Opinion Magazine
Number of visits: 9734135
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|26 March 2026

દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

અત્યાચાર મુદ્દે વાજબી ઊહાપોહ ને પ્રતિકાર વચ્ચે વેતન ને રોજગાર ક્ષેત્રે થતાં શોષણનો મુદ્દો જો ચુકાઈ જાય તો વર્ણ ને વર્ગની જે પાયરીએ દેશના સૌ દલિતદમિત છે, એમનો સર્વાંગી વિકાસ કેમનો થાય, એ પાયાનો સવાલ છે.

પ્રકાશ ન. શાહ

મહાગુજરાત એસ.સી. એસ.ટી. મહાસભાની રવિવારી ચિંતનશિબિરમાંથી જે મુખ્ય વિચાર સૂર એકંદર દલિત આંદોલનની દશા અને દિશાને અંગે ઊઠ્યો છે, એ વિપળવાર પણ વહેલો નથી. બલકે, એક પ્રજાસત્તાક સ્વરાજ તરીકે ચાલુ અગર બાકી ખેંચાતી સ્વરાજલડતની રીતે તે મોડો નહીં તો પણ મંદ ને મંથર જરૂર છે. 

સામાન્યપણે દલિત સવાલને અનુલક્ષીને જાહેર સહવિચારની કોશિશમાં તત્કાળ સામે આવતાં નિમિત્તો અનામત બેઠકો અને અત્યાચાર(એટ્રોસિટી)નાં હોય છે. બંને મુદ્દા ખોટા અલબત્ત નથી. સ્વતંત્રતા અને સમાનતાએ જો સાથે લગાં જવાનું હોય (અને એ અનિવાર્ય પણ છે) તો શિક્ષણથી માંડી સંસદીય પ્રતિનિધિત્વમાં અનામત અંગેની જોગવાઈ તેમ જ કેમ જાણે કોઈ વર્ણગત ખરીતો હોય તેમ દલિતો પરના અત્યાચાર બાબતે સભાન ને સતર્ક એટલા જ સંવેદનશીલ રહેવું તે આપણી હાડની જરૂર છે. એ સિવાય આપણી લોકશાહી હાડેતી થઈ શકવાની નથી. 

પણ, શું દેશના દલિતકારણને આપણે આ બે જ બાબતોની આસપાસ સીમિત કરી નાખવું છે? દલિત બિરાદરી કથિત નીચલી પાયરીએથી ઉપલી પાયરીએ ચઢતી થાય અને વર્ણ તેમ વર્ગની જંજીરો તૂટતી થાય તે માટે આજુબાજુનાં કેટલા વાનાં સાંધવાનાં છે, એ બધો વખત આપણા લક્ષમાં આવતું નથી. 

આ વ્યાપક અભિગમપૂર્વક જોઈએ તો એસ.સી.એસ.ટી. મહાસભામાં ચાલેલું વિચારમંથન, ખાસ કરીને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ઊહાપોહભેર ઉપસ્થિત કરેલા મુદ્દા ધ્યાનાર્હ બની રહે છે. 

સામાન્ય વિચાર કરીએ તો પણ સમજાઈ રહે છે કે આપણે જેને ખેતમજૂર નામની વર્ગીય ઢબની ઓળખ આપીએ છીએ તે ઘણુંખરું દલિત હોય છે. એને સારુ લઘુતમ વેતનથી માંડી રોજગાર ગેરન્ટી યોજનાનું મહત્ત્વ સ્વયંસ્પષ્ટ છે. અત્યાચાર મુદ્દે વાજબી ઊહાપોહ  ને પ્રતિકાર વચ્ચે વેતન ને રોજગાર ક્ષેત્રે થતાં શોષણનો મુદ્દો જો ચુકાઈ જાય તો વર્ણ ને વર્ગની જે પાયરીએ દેશના સૌ દલિતદમિત છે, એમનો સર્વાંગી (ખરું જોતાં સર્વાગ્ર) વિકાસ કેમનો થાય, એ પાયાનો સવાલ છે. 

મહાગુજરાત એસ.સી.એસ.ટી. મહાસભાની બેઠકમાં જેને અંગે ચોંપ ને સક્રિયતા જરૂરી છે તેવા આંદોલન મુદ્દાઓની જે સૂચિ ઊભરી રહી એની એક ત્વરિત તપશીલ અહીં આપીએ તો ઘરના ઘરની સોઈ સારુ જમીન, કારખાનાંમાં ધોરણસરનાં વેતન, ‘હાયર એન્ડ ફાયર’ની મનમાની વચ્ચે અનિવાર્યપણે અનુભવાતી અસલામતી અહીં સાંભરે છે તો એ પણ સાથોસાથ નોંધી લઈએ કે મહેસૂલી કાયદા અન્વયે જમીન વહેંચણીની પ્રક્રિયા આપણે ત્યાં (જે ‘ગુજરાત મોડેલ’ પંકાય છે તેમાં) સને 2008થી સ્થગિતવત્ છે. જિજ્ઞેશ મેવાણીએ અને ઉમેશ સોલંકીએ ક્યારેક લોકસમિતિના ચુનીભાઈ વૈદ્યની સાથે રહીને સાંથણીની જમીનોનુંયે કામ કરેલું છે. કોઈ કેવળ રાજકીય પ્રાણી કે કેવળ રાજકીય પ્રાણી કે કેવળ બૌદ્ધિ પાણી જેવા બંધારણ એમનાં નથી. એમણે જમીની હકીકત સાથે કામ પાડેલું છે. જેને ‘એલોકેશન ઓફ રિસોર્સિઝ’ કરીએ છે એને અન્વયે વાસ્તવિક સંપ્રાપ્તિમાં દલિતો ક્યાં છે, એ પણ પાયાનો તપાસ મુદ્દો છે, – અને હા, લડતમુદ્દો પણ. 

2012ની થાનગઢ ઘટના કે 2016ની ઉના ઘટના, રોજિંદા સમાજજીવનમાં જે અપરિભાષિત એવી ત્રાસદી અનુભવાય છે એનું પેલા હિમદુર્ગ પેઠે એકદશાંશમું ટોચકું હોય તો હોય એ આપણું દુર્દૈવ વાસ્તવ છે. 

અહીં, સ્વરાજને આઠ-નવ વરસ થવામાં હશે અને બનતે બનતે રહી ગયેલી એક ઘટનાનું સ્મરણ થાય છે. વર્ગચિંતનના એકંદર સમાજવાદી માહોલ વચ્ચે રામ મનોહર લોહિયા એક દેશજ ભૂમિકાએ ઊભીને વિચારતા હતા અને એથી વર્ણસભાન ધોરણે ‘પિછડે પાયે સોમેં સાઠ’તરેહનું સૂત્ર પણ એમણે આપ્યું હતું. એમની ઇચ્છા આંબેડકર સાથે મળીને વ્યાપક આર્થિક-સામાજિક બુનિયાદ પર રાજકીય વિકલ્પમાંડણીની હતી. પણ એ માટેની મુકરર તારીખ પૂર્વે જ આંબેડકર ગયા અને આ વિકલ્પખોજ અધૂરી રહી. આપણે ત્યાં બક્ષી પંચથી માંડી મંડલ સહિતના ટુકડા ટુકડા વચ્ચે ગાંધીના રેડિકલ સર્વોદય કે લોહિયાની સપ્તક્રાંતિ અગર જયપ્રકાશના સંપૂર્ણક્રાંતિ દર્શન વગર બધું ઊણુંઅલૂણું.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 25 માર્ચ 2026

Loading

26 March 2026 Vipool Kalyani
← અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
અસત્યના પ્રયોગો   →

Search by

Opinion

  • અસત્યના પ્રયોગો  
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved