Opinion Magazine
Number of visits: 9446512
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક ઔરત જ્યારે મધર ઇન્ડિયા બને …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 May 2018

મુદ્દઈ લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ

વહી હોતા હૈ જો મંજૂર-એ-ખુદા હોતા હૈ

આમ તો આ મશહુર શેર સઈદ ગુલામ મોહમ્મદ ઉર્ફે મસ્ત કલકત્તવી(૧૮૮૯-૧૯૪૨)નો છે, પણ એ લોકજુબાન પર આવ્યો મહેબૂબ ખાન પ્રોડક્શનની ફિલ્મોથી. મહેબૂબ ખાનની ફિલ્મ શરૂ થાય ત્યારે પરદા ઉપર દાતરડું અને હથોડાનો લોગો ઉભરતો અને પાછળથી સંગીતકાર રફીક ગજનવીના ઘેઘુર અવાજમાં આ શેર બોલાતો. આ રફીક ગજનવી એ જ, જેમણે પહેલીવાર મુબારક બેગમને રેડિયો પર સાંભળ્યા હતા અને ફિલ્મોમાં લઇ આવ્યા. એમનો અવાજ મહેબૂબ ખાન પ્રોડક્શનના દાતરડું અને હથોડામાં એવો 'બેસી' ગયેલો કે બહુ વર્ષો સુધી લોકોને એમ જ લાગેલું કે, આ અવાજ પડછંદ કાયા વાળા સ્ટુડીઓના માલિક મહેબૂબ ખાનનો જ છે. ૧૯૮૩માં અમિતાભ-મનમોહન દેસાઈની 'કુલી' ફિલ્મના અંતિમ ફાઈટ-સીનમાં આ દાતરડા અને હથોડાનો ઉપયોગ કરવામાં આવેલો, જે વર્ગ ચેતનાના સામ્યવાદી આદર્શથી પ્રેરિત છે.

મહેબૂબ ખાને એમની 'રોટી' (૧૯૪૨) ફિલ્મમાંથી આ ટ્રેડ-માર્ક લીધો હતો. 'રોટી' મૂડીવાદીઓ-વિરોધી ફિલ્મ હતી. એ છેલ્લી ફિલ્મ, જે એમણે બીજા પ્રોડક્શન (સાગર નેશનલ સ્ટુડીઓ લિમિટેડ) માટે ડાઈરેક્ટ કરી. એ પછી એમણે મહેબૂબ પ્રોડક્શનની રચના કરી. મહેબૂબ ખાન સામ્યવાદી નહીં, પણ પ્રગતિશીલ વ્યક્તિ હતા. એ ખાસ્સા ધાર્મિક હતા, છતાં મુસ્લિમ સમાજના કુરિવાજો પર અને 'નજમા' અને ત્રણ તલાક પર 'નિકાહ' ફિલ્મ બનાવી હતી, જેનાથી મુલ્લાઓ નારાજ થઇ ગયા હતા. એમની 'ધર્મપુત્ર' ફિલ્મથી હિંદુઓ ખફા થઇ ગયેલા.

બીલીમોરા પાસે એક પોલિસ કોન્સ્ટેબલના ઘરમાં જન્મેલો મહેબૂબ રમઝાન ખાન કેવી રીતે ભણવા-બણવાનું છોડીને એક્ટર બનવા ૧૬ વર્ષની ઉંમરે મુંબઈ ભાગી ગયો, બાપા પકડીને પાછો ગામ લઇ આવ્યા અને ૨૩ વર્ષનો થયો ત્યારે ફરીથી ખિસ્સામાં ખાલી ત્રણ રૂપિયા લઇને (આ વખતે પાછા નહીં આવવા માટે) મુંબઈની ટ્રેનમાં બેસી ગયો અને કેવી રીતે ફિલ્મ સ્ટુડીઓનાં ચક્કર કાપીને ખુદના સ્ટુડીઓ સાથે ધુંઆધાર મહેબૂબ ખાન બન્યો એ એક જુદો જ વિષય છે, પણ મધર્સ ડેના દિવસે મહેબૂબ ખાનની કહાની મધર ઇન્ડિયાની વાત વગર અધૂરી છે.

ફિલ્મ ઇતિહાસકાર અને પત્રકાર બન્ની રૂબેન "ફોલીવુડ ફ્લેશબેક" પુસ્તકમાં લખે છે, "નર્ગિસને અગાઉથી જ એ ખ્યાલ આવી જ ગયો હતો કે, મહેબૂબની મધર ઇન્ડિયા એની કારકિર્દીની અમર ફિલ્મ બની જશે, અને એના લાખો ચાહકો એને કાયમ માટે આ ફિલ્મ માટે યાદ કરશે. એના ભવિષ્યમાં મધર ઇન્ડિયાથી વધીને કોઈ મોટી ફિલ્મ આવવાની ન હતી." જાવેદ અખ્તર (જેમની સંત અને શેતાન પુત્રોની 'દીવાર' મધર ઇન્ડિયાની તર્જ પર જ લખાઈ છે) કહે છે કે, "મધર ઇન્ડિયા તમામ હિન્દી ફિલ્મોની મા છે."

દિલચશ્પ વાત એ છે કે, મધર ઇન્ડિયાનું ટાઈટલ અમેરિકન લેખિકા કેથેરિન માયોના એ જ નામના બહુચર્ચિત પુસ્તક સામેની પ્રતિક્રિયામાંથી આવ્યું હતું. ૧૯૨૭માં માયોએ 'મધર ઇન્ડિયા' પુસ્તકમાં ભારતીય સમાજ, ધર્મ અને સંસ્કૃિતની આકરી ટીકા કરી હતી. માયોએ એમાં સ્ત્રીઓની હાલત, ભારતીયોના રીત-રિવાજ અને આભડછેટ અંગે એટલા તિરસ્કારથી લખ્યું હતું કે ખુદ મહાત્મા ગાંધીએ એને 'ગટર ઇન્સ્પેકટરના રિપોર્ટ' તરીકે ઓળખાવ્યું હતું. એ વખતે શિકાગો ઇવનિંગ પોસ્ટ સમાચાર પત્રના એક ટીકાકારે લખ્યું હતું, "આ પુસ્તક અને દાન્તેના 'ઇન્ફરનો' (૧૪મી સદીના મહાકાવ્ય ડિવાઈન કોમેડીનો પહેલો ભાગ) વચ્ચે જો માનવીય પીડાના સાક્ષાત્કાર માટે સ્પર્ધા થાય તો દાન્તે ઇનામ ગુમાવે."

આ પુસ્તકની પૂરા ભારતમાં એટલી ટીકા થઇ કે (આજે પણ એ પુસ્તક પ્રતિબંધિત છે), ૧૯૫૨માં મહેબૂબ ખાને જ્યારે એ જ નામથી ફિલ્મ બનાવવા માટે ઈમ્પોર્ટ વિભાગ પાસે કાચા મટીરિયલની આયાત કરવા પ્રસ્તાવ રજૂ કર્યો, ત્યારે સરકાર ચોંકી ગઈ અને ફિલ્મને જ મંજૂરી ના મળે તેવી સ્થિતિ ઊભી થઇ. મહેબૂબ ખાને ત્યારે ભારત સરકારના સૂચના મંત્રાલયને બે પાનાંના પત્રમાં લખ્યું હતું, "અમારી ફિલ્મ અને માયોની મધર ઇન્ડિયાને લઈને ઘણી આંટી ઊભી થઇ છે. બંને વિષય બહુ જ અલગ છે અને એકબીજાથી વિપરીત છે. અમે જાણી જોઇને ફિલ્મને મધર ઇન્ડિયા કહી છે જેથી પુસ્તકને આહ્વાન આપી શકીએ અને લોકોના દિમાગમાંથી માયોના બકવાસને બહાર કાઢી શકીએ."

આ વાત થઇ ટાઈટલની. ફિલ્મની વાર્તાની પ્રેરણા અમેરિકન લેખિકા પર્લ એસ. બક(જેમણે દેવ આનંદની ગાઈડની અંગ્રેજી પટકથા લખી હતી)ની 'ગૂડ અર્થ' અને 'ધ મધર' પરથી આવી હતી. 'ગૂડ અર્થ'માં ચીનના પાયમાલ ખેડૂત અને એની દયાળુ પત્નીની કહાની હતી, જે એમની જમીન પ્રત્યેના ભક્તિભાવના પગલે આબાદ થાય છે. ૧૯૩૨માં આ નવલકથાને પુલીત્ઝેર પારિતોષિક મળ્યું હતું. 'ધ મધર' નવલકથામાં દૂરના ગામડામાં રહેતી મુસીબતોની મારી એક સ્ત્રી કેવી રીતે એની પરંપરા અને સામ્યવાદના નવાસવા આદર્શો વચ્ચે સંતુલન કરે છે, તેની વાર્તા હતી. ૧૯૩૭ અને ૧૯૪૦માં આ બંને વાર્તાઓ પરથી હોલીવુડના સર્જક સિડની ફ્રેન્કલીને ફિલ્મો બનાવી હતી.

મહેબૂબનો ત્રીજો પ્રેરણાસ્ત્રોત એમની ખુદની ૧૯૪૦ની ફિલ્મ 'ઔરત' હતી, જે બુનિયાદી રૂપે પર્લ એસ. બકની કથાઓ આધારિત હતી. મધર ઇન્ડિયા એ ઔરતનું નવું સંસ્કરણ. શરૂઆતમાં એનું નામ પણ 'ઔરત' જ રાખવાનો વિચાર હતો, પણ નર્ગિસના કહેવાથી (અને માયોની પેલી ચોપડીની ટીકાથી) એનું ટાઈટલ અંગ્રેજીમાં મધર ઇન્ડિયા રાખવામાં આવ્યું. 'ઔરત'માં પણ કહાની ગરીબ-મજબૂર રાધા(સરદાર અખ્તર, જે પાછળથી મહેબૂબ ખાનની બીજી પત્ની બની હતી)ની આસપાસ ફરતી હતી, જેનો મોટો દીકરો બીરજુ (લાલ યાકુબ) સાહુકારનું ખૂન કરીને એની પુત્રીને પ્રેમમાં ભગાડી જાય.

મધર ઇન્ડિયા કેમ ભારતની લાખો માતાઓનું પ્રતિનિધિત્વ કરે છે તેનું કારણ રાધા(નર્ગિસ)ની અસાધારણ દ્વિધામાં છે: એની પહેલી કશ્મકશ આદર્શ પત્ની તરીકે સાહુકાર સુખીલાલા(કનૈયાલાલ)ને વશ થયા વગર સુહાગની રક્ષા કરવી કે આદર્શ મા બનીને ભૂખ્યાં છોકરાંને કાજે બાંધછોડ કરવી તેની છે. બીજી વારની એની દુવિધા આદર્શ માતા તરીકે દીકરા(બીરજુ)નું રક્ષણ કરવું કે આદર્શ સ્ત્રી બનીને ગામની ઈજ્જત બચાવવી તે છે. બુનિયાદી રીતે આ ફિલ્મમાં ધર્મસંકટ રોમેન્ટિક પત્ની અને ઘરની મોભી માતા વચ્ચે છે. એમાં સ્ત્રી ક્યાં ય નથી. એ અર્થમાં રાધાનું જીવન સ્ત્રીત્વની નહીં (જે નારીવાદી અંદોલનનો કેન્દ્રિય વિચાર છે), માતૃત્વની ગાથા છે. એટલે એનું નામ મધર ઇન્ડિયા છે, વુમન ઇન્ડિયા નહીં.

ફિલ્મ સર્જકો પોતાની જ ફિલ્મો ફરીથી બનાવે એ નવું નથી. મહેબૂબ ખાને રીમેક કરતી વખતે એક ઔરતને મધર ઇન્ડિયા સુધી પહોંચાડી હતી. ઔરત ૧૯૪૦માં બની હતી અને ભારત ત્યારે આઝાદીના ખયાલથી અનજાન હતું. ઔરતમાં રાધાને એનો પતિ શામુ (ગોવિંદાના પિતા, અરુણ) ત્યજે છે, અને રાધા એના નાના દીકરા રામુ(સુરેન્દ્ર)ને દુકાળમાં ગુમાવે છે. રાધાને સાહુકાર સુખીલાલા (અહીં પણ કનૈયાલાલ જ છે) તો નડે જ છે, પણ ન્યાય કુદરત કરે છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે સુખીલાલાનું ઘર પડી જાય છે, જમીન ફરી ઊગે છે અને એ રીતે રાધા એના દેવામાંથી મુક્ત થાય છે. બુનિયાદી રીતે આ એક ઔરતની જ કહાની હતી.

મધર ઇન્ડિયામાં ઔરતનો સ્કેલ મોટો થઇ ગયો. ફિલ્મમાં રાધાને જ્યારે ખબર પડે છે કે, એની સાથે લગ્ન માટે પતિ શામુ(રાજ કુમાર)ની માએ સુખીલાલા પાસેથી કરજ લીધું છે ત્યારે રાધા પૂરા ઘરનો પહાડ માથે ઊંચકી લે છે. એ ખુદ ખેતરમાં કમ્મર તોડે છે, હળ જોતરે છે, અને એક બળદ મરી જાય છે ત્યારે પોતાની ખૂંધે ધોંસરી મૂકે છે. રાધા અહીં ઔરત મટીને ભારત માતા અને ધરતી માતા બની જાય છે.

મધર ઇન્ડિયા આવી ત્યારે ભારત આઝાદ થઇ ચુક્યું હતું (મહેબૂબે એને ૧૫મી ઓગસ્ટ, ૧૯૫૭ના રોજ રીલીઝ કરવા નક્કી કર્યું હતું, પણ કારણવશ બે મહિનો પછી ઠેલાઈ ગઈ). જો તમને જો યાદ હોય તો, પહેલા જ દ્રશ્યમાં રાધા નહેરનું ઉદ્ઘાટન કરતી જોવા મળે છે. એ નહેરુશાઈ ભારત હતું. ઓપનીંગ દ્રશ્યમાં જ ગામલોકો રાધાને ઉદ્ઘાટન માટે વિનતી કરે છે, "અરે, તું તો હમારી મા હૈ, સરે ગાંવ કી મા." મહેબૂબ ખાને શરૂઆતથી જ કહી દીધું હતું કે, આ એક માની ગાથા છે, સ્ત્રીની નહીં, અને મધર ઇન્ડિયા જ્યારે (દીકરા બીરજુને ગોળી મારવા જેવાં) કઠિન નિર્ણય કરે, ત્યારે એ એનાં બીજાં બચ્ચાઓના ભલા માટે જ હોય છે.

https://www.facebook.com/permalink.php?story_fbid=2013424402318942&id=1379939932334062

Loading

14 May 2018 admin
← Hamid Ansari, Jinnah’s Portrait and turmoil in AMU
તારું આજે ન હોવું →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved