Opinion Magazine
Number of visits: 9448796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રઈશ મનીઆર કૃત ‘ડૂબકીખોર : મનના દરિયાની સફર કરાવતી વાર્તાઓ’

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|3 October 2021

નાનકડી અંગત વાત સાથે શરૂઆત કરીશ. ડો. મુસ્તાક કુરેશી અમારાં પારિવારિક મિત્ર. આ વખતે મારી વર્ષગાંઠને અલગ રીતે યાદગાર બનાવી. સવારે ફોન પર કુરેશી સાથે હેપ્પીવાલા બર્થડેનું ગીત સૂરીલી લઢણે ગાતાં એમણે મને કહેલું કે હું સાંજ સુધીમાં તમને રૂબરૂ મળી જઈશ, અને ખરેખર એમણે રઈશ મનીઆરના વાર્તાસંગ્રહ ‘ડૂબકીખોર – મનના દરિયાની સફર કરાવતી વાર્તાઓ’ની ભેટ સાથે સાંજ યાદગાર બનાવી. આ પુસ્તકની વાર્તાઓને વાંચી, સૂંઘી, માણી, નાણીને અભિજાત જોશીએ ‘ગુજરાતી વાર્તાવિશ્વનો સાચુકલો અવાજ’ કહીને નવાજી છે. વાસ્તવમાં તો એવી છાપ કે ડો. રઈશ મનીઆર તો ગઝલ, દરેક પ્રકારનાં કાવ્યો અને મુશાયરા-કવિ સંમેલનનો ગઝલકાર-કવિ. એક સમયે એમની હાસ્ય-કવિતાઓની એક નાનકડી પુસ્તિકા હું હાથવગી રાખતી, જેથી ‘હાસ્યાંજલિ’માં પઠન કરી શકાય. મને યાદ છે કે મારે અહીં એમના વાર્તાસંગ્રહ વિશે લખવાનું છે.

કોઈ વ્યક્તિ ડોક્ટર, સામાજિક કર્મશીલ, વકીલ, પોલીસ, શિક્ષક-પ્રોફેસર હોય અને સાથે લેખક-વાર્તાકાર હોય તો શું થાય? એના વ્યવસાયનો અનુભવ અને જ્ઞાન એનાં લખાણમાં ડોકિયું કરી જાય અને વાંચીએ ત્યારે લાગે કે આપણે સાચુકલી વાતમાંથી પસાર થઈ રહ્યાં છીએ. એ વાર્તા પછી પરિકલ્પના તરીકે જ  સામે ન રહે, પરંતુ નજર સામે ભજવાતી હોય એવું લાગે. આ વાર્તાસંગ્રહની બાર વાર્તાઓમાંથી પસાર થતાં પણ એવું લાગ્યું. વિષય વૈવિધ્ય તો અદ્દભુત જ સાથે અતાગ અને અથાગ મનનો દરિયો જેમાં તમે ડૂબકી મારો કે નાવડી લઈ હલેસાં મારો … તમારી મરજી.

આમ પણ હું વિવેચક નથી વાચક તરીકે ભાવક છું, વાર્તા સ્ત્રીની દૃષ્ટિએ તપાસી લેવાઈ તે વાત જુદી, પરંતુ અહીં કહેવું પડશે કે વાર્તાકારની તટસ્થતા બરકરાર રહી છે. ‘ડૂબકીખોર’ની અસલામતી અનુભવતી મા લખમી, ‘ચંદાનું વેકેશન’માં સેક્સ વર્કર તરીકે કાર્યરત ચંદા, ‘સવા ત્રણની બસમાં દીકરાની રાહ’માં માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયેલી મા, ‘ઉપર કશું છે?’માં પ્રગટતી શ્રદ્ધાવંત મા, શનિરવિ’માં દિવ્યાંગ બાળક માટે સમર્પિત મા, ‘અનમોલ રતન’માં દીકરા માટે દીકરીઓ પ્રત્યે દુર્લક્ષ રાખતી છતાં છેવટે દીકરીઓ માટે કૂણો ભાવ રાખતી મા અમિતા, ‘કજોડું’માં નર્મદા અને ‘અનુબંધ’માં દીકરી માટે થઈને જીવન વહેણને ગતિશીલ રાખતી અમોલા સહિત માતાઓનું વિવિધ સ્વરૂપ અહીં ઉજાગર થયું છે. દરેક વાર્તામાં કોઈને કોઈ રીતે માતાની સ્થૂળ કે સૂક્ષ્મ હાજરી છે છતાં આ ફક્ત ‘માતૃ વંદના’ માટે જ લખાયેલી વાર્તાઓ નથી. આ વાર્તાઓમાં પ્રેમકથા છે, પ્રવર્તમાન આધુનિક મૂલ્યોથી જન્મતો દ્વંદ્વ છે, કલ્પનાતીત કહેવાય તેવી વિષયવસ્તુ લઈ આવતી ઘટના આધારિત ગંગામાં લાશને શોધવાના વ્યવસાય કરતા નાવિક અને ડૂબકીખોર છોટુની જીવનચર્યા છે તો રેશનલ વલણ સાથે પ્રગટતી કહેવાતી બરછટ વર્તણૂંક છતાં માનવીય સંવેદનાનો આવિર્ભાવ, સ્ત્રી તરીકેની મર્યાદાઓ સાથે પ્રગટતું સ્ત્રીચરિત્ર, આતંકવાદનો ઓછાયો, સાત સહેલી પ્રદેશની યુવતીની કુટુંબકથા, લિંગભાવ સંદર્ભે પરંપરાગત સામાજિક માન્યતાઓનું દ્રઢિકરણ અને સમાજ, દિવ્યાંગ બાળક માટેની માતાની સમર્પિતતાનાં કારણે ભોગ બનતાં સામાન્ય બાળકની માનસિકતા, નાનાં ઘરોમાં મળતાં એકાંતના અભાવનાં કારણે પેદા થતી પરિસ્થિતિમાં પોલીસનું વર્તન અને આમ આદમી તરીકે વગર વિચાર્યે ધારણાઓ બાંધી લેવાની સહજ વૃત્તિ, મિલકત માટે કોઈ પણ હદે જઈ શકતા કુટુંબીઓ, વેરાન-બંજર જમીન પર ઊભી થતી વસાહતો અને શહેરીકરણ, શિક્ષણનું મહત્ત્વ સમજતો ગરીબ કે કહેવાતો  પછાત  વર્ગ, મૃત્યુની વાસ્તવિકતા પર ચિંતન જેવા મુદ્દાઓ પણ વાર્તાઓમાં ખાસ્સા વણી લેવાયા છે અને તે સુપેરે ઉજાગર થાય છે.

વલસાડી ભાષાપ્રયોગ અને પારડી-વાપી-ઉમરગામ જેવાં સ્થળોનો ઉલ્લેખ પોતીકો લાગે. 'ગલવાઈ ગીયો’ શબ્દપ્રયોગ તો અનાવિલોનો જ છે એવી મારી દ્રઢ માન્યતા ખોટી છે, તે અહીં એના બેએક વાર થયેલા ઉલ્લેખથી સમજાયું. જો કે અમે ગલવાઈ જવાના શબ્દપ્રયોગ સમાંતર ‘બલવાઈ જવું’ શબ્દપ્રયોગ પણ કરીએ! મોપાસાં, સ્ટેફાન ઝ્વીગ, ચેખોવ, ટાગોર અને અન્ય નામી-અનામી વાર્તાકારોની વાર્તાકલાથી પોતે પ્રભાવિત છે એવું રઈશ લખે છે. તો પણ પોતાની વાર્તાશૈલીને એ લોકપ્રિય આલેખન અને વિવેચકો વખાણે તેવા સાહિત્યિક માપદંડમાં સફળ થતી અટપટી, મુશ્કેલ અને જટિલતા રૂપે પ્રગટતી કલાની વચ્ચે અંકિત થતી માને છે. એની પ્રસ્તાવના પર પદ્યની અસર લાગે પરંતુ વાર્તાઓમાં કવિતા કરતાં વાસ્તવ-દર્શન વધારે છે. મનોગત એકોક્તિ પણ ખાસ્સી મુખરિત થતી રહે છે. મને સૌથી વધારે અસર બે વાત પર થઈ કે એક જ બાળક પર જાણેઅજાણે ધ્યાન આપવાની એકાંગી વૃત્તિ બીજાં બાળકોની જિંદગી પણ બેહાલ કરી શકે, દીકરાને ચગાવી મારવાનું વલણ એને માટે જ ખતરનાક બને છે તે માતા-પિતા તરીકે સમજવું જોઈએ. રઈશનાં મનના દરિયામાં સ્ત્રીઓને દીકરા માટે મોહ વધારે હોય એ માન્યતા તરતી રહેતી હોય એવું મને લાગ્યું, પરંતુ સ્ત્રીઓમાં એ વલણ કેમ સ્થિત થઈ ગયું છે તે પણ સમજવાનો મુદ્દો છે એવું પણ લાગે છે.

આજકાલ હું ગ્લુકોમા અને મોતિયો પીડિત છું, એટલે એકી બેઠકે વાંચી શકું એમ તો નથી, છતાં ૧૭૮ પાનાં વાંચી તો લીધાં! કારણ કે આ વાર્તાઓમાં એવું કંઈક તો છે જે એક વાર્તા વાંચવાની શરૂ કરો તો પછી પૂરી ન કરો ત્યાં સુધી ચેન ન પડે! ખાસ કરીને જેમને સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક હદ ઓળંગી માનસિક પરતો ઉકેલીને દુનિયાને સમજવી છે તેમને આ વાર્તાઓ વાંચવી ગમશે એવું મને લાગે છે.

પ્રકાશક : આર.આર. શેઠ – સંપર્ક: ૦૨૨-૨૨૦૧૩૪૪૧ – Email:sales@ rrsheth.com  – www.rresheth.com 

“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.

Loading

3 October 2021 admin
← ચલ મન મુંબઈ નગરી—114
દેવને જન્મ સ્ત્રી આપે, પણ દેવની પૂજા ન કરી શકે … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved