Opinion Magazine
Number of visits: 9446623
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક નજર ૧૯મી સદીની એક વિશિષ્ટ ઘટના પર

દીપક મહેતા|Opinion - Literature|7 March 2024

આંતરરાષ્ટ્રીય નારી દિવસ નિમિત્તે 

૧૮૫૭ની ત્રીજી મહત્ત્વની ઘટના : ‘સ્ત્રીબોધ’ માસિક

દીપક મહેતા

૧૮૫૭ના વર્ષની ત્રણ યાદગાર ઘટનાઓ કઈ? ઘણાખરાને પહેલી ઘટના તો તરત યાદ આવશે : અંગ્રેજો જેને સિપાઈઓનો બળવો કહેતા અને આપણે જેને આપણા દેશનું પહેલું સ્વાતંત્ર્ય યુદ્ધ કહીએ છીએ તેની શરૂઆત ૧૮૫૭ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે થયેલી. જેઓ કેળવણી સાથે સંકળાયેલા હશે તેમને બીજી ઘટના પણ યાદ આવશે. ૧૮૫૭ના વર્ષમાં હિન્દુસ્તાનમાં પહેલી ત્રણ યુનિવર્સિટી – યુનિવર્સિટી ઓફ બોમ્બે, યુનિવર્સિટી ઓફ કલકત્તા, અને યુનિવર્સિટી ઓફ મદ્રાસની સ્થાપના થયેલી. અને ત્રીજી યાદગાર અને મહત્ત્વની ઘટના? આજે ભાગ્યે જ કોઈને યાદ આવશે કારણ તવારીખમાં, ઇતિહાસની ઝીણી વિગતોમાં આપણને બહુ ઓછો રસ છે. અને એમાં ય જો એ ઘટના સ્ત્રીઓ સાથે સંકળાયેલી હોય તો? તો તો એને ધક્કેલી દો હાંસિયામાં કે નાખી દો ફૂટ નોટમાં!

ત્રીજી ઘટના તે એ કે ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે આપણા દેશની બધી જ ભાષાઓમાં સૌથી પહેલું સ્ત્રીઓ માટેનું માસિક પ્રગટ થયું. અને એ પ્રગટ થયું હતું આપણી ગુજરાતી ભાષામાં, મુંબઈથી. એ માસિકનું નામ ‘સ્ત્રીબોધ’. બીજાં અનેક ક્ષેત્રોમાં પહેલ કરનાર પારસીઓએ આ પહેલ પણ કરેલી. સમાજ સુધારાની પ્રવૃત્તિ શરૂઆતમાં મુખ્યત્વે પુરુષો પૂરતી જ મર્યાદિત રહી હતી. પણ પારસી સમાજ સુધારકોના ધ્યાનમાં એ વાત ઝટ આવી ગઈ કે આ પ્રવૃત્તિમાં સ્ત્રીઓને ભાગીદાર નહિ બનાવીએ તો સુધારો ઊંડાં મૂળ નાખી નહિ શકે. એટલે તેમણે ખાસ સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને પુસ્તકો લખ્યાં અને આ ‘સ્ત્રીબોધ’ જેવું માસિક શરૂ કર્યું. આ માસિક શરૂ કરવા માટે પહેલાં તો એક મંડળી સ્થાપી. તેના સભ્યો હતા ડોસાભાઈ ફરામજી કામાજી, ખુરશેદજી નસરવાનજી કામાજી, સોરાબજી શાપુરજી બંગાળી અને બેહરામજી ખરશેદજી ગાંધી. પહેલા સેક્રેટરી જાંગીરજી બરજોરજી વાચ્છા અને પછી જજ નાનાભાઈ હરિદાસ. હા, બધ્ધા પુરુષો. સ્ત્રી એક પણ નહિ.

પણ જરા વિચાર કરો : એ વખતે આપણા દેશમાં માંડ એક ટકો સ્ત્રીઓ વાંચી-લખી શકતી. દેશમાં નહોતી વીજળી આવી, વાહન વહેવાર અને સંદેશ વ્યવહારનાં સાધનો બહુ જ ટાંચાં. એવે વખતે સ્ત્રીઓ માટેનું માસિક? નફાનો તો સવાલ જ નહોતો, પણ ખોટ જાય એ કેમ કરી પૂરવી? ડોસાભાઈ ફરામજી કામાજીએ કહ્યું કે ખોટની ચિંતા ન કરો. આ ચોપાનિયું ચલાવવા માટે પહેલાં બે વર્ષ હું દર વર્ષે ૧,૨૦૦ રૂપિયા આપીશ. ૧૮૫૭ના બાર સો એટલે આજના નહિ નહિ તો ય બાર લાખ. અને ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે પહેલો અંક બહાર પડ્યો. તેમાં લખાણનાં વીસ પાનાં. કેટલાંક લખાણો સચિત્ર – એ વખતે ચિત્રો લંડનમાં છપાવવાં પડતાં હતાં છતાં. તે ચિત્રો કાગળની એક જ બાજુ છાપેલાં છે અને એ પાનાંનો કુલ પાનાંની ગણતરીમાં સમાવેશ કર્યો નથી. બને તેટલી વધુ સ્ત્રીઓ સુધી પહોંચી શકે એ હેતુથી વરસના બાર અંકનું લવાજમ રાખ્યું હતું માત્ર એક રૂપિયો! પહેલા અંકની ૧,૧૦૦ નકલ છાપીને મફત મોકલેલી. સાથે જણાવેલું કે જો લવાજમ ભરવા ન ચાહતા હો તો આ નકલ પાછી મોકલવી. જે લોકો પાછી નહિ મોકલે તેમને ગ્રાહક ગણી લેવામાં આવશે અને તેમણે લવાજમનો એક રૂપિયો મોકલી આપવો. લવાજમ બીજા અંકથી શરૂ થયેલું ગણાશે.

પહેલા અંકના દિબાચામાં લખ્યું છે : “એ ચોપાંનીઊં વાંચનારીઓને લાએકનું તથા દીલપશંદ કરવા શારૂ તેમાં ગનાનનો વધારો કરનારી તથા નીરદોશ રમૂજ આપનારી બાબદો શાદી એબારતમાં અને કવેતોમાં લખવામાં આવશે અને તે બીના વધારે શારી પઠે શમજ પડવા શારૂં તેમની શાથે કેટલાએક અછા ચિતારો દર વેલા એ ચોપાંનીઆમાં દાખલ કરવામાં આવશે. અને તે શોભઈતું તથા શદગુણોનું વધારનારૂં કરવાને મેહનતની કશી ક્શુર કરવામાં આવશે નહીં.” (અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે.)

આ પહેલા અંકમાં શું શું હતું? સૌથી પહેલાં બે પાનાંનો દિબાચો. પછી પાંચ પાનાંનો લેખ (સરળતા ખાતર બધે જોડણી બદલી છે) મા દીકરાની અરસપરસની ફરજો. પહેલા જ અંકથી એક લેખમાળા શરૂ થઈ હતી : લાયકીવાળી ઓરત. જેમાં જાણીતી સ્ત્રીઓનો પરિચય અપાતો. પહેલા અંકના લેખમાં રાણી વિક્ટોરિયાનો પરિચય લગભગ ત્રણ પાનાંમાં આપ્યો છે. ઉપરાંત એક પાનાનું તેમનું રેખાંકન પણ મૂક્યું છે. પછી એક કથા છાપી છે, મારા દોસ્તારની બાયડી. પછીનો લેખ છે માહોમાહેના ફિસાદથી થતી ખરાબી : પંજાબનું રાજ. તેની સાથે મહારાજા દુલિપસિંહનું એક પાનાનું રેખાંકન છાપ્યું છે. પછીનો લેખ છે રેતીનાં રણ, અને તેની સાથે પણ એક પાનાનું રેખાંકન છાપ્યું છે. પછી પરચૂરણ બીનાઓ એવા મથાળા નીચે ઉપદેશાત્મક ફકરાઓ છાપ્યા છે. કોઈ લેખ સાથે તેના લેખકનું નામ છાપ્યું નથી, પણ એ જમાનામાં ઘણાંખરાં સામયિકો તેમ કરતાં. છેલ્લે કવિ દલપતરામે ‘સ્ત્રીબોધ’ માટે ખાસ લખેલા ગરબા/ગરબી છાપ્યાં છે. તેમાંની પહેલી કૃતિમાં મુંબઈ શહેર અને તેના વિકાસમાં પારસીઓએ આપેલ ફાળાની પ્રશંસા કરી છે અને પારસીઓ માટે કહ્યું છે : “એ તો હેમ જડેલા હીરા છે.”

પહેલા વર્ષના છેલ્લા અંકમાં ‘સ્ત્રીબોધ’ની વાર્ષિક આવક-જાવકનો હિસાબ છાપ્યો છે તે પણ રસપ્રદ છે. વરસના બાર અંકના રૂપિયા એક લેખે લવાજમની આવક ૧,૧૯૭ રૂપિયા. એક જરથોસ્તી ગૃહસ્થ પાસેથી મળેલા દાનના રૂપિયા ૧,૨૦૦. સાથે નોંધ છાપી છે કે ૧૮૫૮ના વર્ષ માટેના ૧,૨૦૦ રૂપિયા પણ મળી ચૂક્યા છે. ૧,૨૦૦ના દાનમાંથી ખર્ચ કાઢતાં વધેલી રકમના અડધા ટકાના વ્યાજના દરે આવક ૬૫ રૂપિયા ૪ આના ૧૦ પાઈ. (એ વખતે દેશમાં રૂપિયા, આના, પાઈનું ચલણ અસ્તિત્વમાં હતું.) એટલી આવકની સામે ખર્ચ : ૧૨ અંકની છપામણીનો ખર્ચ ૭૧૦ રૂપિયા ૮ આના ૯ પાઈ. ૧૫૮ રૂપિયા ચિત્રો તૈયાર કરાવવાના તથા તેની છપામણીના. બાર અંક માટે કાગળ ખરીદવાના ૭૬૮ રૂપિયા ૪ પાઈ. ૬૨ રૂપિયા અખબારો, સામયિકો અને પુસ્તકોની ખરીદીના. ગરબીઓ લખવા માટેનો પુરસ્કાર (કવિ દલપતરામને) ૨૫ રૂપિયા. (બીજા કોઈ લેખકને પુરસ્કાર અપાયો નહોતો.) વહેંચણી, ઉઘરાણી વગેરે કામ કરવા માટે રાખેલા માણસનો પગાર (એક વરસનો) ૧૯૬ રૂપિયા. “માસ નવેમબર તથા ડીશેમબરના ચોપાનીઆ લખનારનો પગાર” ૬૦ રૂપિયા. જાહેર ખબર છપામણીના ૧૮ રૂપિયા. ટપાલ ખર્ચ ૧૦ રૂપિયા ૧૦ આના, અને પરચૂરણ ખર્ચ ૪ રૂપિયા ૧૦ આના. કુલ ખર્ચ ૨,૦૨૨ રૂપિયા ૧૩ આના ૧ પાઈ. વર્ષને અંતે ૪૩૯ રૂપિયા ૧૨ આના ૮ પાઈની ઉઘરાણીની રકમ બાકી નીકળતી હતી તેની વિગતો પણ આપી છે.

પહેલાં બે વરસ તો આ રીતે ગાડું ગબડ્યું. પણ ત્રીજા વરસથી ૧,૨૦૦ રૂપિયાનું દાન મળવાનું નહોતું. અને તે વગર માસિક ચાલી શકે તેમ હતું નહિ. પહેલા અંકથી જ ‘સ્ત્રીબોધ’ મુંબઈના દફતર આશકારા પ્રેસમાં છપાતું હતું. તેના માલિકો બહેરામજી ફરદુનજીની કંપનીને ‘સ્ત્રીબોધ’ સોંપી (વેચી નહિ) દેવામાં આવ્યું. આ દફતર આશકારા પ્રેસ એટલે માત્ર ગુજરાતી છાપકામ કરતા પહેલવહેલા પ્રેસની ૧૮૧૨માં મુંબઈમાં સ્થાપના કરનાર ફરદુનજી મર્ઝબાનજીના ત્રણ દીકરાઓનું ૧૮૪૧માં શરૂ થયેલું છાપખાનું. તેની શરૂઆત તો નાને પાયે થઈ હતી, પણ વખત જતાં તે મુંબઈનું એક અગ્રણી છાપખાનું બન્યું હતું.

‘સ્ત્રીબોધ’ના પહેલા તંત્રી બેહરામજી ખરશેદજી ગાંધી. પછી થોડા થોડા વખત માટે સોરાબજી શાપુરજી બંગાળી, જાંગીરજી બરજોરજી વાચ્છા, જજ નાનાભાઈ હરિદાસ, કરસનદાસ મૂળજી, નાનાભાઈ રૂસ્તમજી રાણીના તંત્રી બન્યા. પણ ‘સ્ત્રીબોધ’ને એક આગવું સામયિક બનાવ્યું તે તો કેખુશરૂ કાબરાજી(૧૮૪૨-૧૯૦૪)એ. ૧૮૬૩થી જિંદગીના અંત સુધી (વચમાં થોડાં વર્ષો બાદ કરતાં) તેઓ ‘સ્ત્રીબોધ’ના તંત્રી રહ્યા. ૧૯૦૩માં તેમણે દફતર આશકારા પાસેથી ‘સ્ત્રીબોધ’ ખરીદી લીધું. કાબરાજીના અવસાન પછી તેમનાં દીકરી શિરીન, તેમના પછી પુત્રવધૂ પૂતળીબાઈ, અને પૂતળીબાઈના અવસાન પછી તેમનાં દીકરી જરબાનુ તંત્રી બન્યાં.

કેખુશરૂ કાબરાજી એટલે એ જમાનાના એક અગ્રણી નાટ્યલેખક અને નવલકથાકાર. પારસી રંગભૂમિ પર સક્રિય, સમાજ સુધારાના ટેકેદાર, હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણકાર. અલબત્ત, તેમની ઘણીખરી કૃતિઓ મૌલિક નહિ, પણ અંગ્રેજી કૃતિઓનાં રૂપાંતર રૂપ હતી. પણ પારસી કે હિંદુ સમાજના પરિવેશમાં તેઓ એવી સિફતથી રૂપાંતર કરતા કે સામાન્ય વાચકને તો આ રૂપાંતર છે એવો ખ્યાલ પણ ન આવે. કાબરાજીનું પહેલું નાટક શેરના સવાશેર ૧૮૬૩માં ‘સ્ત્રીબોધ’માં પ્રગટ થયું અને છેલ્લું નાટક ધીરજનું ધન ૧૮૭૧માં. પણ ઐતિહાસિક દૃષ્ટિએ તેમનાં નાટકો કરતાં પણ તેમની નવલકથાઓ વધુ મહત્ત્વ ધરાવે છે. કારણ એ નવલકથાઓ દ્વારા કાબરાજીએ ગુજરાતી સામયિકમાં ધારાવાહિક નવલકથા છાપવાની પહેલ કરી. તેમની પહેલી નવલકથા ભોલો દોલો (૧૨૦ પ્રકરણ) ઓગસ્ટ ૧૮૭૧થી ડિસેમ્બર ૧૮૭૩ દરમ્યાન ‘સ્ત્રીબોધ’માં પ્રગટ થઈ હતી. તે આપણી ભલે રૂપાંતરિત, પણ પહેલી ધારાવાહિક નવલકથા. ત્યાર બાદ પરણવું કે નહિ પરણવું, આગલા વખતની બાયડીઓ અને હાલના વખતની છોકરીઓ, પાતાલ પાણી ચલાવે, મિજાજી હોસ્નઆરા કેમ ઠેકાણે આવી, પૈસા! પૈસા! પૈસા!, દુખિયારી બચુના દુઃખનાં પહાડ, સોલીને સુધારનાર સુની, ગુમાસ્તાની ગુલી ગરીબ, વેચાયલો વર, ભીખો ભરભરિયો, હોશંગ બાગ, ખોહવાયલી ખટલી, મીઠી મીઠ્ઠી, ચાલીસ હજારનો ચાનજી, અને ખૂનનો બદલો ફાંસી, જેવી નવલકથાઓ ‘સ્ત્રીબોધ’માં હપ્તાવાર પ્રગટ થઈ. છેલ્લી નવલકથા સોલી શેઠની સુનાઈ ૧૯૦૪માં. આમ, ૧૮૬૩થી ૧૯૦૪ સુધી, સતત ૪૧ વર્ષ સુધી ‘સ્ત્રીબોધ’ ધારાવાહિક નવલકથાઓ પ્રગટ કરતું રહ્યું. આજે તો આપણાં સામયિકો અને અખબારોની સાપ્તાહિક પૂર્તિઓ માટે ધારાવાહિક નવલકથા એક અનિવાર્ય અંગ બની ગઈ છે. પણ આ દિશામાં ‘સ્ત્રીબોધ’ દ્વારા પહેલ કરી હતી કેખુશરૂ કાબરાજીએ.

કાબરાજીની જેમ તેમનાં પુત્રવધૂ પૂતળીબાઈ કાબરાજીએ પણ તંત્રી તરીકે લાંબો વખત ‘સ્ત્રીબોધ’ને સંભાળ્યું. ૧૯૧૨થી ૧૯૪૨ સુધી તેઓ તેના તંત્રી રહ્યાં, અને તેમણે પણ ‘સ્ત્રીબોધ’ માટે પુષ્કળ લખ્યું, પણ તેમાંનું ભાગ્યે જ કશું પછીથી ગ્રંથસ્થ થયું. પૂતળીબાઈનું ૧૯૪૨માં અવસાન થયું તે પછી તેમનાં દીકરી જરબાનુ તંત્રી બન્યાં. અલબત્ત, પૂતળીબાઈના વખતથી જ કેશવપ્રસાદ છોટાલાલ દેસાઈ જોડિયા તંત્રી બન્યા હતા. પાછલાં વર્ષોના અંકો જોતાં જણાય છે કે એ જમાનાના જાણીતા પ્રકાશક જીવનલાલ અમરશી મહેતા ‘સ્ત્રીબોધ’ના પ્રકાશન સાથે સંકળાયા હતા. કનૈયાલાલ મુનશીનાં શરૂઆતનાં કેટલાંક પુસ્તકો આ પ્રકાશકે પ્રગટ કરેલાં. આ લખનારને ‘સ્ત્રીબોધ’ના ૯૪મા વર્ષના, ૧૯૫૦ના, બાર અંક જોવા મળ્યા છે. તે પછીના અંકો જોવા મળ્યા નથી. જો કે ૧૯૫૦ના ડિસેમ્બર અંકમાં ૧૯૫૧ના લવાજમ વગેરે અંગે જાહેરાત છે, એટલે ૧૯૫૧માં પણ તે ચાલુ રહ્યું હશે. ‘સ્ત્રીબોધ’ ક્યારે બંધ થયું તે કોઈ જાણકાર જણાવશે તો આભાર થશે.

૧૮૫૭માં ‘સ્ત્રીબોધ’ શરૂ થયું ત્યારથી આજ સુધીમાં આપણે કેટલી પ્રગતિ કરી છે? જ્યારે ભણેલી સ્ત્રીઓનું પ્રમાણ માંડ એક ટકો હતું ત્યારે આવું સામયિક શરૂ થયું અને સારી રીતે લાંબુ જીવ્યું. આજે સ્ત્રી-સાક્ષરતાનું પ્રમાણ ૭૧ ટકા જેટલું હોવાનું કહેવાય છે. ત્યારે આપણી ભાષા પાસે સ્ત્રીલક્ષી સામયિકો કેટલાં છે? ‘સ્ત્રીબોધ’ના પહેલા જ અંકથી તેના માસ્ટ હેડ નીચે નેપોલિયન બોનાપાર્ટનું એક વાક્ય છપાતું : “દેશની હાલત સુધારવાની સરવેથી સરસ રીત એ કે માતાઓ જ્ઞાની થાએ તેમ કરવું.” ૧૬૨ વર્ષ પછી આજે પણ આપણે ઠેર ઠેર સૂત્રો લખવાં પડે છે : બેટી પઢાવ, બેટી બચાવ, મુલગી શીકલી, પ્રગતિ ઝાલી. સમાજમાં ખરેખર સ્ત્રી-બોધ થયો છે ખરો?

સંદર્ભ : 

૧. ‘સ્ત્રીબોધ’ની ઉપલબ્ધ ફાઈલો ૧૮૫૭-૧૯૫૦ (તૂટક) 

૨. કાબરાજી સ્મારક ગ્રંથ, ૧૯૦૪ 

૩. ‘સ્ત્રીબોધ’ જુબીલી ગ્રંથ : ‘સ્ત્રીબોધ’ અને સંસાર સુધારો, ૧૯૦૮     

xxx xxx xxx

Email: deepakbmehta@gmail.com

Loading

7 March 2024 Vipool Kalyani
← વિશાલબુદ્ધિ માનવપ્રેમીઓની સહયાત્રા[1]
એક દોર કાઁગ્રેસયુક્ત ભા.જ.પ.નો બીજો દોર રાહુલ ગાંધીની યાત્રાનો →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved