧૯૩૨, 'ગાંધીજીનો અક્ષરદેહ', ૫૧:૧૨૦) આ જ રીતે સરદારના વિનોદ-સામર્થ્ય વિશે ગાંધીજી 'હરિજન'(૨૫-૨-૧૯૩૩)માં લખે છે : " … મારી પાસે સરદાર વલ્લભભાઈ પટેલ રૂપે એક લાડકો વિદૂષક છે. તેઓ મને પોતાની અણધારી ગંમતની વાતોથી હસાવીને લગભગ બેવડ વાળી દે છે. તેમની હાજરીમાં ખિન્નતા પોતાનું ભૂંડું મુખ છુપાવીને ભાગી જાય છે. ગમે તેવી ભારે નિરાશા પણ તેમને લાંબો વખત ઉદાસ રાખી શકતી નથી અને તેઓ મને એકથી બીજી મિનિટ માટે ગંભીર રહેવા દેતા નથી. તેઓ મારા 'સાધુપણા'ને પણ છોડતા નથી! … " ('ગાંધીજીનો અક્ષરદેહ', ૫૩:૪૫૦)

સરદાર ખિન્ન નહીં, પ્રસન્ન રહેવા માટે સર્જાયેલા છે. ગાંધીકથાકાર નારાયણ દેસાઈ 'મને કેમ વીસરે રે?'માં લખે છે : "સરદારનો વિનોદ એમની આંતરિક પ્રસન્નતામાંથી સ્ફૂરતો. અલબત્ત એ કોઈ વાર સામાને દઝાડે એવો આકરો પણ થઈ જતો. કદાચ વકીલાતના જમાનાના એ સંસ્કાર હશે. પરંતુ કઠોર ગણાતા સરદારના હૃદયમાં જો વિનોદ અને હાસ્યરસનાં ઝરણાં ન હોત તો જીવનની આટઆટલી આકરી કસોટીઓમાંથી પાર ન ઊતર્યા હોત." આપણે સરદારના જીવનમાંથી એટલું તો પામીએ કે હાસ્ય એ જિંદગી જીવવાનું રહસ્ય છે.

આજના મોટા ભાગના લોકનેતાઓનાં વિચાર-વાણી-વર્તન ઓછા હાસ્યપ્રેરક અને વધારે હાસ્યાસ્પદ છે. સરદાર જેવો વિનોદ પ્રગટાવવા માટે અણીશુદ્ધ ચારિત્ર, તળનો સંપર્ક, સમસ્યાની સમજણ, લોકભાષામાં અભિવ્યક્તિ અને ગાંધીજી જેવા જીવન-કવનનો સંગ પણ જોઈએ!

……………………………………………………………………………………………………………..

સંદર્ભ-સૂચિ :

Erikson, Erik (1970). Gandhi's Truth: On the Origins of Militant Nonviolence. Faber and Faber Limited : London.

કાલેલકર, કાકાસાહેબ (૧૯૭૫). ગાંધીપરિવારના જ્યોતિર્ધરો. નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

ગાંધી, મોહનદાસ (૧૯૭૮). ગાંધીજીનો અક્ષરદેહ(ગ્રંથ ૫૧). નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

ગાંધી, મોહનદાસ (૧૯૭૮). ગાંધીજીનો અક્ષરદેહ(ગ્રંથ ૫૩). નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

ગાંધી, રાજમોહન (૨૦૧૦). સરદાર પટેલ : એક સમર્પિત જીવન (અનુવાદક : નગીનદાસ સંઘવી; પહેલી આવૃત્તિ, ૧૯૯૪; અગિયારમું પુનર્મુદ્રણ, ૨૦૧૦). નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

દેસાઈ, નારાયણ (૧૯૮૬). મને કેમ વિસરે રે?. બાલગોવિંદ પ્રકાશન : અમદાવાદ.

પટેલ, મણિબહેન (સંયોજક-સંપાદક) (૧૯૮૧). સરદારશ્રીના પત્રો – ૪ : બાપુ, સરદાર અને મહાદેવભાઈ (જન્મશતાબ્દી ગ્રંથમાળા – ગ્રંથ ચોથો) (પહેલી આવૃત્તિ, ૧૯૭૭; ત્રીજી આવૃત્તિ, ૧૯૮૧) સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન : અમદાવાદ.

પરીખ, નરહરિ (સં.) (૧૯૪૮). મહાદેવભાઈની ડાયરી પુસ્તક પહેલું. નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

પરીખ, નરહરિ (સં.) (૧૯૪૯). મહાદેવભાઈની ડાયરી પુસ્તક બીજું. નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

……………………………………………………………………………………………………………..

Email-id: ashwinkumar.phd@gmail.com

Blog-name:  અશ્વિનિયત / Ashwiniyat

Blog-link: http://https://ashwinningstroke.blogspot.com  

Loading

16 December 2020 admin
← Political Ideology of BJP: Pragya Singh Thakur
શું અમિત શાહે અણુપરીક્ષણના વિરોધમાં વાજપેયીની આકરી ટીકા કરી હતી ? →

Search by

Opinion

  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved