Opinion Magazine
Number of visits: 9553013
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીબાગ કે ગાંધી ભાગ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 December 2025

રવીન્દ્ર પારેખ

ભારત પ્રવાસે આવેલા રશિયાના પુતિન રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પવા ગયા તો થોડી રાહત એ વાતે થઈ કે ગાંધીજી હજી આઉટડેટેડ નથી થયા. આજે પણ ગાંધી રોડ કે ગાંધીબાગની હાજરી લગભગ દરેક શહેરમાં છે. એટલું સારું છે કે માર્ગોનાં કે સ્થળનાં નામ બદલવાની ઝુંબેશમાં ગાંધી નામ અત્યાર સુધી તો બદલાયું નથી, પણ તેનો પ્રભાવ ઓસરે તે માટેનાં પ્રયત્નો થતા રહે છે, એટલે સમય જતાં ગાંધી મૂલ્યો કે અર્થો પણ બદલાય તો તેની તૈયારી પણ રાખવાની રહે. વારુ, જ્યાં ગાંધી છે, ત્યાં સાદગી નામની પણ જોવા મળે છે, પણ તેની સત્ય, અહિંસાની વાતોનો ઝાઝો મહિમા રહ્યો નથી. અહિંસાનો ‘અ’ સત્યની આગળ આવી ગયો છે. ગાંધી, સફાઈનો આદર્શ પણ હતા, તે હવે નેતાઓ પૂરતી સીમિત રહી છે. ઘણાં નેતાઓ પ્રસંગોપાત સાફ થયેલા રસ્તાઓ પર ઝાડું મારી લે છે ને એમ ગંદકીને ઊની આંચ નથી આવતી.

થોડા દિવસ પર પાટણના ગાંધીબાગમાંથી દારૂની ખાલી બોટલો ને ગંદકી હાથ લાગવાના સમાચાર હતા, તે પછી સુરતના ગાંધીબાગમાંથી પણ દારૂની ખાલી બોટલો અને ગંદકીના સમાચાર પ્રગટ થયા છે. એ ખરું કે અંગ્રેજોના વખતનો ચોકબજાર વિસ્તારમાં આવેલો ‘રાણીબાગ’ પછી ‘ગાંધીબાગ’ની ઓળખ પામ્યો. એ પછી સુરત આધુનિક થતું ગયું તેમ તેમ ગાંધીજી વધારાના થતા ગયા ને હવે તો બાગની બહાર જ આવી ગયા છે. પ્રસંગોપાત નેતાઓ સૂતરની આંટી ચડાવવા આવે છે, ત્યારે ગાંધીજીને વધુ ‘આંટી ચડે’ છે. એ સિવાય ગાંધીજીએ લાકડીને ટેકે ટકી રહેવા સિવાય બીજો ઈલાજ નથી. આમ તો નામ પૂરતી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ દારૂ વગરનો વિસ્તાર ભાગ્યે જ ક્યાંક હશે. ગાંધીનું મળવું દુર્લભ હશે, પણ દારૂ મળવો દુર્લભ નથી.

ગાંધી કદાચ રમૂજનું, મજાકનું નિમિત્ત હોય એમ બને.

આમ તો ગાંધીબાગ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની દેખરેખ હેઠળ આવે, એટલે જ કદાચ તે અસામાજિકોનો અડ્ડો બની ગયો હશે. 20,000 સ્ક્વેરમીટરમાં ફેલાયેલો બાગ અત્યારે તો કપાઈ કપાઈને અડધો થઈ ગયો છે. સિક્યોરિટી ગાર્ડ હોય, તો પણ તેની હાજરી બહુ વર્તાતી નથી. એક સમયે શહેરીજનોનાં હરવાફરવાનું એ આકર્ષક કેન્દ્ર હતું. અહીં જ દર રવિવારે પોલીસ બેન્ડ વાગતું. નર્મદની પ્રતિમા પાસે 24 ઓગસ્ટને રોજ મેયર સહિત સાહિત્યકારો નર્મદને પુષ્પાંજલિ અર્પણ કરતાં. 1940માં નર્મદની પ્રતિમાનું કનૈયાલાલ મુનશીએ અનાવરણ કરેલું અને અદ્દભુત પ્રવચન આપેલું. તે પછી વર્ષો સુધી નર્મદ જયંતીએ શાળાનાં બાળકો નર્મદ ગીતો ગાતાં … એ બહુ દૂરનો ભૂતકાળ નથી. નર્મદથી માંડીને શહેરનાં કવિઓની પંક્તિઓથી બાગ શોભતો ને બાળકોથી કિલ્લોલતો …

એ હવે ભેંકાર ભાસે છે. મેટ્રોએ તેને બાનમાં લીધો છે ને દિવસે પણ ત્યાં જવાનું મન થાય એવું વાતાવરણ નથી. એનો લાભ અસામાજિકોએ લીધો છે. કેટલાંક તત્ત્વોએ ગાંધી અને દારૂ વચ્ચે છેટું રહેવા દીધું નથી. ગાંધીની સફાઈની વાતો પર અહીં ગંદકી ફરી વળી છે. એ તો હવે 2 ઓક્ટોબરે મેયર કે અન્ય નેતાઓ આંટી ચડાવવા ગાંધી પાસે ફરકે ને ત્યારે સફાઈ થાય તો થાય ! ન થાય ત્યાં સુધી ગાંધીએ અને બાગે કચરા અને પ્રદૂષણ વચ્ચે રહેવાનું નક્કી છે. આમ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને બાગની જાળવણી કરવાની છે, પણ તેના પદાધિકારીઓ પોતાની જાળવણીમાં ને એવોર્ડ્સ સમેટવામાં વ્યસ્ત હોય તો ગાંધીએ જ બાગની જાળવણી કરવાની રહે ને હવે ગાંધી જ આઉટ ડેટેડ મનાતા હોય, તો બાગ કેટલોક તાજગીપૂર્ણ રહે?

બાગ વાસી થયો હોય તો પણ તે વિકાસશીલ છે. તેમાં દારૂની બોટલો ઉપરાંત હવે ડ્રગ્સની સિરિંજ પણ મળી આવે છે. એ પરથી સમજી શકાય એમ છે કે બાગ હવે કેવા લોકોના હાથમાં છે. બાગની મુલાકાતે હવે ઓછા જ જાય છે, પણ જે જાય છે તે એવા આક્ષેપો કરે છે કે સાંજ થતાંની સાથે જ બાગમાં અસામાજિક તત્ત્વો વધવા માંડે છે ને પછી દારૂ અને નશીલા પદાર્થોનું સેવન થાય છે. પાલિકા તેનું ‘બાલિકા’પણું નહીં છોડે તો આવનારા સમયમાં ગાંધીબાગ નહીં, પણ ‘ગાંધી, ભાગ !’ એવું સંભળાય એમ બને. ગાંધીબાગમાં પાલિકા તંત્ર અને પોલીસ જડબેસલાક રીતે સક્રિય નહિ થાય તો આગળ જતાં તે તેનું રહ્યું સહ્યું ગૌરવ પણ ગુમાવશે. અત્યારે પણ તે હાથથી ગયો જ છે, તે સાથે જ અઠવા લાઈન્સની ચોપાટી પણ તૂટીફૂટીને વિખેરાઈ ગઈ છે. તે મેટ્રો સ્ટેશન તરીકે ડેવલપ થાય તે સાથે જ કમર્શિયલ સેન્ટર બનવાનું જોખમ પણ છે જ ! એ જે હોય તે, પણ તે હવે ચોપાટી તરીકે નહીં દેખાય એમ લાગે છે. કોર્પોરેશન ગાંધીબાગ જેવા માટે ઉદાસીન છે, તો ચોપાટી માટે ધંધાદારી વલણ ધરાવે છે. આ બંનેમાં સામાન્ય નાગરિકો માટેનાં આનંદપ્રમોદનાં બે મુખ્ય મથકો લગભગ મટી ગયાં છે.

ગુજરાતના ડેપ્યુટી સી.એમ. સુરતના છે ને દારૂ અને ડ્રગ્સને મુદ્દે પોલીસની કામગીરીની સરાહના કરતા કહેતા રહે છે. તાજેતરમાં જ તેમણે સૌથી વધુ ડ્રગ્સ પોલીસે ગુજરાતમાં પકડ્યું છે એવું વડગામમાં કહ્યું છે. ડેપ્યુટી સી.એમ.ને પોલીસ આટલી સજાગ લાગે તેનો આનંદ જ હોય, પણ સૌથી વધુ ડ્રગ્સ ગુજરાત પોલીસે પકડ્યું હોય તો સવાલ એ થાય કે આટલું બધું ડ્રગ્સ ગુજરાતમાં ઊતરે છે કોની મહેરબાનીથી? એટલું સારું છે કે ડેપ્યુટી સી.એમ.ને પોલીસ પર ભરોસો છે ને તે અવિરત કામગીરી કરે છે ને કરશે એવો તેમનો વિશ્વાસ પણ અવિરત ટકે તેમ ધારીએ, તે સાથે જ ડેપ્યુટી સી.એમ. અંગત રસ લઈને ગાંધીબાગની તળિયાઝાટક સફાઈ કરાવે તે પણ ઇચ્છીએ. બાય ધ વે, તંત્રોની વાત નીકળી જ છે તો જરા આડ વાત કરીને પણ, એક વાત લાગતા વળગતાઓનાં ધ્યાન પર લાવવાનું જરૂરી લાગે છે.

કોર્પોરેશન દારૂના અડ્ડા તો પકડે કે ન પકડે, પણ વરાછાના ધારાસભ્યની દબાણ હટાવ ફરિયાદને માન આપીને તેણે કામગીરી હાથ ધરી છે. જો કે, ધારાસભ્યે તો ગેરકાયદે પ્રવૃત્તિઓ અને માથાભારે દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવા પત્ર લખ્યો હતો, પણ સુરતના વરાછા વિસ્તારમાં રસ્તા પર શાકભાજી વેચતી વૃદ્ધ મહિલાઓને શનિવારે બળજબરીએ હટાવવાનું કામ શરૂ થયું. લારીઓ ખસેડાઈ. શાકભાજી, લીંબુ રસ્તે ફેંકાયાં અને રડતી મહિલાઓ ધારાસભ્ય પાસે પહોંચી. મહિલાઓનો આક્રોશ જોઈ ધારાસભ્યે સ્પષ્ટ કર્યું કે એક સમસ્યા ઉકેલવા જતાં કોઈને અન્યાય ન થવો જોઈએ. વૃદ્ધાઓનું કહેવું હતું કે અમે કોઈને નડતાં નથી, અમે દારૂ વેચતાં નથી. અમારી પાસેથી કંઇ મળતું નથી, તો અમારો સામાન ઉઠાવી જાય છે. અમે માંડ સો પચાસ રૂપિયા કમાઈએ છીએ, તે અમારો વાંક છે?

વૃદ્ધાઓની કરમની કઠણાઈ તો ત્યાં આવી કે તેમણે અધિકારીઓની ઉદ્ધતાઈનો સામનો કરવાનો આવ્યો. એક વૃદ્ધાએ પોતાનો સામાન છોડાવવા સાહેબને હાથ જોડીને કહ્યું કે હું તમારી માની ઉંમરની છું. મારી લાચારી સમજો, તો સાહેબે કહ્યું કે મારા બાપને એક તો છે, બીજી બાયડીની જરૂર નથી. નિર્લજ્જતાની આ અવધિ છે. તંત્રોની આટલી બેશરમી અને નાલાયકી અસહ્ય છે. તંત્રોની કામગીરીને વખાણતા મંત્રીશ્રી આ મામલે ધ્યાન આપે એવી સહેજે અપેક્ષા રહે. પેલી વૃદ્ધાએ કહ્યું તેમ પોતે સાહેબની માની ઉંમરની છે. માની ઉંમરની-નો અર્થ મા નહીં, એટલી સમજ તો અધિકારી પાસેથી અપેક્ષિત હોય. એટલી સમજ ન દાખવે તો ધૂળ નાખી, પણ સાહેબને કોઈ અધિકાર નથી પહોંચતો કે તે એમ કહે કે મારા બાપની એક બાયડી છે જ, બીજીની જરૂર નથી. વૃદ્ધા બાપની બાયડી બનવા નહોતી ગઈ. માની ઉંમરની પોતાને ગણાવી, ત્યારે અપેક્ષા તો તેની એટલી જ હતી કે તેની ઉંમરની મર્યાદા સચવાય, તેને બદલે સાહેબે સાવ હીન કક્ષાની વાત કરીને પેલી 60-65ની વૃદ્ધાનું જાહેરમાં અપમાન કર્યું. એક તરફ સિનિયર્સને માન-સન્માન આપવાની વાતો ચાલે છે, મહિલા સશક્તીકરણના ગરબા લેવાય છે ને બીજી તરફ અધિકારીઓ વૃદ્ધ સ્ત્રીઓને પૂરી નાલાયકીથી અપમાનિત કરે છે તે દુ:ખદ છે.

ગાંધીબાગની જેમ જ ગાંધી મૂલ્યોનો પણ હ્રાસ થઇ રહ્યો છે, તેનો આ જીવતો જાગતો પુરાવો છે, એવું નથી લાગતું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 ડિસેમ્બર 2025

Loading

8 December 2025 Vipool Kalyani
← વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
ભૂખ →

Search by

Opinion

  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved