Opinion Magazine
Number of visits: 9449065
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગદ્યસ્વામીના પુન:પ્રકાશનનો આનંદોત્સવ 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|4 September 2023

 પુસ્તક પરિચય 

નવજીવન પ્રકાશન દ્વારા સ્વામી આનંદના પાંચ પુસ્તકોની આવૃત્તિ

‘સાધુ એટલે દો રોટી, એક લંગોટીનો હકદાર’ એવા સનાતન સત્ય સમી ચોટડુક વ્યાખ્યા આપનાર ગુજરાતી ભાષાના અજોડ ગદ્યકાર અને નોખા સંન્યાસી તે સ્વામી આનંદ (1887-1976).

ગાંધીજી પાસે ‘માગણી’ કરીને આત્મકથા લખાવનાર આ ગદ્યસ્વામીનાં પાંચ પુસ્તકો ઘણાં વર્ષે તાજેતરમાં ‘નવજીવને’ સમર્પક સમારંભ સાથે ફરીથી પ્રકાશિત કર્યાં તે આપણા સાહિત્યમાં આનંદોત્સવ ગણાય.

સ્વામી આનંદ ‘નવજીવનના પાયાના પથ્થર સમા’ હતા. તેમણે ગાંધીજીની પત્રિકાનું કામ ચીવટ અને નિષ્ઠાપૂર્વક સંભાળ્યું હતું. નવજીવન પ્રકાશન અત્યારે સ્વામીનાં પુસ્તકોનું પુન:પ્રકાશન એમની રુચિ અને એમના આગ્રહને નજર સમક્ષ રાખીને’ કરે તે ઋણની અદાયગી ગણાય.

સ્વામી દાદાનાં પચીસ જેટલાં પુસ્તકોમાંથી સાઠેક વર્ષ પછી, પહેલી વાર, તેના મૂળ ઘાટ-આકારમાં ‘નવજીવને’ પ્રગટ કરેલાં આ પુસ્તકો છે : ‘અનંતકળા’, ‘કુળકથાઓ’, ‘મોતને હંફાવનારા’, ‘ધરતીનું લૂણ’ અને ‘નઘરોળ’.

માત્ર સ્વામી જ સાધી શકે તેવી કેટલી ય ભાષાઓ-બોલીઓના અબિલ-ગુલાલ ઉછળતી શૈલી, જગજુદા વિષયો અને વ્યાપક જીવનદર્શનથી ઝળાહળાં કરી દેનાર આ હિમાલય પરિવ્રાજક સર્જકના સાહિત્યવૈભવની ઘણી  લાક્ષણિકતાઓની ઉપરોક્ત પાંચ પુસ્તકોમાં ઝલક મળે છે.

સ્વામી દાદાનું જીવન પણ અફલાતૂન, હરફનમૌલા. સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામે જન્મ, મુંબઈના ગિરગામમાં ઉછેર. બાર વર્ષની ઉંમરે ‘ચાલ બચ્ચા તને ભગવાન દેખાડું’ કહેનાર સાધુની પાછળ ચાલી નીકળ્યા. એકાદ દાયકાથી વધુ સમય ‘સારા-નરસા સાધુબાવાઓ’ની સાથે રખડ્યા’.

પહેલાં રામકૃષ્ણ મિશન અને પછી ગાંધીજીના પ્રભાવ હેઠળ આવ્યા. ગંધીકાર્યના ભાગરૂપે ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’ ખાંખતથી ચલાવ્યાં. ચળવળોમાં જોડાયા, રચનાત્મક કાર્યક્રમોમાં કામગીરી બજાવી.

‘ઉંમર આખી કંઈને કંઈ આછુંપાતળું લખ્યું, પણ ગ્રંથસ્થ થવા ન દીધું.’ આખરે ‘મનનું ગાણું ગાવાની સ્ફુરણા’ અને ‘વગર મૂડીના વૅપલા’ સમાં પોતાના લખાણોને, જીવનના છેલ્લા દાયકે મનની કંઈક એકાકી અને વિકળ અવસ્થામાં સન્મિત્રોના આગ્રહથી, મુદ્રણ અને નિર્માણની પોતાની શરતોએ સંમતિ આપી. એ શરતો પુન: પ્રકાશનમાં એકંદરે જળવાઈ છે જે પ્રશંસનીય છે.

‘અનંતકળા(1967)ની સામગ્રીને લેખકે ‘ચિંતન નિરીક્ષણ વિષયક લેખો’ કહ્યા છે. તેમાં ‘કિરતારની કળા’ અર્થાત ઇશ્વરના સર્જનનું ગાન છે. સમાજસેવા, દેશભક્તિ અને શરીશ્રમ ઓવારણાં છે. ડૉ. વ્રજલાલ મેઘાણી અને નાનાભાઈ ભટ્ટનાં પુસ્તકોનો દીર્ઘ પરિચય છે. સ્વામીએ પુસ્તક ‘ગુરુવર્ય નાનાભાઈને’ અર્પણ કર્યું છે. ‘રાત વીતી’માં શંકરાચાર્ય અને ‘હિંદુ સંસ્કૃતિનો પાયો?’માં વેદો વિશેનો ટીકાત્મક, રૅડીકલ દૃષ્ટિકોણ છે. ‘ગુરુસંસ્થા અને ભક્તિ’ને પણ તેઓ જુદા નજરિયાથી મૂલવે છે.

‘કુળકથાઓ’(1966)ઓમાં કચ્છ-કાઠિયાવાડથી મુંબઈમાં વસીને તેના વેપારવણજ દ્વારા શહેરના વિકાસમાં ફાળો આપનાર કર્તૃત્વશાળી ભાટિયા ઘરાણાંનાં સ્ત્રી-પુરુષોના શબ્દચિત્રો છે. તેમાં તેમની બાળપણની સાંભરણોનો કૃતજ્ઞતાપૂર્ણ સમાવેશ છે.

‘રાણી વિક્ટોરિયાની બોન’ સમાં જાજરમાન શ્રેષ્ઠીપત્ની ધનીમા અને ચીનાબાગના તેમના આવાસનો ‘દેવતાઈ ઘોડો મનાતો’ મોરુના શબ્દચિત્રો ગુજરાતી ભાષાનાં ઘરેણાં છે.

એવું જ ‘ધરતીનું લૂણ’ના શબ્દચિત્રોનું છે. અહીં ‘અંજલિઓ’ તરીકે લખાયેલા ચૌદ નાનામોટા ચરિત્રલેખો છે. સંગ્રહનો મોટા હિસ્સામાં લેખકે પુસ્તક જેને અર્પણ કર્યું છે તે ‘મહાદેવથી મોટેરા’ છોટુભાઈ દેસાઈ વ્યાપેલા છે.

ગાંધીજીના સચિવ મહાદેવાભાઈથી થોડા મોટેરા છોટુભાઈ રેલવે અધિકારી અને સમાજસેવક હતા. લેખકે અત્યંત રસાળ શૈલીમાં તેમના નીડર, સેવાપરાયણ, શક્તિશાળી, યુક્તિબાજ વ્યક્તિત્વને આલેખ્યું છે. એમના જ કુળના ‘મૉનજી રુદર’ અને તેમના પત્ની ભીખીબાઈ. તેમણે પોતાની વિધવા દીકરીના પુનર્લગ્ન કરાવ્યા. એટલે નાતીલાઓએ તેમનો સખત બહિષ્કાર કર્યો જેનો દંપતીએ  ગજબના ધૈર્ય અને ધીરજથી સામનો કર્યો.

‘ઝાકળ જેવા અણદીઠ’માં સૂરતના સાધુચરિત સજ્જન નંદલાલ મહેતા છે. બે ભાગના ‘મૂંગુ બળમાં’ ગર્ભશ્રીમંત નબીરા ચંદુભાઈ નાણાવટીના કલ્પનાતીત પ્રામાણિકતાભર્યા વ્ય્કતિગત તેમ જ વ્યાવસાયિક જીવનનો આલેખ મળે છે.

ચિત્રવિચિત્ર માણસો વિશેના પુસ્તક ‘નઘરોળ’ની ‘ઉગમકથા’માં સ્વામી નઘરોળ શબ્દનો અર્થ લખે છે : ‘ફુવાડિયો, ડટ્ઠર, નીંભર, હાડોહાડનો બેપરવા, નઠોર, રીઢો, અઘોરી, ઑઘરાળો, દીર્ઘસૂત્રી’.

પછી તેઓ ઉમેરે છે : ‘આવા આવા તરેહવાર થોડા નમૂના, જાત અનુભવમાંથી તેમ જ હડફટે ચડેલા તે અહીં સંઘર્યા છે.’ આ ઉપરાંત સમાજમાં રહેલા દંભ-પાખંડ, નઠોરતા, ધર્મજડતાને બતાવતા પાત્રો-પ્રસંગો પણ સ્વામી અહીં સમાવે છે. ‘હીરોશીમાનો હત્યારો?’ નામે બે લેખો કુતૂહલપ્રેરક છે.

‘મૉતને હંફાવનારા’ અંગ્રેજ પર્વતારોહી વિલફ્રિડ નૉઇસના They Survived પર આધારિત છે. સ્વામી લખે છે : ‘આ પુસ્તક મૂળ લેખકે આપેલી કથાઓ તેમ મંતવ્યોમાંથી મહત્ત્વના અંશોની મુક્તપણે કરેલી રજૂઆતોનું છે.’

ભયંકર આપત્તિમાંથી ‘શરીરના ગુણો ઉપરાંત ધૈર્ય, શૌર્ય, સંતુલ, શ્રદ્ધા-પ્રાર્થના, હૈયાસૂઝ વગેરે આંતરિક ગુણોના સુમેળથી’ ઉગરી જનારા દેશવિદેશનાં સ્ત્રી-પુરુષોએ મોતને કેવી રીતે હંફાવ્યું તેની કહાણીઓ અહીં બાર પ્રકરણોમાં છે. બીજાં ત્રણ પ્રકરણો સ્વાનુભવ પર આધારિત છે.

‘પ્રકાશકીય’ નોંધે છે : ‘પોતાનાં પુસ્તકોના પ્રકાશનમાં જોડણી, વિરામચિહ્નો, ટાઇપોગ્રાફી તથા મુદ્રણ માટે સ્વામીના કડક નિયમો હતા. અને તેના પાલનના તેઓ ચુસ્ત આગ્રહી હતા.’ નવજીવને તેમના આગ્રહોને યથાતથ રાખીને પ્રકાશન કર્યું છે તેમાં અપૂર્વ આશરની દૃષ્ટિ છે. રાખોડી રંગનાં આવરણ, તેની પર કથ્થઈ રંગના અક્ષરો અને વિશિષ્ટ કદનાં પુન:મુદ્રણોને મૂળ આવૃત્તિઓ સાથે સરખાવવી આનંદદાયક બને છે.

આવરણ પર ઊપરના ડાબા ખૂણા પરની આકૃતિનો ખુદ સ્વામીએ અર્થ આપ્યો છે : ‘આ  ગ્રંથમાળાનાં મુખપૃષ્ઠો પરની પ્રતીક આકૃતિમાં ચાર નાના ચૉરસ અને એને બાંધતી રેખા વડે  બનતો વચલો ચૉરસ, ચોમેરના મુક્ત આકાશમાંથી આવનારાં હવાપ્રકાશને લઈ પચાવી આત્મસાત કરનારી નરવાઈ સૂચવે છે; અને તેની બહારના ચાર દિશા ચીંધતા ચાર ત્રિકોણ ઈશ્વરદત્ત બક્ષીસો દ્વારા જીવનમાં થતી અનુભૂતિનું ફળ ચારે દિશામાં વસી રહેલી જનતાને અને તેના સરજનહારને અર્ઘ્ય રૂપે પાછું અર્પણ કરવાની મનોવૃત્તિ’. ‘અનંતકળા’ અને ‘કુળકથાઓ’ના આવરણચિત્રો વિશે પણ તેમણે નોંધ લખી છે.

સ્વામીએ વિશ્વવિખ્યાત ચિંતક બર્ટ્રાન્ડ રસેલના અણુશસ્ત્રમુક્તિ વિચારો, અને રેચેલ કાર્સનનાં પર્યાવરણ વિષય પરના ક્રાન્તિકારી આદ્ય પુસ્તક ‘ધ સાઇલન્ટ સ્પ્રિન્ગ’નો સાર ‘માનવતાના વેરી’ પુસ્તકમાં સમાવ્યો છે. તેમણે આઠ અનુવાદ/સંપાદનો પણ આપ્યા છે.

ગીતામાંથી તારવેલાં એકસો આઠ શ્લોકમાંથી ‘બને એટલી સહેલી ભાષામાં’ ‘લોકગીતા’ રચી છે. બાઇબલના કેટલાંક અંશોની તેમણે ‘ઈશુ ભાગવત’ નામે તળપદી કાઠિયાવાડી બોલીમાં કરેલી રજૂઆત તો ઝગઝોળી દેનારી છે. એ નજીકના ભવિષ્યમાં વાંચવા મળશે.

પ્રકાશકે ‘આ પહેલાં તબક્કામાં’ પ્રસિદ્ધ કરેલાં પુસ્તકોનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે : ‘અન્ય પુસ્તકો, સંપાદનો અને ગ્રન્થાવલી વગેરે સાહિત્ય હવે પછી ક્રમશ: પ્રગટ થશે.’ વળી ‘નવજીવને’ એ પણ લખ્યું છે કે : ‘એ જીવનમરમી સ્વામીના આશીર્વાદ આ પ્રકાશન પર ઊતરો એવી પ્રાર્થના’. એ આશીર્વાદ ઊતરશે.

‌‌‌‌‌‌–‌‌‌‌‌‌‌‌———

પ્રાપ્તિસ્થાનો : 

●‘હૃદયકુંજ’ પુસ્તક ભંડાર, નવજીવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ. સંપર્ક : 079-27540635 અને 27540635. ઉપરોક્ત દરેક પુસ્તકની કિંમત રૂ. 200/-, અને અહીં 15 સપ્ટેમ્બર 2023 સુધી દરેક પુસ્તક પર 20% વળતર.

● ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ, ફોન 079-26587949 અને 9898762263  

પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 03 સપ્ટેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

4 September 2023 Vipool Kalyani
← ‘એક યાત્રા બે વૃત્તાંત’: સ્વામી આનંદ અને કાકાસાહેબનાં હિમાલયનો પ્રવાસ એક સાથે …
‘વન નેશન, વન ઇલેક્શન’…નો હેતુ ‘વન નેશન, વન સિલેક્શન’નો તો નથીને? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved