Opinion Magazine
Number of visits: 9503772
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડિમેન્શિયા : વિસ્મૃતિનું ઘર

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 April 2022

અંદાજ બાબુજી કા કુછ નયા નયા હૈ

ખુદ સે હૈ બાત કરતે કૈસે હુઈ દશા હૈ!

સ્વર્ગસ્થ એક્ટર ઋષિ કપૂરની અધૂરી રહી ગયેલી છેલ્લી ફિલ્મ “શર્માજી નમકીન” માર્ચના છેલ્લા અઠવાડિયામાં રિલીઝ થઇ હતી. ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું ત્યારે જ ઋષિનું અવસાન થયું હતું. એમાં ફિલ્મ અટકી પડી હતી. જો કે, પરેશ રાવલે એ ભૂમિકા હાથમાં લઈને ફિલ્મ પૂરી કરવામાં સહકાર આપ્યો એટલે ફિલ્મ પડદા પર આવી શકી.

હિન્દી ફિલ્મોના ચાહકો ઋષિ કપૂરને છેલ્લીવાર પડદા પર જોઇને ભાવવિભોર થઇ ગયા, પણ કપૂર પુત્ર રણબીરે એક વાત જણાવી એ કદાચ વધુ દર્દનાક હતી. “શર્માજી નમકીન” જોયા પછી ઋષિના જ્યેષ્ઠ બંધુ રણધીર કપૂર એટલા પ્રભાવિત થયા કે ભત્રીજા રણબીર પાસે આવીને કહ્યું, “ડેડને કહેજે જોરદાર કામ કર્યું છે, અને એ છે ક્યાં, ચાલ તેને ફોન કરીએ.”

રણધીર કપૂરને યાદ જ નથી કે તેમના લઘુ બંધુનું બે વર્ષ પહેલાં અવસાન થઇ ગયું છે!

આને ડિમેન્શિયા કહે છે; ચિત્તભ્રંશ અથવા દિમાગી ક્ષમતામાં ક્ષતિ. પ્રચલિત ભાષામાં તેને ઉન્માદ અથવા ગાંડપણ કહે છે. ઉંમરની સાથે આવતા શારીરિક બદલાવના કારણે દિમાગની રચનામાં પણ પરિવર્તન આવે છે, જેના પરિણામસ્વરૂપ યાદદાસ્ત, વિચારશક્તિ, વર્તન અને મનોભાવ પર અસર પડે છે. ડિમેંશિયા કોઈ રોગનું નામ નથી. તે અમુક લક્ષણોના સમૂહનું નામ છે. લોકો તેને “ભૂલવાની બીમારી” કહે છે, પરંતુ તે સિવાય આચાર-વિચારનાં ઘણાં લક્ષણો તેમાં જોવા મળે છે. જેમ કે – કોઈ ઘટના યાદ ન રહેવી, સમય પર કોઈ શબ્દ કે નામ યાદ ન આવે, હિસાબ-કિતાબ સમજમાં ન આવે, ભીડમાં ડર લાગે, નવો ફોન વાપરતાં ન આવડે, વસ્તુઓ કે વ્યક્તિઓ ઓળખી ન શકાય, અજાણ્યા માણસો પર શંકા પડે, વગેરે. કોઈનામાં એક લક્ષણ હોય તો બીજામાં બીજું.

ડિમેન્શિયા અલ્ઝાઈમર રોગમાંથી આવે છે. અલ્ઝાઈમરમાં મગજના સેલ્સ નષ્ટ થાય અને તેનાથી દિમાગમાં ફેરફારો થાય, પરિણામે ડિમેન્શિયાનાં લક્ષણો પેદા થાય. અલ્ઝાઈમરનું સૌથી પહેલું લક્ષણ નવી માહિતીને યાદ રાખવાની અશક્તિ છે, કારણ કે તેનાથી દિમાગના શીખવાના હિસ્સામાં અસર પડે છે.

અમિતાભ બચ્ચને “બ્લેક” ફિલ્મમાં ક્રમશ: યાદદાસ્ત ગુમાવતા શિક્ષક દેવરાજ સહાયની ભૂમિકા કરી હતી. એક દૃશ્યમાં, તે ભૂલી જાય છે કે તેમણે કોના માટે આઈસક્રીમ ખરીદ્યો છે અને છુટ્ટા પૈસા પણ લેવાનું ભૂલી જાય છે. તેમને તેમની ભૂલો તરફ ધ્યાન દોરવામાં આવે છે ત્યારે તેમને ભાન થાય છે કે એ હવે પહેલાંના જેવા રહ્યા નથી. ફિલ્મના અંતે, આપણે જોઈએ છીએ કે એ સૌને ભૂલી જાય છે.

પશ્ચિમમાં, હોલીવૂડ એક્શન સ્ટાર ચાર્લ્સ બ્રોન્સન, એક્ટ્રેસ રીટા હેઈવર્થ, કોમેડિયન રોબિન વિલિયમ. પ્રેસિડેન્ટ રોનાલ્ડ રીગન, માર્ગારેટ થેચર અને લેખક આઈરીસ મર્ડોક ડિમેન્શિયાનો ભોગ બન્યાં હતાં.

ભારતમાં ડિમેન્શિયાને લઈને બહુ ગેરસમજો છે. લોકો એવું માનતા હોય છે કે ઉંમર થઈ એટલે ચારિત્ર્ય બગડી ગયું છે. આપણે ત્યાં એક કહેવત છે; સાઠે બુદ્ધિ નાઠે – સાઈઠ વર્ષ થાય એટલે વિચારશક્તિ નાસી જાય. લોકો તેમની સમસ્યાને એવું માનીને છુપાવતા હોય છે કે લોકો તેમને પાગલ ગણશે અને તેમના પર હસશે.

ઇન ફેક્ટ, મેડિકલ સાયન્સે પણ ડિમેન્શિયાને હજુ હમણાં સમજવાનું શરૂ કર્યું છે અને હજુ તેની પૂરી જાણકારી કે ઈલાજ મળ્યો નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે આધુનિક દવાઓ અને સારવારોની સુવિધાના કારણે માણસોની આવરદામાં ઘણો વધારો થયો છે એટલે ડિમેન્શિયાથી પીડાતા લોકોની સંખ્યા પણ પહેલાં કરતાં વધી છે. તેનો સંબંધ ઉંમર સાથે છે. ૬૫ વર્ષની ઉમર પછી તેનાં લક્ષણો જોવા મળે છે. જો કે, દરેક ઉંમરવાન વ્યક્તિને ડિમેન્શિયા નડે છે તેવું પણ નથી.

ડિમેન્શિયા લેટિન શબ્દ “ડે” અને “મેન્સ”થી બન્યો છે; “ડે” એટલે “વિના” અને “મેન્સ” એટલે “મગજ” – મગજ વિનાનો. અમેરિકામાં ઘણા ડોકટરો ડિમેન્શિયાને અપમાનજનક ગણીને મેડિકલ ભાષામાંથી કાઢી નાંખવાના પક્ષમાં છે. અંગ્રેજી બોલચાલની ભાષામાં આ શબ્દ ૧૩મી સદી છે, પરંતુ મેડિકલ ભાષામાં તે ૧૮મી સદીથી પ્રચલિત થયો છે.

મેડિકલ સાયન્સનો વિકાસ થયો નહોતો, ત્યારે સૌ પ્રથમ ગ્રીક ફિલોસોફરોએ દિમાગ પર ફોકસ કરીને તેની વિભિન્ન લાક્ષણિકતાઓ સમજવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાચીન ગ્રીસમાં, પાયથાગોરસ, હિપોક્રેટ્સ, પ્લેટો અને એરિસ્ટૉટલનું તારણ હતું કે વૃદ્ધત્વની સાથે દિમાગ ક્ષીણ થવા લાગે છે.

બે હજાર વર્ષ પહેલાં, જુવેનલ નામના રોમન કવિએ ડિમેન્શિયાની સ્થિતિને સમજાવતાં લખ્યું હતું, “રસાલામાં ઘરડા માણસની આસપાસ દરેક પ્રકારના રોગો નાચ કરે છે. એમાં શરીરની ખરાબી કરતાં સૌથી વધુ ખરાબ ક્ષીણ થતું દિમાગ છે, જે ગુલામોનાં નામો ભૂલી જાય છે અને ગઈ રાતે ખાવા આવેલા જૂના મિત્રોને કે મોટાં કરેલાં બાળકોને ઓળખતું નથી.”

૧૬૦૦મી સદીમાં, ઇંગ્લિશ ફિલોસોફર ફ્રાંસિસ બેકોને સઠિયાપા (બુઢાપા) પર એક પુસ્તકમાં લખ્યું હતું, “દિમાગના પાછલા હિસ્સામાં વિસારો પેદા થાય છે, જેને જૂના જમાનામાં ‘વિસ્મૃતિનું ઘર’ કહેવામાં આવતું હતું.” શેક્સપિયરનાં નાટકો હેમલેટ અને કિંગ લિયરનાં નાયકો ડિમેન્શિયાથી પીડિત હતા.

કુમાર ઠાકુર નામના એક હિન્દી શિક્ષકે તેના પર સરસ કવિતા લખી હતી :

અંદાજ બાબુજી કા કુછ નયા નયા હૈ
ખુદ સે હૈ બાત કરતે કૈસે હુઈ દશા હૈ!
વો ભૂલતે હૈ ચશ્માં ઔર ભૂલતે હૈ છાતા
લગતા ઉન્હેં કિસીને ઉનકો અભી છુઆ હૈ
રાતોં કો નીંદ સેઉઠ બહાર ચલે વો જાતે હૈ
હૈ લાઈલાજ એ સબ કૈસી યે દુર્દશા હૈ!
વો અસ્પતાલ સારે જા જા કે થક ચુકે હૈ,
સબ ડોક્ટર હૈ કહતે ઉનકો બસ દુઆ હૈ!

ડિમેન્શિયા ઈલાજપાત્ર નથી, પરંતુ તેને રોકવા માટે અમુક પગલાં ભરી શકાય છે. અંગ્રેજીમાં કહે છે : યુઝ ઇટ ઓર લુઝ ઈ ટ- વાપરો અથવા ખોવો. જે ચીજનો ઉપયોગ ન થાય, તે જાતે જ નષ્ટ થઇ જાય. અ દિમાગને પણ લાગુ પડે છે. કશું પણ નવું વાંચતા રહેવું, કશું પણ નવું લખતાં રહેવું અને કશું પણ નવું શીખતા રહેવું એ દિમાગની કસરત છે. જેમ આપણે સક્રિય રહીને શરીરને ચુસ્ત બનાવીએ છીએ, તેવી રીતે બૌદ્ધિક કસરતથી દિમાગને ચુસ્ત રાખી શકાય.

શરીરની ફિટનેસની સાથે દિમાગની ફિટનેસથી મગજમાં નવા સેલ્સ બનતા રહે છે. ડિમેન્શિયા ઉંમરની સાથે બ્રેઈન સેલ્સ નષ્ટ થવાથી થાય છે. એનો અર્થ એ થયો કે સેલ્સ પેદા થતા રહે તો તેનાથી બચી શકાય.

એક આઈરિશ કહેવત છે : ભરપૂર હાસ્ય અને ભરપૂર ઊંઘ દરેક સમસ્યાનો ઈલાજ છે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 10 ઍપ્રિલ 2022

સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

13 April 2022 admin
← ત્રિગુણ
ભારતે પોતાની ભૂમિનો ઉપયોગ રાજકીય સ્વાર્થ માટે થવા દીધો નથી →

Search by

Opinion

  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન
  • એકસો પચાસમે સરદાર પૂછે છેઃ ખરેખર ઓળખો છો ખરા મને?
  • RSS સેવાના કાર્યો કરે છે તો તે ખતરનાક સંગઠન કઈ રીતે કહેવાય? 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved